ગિરીશભાઈના અમૃતપર્વ નિમિત્તે અમદાવાદ સ્થિત ટાઉનહૉલમાં તેમણે વ્યક્ત કરેલાં અને કરવા ધારેલા વિચારો, “નિરીક્ષક”ના 01 જુલાઈ 2009 અને 16 જુલાઈ 2009, એમ બે અંકમાં પ્રકાશિત કરેલાં તે અહીં એક સાથે.
મારા જીવનમાં મેં અનેક કર્મશીલોનું સન્માન કર્યું છે, પરંતુ મારા સન્માન-સમારંભમાં હું ખૂબ જ મૂંઝવણ અનુભવું છું અને તે સ્વીકારતાં ખચકાટ થાય છે, પરંતુ આ ટાઉનહૉલમાં ગુજરાતભરમાંથી, બનાસકાંઠાથી, ડાંગ અને પંચમહાલથી, જામનગરથી આવેલા તમામ વર્ગના અને વિવિધ વિચારોવાળા સાથીઓ જોયા, ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ સન્માન મારું નથી, પરંતુ ગુજરાતમાં અને સમગ્ર દેશમાં પોતાના જીવન જીવવાના અધિકાર માટે, નવા માનવી માટે સંઘર્ષ કરનારાં લાખોકરોડો ભારતજનોનું સન્માન થાય છે. હું તો માત્ર નિમિત્ત જ છું અને એટલે આપ સૌનો The other Gujarat અને the other Bharatના ગૌરવશીલ માનવીઓનો મને પ્રતીક બનાવવા માટે હૃદયપૂર્વકનો આભાર માનું છું.
મને તો મારા મિત્રો મારું સન્માન કરવાનું વિચારે છે તેને અંશ માત્ર ખ્યાલ ન હતો, પરંતુ ઓચિંતા જ એક પરમમિત્રની સાથે વાતવાતમાં આ સન્માનનો ઉલ્લેખ થયો, ત્યારે ખબર પડી. ઘનશ્યામભાઈ, હનીફ લાકડાવાલા, પર્સીસ જાટવાલા અને મનીષી જાની મારા ઘરે આવ્યા ત્યારે મેં આવા સન્માનની જરૂર નથી તેવી વાત કરી. “તમારે આનો નિર્ણય કરવાનો નથી. એ અમારે વિચારવાનું છે.” મારાથી મજાકમાં બોલી જવાયું, “હવે જ્યારે મને સન્માનવાનું વિચારો જ છો તો પછી ભૂલી ન જતા. મારાથી તમને યાદ દેવડાવાશે નહીં.” અને બધા ખડખડાટ હસી પડ્યા. જીવનમાં દરેક પ્રસંગે હસવાનું હું નાનપણથી શીખ્યો છું. એક વખત બર્ટ્રાન્ડ રસેલ કે બર્નાર્ડ શૉ (અત્યારે બરાબર ખ્યાલ નથી) એ લખેલું કે “તમે ભૂખે મરતા હોય કે તમારે જેલમાં જવાનું હોય તે સિવાય જીવનને હળવાશથી માણો.” જો કે, અન્યાય સામે ઉપવાસ કરતા હોઈએ અથવા જેલમાં જતા હોઈએ ત્યારે પણ હસતાં-હસતાં જ સ્વીકારીએ.
૭૫ વર્ષે મારું સન્માન થાય છે, ત્યારે આ સન્માનમાં ગર્ભિત રહેલો એક સંદેશ સ્પષ્ટ દેખાય છે. હવે Withdraw થવાનો સમય આવી ગયો છે, કારણ કે જીવનમાં જીવવાની કલા છે, તેમ તેમાંથી યોગ્ય સમયે નિવૃત્ત થવાની પણ એક કલા છે. આ કલા કેટલા ય વખતથી હું શીખ્યો છું. અલબત્ત, Withdrawal એટલે સંપૂર્ણ નિવૃત્તિ નહીં, પરંતુ પાછલી બેઠક ઉપર બેસવું. પોતાને ગમે તે કામ કરે રાખવું.
ઘણા મિત્રોએ દીર્ઘ આયુષ્ય માટે શુભેચ્છા પાઠવી છે. આજથી ૨૦-૨૫ વર્ષ પહેલાં ૨૧મી સદી જોવાની ઇચ્છા હતી. મારા હૃદયના ડૉક્ટરને મેં કહેલું કે મારે ૨૦૦૧ સુધી તો જીવવું જ છે. ત્યારે ડૉક્ટરે મને પૂછ્યું કે “કેમ ૨૦૦૧ સુધી?”. ત્યારે જે જવાબ મેં મારા ડૉક્ટરને આપ્યો હતો તે આપને જણાવવા માગું છું. મેં કહેલું, “ભારત કેવી રીતે ૨૧મી સદીમાં પ્રવેશે છે, તે મારે જોવું છે. મારાં બે અરસપરસ વિરોધી સ્વપ્નાંઓ છે. એક, દેશ આપણા બંધારણના આમુખમાં આલેખાયેલ આદર્શો અને મૂલ્યો તરફ આગેકૂચ કરતો હોય. ગાંધીજીનો ગરીબમાં ગરીબ અને નીચામાં નીચો માનવી સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, ન્યાય અને માનવગૌરવ ઉપર રચાયેલા ભવિષ્ય તરફ આગેકૂચ કરતો હોય – એ જોવા માટે કે દરેકને એક નાનું ઘર હોય, અર્થપૂર્ણ જીવનનિર્વાહનું સાધન હોય, સુખી કુટુંબ હોય, શિક્ષણની પ્રાપ્યતા અને મોકળાશ હોય, આરોગ્યસેવાઓ સુરક્ષિત હોય, વિવિધતામાં એકતાથી જીવતો દેશ હોય અને માનવી, સમાજ ને કુદરત વચ્ચે એક મૈત્રીભર્યો સંબંધ હોય; ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી મુક્ત એવો સમાજ હોય અને નાચતી, ઝૂમતી, ગાતી નવી સંસ્કૃિત હોય. બીજું સ્વપ્ન એ કે સમાજનાં મુઠ્ઠીભર વર્ગ પોતાના અશ્લીલ ભોગવાદમાં આળોટતા અને લાખો કરોડો ગરીબ, વંચિત, શોષિત સમાજના ખભા ઉપર બેસી દુનિયાભરમાં ઘૂમતો હોય, જ્યાં Super Power ભારતના પ્રદર્શન રૂપે પોતાનું આધુનિક લશ્કર, વિનાશક સંહારસાધનો અને આધુનિક રાજાઓનું એક જબરદસ્ત સરઘસ નીકળતું હોય, જેમાં આધુનિક હેલિકૉપ્ટરો અને યુદ્ધનાં વાયુ જહાજોમાંથી સાધુ-સાધ્વી, મહારાજાઓ ઉપર ફૂલો ફેંકાતાં હોય, આધુનિક વાહનો બગડી જવાને લીધે બળદ, હાથીઓ, ઊંટગાડી કે ગાડાઓ ઉપર તેને લઈ જવાતા હોય અને અર્ધભૂખ્યો, અર્ધનગ્ન ભારતીય નાગરિક તેને ધક્કા મારતા હોય, તેને શિસ્તમાં રાખવા પોલીસ અને અર્ધલશ્કરી બળ હોય. લોકો પાછા ૧૯મી સદીમાં પાછા જવા માગતા હોય અને ચીસો પાડતા હોય કે અમને ૧૯૪૭ની ગરીબી પાછી આપો, અમારે બાજરી કે જુવારનો રોટલો અને કૂવા કે નદીનું પાણી જોઈએ છે, ૨૧મી સદીના બિસ્કિટ, બ્રેડ કે કેક અને કોકાકોલા, પેપ્સી કે બિસલેરી પાણી નથી જોઈતું. ૨૧મી સદીમાં ભારતની સાથે હું પણ જીવી ગયો, પરંતુ બીજું દુઃસ્વપ્ન સાચું પડ્યું અને મારે એ જોવું પડે છે, તેનું દુઃખ છે. સાથે-સાથે એ આશા સાથે જીવીશ કે નવા ભારત, સમાજ અને માનવી માટેનો સંઘર્ષ અને આગેકૂચ ઓર મજબૂત બને અને તે સંઘર્ષ અને આગેકૂચમાં હું હંમેશાં સાથે રહીશ.”
૨૧મી સદી વિશે એમ કહેવાતું કે ૨૧મી સદી સાર્વત્રિક માનવ – અધિકારોની સદી હશે, પરંતુ તેની શરૂઆત જ માનવ અધિકારોના બેશરમ ઇન્કાર, ઘોર અત્યાચાર અને બેલગામ વિનાશથી થઈ.
૨૦૦૧માં સપ્ટેમ્બર ૧૧ના રોજ ન્યૂયૉર્ક ટાવર ઉપરનો સુપરપાવર અમેરિકાની દાદાગીરી સામે કહેવાતો ‘ઇસ્લામિક આતંકવાદી’ હુમલો અને તેના જવાબમાં અમેરિકા, યુરોપ અને અન્ય દેશો તેમ જ ભારતમાં આતંકવાદને નાથવાના નામે સભ્ય અને માનવીય સમાજના મૂળભૂત સિદ્ધાંતોનો ખુલ્લંખુલ્લા ઇન્કાર કરતા આતંકવાદ વિરોધી કાયદાઓ બનાવવામાં આવ્યા અને માત્ર શંકાના ધોરણે અસંખ્ય વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી અને તેમના ઉપર અત્યાચારો ગુજારવામાં આવ્યા. ૨૦૦૨માં ૨૭ ફેબ્રુઆરીના રોજ કમનસીબ ગોધરાના બનાવો સામે રાજ્યપ્રેરિત અને રાજ્યની સહાય સાથે ગુજરાતમાં બહુમતી કોમવાદી આતંકવાદનો દોર છૂટો મૂકવામાં આવ્યો અને genocideનો હિટલરી પોગ્રોમ (pogrom) શરૂ થયો. આજે સાત વર્ષ પછી પણ એક યા બીજા સ્વરૂપમાં હિંદુત્વબળોનો આતંકવાદ ચાલુ રહ્યો છે. ત્યાર પછી ઇરાકી યુદ્ધ, અફઘાનિસ્તાનનું યુદ્ધ, ઠેર ઠેર આતંકવાદી હુમલાઓ, તોફાનો, ૨૦૦૮માં ઓરિસ્સામાં કંદહારમાં ખ્રિસ્તીઓ પર અને બૅગાલુરુમાં સ્ત્રીઓ પર નિર્લજ્જ હુમલાઓ હિંદુત્વબળો દ્વારા થયા. દુનિયાભરની સ્થિતિ જોતાં લાગે છે કે ૨૧મી સદી વધુ જુલ્મી, અનેક પ્રકારના આતંકવાદ, રાજ્ય દ્વારા દમનો, વૈશ્વિકીકરણનો પોતાનો આગવો આતંકવાદ અને માનવ અધિકારોના વિનાશની સદી પુરવાર થશે. ૨૧મી સદીનો આ વિરોધાભાસ છે. વધુમાં વધુ આંતરરાષ્ટ્રીય વિવિધ અધિકારોની ઘોષણાઓ, કન્વેન્શન્સ, કરારો અને પ્રયોગોની સાથે સાથે માનવસંહાર, યુદ્ધો, આતંકવાદ, અધિકારોની ક્રૂર મશ્કરી સ્વાભાવિક જ આપણા મનમાં સવાલ ઉપસ્થિત થાય – “આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ – વિશ્વ વિકાસ કે વિશ્વ વિનાશ?”
દૂર ક્યાં જાઓ છો, ગુજરાત ઉપર જ નજર કરોને : ૨૦૦૨માં ગુજરાતમાં ગુજરાતની અસ્મિતા અને ગૌરવ ઉપર ધારાસભાની ચૂંટણીઓ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી લડ્યા, ૨૦૦૪માં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની એન.ડી.એ. સરકારના ‘ઇન્ડિયા શાઇનિંગ’ના મુદ્દા ઉપર દેશમાં અને ગુજરાતમાં પાર્લમેન્ટની ચૂંટણી લડાઈ, ૨૦૦૭માં નરેન્દ્ર મોદીએ સર્જેલા લાખો કરોડો રૂપિયાના ખર્ચે છાપાંઓ, મીડિયા અને જાહેરખબરો દ્વારા ‘મોદી એટલે ગુજરાત’ના નારા સાથે વાઇબ્રન્ટ ગુજરાતના નામે ધારાસભાની ચૂંટણીઓ લડી મોદી મોટી બહુમતી સાથે સત્તા ઉપર આવ્યા. પરંતુ કચ્છનો માછીમાર કે માલધારી, અગરિયો, ઉત્તર ગુજરાતમાં નાનીમોટી ખાણોમાં મજૂરી કરતા રોગગ્રસ્ત મજૂરો, સાબરકાંઠાના મોટા કમ્પામાં લગભગ વેઠિયાગીરી કરતા આદિવાસી ખેતમજૂરો, અમદાવાદના ઝૂંપડાંવાસીઓ, ખેડા જિલ્લામાં તમાકુની ખળીમાં કામ કરતા શ્રમજીવીઓ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ અને ડાંગના આદિવાસીઓ, શેરડી કાપનારા આદિવાસી વિસ્થાપિતો, ઉદ્યોગો માટે જેમની જમીન ગઈ છે તેવા અસંખ્ય સૌરાષ્ટ્રના નાના ખેડૂતો, ગુજરાતની બહેનો, દલિતો, મુસ્લિમો ડરતાં ડરતા પૂછે છે વાઇબ્રન્ટ ગુજરાત ક્યાં છે? અહીં તો ‘સફરિંગ ગુજરાત’ છે, જેને વાઇબ્રન્ટ ગુજરાતનાં સ્પંદનો હજુ સ્પર્શ્યાં નથી, જેમણે ઇન્ડિયા શાઇનિંગનો ચળકાટ અને ઝગઝગાટ મોટા મૉલ્સમાં, મલ્ટિપ્લેક્સ થિયેટરોમાં, ગાંધીનગરના આધુનિક રાજાઓના બંગલાઓમાં, અંબાણી, અદાણી, નિરમા, એસ્સાર તાતાના મહેલોમાં જોયો છે, પરંતુ જેને સારી ભાષામાં ઘર કહેવામાં આવે એવી પોતાની ઓરડીઓ કે ઝૂંપડાઓમાં જોયો નથી. ૨૦૦૮ની અને ૨૦૦૯ની ગ્લોબલ સમિટના મોદીના રોમન સર્કસો જોયા છે, પરંતુ આ ભભકાઓ અને જાહોજલાલીમાં એક બીજું પણ ગુજરાત છે તે વાત ભૂંસી નાખવામાં આવી છે. આ ‘ઇન્વિઝિબલ ઍન્ડ ઇનઑડિબલ’ ગુજરાત ૬૦થી ૭૦ ટકા ગુજરાતીઓનું બનેલું છે. જેમાં આદિવાસીઓ, દલિતો, બીજી પછાત જાતિઓ, મુસલમાનો અને ગરીબ લોકો છે. જેમાં રૂઢિચુસ્ત અને પુરુષપ્રધાન સમાજમાં કચડાતી સ્ત્રીઓ છે. બાળમજૂરી કરતાં કરતાં અચાનક પુખ્ત વયના બની ગયેલાં બાળકો છે. તેમની ગરીબી, બેકારી અર્ધ-ભૂખમરો, ચલાવવા ખાતર ચાલતી નિશાળો, પાણીની તંગી કે ગંદું પાણી, તેમનાં ખંડેર મકાનો, નિરક્ષરતા, બીમારી અને પોષણવિહીનતા, બરબાદ થતી જમીનો, ખાલી થતા કૂવાઓ, સુકાઈ જતી નદીઓ, નગ્ન જંગલો, પ્રદૂષિત હવા અને પાણી, આમાંનું એક પણ કોઈ જગ્યાએ કે સમિટ-કૉન્ફરન્સોમાં કે ઉત્સવોમાં ચર્ચાતું નથી કે દેખાતું નથી. અહીં ગુજરાતમાં તો વાતો થાય છે મોટા ઉદ્યોગોના એમ.ઓ.યુ.ની, જનતાની કાર નેનોની, પંચતારક હોટલોની દારૂની રેલમછેલની, ગરીબોને મફત આપવામાં આવશે તેવા મોબાઇલ ફોનોની, સુંદર રસ્તાઓ, ભવ્ય બાગબગીચા, આલીશાન મકાનોની, અમદાવાદને શાંગહાઈ બનાવવાની અને ગુજરાતને મીની-જાપાન બનાવવાની. કમનસીબ ભારતીય નિવાસીઓે બદલે ભાગ્યશાળી બિન-ભારતવાસી ગુજરાતીઓની, તેમને માટેના આંતરરાષ્ટ્રીય વિમાની મથકોની, ભવ્ય હોસ્પિટલોની, ગરીબી, અસમાનતા, અન્યાય, શોષણ, પ્રાણીઓ કરતાં બદતર ગૌરવહીન અસ્તિત્વને ઢાંકવા માટેનાં સુંદર સંસ્કૃત સૂત્રો અને રંગીન કલાત્મક કાર્યક્રમોની.
બીજું પણ એક ગુજરાતમાં છે તે જોવું હોય તો આ ટાઉનહૉલમાં આવો, તેમને જુઓ, તેમને સાંભળો, મને આનંદ છે અને તે વાતનું ગૌરવ છે કે સન્માન-સમિતિના મારા મિત્રોએ આ ૧૦ મે, ૨૦૦૯ના દિવસે અમદાવાદના કેન્દ્રસમા ટાઉનહૉલમાં સાચા ગુજરાતને બોલાવ્યું છે અને સાચા ગુજરાતના આ પ્રતિનિધિઓ સ્વયંભૂ આવ્યા છે. પેલી બાજુએ જોઈએ તો હતાશા, નિરાશા અને અંધકાર લાગે, પરંતુ અહીં સામે જોઈએ તો આશા, પ્રકાશ, સફળતાનો વિશ્વાસ અને નવા સમાજ તરફ મક્કમતાથી આગેકૂચ દેખાય છે. આ કાર્યક્રમની આ જ સફળતા છે અને આ સફળતામાંથી પ્રેરણા લઈ નવા ગુજરાત, નવીન ભારત, નૂતન દુનિયા તરફ આપણે આગળ વધીએ.
જેમ “એક બીજું પણ ગુજરાત છે તેમ એક બીજું પણ ભારત છે.” હકીકતમાં તો આ બીજું ગુજરાત એ બીજા ભારતનો જ ભાગ છે. આ લાખો-કરોડો ભારતવાસીઓના એ જ મૂળભૂત માનવ જરૂરિયાતોના પ્રશ્નો છે – રોજીરોટી, પાણી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય, ગરીબી, અસમાનતા, અન્યાય, શોષણ, અસ્પૃશ્યતા, અવલંબન, વંચિતતા, એ જ જૉબલેસ, રુથલેસ, રુટલેસ, વૉઇસલેસ, ફ્યુચરલેસ ‘વિકાસ’. છતાં ય નવાઈ લાગશે કે હજુ થોડા દિવસો પહેલાં યોજાયેલી પાર્લમેન્ટની ચૂંટણીમાં તો ચારેબાજુથી એક જ અવાજ છાપાંઓમાં-મીડિયામાં નિષ્ણાતોના લેખોમાં અને વિશ્લેષણોમાં, જાહેર ચર્ચાઓમાં, સેમિનારોમાં સંભળાતા હતા : “આ રાષ્ટ્રીય ચૂંટણી છે, માત્ર ઉપર છલ્લી વાતો છે, કોઈ વિચારધારાઓ કે ભાવિ યોજનાઓ તો છે જ નહીં. શાસકો, વિરોધ પક્ષો, વિવિધ પક્ષો, નેતાઓ, સમર્થકો ચારે બાજુ વિમાનોમાં દેશભરમાં ઘૂમતાફરતા પણ આ બીજા ભારતના સામાન્ય, નાના, ક્ષુલ્લક પ્રશ્નોની તો વાતો કરતા જ નથી. તેઓ તો મહાન પ્રશ્નોની વાતો કરે છે – ન્યુિક્લયર શક્તિ, દેશની સલામતી, આતંકવાદ, વૈશ્વિકીકરણનો “માનવીય ચહેરો, બુઢિયા-ગુડિયા, એસ.આર.પી. (સોનિયા, રાહુલ, પ્રિયંકા) અફઝલને ફાંસીનો અમલ નહીં અને દેશપ્રેમી(મોદી પોતે)ને ફાંસી અને જેલની સજા, મનમોહનસિંહને ‘સરદાર’ કહેવાય?, સ્વિત્ઝરલૅન્ડમાં છુપાયેલા પૈસા, આઈ.પી.એલ. મેચો ભારતમાં કેમ નહીં? વગેરે વગેરે. એમ લાગે કે ફુકુયામાની ‘ડેથ ઑફ આઇડ્યિોલૉજી’નો સમય ભારતમાં આવી પહોંચ્યો હોય. એકબાજુ દેશની સામાન્ય જનતા ૫૦થી ૬૦ ટકાની વચ્ચે ચાલતા, ગાડામાં, સાઇકલ ઉપર મત આપવા જાય છે – કેવી આશાઓ સાથે કેવાં સ્વપ્નાંઓ માટે, કેવા ભવિષ્ય માટે? (આની ચર્ચા કરવાનો તો કોઈને સમય નથી). બીજી બાજુ ચૂંટણીજંગ ખેલનારા રાજકીય ખેલાડીઓએ આખી ચૂંટણીને એક મહાન સરકસ બનાવી દીધી, જેમાં જોકરો હોય, સિંહ કે વાઘને રમાડનારા માસ્ટરો હોય, જાદુના પ્રયોગો હોય, વિવિધ પ્રકારનાં પ્રાણીઓ હોય, માત્ર દુનિયાભરનો ભાર ઊંચકનારો ગધેડો ના હોય. નરેન્દ્ર મોદી જેવા મનમોહનસિંહની મિમિક્રી કરી લોકોને મનોરંજન કરાવે, હાથમાં ડમ્બેલ્સ ઊંચકી હું ૮૧ વર્ષે પણ જુવાન છું, તેવું દર્શાવવા પ્રયત્ન કરતા અડવાણીજી હોય, આગ ઓકતા ઉશ્કેરાટભર્યાં ભાષણો કરતા વરુણ ગાંધી હોય – બે ઘડી જાતજાતની યાતનાઓ સહન કરતા બિચારા પ્રેક્ષકો હોય!
આવી ચૂંટણીઓ જોઈ મને વર્ષોથી એક વાત યાદ આવે છે. પોતાના લાંબા સુખી લગ્નજીવનનું રહસ્ય શું? તેનો જવાબ આપતા પતિદેવ કહે છે, ‘સીધી સાદી ચાવી છે – નાના પ્રશ્નો મારી પત્ની નક્કી કરે, મોટા પ્રશ્નો હું નક્કી કરું’ બસ કોઈ તકરાર જ નહીં. નાના પ્રશ્નો કયા ? રોજબરોજના અમારા કુટુંબના બધા જ પ્રશ્નો – કઈ નોકરી, કેવું ઘર, શું ખાવાનું, કેટલાં બાળકો, કઈ સ્કૂલો, રવિવારે અને વૅકેશનમાં ક્યાં જવાનું, મારે કયાં કપડાં પહેરવાનાં, શું બોલવાનું, ક્યારે ચૂપ રહેવાનું વગેરે. તો મોટા પ્રશ્નો કયા – “મારે એ નક્કી કરવાનું કે ભારતે ઍટમબૉમ્બ બનાવવો જોઈએ કે કેમ?, ભારત અને અમેરિકા વચ્ચે કેવા સંબંધ હોવા જોઈએ?, વિશ્વ કઈ દિશામાં જઈ રહ્યું છે?, અયોધ્યામાં રામમંદિર હોવું જોઈએ?” વગેરે. બસ આપણી ચૂંટણીઓ પણ આ જ પ્રકારની છે. જીવનને સ્પર્શતા અગત્યના સવાલો આપણા નેતાઓ નક્કી કરે, જ્યારે જનતા દેશ અને વિશ્વના મહાન પ્રશ્નોના જવાબ આપે. પરિણામે દેશની જનતા પાસે તો તેમને રોજબરોજના જીવનની મૂળભૂત જરૂરિયાતો અને પ્રશ્નોનો જવાબ અને ઉકેલવાની સત્તા અને અવાજ તો રહેવા દેવામાં આવતા જ નથી. અને પરિણામે દેશ – મુઠ્ઠીભર વર્ગો – વિકાસ, પ્રગતિ, જાહોજલાલીના રસ્તે આગળ વધતો જાય છે, જ્યારે ૮૦ ટકા ભારતની જનતા હજુ પોતાની જીવનની આવશ્યક વસ્તુઓ અને સાધનો માટે વલખા મારતી રહે છે. કદી સવાલ પૂછાતો નથી. વિકાસ કોના માટે? કોના ભોગે? કેટલાના ભોગે? થોડા દિવસ પહેલાં ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં ૧૦૫ વર્ષના વૃદ્ધનો એક લાકડીના ટેકે બાળક સાથે ચાલતો ફોટો આવેલો. આ વૃદ્ધે ૧૯૫૧થી અત્યાર સુધીની બધી ચૂંટણીઓમાં મત આપ્યો છે, પરંતુ ૧૦૫ વર્ષે પણ આ માનવી તો ત્યાં જ રહ્યો. ૬૨ વર્ષની આઝાદી પછી અને બંધારણનાં ૫૯ વર્ષ પછી સાચા ભારતની આ દશા છે, ત્યારે આપણે શું કરીશું? આપણી સમક્ષનો આ એક મોટો પડકાર છે.
આપણા બધાની સામે સૌથી મોટો પડકાર પીપલ્સ મૂવમેન્ટ એટલે કે વિશાળ જનઆંદોલન દ્વારા પીપલ્સ પોલિટિક્સ કહેતાં લોકરાજનીતિને રાજ્ય, અર્થવ્યવસ્થા અને સમાજના કેન્દ્રમાં કેવી રીતે લાવવી, જેથી સાચા અર્થમાં જનતા માટે, જનતા દ્વારા, જનતાનું શાસન છેક ઉપરથી નીચે સુધી સ્થપાય. અત્યારે અસ્તિત્વ ધરાવતા મુખ્ય પક્ષો વચ્ચે રાજકીય, આર્થિક કે સામાજિક મૉડલમાં મહત્ત્વનો ફેર નથી. બધાએ લગભગ મુક્તબજાર આધારિત અર્થવ્યવસ્થાને સ્વીકારી છે, જેમાં રાજ્યનું કાર્ય મુક્ત બજારને અનુરૂપ વ્યવસ્થા ઊભી કરવાનું અને રાજ્યનું ક્ષેત્ર ઘણું મર્યાદિત બનાવવાનું છે. પરિણામે અર્થવ્યવસ્થાને બજારનાં બળો ઉપર છોડી દેવાય જ્યાં સામાન્ય જનતાનો અવાજ અને તાકાત માત્ર પૈસા / સાધનો દ્વારા વ્યક્ત થાય અને પૈસા, ખરીદશક્તિ કે સાધનવિહીન પ્રજાનું કોઈ સ્થાન ન હોય; જ્યારે રાજ્ય લોકશાહી હોય તો પણ પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ અને તેમની સરકારનું બજારને અને બજારનાં બળોને અને નેશનલ / મલ્ટિનેશનલ કોર્પોરેટ સત્તાને આધીન હોય. ભારતની પ્રજાએ પોતાને આપેલા બંધારણને તે જ રીતનો વળાંક અને ઝોક અપાય. પ્રજાના અધિકારોનું અને પ્રજાના અવાજને વાચા આપનાર બંધારણને મુક્ત બજારોને અનુરૂપ બનાવાય. ડાબેરી પક્ષો પણ છેવટે તો આ જ મૉડલ સ્વીકારે છે. તેટલા માટે ત્રીજું નહીં, પરંતુ સાચા અર્થમાં બીજું બળ ઊભું કરવાનું આપણું કાર્ય છે. સમાજવ્યવસ્થામાં અને અર્થવ્યવસ્થામાં લોકોનું રાજ્ય કેન્દ્રમાં રહેવું જોઈએ. આ લોકશાહી માત્ર સાંસ્થાનિક નહીં, પરંતુ લોકોની, ગામડાથી માંડી દિલ્હી સુધી બધા જ સ્તરે ભાગીદારીવાળી હોય. ‘પાર્ટિસિપેટરી ડેમોક્રેસી ફ્રૉમ બીલોે’ તે આપણો આદર્શ અને ધ્યેય હોય. આ પરિવર્તનની શરૂઆત મહાત્મા ગાંધીના પેલા છેવાડાના ગરીબમાં ગરીબ અને નીચલામાં નીચલા માણસથી થવી જોઈએ. જેથી એકેએક ભારતવાસીની આંખનાં આંસુંઓ લૂછી શકાય.
પીપલ્સ પોલિટિક્સ માટે અત્યંત આવશ્યક છે, તે પીપલ્સ મૂવમેન્ટ અને આ પીપલ્સ મૂવમેન્ટ માટે આજે કોઈ રાજકીય પક્ષ બનાવવો જરૂરી નથી, તેમ જ ઇચ્છનીય અને લાભદાયી પણ નથી, કારણ કે રાજકીય પક્ષ કોઈ વધારે વ્યવસ્થિત, સ્પષ્ટ વિચારધારા નીતિ અને કાર્યક્રમ ઉપર સ્થાપી શકાય. અત્યારે આ તબક્કે તે હાંસલ કરવાનું શક્ય નથી અને જો ઉતાવળથી એમ કરવામાં આવશે, તો લોક-આંદોલન આજની જેમ ભિન્ન-ભિન્ન વાડાઓમાં વહેંચાઈ જશે. આજે એક પક્ષની નહીં પરંતુ ‘લેટ હન્ડ્રેડ ફ્લાવર્સ બ્લુમ’ની જરૂરિયાત છે. અને એટલે જ પીપલ્સ પોલિટિક્સ માટે આવશ્યકતા તે લોકોના પ્રાણપ્રશ્નોને વૈયક્તિક કે માત્ર નૈતિક સ્વરૂપ આપવાના આજના પ્રયત્નોને સ્થાને આ પ્રાણપ્રશ્નોનું પોલિટિસાઇઝ કરવાની છે. લોકો સમક્ષ એ વાત લઈ જવાની જરૂર છે કે તમારી ગરીબી, બેકારી, નિરક્ષરતા, બીમારી, હવા, પાણી, જમીનનું પ્રદૂષણ એ માત્ર વ્યક્તિની નિષ્ફળતા કે બિનકાર્યક્ષમતાને આભારી નથી કે નીતિમત્તાના અભાવને કારણે નથી, પરંતુ તેનું મૂળ સામાજિક-આર્થિક રાજ્યવ્યવસ્થા અને પાવર સ્ટ્રક્ચરમાં છે. તે ઢાંચો અને વ્યવસ્થા મૂળભૂત રીતે બદલવાની છે. ટૂંકમાં, તમારો પ્રશ્ન વૈયક્તિક કે નૈતિક નથી, પરંતુ રાજકીય છે. તે અર્થમાં પ્રાણપ્રશ્નોનું પોલિટિસાઇઝેશન થવું જરૂરી છે. આ જ આપણું કાર્ય છે.
બીજું કાર્ય છે વૈકલ્પિક, વિશાળ, વ્યાપક, હેતુલક્ષી મૉડલ ઊભું કરવાનું. માઓનું એ સૂત્ર ધ્યાનમાં રાખવા જેવું છે. ‘ફ્રૉમ ધ પીપલ, ટુ ધ પીપલ’. આ મૉડલ થોડા મુઠ્ઠીભર માણસો, વિજ્ઞાનીઓ કે ટેક્નોક્રેટ કે નિષ્ણાતોએ ઉપરથી ઠોકી બેસાડેલું નથી, પરંતુ પ્રજાના વિવિધ પ્રાણપ્રશ્નોને પોલિટિસાઇઝ કરતાં કરતાં મંથનમાંથી સર્જાતું મૉડલ હશે, જે ડાઇનેમિક હશે, પ્રજાના વિચારો, આશાઓ અને આદર્શોના ગ્રેજ્યુઅલ અનફોલ્ડિંગના સ્વરૂપનું હશે. એ મૉડલમાં બદલાતા સમય, બદલાતા સંજોગો, બદલાતા વિચારોને અનુકૂળ થાય એવી લવચિકતા હશે, પરિવર્તનશીલતા હશે, એક તબક્કામાંથી બીજા તબક્કામાં લઈ જવાની આત્મશક્તિ હશે.
ત્રીજું કાર્ય છે માત્ર દૂરની મંઝિલ નહીં, પરંતુ નજદીકનો પીપલ્સ એજન્ડા બનાવવાનું, આવતાં પાંચ વર્ષ માટે કે દસ વર્ષ માટે. દા.ત. ગુજરાતની સામાન્ય જનતાના જુદા જુદા વિસ્તારોમાં પ્રાણપ્રશ્નોની સમજ અને અભ્યાસ, તેમાં ઉપસ્થિત થતી પ્રાથમિકતાઓ, તેને માટે જોઈતાં સાધનો, મૂડી, તેને અમલમાં મૂકી શકે એવી વ્યવસ્થા, તેને સતત મૉનિટર કરે એવા કર્મશીલો, લોકો તરફથી સતત ફિડબૅક વગેરે વગેરે. આ એજન્ડા લોકોનો હોવો જોઈએ અને એ એજન્ડા આજની રાજ્ય વ્યવસ્થા તેમ જ રાજકીય પક્ષો અને સંગઠનો સ્વીકારે તે જાતનું મજબૂત પ્રજાનું દબાણ ઊભું કરવાનો પ્રયત્ન અને આંદોલનો કરવા જોઈશે … રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરામાં તેમ જ ઉમેદવારો નક્કી કરવામાં પણ પ્રજાનો અને પ્રજાના એજન્ડાનો પ્રભાવ પડે તેવું વાતાવરણ ઊભું કરવાનું પણ એટલું જ અગત્યનું છે. માત્ર ક્ષિતિજનાં સ્વપ્નાંઓમાં લોક આંદોલન ચલાવી ના શકાય. પ્રિન્સિપલ ઑફ ઇમિજ્યસી.
અથવા ગાંધીજીનો ‘એક પગલું આગળ’નો વિચાર મહત્ત્વનો છે. સમાજ પરિવર્તન છેવટના યુદ્ધના વિજય પર આધારિત ન હોઈ શકે. તે માટે મંઝિલ તરફ આગેકૂચ કરતા નાની-નાની લડાઈમાં જીત પણ હાંસલ કરવી જરૂરી છે.
લોકઆંદોલન વિશે પણ આપણે વિચારવું પડશે. લોકજાગૃતિ અને લોકસંઘર્ષ એક સાથે કરવા પડશે. લોકજાગૃતિ લોકો સાથે સતત અને સમજપૂર્વક સંપર્ક અને સહજીવનમાંથી ઉદ્ભવે છે, જેનાથી લોકો પોતાના પ્રશ્નોને વિશાળ અને સામાજિક, રાજકીય, આર્થિક વ્યવસ્થાના સંદર્ભમાં વિચારણા થાય અને કર્મશીલો લોકોના અનુભવો, સંવેદનાઓ, ઇચ્છાઓ અને મર્યાદાઓને એક વ્યાપક આંદોલનના માળખામાં ગોઠવી શકે. લોકસંઘર્ષ માટે જરૂરી છે લોકએકતા અને સમન્વય – નાત, જાત, રંગ, જાતિ, લિંગ, ધર્મ, ભાષા વગેરેના વાડાઓને આંબી જઈને લોકો ખભેખભા મિલાવી આગળ વધે અને લોક સંગઠન અથવા ખરેખર લોક સંગઠનો – નાનાં, મોટાં, એક પ્રશ્ન ઉપર આધારિત કે વધારે પ્રશ્નો માટેનાં સમુદાયનાં કે પ્રદેશનાં સંગઠનો.
લોકઆંદોલન અને લોકસંઘર્ષના કેટલાક પાયાના સિદ્ધાંતો છે : એક, આમ આદમી, સામાન્ય માનવી અને જનતામાં અતૂટ અને ઊંડો વિશ્વાસ. “આમઆદમી ભણેલો નથી, સ્પષ્ટ ભાષા બોલતો નથી, તેનું વાંચન નથી, સ્વતંત્ર વિચાર કરવાની તેનામાં શક્તિ નથી, તે આપણાથી, કર્મશીલોથી નીચે પાયરીમાં બેસવા લાયક છે, તે પૈસા, દારૂ વગેરેથી ભોળવાઈ જાય છે” વગેરે-વગેરે ખયાલો ઉપર સાચું લોક-આંદોલન ઊભું કરી ના શકાય. જીવન તો આપણા બધા માટે નિરંતર શિક્ષણનો પ્રવાહ અને પ્રક્રિયા (લર્નિંગ પ્રોસેસ) છે.
લોક-આંદોલન અને સંઘર્ષની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ અહિંસક અને લોકોની સંપૂર્ણ ભાગીદારીવાળી હોવી જોઈએ. ગાંધીજીનો મૂળભૂત સિદ્ધાંત ‘ઍન્ડ ડઝન્ટ જસ્ટિફાય ધ મીન્સ’ આપણા આંદોલનનો મંત્ર હોવો જોઈએ. વિશ્વે અનેક હિંસાત્મક ક્રાંતિ અને સંઘર્ષો જોયા છે. આંદોલનનો માર્ગ પણ આપણને નવા સમાજની પુનઃરચના માટે તૈયાર કરતો હોય તેવો હોવો જોઈએ.
આ લોક-આંદોલન અને સંઘર્ષને કોઈ એક ચોક્કસ રાજકીય પક્ષના માળખામાં જકડી રાખવો ના જોઈએ. મોટાં-મોટાં આંદોલનો એક યા બીજા તબક્કે પક્ષ બનાવવાની વાત કરે છે, પરંતુ પક્ષ ધીમે-ધીમે લોકોનાં આંદોલનમાંથી ઊભો થશે. ઉપરથી ઠોકી બેસાડેલો પક્ષ આંદોલનને નુકસાન કરશે. પક્ષ અને ચૂંટણીઓ લોક-આંદોલનની આગેકૂચમાં અડચણરૂપ પુરવાર થશે. વ્યાપક સમાજના સહકારને જુદા-જુદા વાડાઓમાં ફેરવી નાખશે અને તમારી વિશ્વસનીયતા તેમ જ એક્સેપ્ટિબિલિટી ઓછી થશે. અલબત્ત, આનો અર્થ એ નથી કે રાજકીય સત્તાની અગત્યતા નથી. આપણું આંદોલન મૂળભૂત રીતે રાજકીય જ છે અને પીપલ્સ પોલિટિક્સ માટેનું જ છે.
આવી જ રીતે લોકઆંદોલન અને લોકસંઘર્ષને માત્ર લીગલાઇઝ અથવા જ્યુડિશિયલાઇઝ કરવાની સાથે ચેતતા રહેવાની જરૂર છે. છેવટે કાયદો અને અદાલતો ચોક્કસ બંધિયાર માળખામાં જકડાયેલા હોય છે. વળી, ન્યાયતંત્ર પણ છેવટે તો વર્તમાન રાજ્યનું એક અંગ છે. ન્યાયતંત્ર દ્વારા સામાજિક પરિવર્તનની આશા રાખી શકાય નહીં. ૧૯૮૦ પછીનાં વર્ષોેમાં જ્યુડિશિયલ ઍક્ટિવિઝમે અને પીપલ્સ ઇન્ટરેસ્ટ લિટિગેશને ઘણી આશાઓ ઊભી કરેલી. કોઈ પણ સામાજિક, રાજકીય, આર્થિક પ્રશ્ન હોય તેના ઉકેલ માટે અદાલતો તરફ દોડી જવાનું વલણ મજબૂત બનેલું. હું પણ એમાં ભાગીદાર હતો. પરંતુ આજે સ્પષ્ટ દેખાય છે કે અદાલતની દરમિયાનગીરીના કારણે લોક આંદોલનો અટકી ગયાં અથવા બીજા માર્ગે વળી ગયાં. પબ્લિક ઇન્ટરેસ્ટ સોશિયલ ઍક્શન લિટિગેશનનો લોક-આંદોલનના વિકલ્પ તરીકે ઉપયોગ થયો, અને જ્યારે ભાન થયું કે અદાલતો પાસેથી વધારે આશા રાખી શકાય એમ નથી, ત્યારે ઘણાં આંદોલનો બંધ થઈ ગયેલાં. અલબત્ત, લોક-આંદોલન માટે જરૂર પડે ત્યારે યોગ્ય સ્થાને, પૂરી મર્યાદાઓને સમજી કાયદો અને અદાલતનો આશરો મર્યાદિત ધ્યેય માટે લઈ શકાય. પણ અદાલતી કાર્યનો પાયો લોક-આંદોલન હોય અને તેનો ટેકો પણ તે જ હોય. વળી, નવી આર્થિક નીતિ પછીના દસકામાં તો અદાલતોની વિચારધારા પણ બદલાઈ ગઈ છે. સામાજિક અને આર્થિક ન્યાય હવે કેન્દ્રમાં નથી રહ્યો. વૈશ્વિકીકરણ અને મુક્ત બજારના ઝંઝાવાતમાં આપણી ઉપલી અદાલતો પણ સપડાઈ ગઈ છે. સર્વોચ્ચ અદાલત અને હાઈકોર્ટોનું કાર્ય તો આ એલ.પી.જી.નાં તોફાનો સામે બંધારણ દ્વારા સામાન્ય જનતાનું રક્ષણ કરવાનું છે અને હોવું જોઈએ. તેનાથી ઊલટું, આ અદાલતો બંધારણને વૈશ્વિકીકરણને અનુકૂળ બનાવવાની કોશિશ કરે છે. પરિણામે દેશના બંધારણને અને બંધારણે આપેલ માનવ અધિકારોને ઉચ્ચ અદાલતોથી પણ રક્ષણ કરવાનું કામ આપણાં લોક-આંદોલનના ભાગ રૂપે કરવાનું છે.
છેલ્લે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ આપની સમક્ષ મૂકવા માગું છું. એક : પીપલ્સ મૂવમેન્ટનાં બે અંગો છે : સંઘર્ષ અને સત્યાગ્રહ તથા રચનાત્મક કાર્યક્રમ (વૈકલ્પિક સંસ્થાઓ અને લાઇફસ્ટાઇલ) – બંને સાથે થવા જોઈએ. સંઘર્ષની સાથે-સાથે નવા સમાજની રચનાનું કાર્ય પણ શરૂ થવું જોઈએ.
બે : આપણું કાર્ય પ્રવર્તમાન સંસ્થાકીય માળખાની અંદર અને તેની બહાર એમ બે પ્રકારનું હોવું જોઈએ. હાલની લોકશાહી સંસ્થાઓને વધારે સારી અને મજબૂત બનાવવાનું કામ કરવું પડશે. તેવી જ રીતે આજની સાર્વજનિક સંસ્થાઓ જેવી કે પંચાયતો, રાજ્યસરકારો, કેન્દ્ર સરકાર, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યની સેવાઓ વગેરે વગેરે.
ત્રણ : લોક-આંદોલન પણ એન.જી.ઓ.ના માળખામાંથી ઊભું થશે નહીં. આવી ઘણી સંસ્થાઓ ઉપયોગી છે અને વિવિધ ક્ષેત્રમાં કામ કરે છે, પરંતુ આ સંસ્થાઓનો સરવાળો એટલે લોક-આંદોલન નહીં એ વાત સમજવી પડશે.
ચાર : લોક-આંદોલનની સંસ્થાઓ અને કર્મશીલોએ ઉચ્ચ ધોરણો, લોકશાહી મૂલ્યો, પારદર્શકતા, પ્રામાણિકતા, એકાઉન્ટેિબલિટીના સિદ્ધાંતો અપનાવવા જરૂરી છે. ખાસ કરીને આપણા કર્મશીલોને બેવડાં ધોરણો પાલવે નહીં.
પાંચ : વિશાળ અને ગતિશીલ અર્થમાં લોકશાહી, બિનસાંપ્રદાયિકતા અને સમાજવાદના મૂળભૂત સિદ્ધાંતો આપણે માટે માર્ગદર્શક તરીકે કામ કરી શકે. ડૉ. રામમનોહર લોહિયાના શબ્દોમાં માર્ક્સ, ગાંધીજી અને ડૉ. આંબેડકરની વિચારધારાઓનો આધુનિક વિશ્વમાં ગતિશીલ સમન્વય સાધવો જોઈએ – ક્લોઝ સિસ્ટમ તરીકે કે રૂઢિચુસ્ત ધર્મ તરીકે નહીં, પરંતુ ઓપન અને ડાઇનેમિક સિસ્ટમ તરીકે. આ ત્રણ સિદ્ધાંતો આપણા મૂળભૂત ધ્યેય અને આદર્શો અથવા માર્ગદર્શક સિદ્ધાંતો છે. તેનું કન્ટેન્ટ તો સમય, સ્થળ, સંજોગો મુજબ વિકસતું હશે.
મિત્રો, આ મારા વિચારો છે, તમારી વિચારણાઓ અને ચર્ચા માટે. અનેક મતભેદો હોઈ શકે છે, પરંતુ તાતી જરૂરિયાત છે ગુજરાતમાં (અને દેશમાં પણ) આપણે માનવગૌરવ અને માનવઅધિકારો માટે સંઘર્ષ કરતા બધા જ લોકો, કર્મશીલો, સંસ્થાઓ એકસાથે બેસીએ, ચર્ચા કરીએ, સમાન કાર્યક્રમ બનાવીએ. લોકોને સંગઠિત કરીએ અને સંઘર્ષ કરીએ આપણી સામેના પડકારો સામે, ભયસ્થાનો સામે, વિરોધી હુમલાઓ સામે.
અંતમાં, મારા જીવનમાં અનેક લોકોનો ફાળો છે, આપ સૌએ જે પ્રેમ, હૂંફ અને ટેકો આપ્યો છે, તે સર્વનો આભાર માનું છું. સાથે-સાથે અનેક લોકોનું મન દુભવ્યું હશે, તેમના વિરુદ્ધ બોલ્યો હોઈશ, તેમનો અનાદર કર્યો હશે તે સર્વેની હૃદયપૂર્વકની ક્ષમા યાચું છું.
સાહિર લુધિયાનવીના ગીતના શબ્દો સાથે હું વિરમું છું.
જિસ સુબહ કે ખાતિર જુગજુગસે હમે મરમર કર જાતે હૈં,
જિસ સુબહ કી અમૃત કી ધૂન પે હમ ઝહર કે પ્યાલે પીતે હૈં,
વહ સુબહ આયે ન આજ મગર, વહ સુબહ તો કભી આયેગી –
વહ સુબહ કભી તો આયેગી.
આવો મિત્રો, આજથી શરૂ કરીએ ગુજરાતની લાખો, કરોડો ગરીબ, વંચિત અને પીડિત જનતાનું લોક-આંદોલન.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2018; પૃ. 03-07