કાળચક્રની ફેરીએ
કવિ ભાનુશંકર વ્યાસ ‘બાદરાયણ’ના એક ગીતની પંક્તિ છે: ‘ભમતાં ભમતાં રે અમને કેડી રે લાધી, વંકાતી જાય આઘી આઘી રે.’ કાળચક્રની ફેરીએ ફરતાં ફરતાં પણ આવો અનુભવ ઘણી વાર થાય. અણધારી રીતે સગડ મળતા જાય અને નવી નવી કેડીઓ ખુંદવાનું બને. અગાઉ પાર્વતીકુંવર આખ્યાન વિષે લખતાં તેમની પુત્રવધૂ શૃંગારના પુસ્તક ટૂંકી કહાણીઓના સગડ મળ્યા. તેને વિષે લખતાં એ પુસ્તકના બીજા ભાગના સગડ મળ્યા. એ બીજા ભાગના અનુવાદક હતા પુતળીબાઈ ધનજીભાઈ હોરમસજી વાડીઆ. બંને ભાગ જોવા પણ મળ્યા. એ વખતે એક વિચાર મનમાંથી પસાર તો થયો હતો: આ પુતળીબાઈ તે પેલાં વર્ષો સુધી ‘સ્ત્રીબોધ’ માસિકના તંત્રી રહ્યાં હતાં એ તો નહિ હોય? પણ ત્યારે એ વિચાર પડતો મૂકેલો કારણ ‘સ્ત્રીબોધ’ના તંત્રી તે તો પુતળીબાઈ જાંગીરજી કાબરાજી. વળી એ જમાનામાં પુતળીબાઈ નામ ખાસું પોપ્યુલર. (ગાંધીજીનાં માતાનું પણ એ જ નામ.) પણ પછી મનમાં કીડો સળવળ્યા કરે: ટૂંકી કહાણીઓના અનુવાદક અને સ્ત્રીબોધના તંત્રી એ બંને એક જ વ્યક્તિ કેમ ન હોય?
પ્રિય વાચક! એ શંકા સાચી પડી. પુતળીબાઈ ધનજીભાઈ હોરમસજી વાડીઆ તે મૂળ નામ. અદરાયા પછી બન્યાં પુતળીબાઈ જાંગીરજી કાબરાજી. પિતા ધનજીભાઈ પહેલાં પૂનામાં અને પછી મુંબઈમાં શાળા-શિક્ષક. પછી બન્યા મુંબઈની મઝગાંવ મિલના સેક્રેટરી. એલ્ફિન્સ્ટન નાટક મંડળી શેક્સપિયરનાં નાટકો અંગ્રેજીમાં ભજવતી ત્યારે તેમાં ભાગ લેતા અને અભિનેતા તરીકે જાણીતા થયેલા. ‘ગુલીવરની મુસાફરી’ નામનું અનુવાદિત પુસ્તક ૧૮૭૩માં પ્રગટ કરેલું. કેટલાંક ગુજરાતી નાટકો પણ લખેલાં એવી માહિતી મળે છે, પણ નાટકોનાં નામ હજી મળ્યા નથી.
આ ધનજીભાઈને ઘરે ૧૮૬૪ના સપ્ટેમ્બરની પહેલી તારીખે પૂનામાં પુતળીબાઈનો જન્મ. જરા નવાઈ લાગે એવી એક વાત એ કે શાળાનો અભ્યાસ કર્યા પછી ૧૮૮૦માં મેટ્રિકની પરીક્ષા વખતે ફક્ત અંગ્રેજીના પેપરમાં જ બેઠાં. બાકીના પેપરમાં જાણીજોઇને ગેરહાજર. કેમ? અંગ્રેજીની આવડત અંગે જ પુરાવો જોઈતો હતો, બાકીના વિષયો વિષે નહિ! ૧૮૮૧માં ‘સ્ત્રીબોધ’માં તેમનું પહેલું લખાણ છપાયું. ત્યારે તેમની ઉંમર ૧૭ વર્ષની. ૧૮૫૭માં શરૂ થયેલા ‘સ્ત્રીબોધ’માં કોઈ સ્ત્રીએ લખેલું આ પહેલવહેલું લખાણ. પછી ૧૮૮૩માં પ્રગટ થયો ‘ટૂંકી કહાણીઓ’નો બીજો ભાગ. મહીપતરામ તરફથી ૬૦ રૂપિયાનું ઇનામ મળ્યું. એ સમાચાર લંડનના ‘ઇન્ડિયન મેગેઝીન’માં છપાયાં. કેપ્ટન આર.સી. ટેમ્પલે એ સમાચાર વાંચ્યા. ડો. જેમ્સ બર્જેસે ૧૮૭૨માં શરૂ કરેલ ‘ઇન્ડિયન એન્ટીક્વેરી’ નામના પ્રતિષ્ઠિત માસિકના ડો. જે.એસ. ફ્લીટ સાથે ટેમ્પલ એ વખતે જોડિયા તંત્રી. ટેમ્પલને પુતળીબાઈને મળવાની ઈચ્છા થઇ. સર જ્યોર્જ કોટનની મદદથી ધનજીભાઈને બંગલે જઈ મળ્યા. તે વખતે ‘ઇન્ડિયન એન્ટીક્વેરી’ માટે લખવાનું ટેમ્પલે આમંત્રણ આપ્યું. બાળપણમાં દાદા-દાદી અને બીજાં મોટેરાંઓ પાસેથી સાંભળેલી વાર્તાઓ યાદ આવી. પુતળીબાઈએ એવી વીસ વાર્તાઓ અંગ્રેજીમાં લખી નાખી. ‘ફોકલોર ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા’ મથાળા હેઠળ ૧૮૮૫થી તે ઇન્ડિયન એન્ટીક્વેરીમાં હપ્તાવાર છપાઈ. જેનું લખાણ આ પ્રતિષ્ઠિત માસિકમાં છપાયું હોય તેવાં સૌથી પહેલાં બિન-યુરોપિયન બાનુ હતાં પુતળીબાઈ. એટલું જ નહિ, ૧૯૨૨ સુધીનાં પહેલાં પચાસ વર્ષમાં હિન્દુસ્તાનની બીજી કોઈ સ્ત્રીનું લખાણ આ માસિકમાં છપાયું નહોતું. પુતળીબાઈની આ બધી જ વાર્તાઓ પછીથી ‘બેસ્ટ શોર્ટ સ્ટોરીઝ ઓફ ઇન્ડિયા’ નામના પુસ્તકમાં છપાઈ હતી.
ઇન્ડિયન એન્ટીક્વેરીનાં બારણાં એક વાર ખુલી ગયાં એટલે પુતળીબાઈની કલમ અંગ્રેજીમાં ચાલવા લાગી. પારસીઓ અને હિન્દુઓનાં ગુજરાતી લગ્નગીતોના અંગ્રેજી અનુવાદ કર્યા જે ‘પારસી એન્ડ ગુજરાતી હિંદુ ન્યુિપટલ સોંગ્સ’ નામથી હપ્તાવાર પ્રગટ થયાં. તેની સાથે ગીતોનો ગુજરાતી પાઠ પણ દેવનાગરી લિપિમાં છાપ્યો હતો. ગુજરાતી લગ્નગીતોનો આ પહેલવહેલો અંગ્રેજી અનુવાદ. જાણીતા ઇટાલિયન કવિ પ્રોફેસર માર્કો એન્ટોનિયોના જોવામાં આ અનુવાદો આવ્યા અને તેમણે હિન્દુસ્તાનની જુદી જુદી ભાષાનાં લગ્નગીતો અને પ્રેમગીતોના અનુવાદ માટે પુતળીબાઈને આમંત્રણ આપ્યું. એન્ટોનિયો આ અનુવાદોને ૧૪૦ ભાષાઓનાં ત્રણ હજાર જેટલાં ગીતો સમાવતા પોતાના પુસ્તકના પાંચ ભાગમાં સમાવ્યાં એટલું જ નહિ, તેને આખા સંગ્રહના ‘સૌથી સુંદર આભૂષણ’ તરીકે ઓળખાવ્યાં.
પણ પુતળીબાઈનો સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી અને મહત્ત્વનો અનુવાદ તે તો કવિ પ્રેમાનંદના ‘કુંવરબાઈનું મામેરું’ આખ્યાનનો અંગ્રેજી અનુવાદ. તે પણ આ જ માસિકમાં ૧૮૯૫ અને ૧૮૯૬ દરમ્યાન ચાર અંકોમાં હપ્તાવાર છપાયો હતો અને તે અનુવાદની સાથે પણ આખ્યાનનો ગુજરાતી પાઠ દેવનાગરી લિપિમાં છાપ્યો હતો. અનુવાદ શરૂ કરતાં પહેલાં પ્રાસ્તાવિક લખાણમાં પુતળીબાઈએ નરસિંહ મહેતાના જીવન અને કવનનો પરિચય આપ્યો છે. અનુવાદમાં પણ અનેક સ્થળે જરૂરી પાદટીપો ઉમેરી છે. મધ્યકાલીન ગુજરાતી કવિતાના કોઈ પણ અભ્યાસી-સંશોધકને છાજે તેવો આ અનુવાદ છે. ઓગણીસમી સદીના છેલ્લા દાયકામાં પ્રેમાનંદના એક મહત્ત્વના આખ્યાનનો અનુવાદ અંગ્રેજીમાં થાય, અને તે પણ એક પારસી સ્ત્રીને હાથે થાય, એ એક અસાધારણ ઘટના ગણાય. ઇન્ડિયન એન્ટીક્વેરી જેવા પ્રતિષ્ઠિત સામયિકમાં તે છપાય એ પણ મહત્ત્વની ઘટના ગણાય. પણ આજ સુધી તેના તરફ આપણા અભ્યાસીઓનું ભાગ્યે જ ધ્યાન ગયું છે.
ટૂંકી કહાણીઓ માટે પુતળીબાઈને મળેલા ઇનામની નોંધ પરદેશમાં લેવાય તો ‘સ્ત્રીબોધ’ માસિકમાં ન લેવાય એવું તો ન જ બને. વળી પુતળીબાઈ તો આ માસિકનાં લેખિકા હતાં. ૧૮૮૩ના મે અંકમાં નોંધ લેતાં સ્ત્રીબોધે લખ્યું: “પુતળીબાઈની સહી હેઠળ સ્ત્રીબોધના વાંચનારાઓનું મનરંજન કરનારી અમારી ચંચળ લખનારી બાઈને વાંચનારી બાનુઓ સારી પેઠે પિછાને છે.” મહીપતરામ રૂપરામે જાહેર કરેલું ૬૦ રૂપિયાનું ઇનામ “અમારી એ ચંચળ મદદગાર બહેનીને મળ્યું છે તેથી અમે મગરૂરી માની લઈએ છીએ અને અમારી મગરૂરીમાં વાંચનારી બાનુઓ ભાગ લેશે એવી આશા રાખીયે છીએ.” (ભાષા-જોડણી મૂળ પ્રમાણે) નોંધ સાથે પુતળીબાઈના પુસ્તકમાંથી એક વાર્તા ‘ભોળાનો ભરમ ભાંગ્યો’ પણ સ્ત્રીબોધે છાપી હતી.
ભલે જરા આડવાત જેવું લાગે, પણ અહીં સ્ત્રીબોધ વિષે થોડી હકીકતો નોંધી લઈએ. ૧૮૫૭ના જાન્યુઆરીની પહેલી તારીખે પાંચ પારસીઓએ શરૂ કરેલું સ્ત્રીબોધ તે માત્ર આપણી ભાષામાં જ નહિ, દેશની બધી ભાષાઓમાં સૌથી પહેલું સ્ત્રીઓ માટેનું માસિક. રંગભૂમિ, સાહિત્ય, પત્રકારત્વ, સમાજ સુધારો, જેવા અનેક ક્ષેત્રોમાં આગળ પડતો ભાગ ભજવનાર કેખુશરૂ કાબરાજી ૧૮૭૦માં સ્ત્રીબોધના તંત્રી બન્યા અને ૧૯૦૪માં તેમનું અવસાન થયું ત્યાં સુધી, પૂરાં ૩૪ વર્ષ, એ પદ સંભાળ્યું. તેમણે સ્ત્રીબોધને એક નમૂનેદાર માસિક બનાવ્યું. જેને સ્ત્રીબોધે ‘એક મદદગાર બહેની’ તરીકે ઓળખાવ્યાં હતાં તે પુતળીબાઈ ૧૮૯૪ના ડિસેમ્બર મહિનાની ૧૬મી તારીખે જાંગીરજી કાબરાજી સાથે અદારાયાં અને કેખુશરૂ કાબરાજીનાં પુત્રવધૂ બન્યાં. જાંગીરજી મુંબઈ સરકારના સ્ટેટ્યુટરી સિવિસ સર્વન્ટ હતા અને અમદાવાદ, સુરત, નાશિક, મુંબઈ, બીજાપુર, ખંભાત, ખાનદેશ વગેરે જગ્યાએ તેમની બદલી થતી રહી. તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં પુતળીબાઈએ સમાજસેવાનાં કામો ઉલટભેર શરૂ કર્યાં. સતત થતી બદલીઓને કારણે કે પછી સમાજસેવામાં મન પરોવાયું તેથી, પણ પુતળીબાઈનું અનુવાદનું કામ લગભગ થંભી ગયું. કેખુશરુ કાબરાજીના અવસાન પછી સ્ત્રીબોધના સંપાદનની જવાબદારી તેમનાં દીકરી શીરીનબાનુએ ઉપાડી લીધી, પણ ૧૯૧૨માં તેમણે એ જવાબદારી પુતળીબાઈને સોપી દીધી. ત્યારથી પુતળીબાઈ સ્ત્રીબોધમાં લગભગ નિયમિત રીતે લખતાં રહ્યાં. જો કે છેવટનાં વર્ષોમાં કથળતી જતી તબિયતને કારણે સંપાદનનો ઘણો ભાર તેમણે જોડિયા તંત્રી કેશવપ્રસાદ સી. દેસાઈ પર નાખ્યો હતો.
મન થાક્યું નહોતું, પણ હવે શરીર સાથ આપતાં આનાકાની કરતુ હતું. પતિ જાંગીરજી સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા તે પછી તેઓ અને પુતળીબાઈ અમદાવાદ રહેતાં થયાં. ત્યાં પણ લોકોનું ભલું થાય એવાં કાર્યોમાં બંનેનો બને તેટલો સાથ રહેતો. બંને હવાફેર માટે પંચગની ગયાં હતાં ત્યાં જ ત્રણ દિવસની ટૂંકી માંદગી પછી ૧૯૪૨ના જુલાઈની ૧૯મી તારીખે પુતળીબાઈ બેહસ્તનશીન થયાં. સ્ત્રીબોધનો મે ૧૯૪૩નો અંક ‘સ્વ. કેખુશરો કાબરાજી તથા સ્વ. પુતળીબાઈ કાબરાજી સ્મારક અંક’ તરીકે પ્રગટ થયો હતો. તેની પ્રસ્તાવનામાં વિદ્યાબહેન નીલકંઠે લખ્યું હતું: “પુતળીબાઈ પોતાના સસરાના સ્ત્રીબોધ પત્રમાં ભારે રસ લેતાં. તેમની વાર્તાઓ અને અન્ય લેખો ગુજરાતી વાચક વર્ગમાં ઉલટથી વંચાતાં. કાબરાજીના કુટુંબમાં હિંદુ-પારસી એવા ભેદ નહોતા. એ ભાવના પુતળીબાઈએ ઝીલી લીધી હતી.”
સામગ્રી સ્રોત:
૧. પારસી પ્રકાશનાં પહેલાં ત્રણ દફતર.
૨. સ્ત્રીબોધ માસિકની ફાઈલો.
૩. ધ ઇન્ડિયન એન્ટીક્વેરી માસિકની ફાઈલો.
xxx xxx xxx
Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051
Email: deepakbmehta@gmail.com