ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ વિરોધોમાંથી એક વિરોધ એ પોતપોતાના રાષ્ટ્રપિતાને જોવાના દ્રષ્ટિકોણનો પણ છે. મહાત્મા ગાંધીની તો દરેક ભારતીય પોતાની અલગ રીતે વ્યાખ્યા કરી શકે છે. જેમ કે નક્સલીઓ ગાંધીજીને દબાતા પગલે આગળ વધનારા પ્રતિક્રિયાવાદી કહે છે, તો હિંદુત્વવાદીઓની નજરમાં તેઓ મુસલમાનો પ્રત્યે કંઇક વધારે જ ઉદાર હતા. આંબેડકરવાદીઓની નજરમાં જાતિવાદના મુદ્દે તેમનો વિરોધ ગંભીર નહોતો, ત્યારે નારીવાદીઓ તેઓને લૈંગિક ભેદભાવના મુદ્દે થોડા નરમ ગણાવે છે. આધુનિકવાદીઓની નજરમાં ગાંધી ભૂતકાળનું મહિમામંડન કરનાર હતા, તો પરંપરાવાદીઓની નજરમાં તેઓ શાસ્ત્રનો અનાદર કરનાર વ્યક્તિ હતા. જ્યારે પાકિસ્તાનમાં તેમના રાષ્ટ્રપિતાની કોઇ ટીકા-ટિપ્પણી થઇ શકતી નથી.
પાકિસ્તાનની રચના થઇ તેના થોડા જ સમય બાદ, લાહોરના એક કવિએ જિન્ના વિશે લખ્યું હતું કે હે કાયદે-આઝમ તમારા શ્વાસ માત્ર જ આ દેશ માટે પૂરતા છે, આ દેશને એક રાખવા માટે તમે એકલા જ પૂરતા છો. પાકિસ્તાનમાં જિન્નાને આ જ ભક્તિભાવથી યાદ કરવામાં આવે છે. આજે પણ ઘણાં પાકિસ્તાનીઓનું એવું કહેવું છે કે જો જિન્ના માત્ર પાંચ અથવા દસ વર્ષ વધુ જીવતા રહ્યા હોત, તો આ દેશને ભ્રષ્ટાચાર, ગરીબી, આતંકવાદ, કટ્ટરતાવાદ અથવા સૈન્યની તાનાશાહીનો રોગ ના લાગ્યો હોત. પાકિસ્તાનના દળોની પ્રતિબદ્ધતાઓમાં ભાગલા જોવા મળતા હોવા છતાં પણ તેઓ જિન્નાના મુદ્દે તો એક જ છે. પાકિસ્તાનના અખબાર ‘ડોન’માં અઠવાડિયાઓ પહેલાં તેના સંપાદકીયમાં એવું નોંધવામાં આવ્યું હતું કે જિન્નાનું પાકિસ્તાન સહિષ્ણુ, પ્રગતિશીલ, સમાવેશી અને લોકતાંત્રિક છે. શું પાકિસ્તાનની લીડરશીપ પોતાના સંસ્થાપક પિતાના આદર્શો પર પરત ફરશે.
એક ભારતીય તરીકે, પાકિસ્તાનીઓએ પોતાના રાષ્ટ્રપિતાને કેવા દ્રષ્ટિકોણથી જોવા જોઇએ તે વિશે વાત કરવી એ મારું કામ નથી. પણ, એક ઇતિહાસકાર તરીકે મારી જવાબદારી છે કે મારે પાકિસ્તાનીઓને અને મારી જાતને એ વાતની યાદ અપાવવી જોઇએ કે જિન્નાના સમયમાં તેમના સમકાલીનો તેમના વિશે શું વિચારતા હશે. હું અહીં ગાંધી અને નહેરુની વાત નહીં કરું કારણ કે તેઓના વિચારો જગજાહેર છે.
શરૂઆત આપણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્ટુડન્ટ રહી ચૂકેલા મૌલાના શૌકતઅલીથી કરીશું. આ તે અલી બંધુ પૈકીના છે કે જેઓ અસહયોગ આંદોલનમાં ગાંધીજીની સાથે અને જિન્નાની વિરુદ્ધ સ્પષ્ટવક્તા તરીકે જોવા મળ્યા હતા. વર્ષ 1926માં આ આંદોલન સંપૂર્ણ રીતે શાંત પડતાની સાથે જ જિન્નાએ બોમ્બે વિધાનસભા માટે પોતાની ઉમેદવારીની ઘોષણા કરી દીધી હતી. શૌકતઅલીએ આ ઉમેદવારીની સાથે એક અરજી જાહેર કરી અને જણાવ્યું કે તેઓ જિન્નાને બોમ્બેના મુસલમાનોનું પ્રતિનિધિત્વ કરવા માટે અનુપયુક્ત કેમ માને છે અને તેના કારણો આ પ્રમાણે હતા. એક, કે જિન્ના બોમ્બેના મુસલમાનો વિશે કશું જાણતા નહોતા અને તેના કરતાં પણ મોટી વાત એ હતી કે જિન્ના આ વિશે જાણવા પણ માગતા નહોતા. બીજુ, જિન્નાએ અભ્યાસના સંદર્ભે પછાત મુસલમાનો માટે કશું કાર્ય કર્યું નહોતું. ત્રીજુ, જિન્નાએ મુસ્લિમ સમુદાયના તમામ અભિયાનથી પોતાને દૂર રાખ્યા અને સાથે ખિલાફત અને અસહયોગ આંદોલનનો પણ વિરોધ કર્યો. ચોથુ, આ મુસ્લિમ લીગનું સંકીર્ણ અને પુરાતન સંવિધાન હતું કે જેના જિન્ના સફળતાથી વડા તો બની ગયા, પણ તેને ખત્મ કરી દીધું. પાંચમુ, જિન્ના અનુશાસન કાયમ રાખી શક્યા નહીં અને પાર્ટી સંગઠનના અધીન કાર્ય પણ કરી શક્યા નહીં, ત્યાં તેમણે પોતાના સરીખા અથવા તો વરિષ્ઠોની સાથે તાલમેળ સાધવો પડે તે પણ તેઓએ ટાળ્યું.
શૌકતઅલીએ પોતાની વાત ખત્મ કરતા લખ્યું કે ઈસ્લામ વિશે જિન્નાની લગભગ નહીંવત્ એવી જાણકારી ડરાવનારી છે, અને તેમના પર કમનસીબ મુસલમાનોનું પ્રતિનિધિત્વ સોંપવાનો ભરોસો કરી શકાય નહીં, અને અહીં સુધી કે એક લેમ્પપોસ્ટ પણ તેમના કરતાં ઓછો નુક્સાનકારક હશે.
તેમ છતા પણ જિન્ના ચૂંટણી જીતી ગયા અને તેમનું નસીબ ચમક્યું, સાથે શૌકતઅલીનું માન ઘટવા માંડ્યું. વર્ષ 1938માં શૌકતઅલીના મૃત્યુ સુધી, જિન્ના ભારતીય મુસલમાનોના નિર્વિવાદ નેતા બની ચૂક્યા હતા. વર્ષ 1940ના માર્ચ મહિનામાં લાહોરમાં જિન્ના મુસ્લિમ લીગના વાર્ષિક સંમેલનમાં વડાના પદે હતા, ત્યારે તેમના એક પ્રશંસકે તેમને લખ્યું કે આ તે જ સમય હતો કે જ્યારે જિન્નાને પ્રથમ વખત પોતાના હોવાનો અનુભવ થયો હશે. સાથે તેમને એ વાત સમજાઇ હશે કે તેમને પસંદ કરનારા લોકો તેમને કેટલા પસંદ કરે છે અને તેઓ ભારતીય મુસલમાનોનો કેટલો ભરોસો અર્જિત કરી ચૂક્યા છે. અને ત્યારે ભારતીય મુસલમાનો માટે એક અલગ દેશની માગ કરતો પાકિસ્તાન પ્રસ્તાવ પસાર થયો.
પંજાબના ગવર્નરને મોકલી આપેલી નોટમાં આઇ.સી.એસ. ઓફિસર પેંડરેલ મૂને લાહોર બેઠકની ત્રણ ખાસ વાતો રેખાંકિત કરી હતી. પ્રથમ, મુસલમાનોના અસલી પ્રતિનિધિના રૂપમાં મુસ્લિમલીગનું મહત્ત્વ અચાનક વધી ગયું છે. બીજુ, જિન્નાની પ્રતિષ્ઠા ઘણી વધી રહી છે અને તેઓ અખિલ ભારતીય સ્તર પર મુસલમાનોના નિર્વિવાદ નેતા બની ચૂક્યા છે. ત્રીજુ, મુસલમાનો હવે લગભગ ઉપરના સ્તર પર તો ભારતના ભાગલાના સહયોગમાં એક થઇ ચૂક્યા છે. આ ઘટનાના ત્રણ મહિના બાદ લિબરલ નેતા વી.એસ. શ્રીનિવાસન શાસ્રીએ ગાંધીજીને લખ્યું કે કોઇ વિચારી પણ નથી શકતું કે જિન્નાની અસર કેટલી હદે વધી ચૂકી છે. આજે કોંગ્રેસ પણ તેમની અવગણના કે ટીકા કરવાની સ્થિતિમાં નથી તો પછી બ્રિટિશ સરકાર પણ તેવું કેવી રીતે કરી શકશે. તેઓ જોઇ રહ્યા હતા કે અંગ્રેજો માટે હવે મુસલમાનોની નારાજગી, કોંગ્રેસને સંતુલિત રાખવાની આશા કરતાં વધુ ઘાતક સાબિત થવાની હતી. બીજી બાજુ ગાંધીજીના અંગત સચિવ મહાદેવ દેસાઇ માનતા હતા કે દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતની રચનાના મૂળમાં જ બ્રિટનના નિર્માતા હતા, જેમણે હિંદુઓ અને મુસલમાનો વચ્ચેની વિભાજન રેખા મજબૂત કરી હતી. મહાદેવ દેસાઇએ લખ્યું આપણે આ સમગ્ર ઘટના માટે કોઈનો પણ વાંક કાઢી શકીએ નહીં, સાથે તે ખતરનાક વિચારને પણ દોષ આપી શકીએ નહીં.
વર્ષ 1940 સુધી એવું માનવામાં આવતું હતું કે પાકિસ્તાન ક્યારે ય બનશે જ નહીં. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લીગ અને જિન્નાની અસર ઝડપી બની. યુદ્ધ ખત્મ થયા બાદ બ્રિટિશ ભારતની ચૂંટણીમાં જે રીતે મુસ્લિમ સીટો પર મુસ્લિમલીગ જીતી, તેનાથી આઝાદ પાકિસ્તાનના સપનાંને પાંખો મળી. ડિસેમ્બર 1946માં એક આઇ.પી.એસ. ઓફિસર મેલકમ ડાર્લિંગે પંજાબના એક પ્રમુખ મુસલમાન અને કોટના સરદારના હવાલાથી લખ્યું કે જ્યાં સુધી તેઓ પોતાની વાત પર સફળ છે, આ વાતનો કોઇ મતલબ નથી કે તેઓને મુસ્લિમ ધર્મની એ.બી.સી.ડી. આવડે છે કે નહીં. આ ઇતિહાસની વધુ એક વિડંબણા હતી કે જે વ્યક્તિ મુસલમાન વિશે કશું જ જાણતા નહોતા અને તેમના વિશે જાણવા પણ માગતા નહોતા તે વ્યક્તિ બ્રિટિશ ભારતના હાથમાંથી નીકળીને એક આઝાદ મુસ્લિમ રાષ્ટ્ર બનાવવામાં સફળ થયા.
(હિન્દુસ્તાન હિન્દી ન્યૂઝપેપર)
અનુવાદ – નિલય ભાવસાર