રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતની બદલાયેલી ભાષા જોઇને એ લોકો પણ આભા બની ગયા છે જેઓ સંઘના અને વર્તમાન સરકારના સમર્થક છે. મોહન ભાગવત મોહન ગાંધીની માફક કેમ બોલવા લાગ્યા? મતપરિવર્તન કે પછી નવો ખેલ? જો મતપરિવર્તન હોય તો નવી ફિલસૂફી ઠરાવ કરીને સ્પષ્ટ કરવી જોઈએ, પણ એવું ક્યારે ય બનવાનું નથી. આ નવો ખેલ છે અને સંઘના ઇતિહાસમાં એ કોઈ નવી વાત નથી. અનેક મોઢે બોલવું, પ્રસંગે-પ્રસંગે અલગ-અલગ રીતે બોલવું, અલગ-અલગ ચહેરા રાખવા, કોઈ ભૂમિકાએ ક્યારે ય પણ બંધાવું નહીં એ તેમની મોડસ ઓપરેન્ડી (કાર્યપદ્ધતિ) છે.
૧૯૯૫માં બી.જે.પી.નું મહા અધિવેશન મુંબઈમાં મળ્યું હતું અને એમાં અટલ બિહારી વાજપેયીને વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. ૧૯૯૬માં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની હતી અને બી.જે.પી.ને સમજાઈ ગયું હતું કે બાબરી મસ્જિદ તોડ્યા પછી અને દેશમાં ઊભી કોમી તિરાડ પેદા કર્યા પછી પણ બેડો પાર થઈ શકે એમ નથી. આ બ્રહ્મજ્ઞાન થવા પાછળનું કારણ કે હતું કે ઉત્તર પ્રદેશ, અવિભાજિત મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં બી.જે.પી.નો પરાજય થયો હતો. રામજન્મભૂમિના નામે હિંદુઓમાં ઉન્માદ પેદા કર્યો એના એક વરસમાં. આ ત્રણેય રાજ્યોમાં બી.જે.પી.ની સરકારો હતી. બી.જે.પી.એ ધાર્યું નહોતું કે આવાં પરિણામ આવશે.
એ એ જ અટલ બિહારી વાજપેયી હતા જેમની ૧૯૮૫ પછી ભયંકર ઉપેક્ષા કરવામાં આવી હતી. ઉપેક્ષા અપમાનની કક્ષાની હતી. એ સમયે વાજપેયીએ લખેલાં કેટલાંક કાવ્યો તેની સાક્ષી પૂરે છે. ૧૯૮૪માં લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને માત્ર બે બેઠકો મળી એ પછી વાજપેયીના ઉદારમતવાદનો કોઈ ખપ નહોતો. એ સમયે ‘ગર્વ સે કહો હમ હિન્દુ હૈ’, ‘હિન્દુસ્તાન મેં રહના હો તો વંદેમાતરમ્ બોલના હોગા’, ‘તીન (અયોધ્યા, મથુરા અને બનારસની મસ્જિદ) નહીં તીન હજાર નહીં રહેગી એક મઝાર’, બાબર કી ઔલાદ’, ‘મૌલાના મુલાયમ’, (એ સમયના ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન), એક ધકા ઔર દો બાબરી મસ્જિદ તોડ દો’ વગેરે નારાઓ હતા. કોઈએ સંઘ પરિવારના કાર્યકર્તાઓને બેફામ બોલતા વાર્યા નહોતા અને અયોધ્યામાં એક ધકા ઔર દોના નારાઓ બોલતા હતા, ત્યારે લાલ કૃષ્ણ અડવાણી, ડૉ. મુરલી મનોહર જોશી વગેરે પક્ષના શીર્ષસ્થ નેતાઓ ઉપસ્થિત હતા.
ક્યાં ગયું હતું બધું ડહાપણ? અને ૧૯૯૩માં ત્રણ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓમાં તેમ જ પેટા ચૂંટણીઓમાં થયેલા પરાજય પછી એકદમ ડહાપણની યાદ આવી હતી જે રીતે અત્યારે આવી છે. અટલ બિહારી વાજપેયીએ એવી ભાષામાં બોલવા માંડ્યું હતું જેવી ભાષામાં અત્યારે મોહન ભાગવત બોલી રહ્યા છે. વાજપેયી ખરેખર ઉદારમતવાદી હતા કે સંઘ પરિવારની આપેલી ભૂમિકા નિભાવનારા અભિનેતા હતા એ વિષે બે મત છે. શંકાનું કારણ એ છે કે તેમણે ક્યારે ય બોલવાનો પ્રસંગ આવ્યો હતો ત્યારે ખોંખારો ખાઈને બોલ્યા નહોતા. કદાચ પાછલી ઉંમરે ક્યાં જવું એની દુવિધા પણ હોય. ‘જાય તો જાય કહાં’ એવી તેમની એક કવિતા પણ છે.
નોંધવા જેવી વાત એ છે કે ૧૯૯૫ પછીથી સંઘ પરિવારમાં ડહાપણ યુગ બેઠો હતો અને ઉપર જે નારાઓની યાદી આપી એ નારાઓ બોલવાનું બંધ કરવામાં આવ્યું હતું. બંધ એટલે સાવ બંધ. જાણે કે આપણે ટીવી ચેનલ બદલી નાખી હોય અને મારા-મારી, ગાળા-ગાળી અને દેકારાની જગ્યાએ ગુરુબાનીના સૂર રેલાતા હોય એવો અનુભવ થવા લાગ્યો હતો.
તો સવાલ એ છે કે રહી-રહીને હવે ત્રણ રાજ્યોની વિધાનસભાઓની અને લોકસભાની સામાન્ય ચૂંટણી માથે છે ત્યારે કેમ સૂર બદલ્યો? એવી કઈ રાજકીય મજબૂરી છે? સો ટકા મત પરિવર્તન નથી અને જો મત પરિવર્તન હોય તો ઠરાવ કરીને બતાવે. હંમેશ માટે હિન્દુત્વ અને હિન્દુરાષ્ટનું સ્વરૂપ વ્યાખ્યાયિત કરી નાખવામાં આવે. એ પછી તમારા પર કોઈ શંકા નહીં કરે. પણ લખી રાખજો આવું કયારે ય બનવાનું નથી. તો પછી કઈ રાજકીય મજબૂતી છે જેને કારણે સંઘના સરસંઘચાલકે ભાષા બદલવી પડી છે.
શક્યતા એવી છે કે સંઘના નેતાઓને ખાતરી થઈ ગઈ છે કે એકલા નરેન્દ્ર મોદી વૈતરણી તારી શકે એમ નથી. હવે સબ કા સાથ સબ કા વિકાસ, અચ્છે દિન, કમ્પિટિટિવ ફેડરલિઝમ, કાળા નાણાની વાપસી, ભ્રષ્ટાચાર મુક્ત શાસન, પારદર્શકતા, ૫૬ ઈંચની છાતી વગેરે ચાલી શકે એમ નથી. નરેન્દ્ર મોદી-અમિત શાહની જોડીની ઈમેજ ઇવેન્ટો યોજનારાઓ, ખેલ પાડનારાઓ, જુમલા ફેંકનારાઓ, સરેઆમ જૂઠું બોલનારાઓ, રાજકીય લક્ષ્મણ રેખા નહીં પાળનારાઓ, આત્મકેન્દ્રી અને દેશમાં સામાજિક વિભાજનો પેદા કરનારાઓ તરીકેની બની ગઈ છે અને હવે એ બદલવી અશક્ય છે. જેમ રામજન્મભૂમિના કોમી અંદોલનનું નેતૃત્વ કરનારા લાલ કૃષ્ણ અડવાની ૧૯૯૫માં પોતાની ઈમેજ બદલી શકે એમ નહોતા એના જેવી જ સ્થિતિ છે. અડવાણી ઇચ્છત તો પણ એ શક્ય નહોતું અને અત્યારે પણ એવી જ સ્થિતિ છે. નરેન્દ્ર મોદી લાખ પ્રયત્ન કરે તો પણ ૨૦૧૪માં પાછા ફરી શકે એમ નથી. અખલકને લિન્ચિંગ કરીને મારી નાખ્યો તો અમારું શું ઉખાડી લીધું એવી ભાષા વાપર્યા પછી હવે સભ્ય થવા માટે કોઈ જગ્યા જ નથી બચી. તેમણે વિવેક અને ઠાવકાઈના બધા દરવાજા બંધ કરી દીધા છે.
૧૯૯૫માં અને ૨૦૧૮માં એક ફરક છે. ત્યારે હજુ બી.જે.પી.એ કેન્દ્રમાં પહોંચવાનું હતું અને અત્યારે ત્યાં ટકવાનું છે. ૧૯૯૫માં અટલ બિહારી વાજપેયી ભાથામાં એક તીરની માફક ઉપલબ્ધ હતા જેમની ઈમેજ ખરડાયેલી નહોતી, બલકે અકબંધ હતી; જ્યારે અત્યારે સંઘ પરિવારના ભાથામાંનું નરેન્દ્ર મોદી નામનું તીર વપરાઈ ચૂક્યું છે.
બે સંભવનાઓ નજરે પડે છે. એક એ કે સંઘના નેતાઓએ નરેન્દ્ર મોદી-અમિત શાહને કહી દીધું હશે કે હવે પછીથી તમે ધીરે-ધીરે નિષ્ક્રિય થતા જાઓ. નરેન્દ્ર મોદી માત્ર શાસન વિષે બોલે અને અમિત શાહ પંચ તારક હોટલમાં બેસીને ચૂંટણીનું મેનેજમેન્ટ જુએ. હવે પછી નરેન્દ્ર મોદી લો પ્રોફાઈલ ધારણ કરતા જાય જે રીતે ૧૯૯૫ પછી લાલ કૃષ્ણ અડવાણીએ બોલવાનું બંધ કરી દીધું હતું. આવતા બે-ત્રણ મહિનામાં આસ્તે-આસ્તે સંઘ અને સંઘે પસંદ કરેલા નેતાઓ આગળ આવે, તેઓ જ મોટાભાગે રાજકીય નિવેદનો કરે. ડહાપણ, ડહાપણ અને ડહાપણ. તો ટૂંકમાં સંઘ અને બી.જે.પી.ના ઠાવકા નેતાઓ લાંબી લાઈન દોરતા જાય.
બીજી સંભવના એવી છે કે આ લોકસભાની ચૂંટણી પહેલાં કે પછીની વૈકલ્પિક યોજના છે. પ્લાન – બી. જો લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી. સવાસો દોઢસો બેઠકોથી વધારે બેઠકો ન મેળવી શકે તો નરેન્દ્ર મોદીની જગ્યાએ બીજા કોઈને વડા પ્રધાન બનાવવામાં આવે. એ વ્યક્તિ કોણ હશે એ ઓળખવું મુશ્કેલ નથી. જે મોહન ભાગવતની અત્યારની ભાષામાં બોલવા લાગે, વારંવાર બોલે, આગ્રહપૂર્વક બોલે એને નરેન્દ્ર મોદીનો વિકલ્પ સમજવો. અત્યારથી જ વિકલ્પ નક્કી થઈ ગયો છે. નીતિન ગડકરી પર નજર રાખજો. જો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભાઓની ચૂંટણીમાં કારમો પરાજય થાય તો પ્લાન – બી વહેલો પણ અમલમાં મૂકવામાં આવે. ચૂંટણી પૂર્વે જ નરેન્દ્ર મોદીની જગ્યાએ કોઈ બીજા નેતાને (નીતિન ગડકરી વાંચો) વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે આગળ કરવામાં આવે.
આ રાજકારણ છે એમાં કાંઈ પણ બની શકે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 22 સપ્ટેમ્બર 2018