દલિતો અને આદિવાસીઓના વિકાસ માટે ફાળવવામાં આવેલાં નાણાં એ જ હેતુ માટે, તેવો કાયદો ઘડાય તેવી કોશિશ વિરોધ પક્ષો, કાર્યકર્તાઓ અને સંગઠનો કરી રહ્યાં છે
નૅશનલ કમિશન ફૉર સફાઈ કર્મચારીઝના તાજેતરના અહેવાલ મુજબ, ભારતમાં પહેલી જાન્યુઆરીથી દર પાંચ દિવસે એક સફાઈ કામદારનું ગટરમાં કામ દરમિયાન મોત નીપજ્યું છે. તેમાંથી છ મોત તો ગયા એક જ અઠવાડિયા દરમિયાન દિલ્હીમાં નોંધાયાં છે. મોતનો આંકડો ઘણો વધારે હોવાની શક્યતા, સરકારે કાનૂની રાહે નીમેલાં કમિશને વ્યક્ત કરી છે. ગયાં પચીસ વર્ષ દરમિયાન તામિલાનાડુમાં 194, ગુજરાતમાં 122, કર્ણાટકમાં 68 અને ઉત્તર પ્રદેશમાં 51 સફાઈ કામદારોનાં ફરજ દરમિયાન મોત થયા હોવાનું કમિશને નોંધ્યું છે.
દલિત વર્ગના સફાઈ કામદારો આ રીતે મોતને ભેટે છે, તો દેશના આદિવાસીઓ એ બિનઆદિવાસી લોકો કરતાં ત્રણ વર્ષ ઓછું જીવે છે. આ માહિતી કેન્દ્રનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તેમ જ આદિવાસી વિકાસ મંત્રાલયના તાજેતરના અહેવાલોમાંથી મળે છે. નિષ્ણાતોની સમિતિએ આપેલા અહેવાલમાં દેશના આદિવાસીઓનાં આરોગ્યની હાલત અંગે આ મુજબનાં નિરીક્ષણો છે: ઊંચું કુપોષણ,નીચું રસીકરણ, જન્મ વખતે ખૂબ ઓછાં વજનવાળાં બાળકોની મોટી સંખ્યા, મેલેરિયા, ટ્યુબરક્યુલોસિસ અને રક્તપિત્તનું ઊંચું પ્રમાણ. અન્ન, વસ્ત્ર, રહેઠાણ, સ્વાસ્થ્ય સેવાઓ, શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતોને અભાવે આદિવાસીઓ અને દલિત નાગરિકોની જે દુર્દશા થાય છે તેના દર્દનાક કિસ્સા માધ્યમોમાંથી સતત મળતા રહે છે.
આ દુર્દશાનું એક મોટું કારણ એટલે દેશનાં અર્થતંત્રમાં તેમના માટે પૂરતાં નાણાં ફાળવવામાં આવતાં નથી, અથવા તો એ નાણાં યોગ્ય રીતે વપરાતાં નથી. ખરેખર તો ભારત સરકારે દલિત અને આદિવાસી સમૂહો અન્ય વર્ગોની હરોળમાં આવી શકે તે માટે એક ખૂબ મહત્ત્વનું પગલું લીધું છે. તેણે આ વર્ગો માટે નાણાં ફાળવણી અને વિવિધ કલ્યાણ કાર્યક્રમો માટે બે યોજનાઓ બનાવી છે. એક, 1975-76માં આદિજાતિ વિકાસ પેટા યોજના (ટ્રાઇબલ સબ પ્લાન); અને બે,1979-80માં અનુસૂચિત જાતિ પેટા યોજના (શેડ્યુલ્ડ કાસ્ટસ સબ પ્લાન જે પહેલાં અનુસૂચિત જાતિ માટેની ખાસ અંગભૂત યોજના અથવા શેડ્યુલ્ડ કાસ્ટ સ્પેશ્યલ કમ્પોનન્ટ પ્લાન તરીકે ઓળખાતી હતી). આ બંનેને ટૂંકમાં ટી.એસ.પી. અને એસ.સી.એસ.પી. કહેવામાં આવે છે. આ યોજનાઓ હેઠળ ફાળવવામાં આવેલાં નાણાં સરકારનાં વિવિધ ખાતાંઓ પૂરતાં પ્રમાણમાં ઉપયોગમાં લેતા નથી હોતાં, અથવા તો મૂળ હેતુ સિવાયના કામોમાં વાપરે છે. આમ ન થાય તે માટે સંગઠનોએ કરેલી રજૂઆતો ધ્યાને ધરવામાં આવતી નથી. જેમ કે, ગયાં વર્ષે ઑક્ટોબરમાં જ્યારે મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોની દેવામાફી માટે આદિવાસીઓ અને દલિતો માટેનાં નાણાંનો ઉપયોગ કરવાની જાહેરાત કરી, ત્યારે અનેક સંગઠનોએ કરેલા વિરોધને નજરઅંદાજ કરવામાં આવ્યો. ગેરવપરાશનું પ્રમાણ એટલું બધું વધી ગયું કે સરકારો માટે યોગ્ય નાણાવપરાશ કરવાનું કાનૂની રાહે બંધનકર્તા બને તે માટે કાયદો ઘડવામાં આવે એવી માગણી ઊઠી. તેને પરિણામે આન્ધ્ર પ્રદેશ, કર્ણાટક અને તેલંગણામાં નાણાંના યોગ્ય ઉપયોગ અંગેનો કાયદો અસ્તિત્વમાં આવ્યો. તેને શેડ્યુલ્ડ કાસ્ટ્સ સબ-પ્લાન ઍન્ડ ટ્રાઇબલ સબ-પ્લાન (પ્લાનિન્ગ, અલૉકેશન ઍન્ડ યુટિલાઇઝેશન ઑફ ફાઇનાન્શિયલ રિસોર્સેસ) ઍક્ટ એટલે કે અનુસૂચિત જાતિ પેટા-યોજના અને આદિજાતિ પેટા-યોજના (નાણાંકીય સાધનોનાં આયોજન, ફાળવણી અને ઉપયોગ) કાયદા તરીકે ઓળખવામાં આવે છે.
ગુજરાતમાં વિરોધ પક્ષોએ આ કાયદો બનાવવા માટેનું વિધેયક ચૌદમી વિધાનસભાના બજેટ સત્રમાં એટલે કે માર્ચ 2017માં દાખલ કર્યું છે. તે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાની બેઠક પરથી ચૂંટાયેલા કૉન્ગ્રેસના ધારાસભ્ય નૌશાદજી સોલંકીએ રજૂ કરેલું ખાનગી વિધેયક છે. તેના ટેકામાં શાસક પક્ષોના દલિત અને આદિવાસી ધારાસભ્યો જોડાય તેવાં પ્રયત્નો સંગઠનો કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે પછાત દલિત અને આદિવાસી વર્ગો માટેની ખાસ યોજનાઓ માટેના નાણાં રાજ્ય સરકાર અન્ય જગ્યાએ વાપરી રહી છે. કાઉન્સિલ ફૉર સોશ્યલ જસ્ટીસના નેજા હેઠળ વંચિતો માટે વર્ષોથી લડતાં રહેલાં વાલજીભાઈ પટેલ નાણાંના ડાઇવર્ઝનના વિરોધમાં જુલાઈ 2014થી સરકાર સામે પુરાવા સાથે રજૂઆત કરતાં રહ્યા છે. તેમણે મોટા ભાગની વિગતો માહિતી અધિકારનો ઉપયોગ કરીને મેળવી છે. તેમણે અનુસૂચિત જાતિ/જનજાતિના નાણાંમાંથી ફન્ડ ડાઇવર્ઝનના આપેલાં કેટલાક દાખલા આ મુજબ છે. ડીસા જી.આઇ.ડી.સી. માટે 77.37 લાખ રૂપિયાના ખર્ચે રોડ, નવ અંગ્રેજી પુસ્તકોની એક-એક હજાર નકલોનું પ્રકાશન 5,46,620 રૂપિયા, 1 જાન્યુઆરી 2015 થી 13 સપ્ટેમ્બર 2015 દરમિયાન કેટલાક સરકારી કર્મચારીઓનો નવ્વાણું લાખ રૂપિયા જેટલો પગાર, ‘રોજગાર સમાચાર’ અઠવાડિક અને ‘ગુજરાત’ પખવાડિકના કેટલાંક વર્ષોથી પ્રકાશનનો પોણા ચાર કરોડ રૂપિયા જેટલો ખર્ચ.
સરકારે પ્રચાર-પ્રસિદ્ધિ માટે પણ દલિત-આદિવાસી સમૂહ માટેનાં નાણાંમાંથી કેવી રીતે પૈસા વેર્યા છે તેની વિગતો પણ વાલજીભાઈ આપે છે. સરકારે એપ્રિલ 2017માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતમાં જાહેરાત અને સ્વાગત ખર્ચ સવા કરોડ વેડફ્યા હતા. ઇકોતેરમા સ્વાતંત્ર્ય પર્વની જાહેરાત 1 કરોડ 56 લાખ પચાસ હજારમાં પડી હતી. વર્ષ 2014ના આરંભે સ્ટૅચ્યૂ ઑફ યુનિટી માટે લોખંડ ભેગું કરવાના અભિયાન માટેની ટેલિવિઝન જાહેરખબરો માટે રૂપિયા 1 કરોડ 46 લાખ વપરાયા. પાંચ કરોડના ખર્ચે ‘લોકશાહીના ધબકારા’, ‘ગતિશીલ ગુજરાત’, ‘સૌનો સાથ સૌનો વિકાસ’ અને ‘સરકારની સિદ્ધિઓ’ જેવી જાહેરખબરો ટેલિવિઝન પર આપવા માટે સરકારે પાંચ કરોડ ખર્ચ્યા. ગ્રામ સડક યોજના, દિવ્યાંગોના જીવનમાં ઉજાસ, યુવા વર્ગની પડખે સરકાર, મેગા જૉબ ફેર જેવી જાહેરખબરો ઉપરાંત જે અનેક જાહેર ખબરો માટે દલિત-આદિવાસીઓના વિકાસ માટેનાં નાણા સરકારે ખર્ચ્યા તેની વિગતો કાઉન્સિલ ફૉર સોશ્યલ જસ્ટીસ આપે છે.
એક બાજુ દલિત-આદિવાસીઓ માટેનાં નાણાંનો અન્ય ઉપયોગ થાય છે, તો બીજી બાજુ વસ્તીના પ્રમાણમાં તેમના માટે ઓછા નાણાં ફાળવવામાં આવે છે. આ અંગે કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ (કૅગ) ગુજરાત સરકારનો કાન પકડી ચૂક્યું છે તે ક્રિસ્ટોફ જેફ્રેલૉટ ગુજરાતમાં દલિત અત્યાચારો આંગેના એક લેખમાં યાદ કરાવે છે. અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહે ‘સચ્ચાઈ ગુજરાતકી’ નામના મહત્ત્વના લેખસંગ્રહમાં પણ દલિત-આદિવાસી વર્ગો માટેની નાણાં-ફાળવણીમાંનાં છીંડાં બતાવ્યાં છે. આર્થિક બાબતોના વિશ્લેષક સુરજીત ભલ્લા નૅશનલ સૅમ્પલ સર્વેના અહેવાલોના આધારે દલિત અને આદિવાસીઓની બાબતમાં ગુજરાતનો દેખાવ સાવ સાધારણ રહ્યો છે એમ તારણ આપ્યું છે. વીતેલાં થોડાંક વર્ષોનાં અંદાજ પત્રમાં આદિવાસીઓ અને દલિતો માટેના સબ-પ્લાનની છણાવટ કરીને કર્મશીલ અભ્યાસી માર્ટીન મૅકવાન નોંધે છે : ‘સમાજે દલિત અને આદિવાસીઓને આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ન્યાયની બાબતમાં સ્પષ્ટપણે છેટા રાખ્યા છે. તેમ છતાં સરકાર આ વર્ગો તરફ ધરાર બેદરકાર રહી છે.’ આ વખતનું વિધાનસભાનું સત્ર ધારાસભ્યોએ જંગી પગારવધારા થકી ચલાવેલી લોકોની લૂંટથી પૂરું થયું. તેમાં તમામ પક્ષોના ધારાસભ્યોની સંમતિ હતી. આવી સર્વસંમતિ દલિતો અને આદિવાસીઓ માટેની યોજનાઓના નાણાના યોગ્ય ઉપયોગ માટે કાનૂન બનાવવામાં થાય એવી આશા અસ્થાને ગણાય ખરી ?
******
20 સપ્ટેમ્બર 2018
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 21 સપ્ટેમ્બર 2018