'કોઈ તો સૂદ ચૂકાયે
કોઈ તો જીમ્મા લે,
ઉસ ઈન્કિલાબ કા
જો આજ તક ઉધાર હૈ.
— કૈફી આઝમી
વર્ષા અડાલજા લિખિત પ્રલંબ મહાગાથા ૧ સપ્ટેમ્બર ૧૯૨૩ થી (સ્વતંત્ર ભારતના પ્રથમ પારડી અન્ન ખેડ સત્યાગ્રહના ૩૦ વર્ષ પહેલાં) એક ઐતહાસિક સમયખંડનાં પડ ઉકેલવાનું શરૂ કરે છે, જે આઝાદી આંદોલનના સશસ્ત્ર ક્રાંતિકારી માનસથી લઈ ગાંધીમૂલ્યોમાં પરિવર્તિત એક બ્રાહ્મણ પરિવારની સ્ત્રી કેન્દ્રિત કથાઓને ઉજાગર કરે છે. તે સમયનો રૂઢિચુસ્ત સમાજ, યુવાન માનસની ઘટમાં ઘોડા થનગને, અદીઠી ભોંય પર યૌવન માંડે આંખની (મેઘાણી પરિકલ્પના) માનસિકતા, લખતર, નવસારી વાયા કલકત્તા, મુંબઈ, અમદાવાદ, અમેરિકા ને લખતરનું વર્તુળ પૂરું કરી એ પલટાતાં યુગકર્મ ને ક્રમની ઝાંખી કરાવે છે.
આ નવલકથા વાંચવાં દરમ્યાન વાચક, ભાવક, કર્મશીલ તરીકે મેં તો મારી જાતનું પ્રતિબિંબ નાનાવિધ રૂપે એમાં જોયું છે, એટલે એ વધારે પોતીકી વાત લાગી છે. આ કથામાં અનેક પાત્રો છે અને સમાંતર પારિવારિક ઘટનાઓ ગૂંથાયેલી છે. છતાં ક્યાંક ને ક્યાંક એનું ઘટ્ટ પોત એક પરિવારની ફરતે મજબૂત રીતે વણાયેલું છે. ગોરબાપા ને જયાબાનો વિષ્ણુ-લક્ષ્મી-કુમુદ-ઉષા સાથે ત્રણ પેઢીમાં વિસ્તરેલો પરિવાર, સમુબા ને વાસંતીનું એ પરિવાર સાથેનું સાયુજ્ય, વેવાઈ ભવાનીપ્રસાદ – ફૂલકુંવર, દરબારગઢના બાપુનો પરિવાર, રણછોડ – ગોદાવરી પરિવાર, કલકત્તામાં ક્રાન્તિકારીઓના અલપઝલપ સંબધ ને કુટુંબ ભાવના પર હાવી રાષ્ટ્રભાવ, મહમ્મદ – રામચન્દ્ર ને વિષ્ણુના ઠાકુરમા, શાન્તાબહેન, પ્રીતિલતા, નરેન જેવાં સહ્યદયો સાથેના ભાવનાત્મક સંબંધો, પરાશર – કુમુદનું લગ્નજીવન ને ક્રાંતિકારી સામાજિક વલણ ઉષાની સમાજસેવી એકત્વની આરાધના, વાસંતી – વિષ્ણુની અધૂરી પ્રેમકથાઓને આવરી લઈ એવો કથા પ્રવાહ વર્ષાબહેન વહેતો કરે છે, કે મેં પુસ્તક હાથમાં લઈને એકી બેઠકે સતત વાંચન દ્વારા પૂરું ન કર્યું ત્યાં સુધી મને ચેન ન પડ્યું.
એ કાળખંડ એવો જ હતો કે બ્રિટિશરાજના પાયા હચમચાવી દેવા હોય તો સશસ્ત્ર ક્રાન્તિ જ ચાલે એવી વિચારલહેર હતી. ત્યારે ગાંધીજીએ સમાંતર અસહકાર ને અહિંસા દ્વારા માનસ પરિવર્તનનો મંત્ર ફૂંક્યો ને ચૌરીચોરાથી દાંડી – ધરાસણા આંદોલનનું વાતાવરણ ગૂંથી લઈ કરેંગે યા મરેંગેની હાકલ કરી ને પૂરો દેશ એક થયો. આઝાદી મળી. એક તરફ આ ગતિવિધિ ને બીજી તરફ સામાજિક રૂઢિચુસ્તતાના કાંગરા ખરવાની પ્રક્રિયાનું ગુંફન સહજ – સરળ રસાળ ને રોચક આકૃતિનું સર્જન કરે છે. કારાગારના અત્યાચાર જો વખોડવા જેવા હતા તો જ્ઞાતિ ને સમાજના રીતરિવાજોની જડબેસલાક શૃંખલા પણ તોડી નાખવી મુક્તિ માટે જરૂરી જ હતી ને મારા મતે તો તે હજી પણ છે જ. બાળલગ્ન, પણતર-જણતર-ચણતર વચ્ચે રહેંસાતી જિંદગીઓ, વિધવાજીવન, પુન:લગ્ન, શહેરીકરણ પ્રભાવ ને ફાયદા – ગેરફાયદા, મુંબઈના માળા ને લખતરનાં ફળિયાં, કલકત્તાની ગીચ મજૂર બસ્તી ને વિકટતાઓ વચ્ચે નિકટતાઓને દ્રશ્યાંકિત કરી વર્ષાબહેને એક યુગદર્શન કરાવ્યું છે.
હૃદયપરિવર્તન એ ધીમી પ્રક્રિયા હોય તો પણ આવકાર્ય છે, એ વાત અહીં સારી રીતે ઉજાગર થઈ છે. એક જ પરિવારના ચાર પેઢીના પ્રવર્તનમાં જે માનસિક બદલાવ છે, તે છેવટે તો દેશદુનિયાના પ્રવર્તનને જ ઝીલે છે. હજારો જિંદગીનાં બલિદાન પછીની મુક્તિ હજી પણ સ્વરાજની સાચી વિભાવનામાં હાથવેંત નથી તેની હતાશા વચ્ચે અગનપંખીની જીવવાની પિપાસાની આબેહૂબ ઝલક આપવામાં લેખિકા સફળ થયાં છે. શાસકોની માનસિકતા, પોલીસરાજ ,સમાજ- સંપ્રદાય ને ધર્મની સકારાત્મકતા સાથે સમાંતર વિરોધી નાગચૂડમાંથી મુક્તિની તો આજે પણ એટલી જ જરૂર છે તે પણ ખાસ કરીને બહોળા સ્ત્રી સમુદાયને : આ સંદેશો મેં તો ઝીલ્યો. સ્ત્રીમુક્તિ કોનાથી? એ પ્રશ્ન વારંવાર પૂછાતો નથી છતાં એ દ્વંદ્વ બોડી બામણીની લાચારીમાંથી (આ રૂઢિપ્રયોગનો મને સખત વાંધો છે, અહીં મેં એ પ્રયોગ સમાજની માનસિકતા બતાવવા જ કર્યો છે.) શહીદી ને શક્તિસામર્થ્ય સુધી ઉજાગર થઈ, અંતે સ્ત્રી સંઘર્ષની સફળ ગાથા તો બને જ છે સાથે પલટાતા યુગના સામાજિક, રાજકીય કાવાદાવાની સ્ત્રીસમુદાય પરની અસરને પણ બહાર લાવે છે. પૂરી દુનિયા એક સાથે ચારપાંચ સદીમાં જીવે છે જે પરંપરાગત ને આધુનિક તો છે, ક્યાંક સમય ને જિંદગી સ્થગિત છે, ક્યાંક પ્રવાહિત છે તો પણ સ્ત્રીઓ માટે તો એક પગલું આગળ કે બે પાછળ, અલકચલાણી પેલે ઘેર ધાણી, સાત છોકરાંની મા રાખનું વડું ખા, જૈસૈ થેની સાથે આશાન્વિત પણ છે જ. વર્ષાબહેને આ નવલકથામાં 'જય અંબે' કેટલીવાર લખ્યું તે વિચાર મને સતત આવ્યો છે. હું એને માટે એમ સમજી છું કે સ્ત્રીઓનું જે ઘડતર છે તેમાં કદાચ આસ્થા એટલી In built છે કે એને જાણે અત્યારે Criticise કરવાની જરૂર નથી! 'યથા પિંડે તથા બ્રહ્માંડે' તેમ જે 'બ્રહ્માંડમાં છે તે જ પિંડમાં છે ' એ વાત પણ અહીં અવારનવાર કહેવાતી રહી છે.
સરસ્વતીચન્દ્ર પછી ગ્રામલક્ષ્મી, ઝેર તો પીધા જાણી જાણી, શ્વેત રાત્રિ શ્યામ સિતારા, બત્રીસ પૂતળીની વેદના, સાત પગલા આકાશમાં, અપરિચિતા જેવી અનેક નવલકથાઓથી હું પ્રભાવિત થઈ છું. તો પણ મારે કહેવું જોઈએ કે 'ક્રોસ રોડ' મને સાંપ્રત સમયમાં અસરકારક લાગે છે. પાંચસો ને સાઠ પાનાંમાં વિસ્તરેલી આ કથા હજી ઘણી વાત કરવાની બાકી રાખે છે એવી છાપ પણ પડે. રોજબરોજની જિંદગી કાંઈ વર્ણવવાની ન હોય છતાં રોજિંદી જિંદગી જ ઝીણી ઝીણી વાતને વણીને એક કથાનું સર્જન કરે છે. પુનરાવર્તનના જોખમ સાથે લખું છું કે મને તો મારા કાર્યક્ષેત્ર ને રસક્ષેત્રનાં કારણે સતત લાગ્યું કે આ કથાના પાત્રોમાં હું જ ક્યાંક છું. આવો અનુભવ કે અનુભૂતિ વાચક કરે એટલે સર્જક તો સફળ જ.