મહુવા લોકઆંદોલન છેવટનાં તબક્કે પહોંચ્યું ત્યારે તંત્રીની વિનંતીથી ગિરીશભાઈએ આ આંદોલનનાં વિવિધ પાસાં “નિરીક્ષક”માં મૂકી આપ્યાં હતાં. તા. 16 જૂન 2011ના “નિરીક્ષક”માં પ્રકાશિત આ બે લેખો અહીં એક સાથે.
મહુવા તાલુકામાં ગુજરાત સરકારે મંજૂર કરેલી નિરમા સિમેન્ટ ફૅક્ટરી સામેનું લોક-આંદોલન એક અર્થમાં છેવટના તબક્કામાં પહોંચ્યું છે અને વિજય લગભગ નજદીક દેખાય છે. છેલ્લે સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી વખતે ભારત સરકારના સૉલિસિટર જનરલે પાણીના બંધારવાળી જમીનમાં બાંધવામાં આવી રહેલી સિમેન્ટ ફૅક્ટરીની પર્યાવરણીય અસરોનો અભ્યાસ કરવા પર્યાવરણ વૈજ્ઞાનિકોની નિમણૂક કરવાની જાહેરાત કરી હતી. તે મુજબ સાત વૈજ્ઞાનિકો અને પાછળથી નિરમા કંપનીના સૂચનથી બીજા બે વૈજ્ઞાનિકો એમ મળી નવ વૈજ્ઞાનિકોની સમિતિ બનાવી. સર્વોચ્ચ અદાલતે ઊભા કરેલા પ્રશ્નો – ફૅક્ટરીની જગ્યા પર ‘વૉટરબૉડી’ છે કે નહીં ? જો હોય તો, સિમેન્ટ ફૅક્ટરી ઊભી કરવાથી કઈ પર્યાવરણીય અસરો થશે ? વગેરે-વગેરે – વિશે આ સમિતિએ સ્થળતપાસ કરીને બધા પક્ષકારોને સાંભળ્યા પછી, પોતાનો અહેવાલ ભારત સરકારના પર્યાવરણ ખાતાને સુપરત કર્યો અને સર્વોચ્ચ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો. સમિતિએ સર્વસંમતિથી સ્પષ્ટ જણાવ્યું કે કારખાનાનું સ્થળ સ્પષ્ટ રીત વૉટરબૉડી કે વેટલૅન્ડ છે અને ત્યાં સિમેન્ટ ફૅક્ટરી સ્થાપવાથી પર્યાવરણનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં ગંભીર નુકસાન થશે અને કોઈ પણ સંજોગોમાં ત્યાં સિમેન્ટ-ફૅક્ટરી સ્થાપી ન શકાય. આ અહેવાલ ભારત સરકારે સ્વીકાર્યો અને કાયદા મુજબ નિરમા કંપનીને કારણદર્શક નોટીસ આપવામાં આવી છે કે ફૅક્ટરીને આપવામાં આવેલી પર્યાવરણીય મંજૂરી શા માટે પાછી ના ખેંચવી તેનો જવાબ આપવામાં આવે. જવાબ આવ્યા બાદ કેસની સુનાવણી ઑગસ્ટ મહિનામાં થશે. એક વાત સ્પષ્ટ છે કે મહુવાના લોકો થોડા જૂજ અપવાદ સિવાય સિમેન્ટ ફૅક્ટરીનો વિરોધ કરે છે. એમણે ગુજરાત સરકારને અને નિરમા કંપનીને સ્પષ્ટ જણાવ્યું છે કે We do not want cement factory here. બીજી બાજુ પર્યાવરણની દૃષ્ટિએ નિષ્ણાત વૈજ્ઞાનિકોના મંતવ્ય મુજબ, મહુવાના બંધારામાં સિમેન્ટ, ફૅક્ટરી કરી ના શકાય અને ફૅક્ટીએ બીજી જગ્યાએ જવું જોઈએ. વિકાસના બે મહત્ત્વના પક્ષકારો – માનવી અને કુદરત (Man/Woman and nature)- એ સ્પષ્ટ અભિપ્રાય આપી દીધો છે. સ્વાભાવિક રીતે જે લોકશાહી દેશમાં સરકાર અને કંપનીને ખેલદિલીથી આનો સ્વીકાર કરી, ત્યાંથી ખસી જવું જોઈએ. પરંતુ, કમનસીબે ગુજરાત સરકાર તથા નિરમા કંપનીએ કહેવાતો વિકાસ લોકો અને કુદરત ઉપર ઠોકી બેસાડવા જડ વલણ અપનાવ્યું છે. આ ઉપરથી સ્પષ્ટ ખ્યાલ આવશે કે શાસકો અને ઉદ્યોગોને કયા પ્રકારનો વિકાસ પસંદ છે
નિરમાની સિમેન્ટ-ફૅક્ટરી અને તેના વિરુદ્ધના આંદોલનમાં અનેક પક્ષકારોએ કેવો-કેવો ભાગ ભજવ્યો છે, તે તપાસવું જરૂરી છે. પરંતુ તે પહેલાં સમગ્ર પ્રશ્નના પાયામાં રહેલા કેટલાક મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરવી આવશ્યક છે.
(૧) આર્થિક અને માનવીય વિકાસમાં દેશનાં કુદરતી સંસાધનો પાયારૂપ છે, જેને વ્યાપક અર્થમાં અર્થશાસ્ત્ર ‘લૅંડ’ તરીકે ઓખળે છે. જમીન, માનવશ્રમ, મૂડી અને સંયોજન એમ ઉત્પાદનનાં ચાર સાધનો છે. આ જમીન એટલે આપણું બંધારણ જેને Material resources of the community કહે છે. જેમાં જમીન, પાણી, જંગલ, નદી, દરિયો, પાણીજન્ય જીવ, ખનીજો વગેરેનો સમાવેશ થાય છે. અંતે તો આ સંસાધનો ઉપર સમાજની માલિકી છે. બંધારણના અનુચ્છેદ ૩૯(બી) મુજબ the ownership and control of the material resources of the community are so distributed as best to subserve the commn goodના મૂળ સિદ્ધાંત ઉપર રાજ્યની નીતિ ઘડાવી જોઈએ.
(૨) કાયદાની દૃષ્ટિએ રાજ્ય નૈસર્ગિક સંસાધનો – જમીન, જળ, જંગલ, નદી, નાળા, ખાડી, ખનીજો વગેરેની માલિકી છે, આમ, વિશાળ અર્થમાં જમીન ક્યાં તો સરકારની ક્યાં તો ખાનગી માલિકીની હોય.
(૩) જ્યાં સુધી કુદરતી સંસાધનો(Material fesources of the community)ને લાગેવળગે છે, ત્યાં સુધી સર્વોચ્ચ અદાલતના અનેક ચુકાદાઓ અનુસાર રાજ્ય Public Trustee છે, Absolute માલિક નથી અને તેથી રાજ્ય આ સાધનોનોે ઉપયોગ માત્ર સમાજના હિત માટે જ કરી શકે. પોતાની મરજી મુજબ ખાનગી માલિકની જેમ ગમે તેમ ઉપયોગ કરી ના શકે. Public Trusteeનો સિદ્ધાંત ભારતમાં આજે સુસ્થાપિત થયેલો છે અને સરકારની સંસાધનોની માલિકી, અંકુશ કે ઉપયોગ કે તબદિલીને આ સિદ્ધાંત પર પડકારી શકાય.
ખાનગી માલિકીની જમીનની બાબતમાં કાયદા અનુસાર અને કાયદાની મર્યાદામાં માલિક પોતાને ઠીક લાગે તે રીતે વર્તી શકે છે. યુરોપના સિવિલ લૉની જેમ ઇંગ્લૅન્ડના કૉમન લૉ અનુસરતા દેશોમાં પોનાના વૈયક્તિક અધિકારો શુદ્ધ બુદ્ધિથી વાપરવા જોઈએ તેવો સિદ્ધાંત સ્વીકારાયેલો નથી. ખાનગી માલિકીના ઉપર હજુ સુધી Social Responsibilityનો સિદ્ધાંત સર્વમાન્ય થયો નથી અને કાયદામાં સ્વીકૃતિ પામ્યો નથી.
(૪) ઉદ્યોગો, ઘરો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખનીજો, બંધો, રસ્તાઓ વગેરે માટે જમીનની જરૂર પડે – ખેતીલાયક, ગોચર જમીન, ખરાબા જમીન, જંગલોની જમીનની – આ જમીન ક્યાં તો સરકારની હોય ક્યાં તો ખાનગી જમીન હોય. રાજ્યની માલિકીની જમીનો વાપરવાની કે આપવા માટેની સત્તા સરકારની છે. આ સત્તા સરકાર કોઈ કાયદા હેઠળ કે પછી પોતાની કારોબારી વિષયક Executive સત્તા હેઠળ વાપરે છે. આ સત્તા ક્યારે વાપરવી, કેવી રીતે વાપરવી, શા માટે વાપરવી, કયાં ધોરણો કે સિદ્ધાંતો હેઠળ વાપરવી, લોકોની કેટલી ભાગીદારી વગેરે ઘણા વિવાદાસ્પદ પ્રશ્નો ઊભા થાય છે. ખાનગી માલિકીની જમીન સંપાદન કરવી પડે અને તેને માટે દેશમાં છેક ૧૮૯૪માં બનાવવામાં આવેલો લૅંડ ઍક્વિઝિશન ઍક્ટ (ભૂમિ, અધિગ્રહણ કાનૂન) છે, તેનો સરકાર ઉપયોગ કરે છે. તેની બે શરતો છે : (૧) જાહેર હેતુ હોવો જોઈએ. (૨) જમીનની બજાર કિંમત વળતર તરીકે આપવી. જેમની જમીન ઝૂંટવાઈ જાય છે. તેવા માલિકો માટે ઘણા પ્રશ્નો ઊભા થયા છે અને આંદોલનો પણ ચાલે છે.
(૫) લગભગ ૧૯૯૦ સુધી નેહરુના આર્થિક વિકાસના મૉડલ હેઠળ સરકારી જમીનો કે ખાનગી જમીનો સરકારના વિકાસના પ્રોજેક્ટો માટે ઉપોયગમાં લેવાતી. સરકારી જમીનોના ઉપયોગ અંગે સરકારનો નિર્ણય લગભગ આખરી ગણાતો અને માત્ર ધારાસભા કે પાર્લામેન્ટમાં સરકારે જવાબ આપવો પડે. જ્યારે ખાનગી જમીનોના સંપાદન અંગે જમીન માલિકો પડકાર ફેંકતા, પરંતુ સામાન્ય રીતે અદાલતો સરકારના નિર્ણયને સ્વીકારતી, સિવાય કે વળતર વિષે કે કોઈક વખતે Malafideના કારણસર. ૧૯૯૦ પછી સરકારે નવી આર્થિક નીતિ અપનાવવાની શરૂ કરી, જેનો પાયો ખાનગીકરણ, બજાર, સરકારી નિયંત્રણોની નાબૂદી અને વૈશ્વિકીકરણ છે. રાજ્ય આર્થિક ક્ષેત્રમાંથી ખસી જવા લાગ્યું અને ખાનગી ઉદ્યોગો તથા મુક્ત બજારના સહાયક તરીકે રોલ સ્વીકાર્યો. હવે રાજ્ય સરકારી જમીનો, પાણી, જંગલો, ખાણો વગેરે વિકાસના નામે અથવા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ(પી.પી.પી.)ના નામ હેઠળ ખાનગી ઉદ્યોગો, રાષ્ટ્રીય અને બહુરાષ્ટ્રીય કંપનીઓને આપવાની નીતિ અપનાવી. આવી જ રીતે ભૂમિ-અધિગ્રહણ કાનૂનમાં ૧૯૮૬માં સુધારો કરી પ્રકરણ-VIIમાં લોકોને ઉપયોગી જણાય એવા ઉદ્યોગો માટે ખાનગી કંપનીઓ માટે અમુક શરતો સાથે જમીન સંપાદન કરવાની જોગવાઈ કરી. આજે હવે સમાજના નૈૈસર્ગિક સંસાધનોના ઉપયોગથી લોકોને વંચિત કરવામાં આવી રહ્યા છે અને તેના કારણે તેઓ વિસ્થાપિત થતા જાય છે, જ્યારે ખાનગી જમીનોના સંપાદનથી જમીન માલિકો જમીનવિહોણા બની જાય છે અને તેમનું પણ વિસ્થાપન થાય છે. હાલમાં જે આંદોલનો ચાલે છે તે આમાંથી ઊભાં થાય છે. પર્વતીય અને જંગલ વિસ્તારમાં આદિવાસી સમાજ વિખરાય છે અને પોતાનું સમગ્ર ગુમાવે છે. ત્યાં ઘણી જગ્યાએ નકસલવાદી આંદોલન ચાલે છે. બીજા વિસ્તારમાં જ્યાં મોટા પ્રમાણમાં ખાનગી જમીનોનું સંપાદન થાય છે, ત્યાં જમીનધારકોનાં આંદોલનો ચાલે છે.
સમાજનાં ભૌતિક સંસાધનો ઉપરથી માલિકી, નિયંત્રણ, ઉપયોગ, તબદિલ અને ખાનગી જમીનનું સંપાદન – આ બધા પ્રશ્નનોને કકડા કરીને અલગ-અલગ રીતે તપાસી ના શકાય. આ બધું જ વિકાસના નામે થાય છે. પહેલાં રાજ્ય દ્વારા વિકાસ કરવામાં આવતો હતો, હવે મોટે ભાગે ખાનગી કંપનીઓ દ્વારા કરવાની નીતિ અપનાવવામાં આવી છે અને એટલે જ આ પ્રશ્નો ઉપર દેશના વિવિધ વિસ્તારોમાં ચાલતાં આંદોલનોને દેશે સ્વીકારેલ વિકાસના મૉડેલ કે નીતિના વિશાળ પરિપ્રેક્ષ્યમાં તપાસવાં જોઈએ. રાજ્ય અને ખાનગી ઉદ્યોગો દ્વારા થતાં બધાં જ સાહસો કે વ્યવહારો મુખ્યત્વે આ વિકાસના મૉડલના ભાગરૂપ છે.
દેશે અપનાવેલું આ વિકાસમૉડલ માત્ર આર્થિક, ટેક્નિકલ, ટેક્નોલૉજિકલ, મૅનેજરિઅલ કે નિષ્ણાતી પ્રશ્ન નથી. સાચા અર્થમાં તે રાજકીય પ્રશ્ન છે અને રાજ્યના સ્વરૂપ, સત્તા, તેનો ઉપયોગ, તેના ઉપર નિયંત્રણ, તેની ઍકાઉન્ટેિબલિટી, ટ્રાન્સ્પેરન્સી વગેરે પ્રશ્નો અંતિમ સ્વરૂપમાં રાજકીય પ્રશ્નો છે. વિકાસ કોના લાભ માટે ? વિકાસ કોના ભોગે અને કેટલા ભોગે ? તેમાં પ્રજાનો અવાજ કેટલો ? બંધારણના આદર્શોનું શું ? આ બધા પ્રશ્નો માત્ર રાજકારણીઓ, અમલદારો, મૅનેજરો, ઉદ્યોગપતિઓ, નિષ્ણાતો કે વૈજ્ઞાનિકો ઉપર છોડી ના દેવાય અને એટલે દેશમાં ચાલતાં બધાં આંદોલનો એક યા બીજા પ્રકારનાં રાજકીય આંદોલનો છે અને તેને બિનરાજકીય (અપોલિટિકલ) બનાવવાની વાત ખરેખર ભયજનક છે. તેનાથી ચેતવું જોઈએ.
આ પશ્ચાદ્ભૂમિમાં મહુવા આંદોલનને તપાસવું જોઈએ. તેના વિશે તો ઘણી ચર્ચા થઈ છે, અહીં તો માત્ર વિવિધ પક્ષકારોએ કેવો ભાગ ભજવ્યો છે. તે તપાસવા માંગું છું.
૧ … પાંચ કરોડની જનતાના પ્રતિનિધિ તરીકે દાવો કરનાર અને પોતાની જાતને વિકાસપુરુષ કહેવડાવનાર નરેન્દ્ર મોદીની સરકારનો ખલનાયકનો રોલ જોવા જેવો છે. મહુવાના આ વિવાદાસ્પદ વિસ્તાર દરિયાને અડીને આવ્યો છે અને તેને વિશાળ અર્થમાં River basin કહી શકીએ, જ્યાં આજુબાજુ વહેતી નાની નદીઓ, ઝરણાં તેમ જ વરસાદનું પાણી જમા થયા છે અને દરિયામાં વહી જાય છે. નીચાણવાળી જગ્યા છે. દરિયાનું પાણી અને ખારાશ અહીંથી અંદર પ્રવેશે છે અને સમગ્ર વિસ્તારને ખારો બનાવી દે છે. આ સરકારી જમીન છે. આ અટકાવવા માટે સરકારે રેવન્યુ રેકર્ડમાં જેને વેસ્ટલૅન્ડ ગણાવી છે, તે જમીન સેલિનિટી નિયંત્રણ ડિપાર્ટમેન્ટને બંધારો બનાવવા સને ૨૦૦૨માં આપી દેવામાં આવેલી અને ત્યાર પછી ત્યાં સમઢિયાળા બંધારો બાંધવામાં આવ્યો, જેનાથી દરિયાનું પાણી અંદર પ્રવેશી શકતું નથી તેમ જ અંદરના પ્રદેશમાંથી આવતાં ચોખ્ખાં પાણીનો સંગ્રહ થાય છે. તેને આપણે વૉટરબૉડી અથવા વૅટલૅન્ડ કહીએ છીએ. આજુબાજુ આવા ચાર બંધારા સરકારે બાંધ્યા છે અને ચારે ય એકબીજા સાથે સાંકળવાથી પાણીનો પુષ્કળ જથ્થો મોટા વિસ્તારને મળી શકે. આના પરિણામે આજુબાજુની જમીનો ફળદ્રુપ થઈ છે અને જાતજાતના પાકો પકાવવામાં આવે છે. ખેડૂતોની આર્થિક પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. ગુજરાત સરકારે પોતે બનાવેલા આ બંધારામાં મનસ્વી રીતે સિમેન્ટનું કારખાનું બનાવવા નિરમા કંપનીને જમીન આપી દીધી. ન તો લોકોને વિશ્વાસમાં લીધા, ન તો લોકોના ધારાસભ્યને. આ સિમેન્ટનું કારખાનું અસ્તિત્વમાં આવવાથી લોકોનાં જીવનધોરણ ઉપર, જમીનની ફળદ્રુપતા ઉપર, પર્યાવરણ ઉપર, તેના ઉપર આધાર રાખતા વન્ય જળચર જીવો ઉપર શી અસર પડશે, તેનો કોઈ તટસ્થ અભ્યાસ ના કર્યો, મુઠ્ઠીભર નોકરીઓના નામે હજારો લોકોના જીવનનિર્વાહનાં સાધનોનું બલિદાન આપવામાં આવ્યું. લોકશાહી દેશના લોકોએ ચૂંટેલી સરકારનું આ સાચું સ્વરૂપ. લોકોના સેવક તરીકે નહિ, પરંતુ નિરમા કંપનીના એજન્ટ કે સી.ઈ.ઓ. તરીકે મોદીસરકાર બહાર આવી. ચૂંટણીમાં મત આપવાથી લોકશાહી પૂર્ણ થતી નથી, કારણ કે એક વાર ચૂંટાયા પછી સરકાર લોકવિરોધી બની શકે છે. ગુજરાત સરકારે લોકવિરોધી નિર્ણય તો આપખુદીથી લીધો, એટલું જ નહીં પણ ત્યાર પછી પણ સમગ્ર લોકોનો સખત વિરોધ અને આંદોલન પછી પણ અને છેલ્લે તાલુકા પંચાયતની ચૂંટણીમાં આંદોલનના પ્રતિનિધિઓ ચૂંટાયા છતાં ય પણ મોદી સરકાર લોકમતને માન આપવા તૈયાર નથી. સરકારનું સાચું વિકરાળ અને વિનાશકારી સ્વરૂપ બીજું શું હોઈ શકે?
૨ … જેમને ભારત સરકારે ૨૦૧૧માં પદ્મશ્રીનો ઇલકાબ આપ્યો છે, તેવા શ્રી કરસનભાઈ પટેલ નિરમા કંપનાના માલિક છે. મહુવાની જમીન લેવા માટે નિરમા કંપનીએ સામ, દામ, દંડ, ભેદનાં સાધનો વાપરી જે કૃત્યો કર્યાં છે, તે પદ્મશ્રીને શોભે ખરાં? સ્પષ્ટ વૉટરબૉડી/વૅટલૅન્ડ હોવા છતાં જૂના સરકારી રેવન્યુ રેકર્ડ બતાવી વેસ્ટલૅન્ડનું જુઠાણું ચલાવ્યું અને પર્યાવરણીય મંજૂરી મેળવી. પોલીસ અને ગુંડાઓનો ઉપયોગ કરી લોકો ઉપર અને તેમના આગેવાનો ઉપર હુમલા કરાવ્યા. લોકોનો સ્પષ્ટ વિરોધ છે, લોકો ત્યાં સિમેન્ટ-ફૅક્ટરી ઇચ્છતા નથી અને ભારતના ઉત્તમ વૈજ્ઞાનિકોના છેલ્લા અહેવાલ અનુસાર વૉટરબૉડીમાં સિમેન્ટ-ફૅક્ટરી નાંખવાથી ભારે પર્યાવરણીય નુકસાન થશે, તે જાણ્યા છતાં નિરમા કંપની છેવટ સુધી લડી લેવા માંગે છે – તે બતાવે છે કે ઉદ્યોગપતિઓ કેટલા સામાજિક જવાબદારીવાળા છે ? આવા ઉદ્યોગપતિઓને માત્ર નફો દેખાય છે – દેશનું, કુદરતી સંસાધનોનું, લોકોના જીવનનિર્વાહનું, પર્યાવરણનું, સમાજનું શું થશે, તેની જરા ય ચિંતા નથી કે પરવા નથી. ખાનગી ઉદ્યોગો અને કૉર્પોરેટ પાવરને દેશનો, સમાજનો અને લોકોનો વિકાસ કેવી રીતે સોંપી શકાય ?
૩ … ભારત સરકારનો રોલ પણ તપાસવા જેવો છે. આવા ઉદ્યોગોએ ભારત સરકારના પર્યાવરણ ખાતા પાસેથી પર્યાવરણીય મંજૂરી લેવી પડે. જનસુનાવણી કરવી પડે. અહીં જનસુનાવણી માત્ર નામની જ હતી. યોગ્ય સમયે તેની જાણ લોકોને કરવામાં ના આવી. માત્ર, પોતાને ટેકો આપે એવા લોકોને ભેગા કરવાનું અને ફૅક્ટરીનો વિરોધ કરનારાઓને આવતા રોકવાનું કાવતરું ગોઠવાયું. આમ છતાં ઘણી બહેનો હિંમત ભેગી કરી સુનાવણીના સ્થળે પહોંચી ગઈ, પરંતુ સુનાવણી તો સમાપ્ત કરી નાંખવામાં આવી. જનસુનાવણીનું માત્ર નાટક ભજવવામાં આવ્યું, જેમાં નાયક, ખલનાયક અને પ્રેક્ષકો નિરમા કંપની જ હતી. આવી જનસુનાવણી પછી અને અધિકારીઓએ આવીને શું જોયું અને તપાસ્યું તે તો તેમને જ ખબર હોય પણ પર્યાવરણ વિભાગે જૂઠી માહિતી ઉપર અને પોતાની ઉપરછલ્લી તપાસ ઉપર પર્યાવરણીય મંજૂરી આપી. ગુજરાત હાઈકોર્ટમાં નિરમાની તરફેણમાં ઍફિડેવિટ કરી. છેક છેલ્લે, અદાલતે ચોક્કસ સવાલો ઉપર પર્યાવરણ ખાતાની ઍફિડેવિટ માંગી. તે ઍફિડેવિટ પણ નિરમાને ટેકો આપનારી જ હતી. સદ્ભાગ્યે કેન્દ્ર સરકારના પ્રધાનની દરમિયાનગીરી વૈજ્ઞાનિકોની કમિટી નિયુક્ત કરવાની દરખાસ્ત આવી. એક કમિટીએ સ્પષ્ટ રીતે નિરમા વિરુદ્ધ સ્પષ્ટ આવ્યો. આના પરથી ખ્યાલ આવશે કે ભારત સરકાર પણ કેવી રીતે કામ કરે છે. ક્યાં તો પ્રધાન અને તેમનું ખાતું એક બાજુ હોય અથવા પ્રધાન ગમે તે વિચારે પણ ખાતું તો ઉદ્યોગોની ઘણી નજદીક હોય; કારણ કે ખાતાના સચિવ એમ માને છે કે પ્રધાનો તો આવે ને જાય, અમે તો કાયમ અહીં બેઠા છીએ અને અમારે ઉદ્યોગો સાથે સંબંધો સાવવા પડે. છેવટે તો ભારત સરકાર એ જ વિકાસના મૉડેલનૅ વરેલી છે ને!
૪ … મહુવા-આંદોલન કેમ આટલું મજબૂત બન્યું, તેના ઉપર પણ દૃષ્ટિપાત કરીએ. આંદોલનની શરૂઆત લોકોએ કરી, ખાસ કરીને બહેનોએ. પોતાની તળ (ગ્રાસરુટ) સમજ અને અનુભવ એ તેમની તાકાત હતી. પાણી ઓછું થાય કે પ્રદૂષિત થાય, તો તેમની જમીન બરબાદ થાય. તેમના જીવનનો આર્થિક પાયો ડગમગી ઊઠે. ફૅક્ટરી ઉપરાંત તેમની જમીનો હેઠળનાં ખનીજ (લાઇમસ્ટોન્સ) તો સરકારે નિરમાને આપી દીધા છે. ઉપરની જમીન પણ નિરમા યેનકેન પ્રકારેણ લઈ જાય તો નવાઈ નહીં. જમીન વગરના લોકો ક્યાંયના ના રહે. જમીન તેમના જીવન અને સમાજનું કેન્દ્ર છે. એટલે જ તેમણે સખત વિરોધ કર્યો, એટલું જ નહીં, જમીન વગરના લોકો ક્યાંયના ના રહે. જમીન તેમના જીવન અને સમાજનું કેન્દ્ર છે. એટલે જ તેમણે સખત વિરોધ કર્યો એટલું જ નહીં, નિરમાના ગુંડાઓ અને રાજ્યની પોલીસનો સામનો કર્યો. આંદોલન નીચેથી – લોકોએ શરૂ કર્યું તે આંદોલનની સૌથી મોટી તાકાત. ત્યાર પછી લોકો તેમના ધારાસભ્ય ડૉ. કલસરિયા પાસે પહોંચ્યા અને પોતાની વેદના જણાવી. આ વિસ્તારના સેવાભાવી સર્જનને સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોવા છતાં – સમજાયું કે લોકોની વાત સાચી છે અને ધીમે-ધીમે તેમણે આંદોલનનું નેતૃત્વ સ્વીકાર્યું. મજબૂત લડાયક લોકો અને સમજદાર, અભ્યાસી, સંવેદનશીલ, પ્રામાણિક અને અન્યાય સામે લડવાની તૈયારી તેમ જ શક્તિશાળી નેતા તેનો સંગમ થવો એ આંદોલનનું વિશિષ્ટ લક્ષણ અને તેનો મજબૂત પાયો. સાથે મુ. ચુનીકાકા, સનતભાઈ, ઇલાબહેન પાઠક જોડાયાં અને બીજા અનેક આંદોલનના કર્મશીલો પણ જોડાયા. આંદોલનને યોગ્ય અને કમિટેડ વકીલ આનંદ યાજ્ઞિક મળ્યો. એણે સ્થળ ઉપર અને અદાલતમાં મજબૂત લડાઈ આપી અને ગુજરાતમાં જેને ‘લોક-આંદોલન’ કહીએ, તેવું લોક-આંદોલન વર્ષો પછી પેદા થયું અને સરકારના વિકાસના માણસને પડકાર્યું. ગુજરાતમાં જમીનો વિશે કાંઈ પ્રશ્ન નથી કે ઘર્ષણ નથી એવો ઢોલ પિટાવતા નરેન્દ્ર મોદીને સૌથી મોટો પડકાર આપ્યો. ઉદ્યોગો સામે ખેતીવિષયક જમીન અને પાણીનો મહત્ત્વનો પ્રશ્ન ઉઠાવ્યો. આંદોલને પોતાની વૈજ્ઞાનિક ભૂમિકા હજી વધુ સ્પષ્ટ કરવી પડશે અને સાથે-સાથે તેની વિઝિબિલિટી માત્ર, ગુજરાત પૂરતી નહી પરંતુ દેશભરમાં ઊભી કરવી પડશે, જેથી વિવિધ આંદોલનો વચ્ચે સંકલન થાય. આખરે ‘લોકલ વિ. ગ્લોબલ’ની દુનિયામાં જેમ નિરમા ગ્લોબલાઇઝ્ડ ઇકોનૉમીનો ભોગ છે તેમ આ લોક-આંદોલન પણ વૈશ્વિક આંદોલનનો ભોગ બનવું જોઈએ.
૫ … આંદોલનની સફળતા તેના અહિંસક સ્વરૂપમાં છે, જેનો યશ ડૉ. કલસરિયાને છે. અહિંસા નબળાનું શસ્ત્ર નથી, પરંતુ શક્તિવાનનું શસ્ત્ર છે. અહિંસક આંદોલનની વિવિધ સ્ટ્રેટજીઝનો ઊંડો વિચાર કરવાની જરૂરિયાત છે. જો કે દેશમાં અનેક વિસ્તારોમાં રાજકીય અને કૉર્પોરેટ આતંકવાદ એટલો તીવ્ર છે કે તેનો સામનો કેમ કરવો એ ઘણો અઘરો પ્રશ્ન છે. પ્રતિહિંસા સંરક્ષણાત્મક રીતે કોઈક વખત જરૂરી હોય તેવું ઘણા લોકોને લાગે છે. કેટલા ય નકસલવાદીઓ આવી જ પરિસ્થિતિમાં પેદા થયેલા છે. જો કે ઘણા નકસલવાદીઓ હિંસાને પોતાની વિચારધારાનો એક ભાગ પણ ગણે છે. પરંતુ અહિંસક રીતે ચાલતું લોક-આંદોલન લોકોની વધારે ભાગીદારીવાળું હોય છે. લોકો તેનાથી વધારે મજબૂત બને છે. સામાન્યમાં સામાન્ય માણસ – સ્ત્રી, પુરુષ, બાળક, વૃદ્ધ વગેરે ભાગ લઈ શકે છે. નવા સમાજનાં મૂલ્યો સ્થાપવાનો એમાં ઘણો અવકાશ મળે છે. છેવટે હિંસાથી તો હિંસાનો જન્મ થાય છે. હિંસાત્મક આંદોલન છેવટે સેન્ટ્રલાઇઝ થઈ જાય છે. અલબત્ત, ઇતિહાસમાં ઘણા પ્રસંગો બન્યા છે, જ્યાં ક્રાંતિ દ્વારા રાજ્યપરિવર્તન થયું છે. કમનસીબે રાજ્યપરિવર્તન પછી હિંસા ચાલુ રહે છે અને નવા સમાજની રચનાને વિકૃત બનાવી દે છે. મહુવા આંદોલનની દસ હજારથી પણ વધારે મોટી, મહુવાથી ગાંધીનગર સુધીની રેલી જેવી રેલી ગુજરાતમાં છેલ્લાં અનેક વર્ષોમાં નીકળી નથી. છેક પાલડીથી ગાંધી આશ્રમ સુધીની લાંબી રેલીનું દૃશ્ય ભુલાય એમ નથી. ખાસ કરીને ગ્રામજનોની શહેરો માટે તે એક ચેતવણીરૂપ રેલી હતી : ‘જો જો કોઈક વખત શહેરોની રોશની અને જાહોજલાલીની આજુબાજુ, તરછોડાયેલા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલાં ગરીબ ગ્રામજનોની કિલ્લેબંધી ના થાય !’
૬ … મહુવા-આંદોલનમાં અદાલતોનો રોલ મહત્ત્વનો રહ્યો છે. પહેલાં ગુજરાત હાઈકોર્ટમાં સારા સમય સુધી બાંધકામ સામે મનાઈહુકમ હતો, જેને પરિણામે આંદોલનને વેગ મળ્યો. કેસની સુનાવણી વખતે ઘણા અગત્યના પ્રશ્નો ઉપસ્થિત થયા અને સરકાર, નિરમા કંપની તેમ જ સરકારી અને નિરમાના ધારાશાસ્ત્રીઓનું સાચું સ્વરૂપ બહાર આવ્યું. જ્યારે પ્રશ્ન લોકો અને નિરમા કંપની વચ્ચે હોય, ત્યારે પ્રજાકીય સરકાર અને તેના ધારાશાસ્ત્રીઓ બંધારણનાં મૂલ્યો અને સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી જનહિત માટે નિષ્પક્ષ હોવા જોઈએ; નહિ કે નિરમા કંપનીના ટેકેદાર તરીકે. ગુજરાત હાઈકોર્ટ પણ વિકાસના ખ્યાલથી કે વૅટલૅન્ડ છે. અને તેની તબદીલ ખાનગી ઉદ્યોગને કરી ના શકાય અને આવા વૉટરબૉડીમાં સિમેન્ટ-ફૅક્ટરી આવવાથી પર્યાવરણીય શી અસરો થશે તે વસ્તુ વચલો રસ્તો શોધવામાં થાપ ખાઈ ગઈ. અલબત્ત, ભારત સરકારના પર્યાવરણ વિભાગની ઍફિડેવિટે કોર્ટને ગેરરસ્તે દોરવામાં મોટો ભાગ ભજવ્યો. અંતે સર્વોચ્ચ અદાલતની દરમિયાનગીરી મહત્ત્વની પુરવાર થઈ અને પર્યાવરણ પ્રધાન જયરામ રમેશની દરમિયાનગીરી કામમાં આવી. કાનૂની લડાઈમાં ઍડવૉકેટ આનંદ યાજ્ઞિકનો બહુ જ મહત્ત્વનો રોલ રહ્યો. વ્યાવસાયિક વકીલ તરીકે નહીં પણ લોકોના વકીલ તરીકે કમિટમૅન્ટ સાથે જે લડાઈ આપી તે ખરેખર મહત્ત્વની પુરવાર થઈ છે. લોકઆંદોલનની સાથે કાનૂની લડતનો યોગ્ય સમન્વય થયો. જ્યાં સુધી બંધારણ અને તેનાં મૂલ્યો, સિદ્ધાંતો, માનવીય અધિકારો અડગ છે, ત્યાં સુધી લોક-આંદોલનને બંધારણ, કાયદો અને અદાલતોની અવગણના કરવાનું પાલવે નહીં. માત્ર કાનૂની લડાઈ લોક-આંદોલન ઊભું ના કરી શકે, જો કે કોઈ જગ્યાએ તે એક કેટેલિટિક તરીકે કામ કરી શકે. કાનૂન અને બંધારણ લોક-આંદોલનનું મહત્ત્વનું હથિયાર છે અને તેનો યોગ્ય અને વ્યવસ્થિત રીતે અને અસરકારક રીતે ઉપયોગી જરૂરી છે. અલબત્ત, કોર્ટની લડાઈ, છેવટે, ન્યાયાધીશો ઉપર આધાર રાખે છે અને બદલાતા જતા ન્યાયાધીશોના કારણે નિર્ણયો વિશે ચોક્કસ કશું કહી ના શકાય. ન્યાયાધીશોની વિચારસરણી, વ્યક્તિત્વ અને વલણ ઉપર ઘણો આધાર રહે છે. સાથે-સાથે આંદોલને હોંશિયાર, રક્ષમ, કમિટમેન્ટવાળા અને અસરકારક વકીલોની જરૂરિયાત સ્વીકારવી પડશે. જો કાયદાનો ઉપયોગ કરવો જ હોય, તો તેનો અસરકારક અને કાર્યક્ષમતાથી ઉપયોગ કરવો જોઈએ, અલબત્ત, કાયદો આંદોલન માટે આખરી નથી. કોઈ વખતે જીત પણ થાય, કોઈક વખત હતા પણ થાય, પરંતુ આંદોલન તો ચાલુ જ રહે. કોર્ટમાં હારવાથી આંદોલનના મહત્ત્વના મુદ્દાઓ મટી જતા નથી. અત્યારના સમયમાં જ્યારે વૈશ્વિક મૂડીવાદ ચારે બાજુ ધસી આવ્યો છે ત્યારે લોક-આંદોલનનો એક મહત્ત્વનો આશય અદાલતો વૈશ્વિકીકરણનાં બળોને બંધારણ હેઠળ નિયંત્રણમાં લાવે અને બંધારણના સિદ્ધાંતો પળાવે તે જાતનું દબાણ ઊભું કરવાનો હોવો જોઈએ. છેવટે અદાલતો ભારતના લોકો પ્રત્યે તો ઍકાઉન્ટેબલ છે જ. દેશભરનાં લોક-આંદોલનોને કાનૂની લડતમાં પણ અસરકારક રીતે પ્રવેશવાની જરૂર છે.
૭ … રાજકીય પક્ષોની ભૂમિકા જુઓ : નિરમા ફૅક્ટરીનો નિર્ણય તો ભા.જ.પ. સરકાર અને મોદીનો જ હતો. એટલે સ્વાભાવિક ભા.જ.પ. તો સામે હોય. વિચિત્રતા એ છે કે ભા.જ.પ.ના ધારાસભ્ય ડૉ. કલસરિયા આંદોલનના આગેવાન છે અને હજુ સુધી તેમની સામે કોઈ પગલાં લેવાયાં નથી. એનું કારણ એ નથી કે મોદી લોકશાહીમાં વિરોધ અને મતભેદો સ્વીકારે છે. આમ તો ગુજરાતમાં મોદીનું એકહથ્થુ શાસન ચાલે છે અને ખુદ ભા.જ.પ.ને પણ એણે પોતાનું હથિયાર બનાવ્યું છે, શાંત રહેવાનાં પોતાનાં કારણો છે. ડૉ. કલસરિયાને ભા.જ.પ.માંથી કાઢી મૂકવાનું પગલું Counter-productive પણ થાય. ભા.જ.પ.માં બળવો થયો તે પણ બહાર આવે. ડૉક્ટરના ઘણા ટેકેદારો ભા.જ.પ.માં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છે. વળી, જમીનને લગતા કોઈ પ્રશ્નો ગુજરાતમાં નથી, તેવાં બણગાં ફૂકતા મોદીસાહેબને આંદોલન વિષે મૌન રાખવાનું અને તેની અવગણના કરવાનું માફક આવે છે. પક્ષ તો LPGને વરેલો જ છે. સ્થાનિક કારણોસર કૉંગ્રેસ પક્ષના ઘણા આગેવાનો અને કાર્યકરો આંદોલનને ટેકો આપે છે, પરંતુ તે માત્ર એક Strategy તરીકે, સિદ્ધાંત તરીકે નહીં. ભારતભરમાં Congress પક્ષ પણ LPGને જ વરેલો છે અને બીજાં રાજ્યોમાં કૉંગ્રેસી સરકારો આવી જ રીતે વર્તી રહી છે. સામ્યવાદી પક્ષોનું કોઈ મહત્ત્વ નથી. પરંતુ દેશભરમાં પોતાની જૂની-પુરાણી વિચારધારાના વાડામાં માકર્સના Critical ananlysisને અનુસરવાને બદલે તેઓ ભરાઈ ગયા છે. કમનસીબે લગભગ બધા જ પક્ષો દેશભરમાં LPGને જુદા-જુદા સ્વરૂપે સ્વીકારે છે અને કોઈ વૈકલ્પિક વિકાસનીતિ વિષે વિચારવા તૈયાર નથી.
૮ … આંદોલનને ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ સીધો યા આડકતરો ટેકો આપે છે, પરંતુ NGOને પોતાની મર્યાદાઓ છે – Fundingની, વિચારસરણીની, કાર્યક્ષેત્રની, સંગઠનની, કાર્યપદ્ધતિની વગેરે-વગેરે. સમાજપરિવર્તન માટે અને દેશના વૈકલ્પિક વિકાસના મૉડલ ઊભું કરવામાં કે તેને અપનાવવામાં આ NGO ખાસ ઉપયોગી નીવડે એમ નથી તેમ જ તેમની તૈયારી પણ નથી. ઘણી બાબતોમાં NGO, establishmentની સામે પડવા તૈયાર નથી અથવા તેનો નાખુશ કરવાની તૈયારી નથી. મહત્ત્વનું તો એ છે કે ૧૧થી ૬ કામ કરતા NGO કોર્પોરટ વર્લ્ડથી જુદા પ્રકારના નથી. તેમ જ લોકોના સશક્તિકરણની વાતો કરે છે પણ તેમને તેમાં રસ નથી અને લોકોને માત્ર beneficiaries તરીકે જ વર્તે છે.
૯ … વ્યાપક સમાજ જે આજકાલ Civil Society અથવા નાગરિક – સમાજ તરીકે ઓળખાય છે, તે સંબંધમાં જ અસ્પષ્ટ છે. નાગરિક સમાજ એટલે કોણ? તેના પ્રતિનિધિ કોણ? તેમાં તો આર.એસ.એસ. અને વિશ્વ – હિંદુ પરિષદ કે બીજાં ધાર્મિક સંગઠનો પણ આવી જાય. ગુજરાતમાં સામાન્ય ભણેલીગણેલી શહેરી પ્રજાએ અને મધ્યમવર્ગ/પૈસાદાર વર્ગોએ આંદોલન તરફ ‘આંખ આડા કાન’ કર્યા છે. વકીલો, ડૉક્ટરો કે અન્ય વ્યવસાયીઓ તો આંદોલન વિષે જાણવાની તસ્દી લેવા તૈયાર નથી. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓએ આ વિષયની ચર્ચા કરવાની પણ તસ્દી લીધી નથી. એનાં મહત્ત્વનાં કારણો એ છે કે આ વર્ગોના માનસને ભૌતિક વિકાસ-વિરોધી કે ગુજરાતવિરોધી ગણાવે છે. વળી, હાલના કહેવાતા વિકાસ-મૉડલના આ વર્ગો beneficiaries છે. સાથે-સાથે LPGના અંગરૂપ ભોગવાદ(Consumerism)ના ભોગ બન્યા છે અને જરૂરી કે બિનજરૂરી વસ્તુઓ પાછળ ગાંડા બન્યા છે. આની બીજી બાજુ પણ છે. આંદોલનોએ પણ સમગ્ર સમાજને અને તેના જુદા જુદા વર્ગો કે લોકોને-આંદોલનના પાયારૂપ વિચારો અને વિચારધારાથી પ્રભાવિત કરવાના વ્યવસ્થિત પ્રયત્નો કર્યા નથી. જાણે-અજાણે We/Theyનું વલણ અપનાવાયું છે, પરંતુ એ યાદ રાખવા જેવું છે કે પોતાને સુખી માનતા વર્ગો પણ વિકાસના મૉડલના માત્ર beneficiaries નથી પણ vicitms પણ છે. ભૌતિકવાદમાં જીવનની અમૂલ્ય ચીજોનો ભાગ લેવાઈ રહ્યો છે. ભૌતિક વિકાસ જરૂરી છે, પણ જીવનનાં મૂલ્યોના ભોગે નહિ. આ રીતે બીજા વર્ગોને પોતાની સાથે લેવામાં આંદોલનો નિષ્ફળ રહ્યાં છે. કારણ કે, તેને માટે ચોક્કસ વ્યવસ્થિત પ્રયત્નો થયા નથી. સમાજ પરિવર્તન માટેનાં આંદોલનો માટે વિશાળ વર્ગોની સામેલગીરી બહુ જ આવશ્યક છે.
૧૦… નિષ્ણાતોની ભૂમિકા પણ તપાસવાની જરૂર છે. અત્યારના વિકાસના મૉડલના ટેકેદારો, સામાન્ય રીતે, વિકાસને નિષ્ણાતો-વૈજ્ઞાનિક-મૅનેજરોના આગવા વિષય તરીકે ગણાવે છે. ઘણા કેસોમાં અદાલતો પણ નિષ્ણાતોના અહેવાલો કે અભિપ્રાયોમાં માથું મારવાની ના પાડે છે. ખરેખર પરિસ્થિતિ જુદી જ છે. વિકાસ એ સામાજિક વિષય છે, જેમાં લોકો કેન્દ્રમાં હોય છે અને લોકશાહી દેશમાં રાજકીય પ્રશ્ન છે, જેનો આખરી ઉત્તર લોકોના સાચા પ્રતિનિધિઓ આપે. તેને માત્ર નિષ્ણાતોને સોંપી ના શકાય. બીજું, જાતજાતના નિષ્ણાતો હોય છે તેમના વૈજ્ઞાનિક અભિપ્રાયો અને વિચારોમાં પ્રામાણિક મતભેદો હોઈ શકે છે અને હોય છે પણ ખરા. પરંતુ વધારે દુ:ખદ વાત એ છે કે નિષ્ણાતો પણ ખરીદાતા હોય છે અને પોતાના માલિકના હિતમાં અહેવાલો આપે છે. મહુવાના કેસમાં પણ નિરમાએ શરૂઆતમાં પોતે નક્કી કરેલા નિષ્ણાતોનો અહેવાલ રજૂ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટમાં ભારત સરકારના પર્યાવરણ વિભાગના નિષ્ણાતોની ટીમના અહેવાલ ઉપર જ નિરમાની તરફેણમાં ઍફિડેવિટ કરેલી. સર્વોચ્ચ અદાલતમાં સૌ પ્રથમ આમ જ થયું હતું. છેવટે સ્વતંત્ર નિષ્ણાતો-વૈજ્ઞાનિકોનો અહેવાલ કોર્ટમાં રજૂ થયો અને તેના ઉપર ભારત સરકારે મંજૂરી પાછી ખેંચવાની કારણદર્શક નોટિસ આપી. બે મુદ્દાઓ મહત્ત્વના છે. એક તો નિષ્ણાતો તટસ્થ જ હોય તેમ માનવું બરાબર નથી અને આપણા વિકાસને તેમના ઉપર જ છોડી ના શકાય. નિષ્ણાતો-વૈજ્ઞાનિકો ભારેખમ શબ્દો અને આંકડાઓમાં આપણે ફસાવું ના જોઈએ. બીજું, લોક-આંદોલનો માટે પણ પોતાના (એટલે લોકહિતને વરેલા) નિષ્ણાતો/વૈજ્ઞાનિકો ભેગા કરવા જરૂરી છે, જેઓ સતત લોકોના પ્રશ્નો અને વિકાસની યોજનાઓનો સાચા લોકહિતની દૃષ્ટિએ વિચાર કરે. આવા નિષ્ણાતોની ટીમ વકીલોની ટીમની જેમ લોક-આંદોલનના મહત્ત્વના અંગ તરીકે જરૂરી છે.
નિરમા-આંદોલનમાં જુદા-જુદા પક્ષકારોએ કેવી ભૂમિકા ભજવી છે તે ધ્યાનમાં રાખવા જેવી છે અને તેના ઉપરથી ખ્યાલ આવશે કે સાચા માનવીય વિકાસ માટે લડતા અને ચાલતાં લોક-આંદોલનોને કેવા પ્રકારનાં બળોનો સામનો કરવો પડે છે, તેને સમજીને આપણું આંદોલન ચાલવું જોઈએ.
મહુવા-આંદોલન તેમ જ તેના જેવા દેશમાં ચાલતાં અનેક આંદોલનોમાંથી ઊભા થતા અનેક મહત્ત્વના પ્રશ્નો ઉપર એક નજર નાંખવાની જરૂર છે, કારણ કે આંદોલનો તો લોકવિકાસની આગેકૂચમાં પહેલું પગથિયું છે.
જમીન, જંગલ, પાણી, રોટી, રોજી, મકાન, શિક્ષણ કે આરોગ્યની આજુબાજુ ઊભા થતાં આંદોલનોમાં કેન્દ્રરૂપ સવાલ છે, તે વિકાસનો પ્રશ્ન. આર્થિક વૃદ્ધિ કે વિકાસ જરૂરી છે, પરંતુ તેનાથી જ માત્ર માનવીય વિકાસ સાધી ના શકાય. અત્યારના વૈશ્વિક મૂડીવાદ મુક્તબજારના વિકાસનું મૉડલ તેમ જ નિષ્ફળ નીવડેલા સામ્યવાદી મૉડલને તપાસવું પડશે અને There Is NO Alternative (TINA) – કોઈ બીજો વિકલ્પ નથી એવા ફેલાવવામાં આવેલા સૂત્રને પડકારવું પડશે. સાથે-સાથે આપણે કેવા વિકાસનું મૉડલ ઇચ્છીએ છીએ, તેનો પણ આંદોલનની સાથે-સાથે વિચાર કરવો પડશે. અલબત્ત, ભવિષ્ય માટે આખરી મૉડલ નક્કી કરવાનો ઇજારો આપણે રાખી ના શકીએ પરંતુ દિશા અને તેની આછી રૂપરેખા અને પાયાના સિદ્ધાંતોનો વિચાર કરવો જ પડશે. બધાં આંદોલનોને આવા Total frameworkમાં ગોઠવવાં પડશે. મહુવાનું આંદોલન કે મુંદ્રાનું આંદોલન લોકો માટે પોતાના પ્રશ્નોનું આંદોલન છે પરંતુ વિકાસના આપણા મૉડલના માળખા સિવાય આંદોલન તત્પુરતા વિજયથી અટકી જશે, પણ પ્રશ્ન હલ થશે નહિ. આપણું કામ લોક-આંદોલનમાં લડતા લોકોને આંદોલનનો વિશાળ પ્રશ્ન – સાચો વિકાસ – સાથેનો સંબંધ પણ ધીમે-ધીમે સમજાવવો પડશે. છેવટે તો આ બધાં આંદોલનો સાચી આર્થિક, રાજકીય, સામાજિક આઝાદીના બીજા જંગના ભાગ રૂપે છે.
બીજો પ્રશ્ન છે ઉદ્યોગોનો. ખેતીપ્રધાન દેશમાં લોકો ખેતી ઉપર આધાર રાખે છે. સ્વાભાવિક છે કે પોતાની જમીન ગુમાવવા પોતે તૈયાર ન હોય, પરંતુ ઉદ્યોગો આવવા જ ન જોઈએ, એવું વલણ પણ અપનાવી ના શકાય. ખેતી અને ઉદ્યોગોએ વચ્ચે એક ચોક્કસ સમતોલન સ્થાપવું જરૂરી છે. આ સમતોલન કેવા પ્રકારનું હોય, કયા ઉદ્યોગો આવવા જોઈએ, કયા કદના અને ક્યાં હોવા જોઈએ; તેને માટે જોઈતી જમીન, જંગલ કે પાણીના પ્રશ્નનું શું – આ બધા વિકટ સવાલો છે. આ પ્રશ્ન માત્ર સરકાર ઉપર કે ઉદ્યોગો પર છોડી ના શકાય. છેવટે તો આખરી નિર્ણય લોકો જ છે અને નિર્ણયની પ્રક્રિયામાં લોકોની ભાગીદારી હોય જ. પરંતુ તેનું માળખું, નિર્ણયની પ્રક્રિયામાં પ્રકાર, કયા સ્તરે લોકોની ભાગીદારી, સ્થાનિક દૃષ્ટિ અને સમગ્ર સમાજની દૃષ્ટિ વચ્ચેનું સમતોલન – આ બધા પ્રશ્નોની ચર્ચા બાકી છે. આનો જવાબ માત્ર “જળ, જમીન, જંગલ કોનાં? અમારાં અમારાં”ના સૂત્રથી મળી શકે. આ સૂત્ર ઉકેલ નથી, પરંતુ શોધની શરૂઆત છે. પ્રશ્ન સહેલો પણ નથી અને એને બાજુમાં મૂકી શકાય એમ પણ નથી. સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે ખેતી ઉપર આધાર રાખતા લોકોની સંખ્યા ઓછી કરી ઉદ્યોગોમાં સમાવવા જોઈએ એ પણ એટલું સાચું રહ્યું નથી. એક વાત સ્પષ્ટ થઈ છે કે આજનો આર્થિક વિકાસ વધારે રોજી આપનારો નથી. તેને jobless વિકાસ કહેવામાં આવે છે. ઉદ્યોગો પણ વધારે ટેક્નોલૉજી ઉપર આધાર રાખી ઓછામાં ઓછા લોકોને કામમાં રાખવા પડે તેમ ઇચ્છે છે. ઉદ્યોગો હોય જ તો વધારે ને વધારે રોજીરોટી આપી શકે એવા હોવા જોઈએ. એટલે ખેતીની અગત્ય પહેલાં કરતાં વધી ગઈ છે. તેમ જ Food securityનો પ્રશ્ન પણ ખેતીની જરૂરિયાત તરફ નિર્દેશ કરે છે. આ બધા સવાલો આજે આ આંદોલનોએ વિચારવા પડશે, એને મુલતવી રાખી ના શકાય.
લોક-આંદોલનો માત્ર સંઘર્ષ માટે જ હોતા નથી – objective પરિસ્થિતિ બદલવા પૂરતાં જ નથી. નિરમા ફૅક્ટસ હઠી જાય. આમ ખેડૂતોની જીત ખરી, પરંતુ ત્યાં શું આપણું આંદોલન પૂરું થાય છે? આપણાં આંદોલનો status quo ‘જૈસે થે’ જાળવી રાખવા માટે ન હોવાં જોઈએ. જીત પછી ખેતમજૂરોનું શું? અસમાનતાનું શું ? શોષણનું શું? નાતજાત ધર્મના અને સ્ત્રી-પુરુષના વાડાઓનું શું? આ બધા પ્રશ્નો ભવિષ્ય ઉપર છોડી ના શકાય. સાચાં આંદોલનો માત્ર બાહ્ય પરિસ્થિતિ બદલવા માટે જ નહિ, પરંતુ આપણા વિચારો, આપણી જીવનપદ્ધતિ, આપણા વ્યવહારો, રીતરિવાજો, પરંપરાઓ વગેરેને પણ બદલવા માટે હોય છે. જો આમ ના થાય તો આંદોલનો માત્ર ટૂંકા ગાળાનાં વૈયક્તિક કે સમૂહના સ્વાર્થ માટે જ રહી જાય. શું આ આપણને સ્વીકાર્ય છે?
ખાનગી જમીન ના હોય તેવાં નૈસર્ગિક સંસાધનોની માલિકી સરકારની છે અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ મુજબ રાજ્ય માત્ર Public Trustee છે અને સમાજના હિત માટે જ સંસાધનો વાપરી શકાય. પરંતુ આ Public Trustના સિદ્ધાંત અને ઉપયોગ વિષે સર્વોચ્ચ અદાલતે બહુ ઊંડો વિચાર કર્યો નથી તેમ જ કોઈ ચોક્કસ સિદ્ધાંતો સ્થાપિત કર્યા નથી. અંતે તો સરકાર નક્કી કરે તે નિર્ણય સ્વીકારવાનો. સરકારના આવા નિર્ણય ઉપર લોકોનો કેટલો અંકુશ હોવો જોઈએ અને તેની નિર્ણય-પ્રક્રિયા કેવી હોવી જોઈએ, તે વિષે આંદોલનોએ ગંભીર વિચારણા કરવી પડશે.
તેવી જ રીતે ખાનગી માલિકીની જમીન ફરજિયાત સંપાદન કરવા બાબતે બે મુદ્દાઓ વિચારવા પડશે : એક તો સરકાર દ્વારા સ્થપાનાર પ્રોજેક્ટ કે ખાનગી ઉદ્યોગો દ્વારા સ્થપાનાર પ્રોજેક્ટ કેટલે અંશે લોકોના હિતમાં છે, તે નક્કી કરવાના સિદ્ધાંતો અને પ્રક્રિયા અંગે ઊંડી વિચારણા કરવી પડશે. આ નિર્ણયો માત્ર સરકાર ઉપર કે ઉદ્યોગો ઉપર છોડી દઈ શકાય નહિ.
બીજો મુદ્દો આ સંપાદન Land-Acquisition Act હેઠળ સરકારે કરે કે પછી સંપાદનને માત્ર મુક્તબજાર ઉપર છોડી દેવામાં આવે અને જેને જમીન જોઈએ એ છે તે ઉદ્યોગ જમીન-માલિકો સાથે કરારથી નક્કી કરે. બધી જમીન ખાનગી કરારથી સંપાદન થાય કે પછી સૂચિત કાયદાના સુધારા મુજબ ૭૦ ટકા કે ૮૦ ટકા જમીન ખાનગી કરારથી સંપાદન થાય, બાકીની જમીન સરકાર કાયદા હેઠળ સંપાદન કરે. આ રીતે માલિકોને વળતર તો બજારભાવના હિસાબે મળે. આ પૈસાની ચુકવણીની અનેક પદ્ધતિઓ હોઈ શકે. જેમ કે જમીનધારકોને વાર્ષિક Annunity આપવાની અથવા કંપનીના શૅરહૉલ્ડરો બનાવવાના. આ બધા પ્રશ્નો ઊંડાણથી તપાસવા પડશે.
જમીન-સંપાદનમાં સંપૂર્ણ સ્વતંત્રતા જમીન માલિકોને આપી દેવાથી ઊભા થતા પ્રશ્નો ઘણા છે. એક તો ખેતી વિષયક જમીન તેનો માલિક કોઈ પણ જાતની મર્યાદા વગર ઉદ્યોગોને બજારભાવથી વેચી શકે તેવી સ્વતંત્રતા આપવી જોઈએ? વધારે પૈસા મળતા હોવાથી ફળદ્રુપ જમીનો ઉદ્યોગોને સોંપી દેવામાં આવે, તો ખેતીનું અને Food Securityનું શું? એક બાજુ પોતાની મિલકત વેચી નાંખવાની સ્વતંત્રતા બીજા લોકો ભોગવતા હોય, તો માત્ર ખેડૂતની સ્વતંત્રતા ઉપર પ્રતિબંધ કે નિયંત્રણો ખેડૂતોને સ્વીકાર્ય હશે? અને તે વાજબી ગણાશે? તો પછી ખેતીવિષયક જમીનનું શું? એક રસ્તો એ છે કે રાજ્ય કે સમાજ કે તેવું સામાજિક તંત્ર આવી જમીન ખરીદી લે, જેથી જમીનમાલિકોની સ્વતંત્રતા ટકી રહે અને સમાજ માટે ખેતીની જમીન પણ બચે. આ એટલે અંશે શક્ય છે તે વિચારવું પડશે. એક વસ્તુ સ્પષ્ટ છે કે સરકાર દ્વારા જાહેર હેતુ માટે ખાનગી જમીનનું ફરજિયાત સંપાદનની સામે બજાર દ્વારા સ્વેચ્છાથી ખેડૂતો દ્વારા વેચવાની પદ્ધતિ એ સંતોષકારક જવાબ નથી. આજના ભોગવાદના જમાનામાં વધારે પૈસાના મોહમાં લાંબો વિચાર કર્યા વગર જમીન વેચી નાખે. શું આ સમાજની દૃષ્ટિએ ન્યાયી અને હિતકારી હશે? Land-Acquisition Actમાં સૂચિત સુધારાઓ વિશે ઊંડી વિચારણા કરવી પડશે. જેમ ઉદ્યોગો પર ઉદ્યોગ ચલાવવાની સ્વતંત્રતા સાથે સામાજિક જવાબદારી (Social Responsibility) લાદવી જરૂરી છે, તેમ ખાનગી મિલકત અને ખાનગી જમીનોના માલિકો પણ સામાજિક જવાબદારીમાંથી છટકી ના જઈ શકે. આ સામાજિક જવાબદારી કેવી અને કઈ રીતની તે વિષે વિચારણા જરૂરી છે અને આ વિચારણા લોક-આંદોલનોએ જ કરવી પડશે. આંદોલનની સાથે-સાથે ત્યારપછી નહીં.
વિકાસ નીચેથી ઉપર જવો જોઈએ, નહિ કે ઉપરથી નીચે (Development from below, not from the top) જવો જોઈએ. તેવી જ રીતે ‘જંગલ, જમીન, પાણી અમારાં’ એ સૂત્રથી પ્રશ્નોનો અંત આવતો નથી. ઊલટું આ સૂત્ર જ એક પ્રશ્ન છે અને તેના જવાબો શોધવા પડશે. Local V/S Global એટલે શું? ‘નીચેથી’ એટલે શું? વિકાસ ગામ ખુદ નક્કી કરે એટલે શું? ગામ કંઈ Homogenous નથી, તેમાં તો જાતજાતના લોકો રહે છે. તેમાં નાત, જાત, ધર્મ, સ્ત્રી, પુરુષ, ઊંચનીચ, ગરીબ-તવંગર વગેરે અનેક ભેદો છે. ગામ તરફથી કોણ નક્કી કરે? આજના ગ્રામજીવનને આદર્શ તરીકે સ્વીકારી ના શકાય. તેમાં મૂળભૂત પરિવર્તન લાવવું પડશે. એ પરિવર્તન ક્યારે લાવીશું? કઈ રીતે લાવીશું ? પહેલાં આપણે આઝાદી મેળવીએ, જીત મેળવીએ, ક્રાંતિ લાવીએ પછી આ સુધારણા કરીશું – તો તે શક્ય નથી. તેનાથી તો માત્ર શાસકો અને સત્તાધારીઓ બદલાશે, સમાજ બદલાશે નહિ. અહીં ગાંધીનો સિદ્ધાંત અને પદ્ધતિ મહત્ત્વની બને છે. આર્થિક, રાજકીય આઝાદીનું આંદોલન અને સમાજપરિવર્તન માટેનું આંદોલન સાથે-સાથે ચલાવવું પડશે. ખરેખર તો આપણી લડવાની પદ્ધતિ જ લડવૈયાના જીવન અને વિચારોમાં પરિવર્તન લાવનારી હોવી જોઈએ, જેથી નવા સમાજ માટેના લડવૈયા લડતા-લડતા પોતે જ બદલાતા જાય. નહિ તો આપણે ત્યાં ને ત્યાં જ રહીશું. નિરમાને બદલે મોટા ખેડૂતો રહેશે કે સરદાર સરોવરને બદલે નીમાડના મોટા ખેડૂતો રહેશે. તેમાં સામાન્ય લોકો ક્યાં ?
એટલે આપણું આંદોલન માત્ર આપણી સમક્ષના પ્રશ્નો પૂરતું જ મર્યાદિત ન રહેવું જોઈએ. છેવટે તો આશય સમગ્ર આર્થિક – સામાજિક-રાજકીય-સાંસ્કૃતિક માળખામાં સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, બંધુત્વ, માનવગૌરવ, ભાગીદારી, લોકશાહી, સર્વાંગી વિકાસ અને સમાજના સિદ્ધાંત અનુસાર મૂળભૂત પરિવર્તન લાવવા માટેનું આંદોલન હોવું જોઈએ. અધૂરી ક્રાંતિ શું પરિણામો લાવે છે, તેની ઇતિહાસ સાક્ષી પૂરે છે.
છેલ્લે, આંદોલન લોકોનું હોવું જોઈએ. માત્ર નેતાઓ કે પક્ષોનું નહિ. લોકો દરેક તબક્કે કેન્દ્રમાં હોવા જોઈએ. મોટે ભાગે આવાં આંદોલનો છેવટે Elite આંદોલન બની જાય છે, જ્યાં નેતાઓ આગેવાની કરે છે અને લોકો તેના અનુયાયીઓ બની જાય છે અને એટલે લોક-આંદોલન દરેક ક્ષેત્રમાં અને દરેક તબક્કે સંપૂર્ણ ભાગીદારીપૂર્ણ લોકશાહી હોવું જોઈએ. લોકો માત્ર લાભાર્થીઓ નથી. તેઓ નીતિ, પદ્ધતિ અને ઉદ્દેશ્ય નક્કી કરનારા છે. લોકોની દૃષ્ટિ (Perception), તેમના વિચારો, આશાઓ, આકાંક્ષાઓ, તેમની અગ્રીમતાઓને પદ્ધતિસરની અને મૂળભૂત સિદ્ધાંતોના સ્વરૂપમાં વાચા આપવાનું આગેવાનોનું છે. પોતાના વિચારો, વિચારધારાઓ, અગ્રીમતા લોકો ઉપર ઠોકી બેસાડવાનું કામ તેમનું નથી. ખાસ ધ્યાન રાખવાનું છે તે Personality Cult -વ્યક્તિપૂજાને દૂર રાખવાનું, જો કે વાસ્તવિકતામાં અને આજના media યુગમાં જેવા નાયકો જોઈએ, તેમાં આ જરાક અઘરું છે.
છેલ્લે આંદોલન all-inclusive હોવા જોઈએ. ન્યાત, જાત, ધર્મ, સ્ત્રી-પુરુષ વગેરે ભેદથી પર હોવા જોઈએ. વધુમાં વૈજ્ઞાનિક દૃષ્ટિ, સત્ય શોધવા માટેની તૈયારી અને સ્વતંત્ર વિચારશક્તિ ફેલાવે તેવા સિદ્ધાંત પર રચાયેલું હોવું જોઈએ. બુદ્ધિગમ્ય ના હોય અને obscurantism (જુનવાણીપણું) ઉપર આધારિત હોય તેવી વિચારધારાથી મુક્ત હોવા જોઈએ. પ્રામાણિક્તા, નીતિ, મૂલ્યો ચોક્કસ હોય, પરંતુ કહેવાતા ધાર્મિક અને માન્યતા શ્રદ્ધા, વહેમો, રિવાજો rites અને ritualsથી પર રહેવું જરૂરી છે.
યાદ રાખીએ, આપણાં આંદોલનો માત્ર Status quo જાળવી રાખવા માટે નથી, પરંતુ એક નવો સમાજ અને નવા માનવીનું સર્જન કરવા માટેના સંઘર્ષ છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2018; પૃ. 07-12