મારા મિત્ર ડૉ. સંજીવ ચાંદોરકર તાતા ઇન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સ્ટડીઝમાં અર્થશાસ્ત્ર ભણાવે છે. તે કહે છે કે છેલ્લા એક દશકમાં નવમૂડીવાદનો ચહેરો એટલી હદે બદલાઈ ગયો છે જેનાં વિષે લોકો બહુ ઓછું જાણે છે અને ડાબે કે જમણે કોઈ ભૂમિકા લઈને આર્થિક નીતિ વિષે ઊહાપોહ કરે છે. છેલ્લા એક દાયકા દરમિયાન અર્થશાસ્ત્રનું વિત્તીયકરણ (ફાયનાન્શિયલાઈઝેશન) થઈ ગયું છે એ આપણા ધ્યાનમાં આવતું નથી. સાયન્સ, ટેકનોલોજી, મૂડીનું રોકાણ, શ્રમ, કાચો માલ, બજાર, ખરીદશક્તિ વગેરે અર્થશાસ્ત્રના જૂના માપદંડો કાલબાહ્ય થઈ રહ્યા છે. જૂનાં અર્થશાસ્ત્રને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના માંગ અને પુરવઠા સાથે સંબંધ હતો. જ્યારે નવમૂડીવાદી અર્થતંત્ર ધિરાણ પર આધારિત છે. અંગ્રેજીમાં આને ડેબ્ટ ઇકોનોમી કહેવામાં આવે છે. પહેલાં આપણે બધા ગ્રાહક હતા અને આજે આપણે મુખ્યત્વે રોકાણકાર કે દેણદાર છીએ. એના કેન્દ્રમાં આવતીકાલ છે. માણસ પોતાની આવતીકાલને સુધારવા દેવું લે છે અને આવતીકાલ સદ્ધર કરવા ધિરાણ આપે છે. બન્નેમાંથી કોઈને ખાતરી નથી એક આવતીકાલ કેવી હશે.
સંજીવ કહે છે કે ગુજરાતના ડાંગ જિલ્લાના વઘઈમાં રહેતો યુવક આગળ ભણવા માટે દસ હજાર રૂપિયાની શૈક્ષણિક લોન લે છે ત્યારે તેને અને લોન આપનાર નાણાસંસ્થાને ખબર નથી હોતી કે એ પૈસા અમેરિકામાં કેલિફોર્નિયામાં દુકાન ચલાવનારા અમેરિકનના હોય છે. રોકાણ કરીને આવતીકાલ સદ્ધર કરવા માંગતો અમેરિકન અને લોન લઈને આવતીકાલ સુધારવા માંગતો ડાંગનો આદિવાસી યુવક એકબીજાને ઓળખતા નથી. તેમની વચ્ચેની આર્થિક લેવડ-દેવદની પણ તેમને જાણ નથી. પૈસાના પ્રવાહનો વચ્ચે મોટો રૂટ છે જે અત્યંત અટપટો છે. પ્રવાહની ધારાઓ, ઉપ-ધારાઓ અને તેનાથી પણ બારીક ઉપ-ઉપ-ધારાઓ ન સમજાય નહીં એવી હોય છે. જેમ કે મિ. ‘બ’ તેને પૈસા આપનારા મિ. ‘અ’ ને ઓળખે છે અને તે જેને પૈસા આપે છે એ મિ. ‘ક'ને ઓળખે છે. બાકી ઉપરવાસની અને નીચેની ધારાઓની તેને જાણ હોતી નથી. નદીનાં મૂળ અને ઋષિના કુળ નહીં પૂછવાની આપણે ત્યાં કહેવત છે. હવે તેમાં નાણાંનો ઉમેરો કરવો જોઈએ. નાણાંનાં મૂળ અને કુળ બન્ને જાણવા દુર્લભ છે.
આની વચ્ચે ગઈ છઠ્ઠી એપ્રિલના રોજ રિઝર્વ બૅન્કે એક આદેશ બહાર પડ્યો હતો કે ૧૫મી ઓક્ટોબર સુધીમાં વ્હીઝા, માસ્ટરકાર્ડ, અમેરિકન એક્સપ્રેસ વગેરે વિદેશી કંપનીઓ ભારતમાં જે નાંણાકીય વ્યવહાર કરે છે તેની માહિતી દેશની બહાર ન જાય તેની જોગવાઈ કરે.
શું જોગવાઈ કરે એ અંગે બૅન્કે ૨૫મી એપ્રિલે માર્ગદર્શિકા બહાર પાડી હતી અને કહ્યું હતું કે નાણાંકીય વ્યવહાર કરનારી વિદેશી કંપનીઓએ એવી કોપ્યુટર સિસ્ટમ વિકસાવવી જે શુદ્ધ ભારતીય હોય. આ ત્રણ કંપનીઓ અમેરિકન છે અને નાણાંકીય વ્યવહારની સિસ્ટમ તેની પોતાની છે જે અમેરિકન હોવાની પૂરી શક્યતા છે. બૅન્ક એમ માને છે જો કોમ્પ્યુટર સિસ્ટમ દેશી હશે તો ભારતના રોકાણકારો કે ધિરાણ લેનારાઓની માહિતી દેશની બહાર નહીં જાય.
૧૫મી ઓક્ટોબરની મુદત પૂરી થઈ ગઈ છે. કોઈ નાણાસંસ્થાએ દેશી કોમ્પ્યુટર સિસ્ટમ વિકસાવી નથી કે અપનાવી નથી. એ કંપનીઓએ રિઝર્વ બૅન્કને કહી દીધું હતું કે એ શક્ય નથી અને દેશી કે વિદેશીથી કોઈ ગુણાત્મક ફરક પડતો નથી. આ બાજુ રિઝર્વ બેન્કે તેની દલીલ સ્વીકારી નથી કે મુદ્દત વધારીને આપી નથી. તો આનો અર્થ તો એટલો જ થયો કે વિદેશી નાણા સંસ્થાઓએ રિઝર્વ બૅન્કના આદેશની અવગણના કરી છે. રિઝર્વ બેન્કે કાં તો વ્હીઝા, માસ્ટરકાર્ડ, અમેરિકન એક્સપ્રેસ જેવી સંસ્થાઓની દલીલ સ્વીકારીને આદેશ પાછો ખેંચવો જોઈએ અને કાં તેમની દલીલ ગળે ઊતરે એવી નથી કહીને વળતી દલીલો કરીને આદેશનો અમલ કરવો જ પડશે એમ સ્પષ્ટ કહી દેવું જોઈએ. રિઝર્વ બેન્કે આમાંનું કાંઈ કર્યું નથી. હા, વિદેશી નાણા સંસ્થાઓ એ સધિયારો આપવાનું ચૂકી નથી કે અમારે ત્યાં ભારતીય ગ્રાહકોના ડેટા સુરક્ષિત છે. આ આજકાલ રિવાજ છે. આધાર કાર્ડ આપનારી ઓથોરિટી પણ કહે છે કે અમારે ત્યાં ડેટા સુરક્ષિત છે, તો વિદેશી વેપારી સંસ્થા કહે એમાં કોઈ આશ્ચર્ય નથી.
વિદેશી ધિરાણ સંસ્થાઓએ કરેલી રિઝર્વ બૅન્કના આદેશની અવગણના અને રિઝર્વ બૅન્કના પક્ષે આગ્રહનો અભાવ એમ સૂચવે છે કે ડેટા કોઈ જગ્યાએ સુરક્ષિત નથી, પછી સિસ્ટમ ભારતીય હોય કે વિદેશી. કોઈના પણ ડેટા હેક થઈ શકે છે. જો માહિતી હોય તો માહિતી લીક થઈ શકે છે. જો કંપનીની માહિતી વેચવાની પોલિસી ન હોય તો કર્મચારી વેચી શકે છે. એમાં વળી બેંકો અને ધિરાણ સંસ્થાઓ પાસે તો પ્રોસેસ્ડ કરેલા ડેટા હોય છે. રેડી ટુ યુઝ.
તો પછી રિઝર્વ બેન્કે આવો આદેશ બહાર પાડ્યો શા માટે? આનું કારણ વાણિજ્યનો રાષ્ટ્રવાદ છે. એક જમાનામાં ઉદ્યોગપતિઓ વિદેશી કંપનીઓ ભારતમાં પ્રવેશ ન કરે એ માટે લોબિંગ કરતા હતા. ભારત સરકારે મોટી કંપનીઓને ભારતમાં પ્રવેશ આપવાની જગ્યાએ માત્ર ટેકનોલોજીની આયાત કરવી જોઈએ જેવી દલીલો કરતા હતા. દેશનો નફો દેશમાં રહેવો જોઈએ એ તેમની બીજી દલીલ હતી. તેમનો સ્વદેશપ્રેમની પાછળ સ્વાર્થ હતો. દેશપ્રેમનું ઓઠું વાપરીને તેઓ હરીફાઈ ટાળવા માંગતા હતા. આજે ‘પે ટીએમ' જેવી કંપનીઓ આવી જ દલીલનો સહારો લે છે. વિદેશી ધિરાણ કંપનીઓને ભારતમાં ધંધો કરતો રોકી શકાય એમ તો છે નહીં ચાલો દેશના ડેટાની સુરક્ષાની વાત આગળ કરે છે. સિસ્ટમ ભારતીય હોવી જોઈએ. ભારતીય કંપનીઓ ભારતીય છે એ વાત સાચી પણ તેમના પણ નૈતિકતાના પ્રશ્નો છે. ‘પે ટીએમ’ એ કાશ્મીરની ખીણના ડેટા વડા પ્રધાનના મંત્રાલયે માગ્યા ત્યારે આપી દીધા હતા જેનો ઉપયોગ ચૂંટણી માટે કરવામાં આવ્યો હતો.
એક વાક્યમાં કહેવું હોય તો આ જગતમાં કોઈ જગ્યાએ ડેટા સુરક્ષિત નથી એટલે તેના પર રાષ્ટ્રવાદનો વરખ ચડાવવાનો કોઈ અર્થ નથી.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 18 અૉક્ટોબર 2018