ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓની નિવૃત્તિ-વયમર્યાદા વધારવા અંગે એક બિલ તા. ૧૮ જુલાઈ, ૨૦૧૮થી તા. ૧૦ ઑગસ્ટ, ૨૦૧૮ સુધી ચાલનારા પાર્લમેન્ટના ચોમાસુ સત્ર સમક્ષ લાવવા માગે છે. આ બિલની જોગવાઈઓ મુજબ સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોની જે નિવૃત્તિ-વયમર્યાદા હાલમાં પાસઠ વરસની છે, તે વધારીને સડસઠ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ-વયમર્યાદા બાસઠ વરસની છે, તે ચોંસઠ વરસ કરવા માગે છે. આ પ્રકારની જોગવાઈઓ કરવા માટે બંધારણના આર્ટિકલ ૧૨૪ અને આર્ટિકલ ૨૧૭માં સુધારો કરવો પડે તેમ છે. આ બંધારણના આર્ટિકલ ૧૨૪થી સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિની નિવૃત્તિ-વયમર્યાદા પાંસઠ વરસની છે. અને બંધારણના આર્ટિકલ ૨૧૭થી હાઈકોર્ટના ન્યાયમૂર્તિની નિવૃત્તિ-વયમર્યાદા બાંસઠ વરસની છે. ફલસ્વરૂપે આ એક બંધારણીય સુધારો છે જે બંધારણમાં બંધારણ-સુધારા અંગેની આર્ટિકલ ૩૬૮ની જોગવાઈને આધીન છે.
આર્ટિકલ ૩૬૮ની જોગવાઈ મુજબ આ બંધારણીય સુધારાની જોગવાઈ કરતું વિધેયક લોકસભા અને રાજ્યસભામાં હાજર અને મતદાન કરતા ૨/૩ સભાસદોના મતથી પસાર થાય, ત્યાર પછી આ વિધેયકની મંજૂરી માટે આગળની કાર્યવાહી હાથ પર લઈ શકાય. આર્ટિકલ ૧૨૪ અને ૨૧૭માં ન્યાયમૂર્તિઓના નિવૃતિ-વયમર્યાદાની જે જોગવાઈઓ છે, તે અંગેનો બંધારણીય સુધારો ભારતનાં કુલ્લે રાજ્યોમાં કમસે કમ પચાસ ટકા જેટલી વિધાનસભાઓ ઠરાવો પસાર કરી મંજૂર કરે ત્યાર પછી દેશના રાષ્ટ્રપ્રમુખની સંમતિ માટે મૂકી શકાય અને રાષ્ટ્રપ્રમુખની મંજૂરી મળે એટલે બંધારણીય સુધારો અમલમાં મૂકી શકાય અને સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ-વયમર્યાદા સડસઠ અને ચોસઠની થઈ શકે.
તબીબી વિજ્ઞાને ભારે પ્રગતિ કરી છે અને તેના કારણે માનવીના આયુષ્યમાં વધારો થયો છે. ભારતને આઝાદી મળી, ત્યારે સરેરાશ આયુષ્ય ૩૩ વર્ષનું હતું, જે સને ૨૦૧૮માં વધીને ૬૦ વર્ષનું થયું છે. બાસઠ વરસે નિવૃત્ત થતાં અનેક ન્યાયમૂર્તિઓ લાંબું આયુષ્ય ભોગવે છે અને નિવૃત્તિ પછી સરકારી કમિશનોમાં કે લવાદી કેસોમાં લવાદ તરીકે કામ કરે છે. નિવૃત્ત ન્યાયમૂર્તિની નોકરીની લંબાઈ ગણવામાં ન્યાયમૂર્તિ તરીકે જેટલાં વરસો સેવાઓ આપી હોય, તે ઉપરાંત વકીલાતમાં ગાળેલાં દસ વરસોનો પણ ઉમેરો થાય છે અને તેને કારણે નિવૃત્ત ન્યાયમૂર્તિઓ લગભગ નિવૃત્તિ જેટલો પગાર પેન્શન તરીકે મેળવતા હોય છે. ગુજરાતની વડી અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ બી.જે. દીવાન ૯૨ વરસો સુધી જીવ્યા અને ૧૯૮૧માં નિવૃત્ત થયા પછી લગભગ ૩૨ વરસ નેવું ટકા પગાર પેન્શનના રૂપે મેળવ્યો. ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ ત્ર્યંબકલાલ મહેતા હિમાલય હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે સને ૧૯૭૯માં નિવૃત્ત થયા અને આજે એકસો વરસ પૂરાં કરીને અમેરિકામાં નિવૃત્ત જીવન જીવે છે અને તેમને ન્યાયમૂર્તિ તરીકે જે પગાર મળતો હતો, તેનાથી વધારે પેન્શન તેમની નિવૃત્તિ પછીનાં પગાર-કમિશનોના અહેવાલ મુજબ મેળવે છે. સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ પી.એન. ભગવતી સને ૧૯૮૬માં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિવૃત્ત થયા અને ૨૦૧૭માં અવસાન પામ્યા ત્યાં સુધી ૩૧ વરસો સુધી પગાર કરતાં વધારે પેન્શન મેળવતા રહ્યા. આ પ્રકારનાં અનેક દૃષ્ટાંતો આપી શકાય તેમ છે.
આઝાદી પહેલાં કે પછી આયુષ્યમાં વધારો થતો ગયો તેમ તેમ નિવૃત્તિ – વયમર્યાદા સરકારી નોકરિયાતો તેમ જ ન્યાયમૂર્તિઓની પણ વધતી ગઈ છે. ભારતનું બંધારણ તા. ૨૬-૧-૧૯૫૦થી અમલમાં આવ્યું ત્યારે હાઈકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ-વયમર્યાદા સાઠ વરસની હતી. તે સને ૧૯૬૩ના ઑક્ટોબર માસથી વધારીને બાસઠની કરવામાં આવેલ છે. અંગ્રેજ રાજ્યના જમાનામાં ભારતમાં સરેરાશ આયુષ્ય ઓછું હોવાને કારણે સરકારી નોકરોની વયમર્યાદા બાવન વર્ષની હતી, જે પછીથી વધીને ત્રેપન-પંચાવન વરસની થયેલી, જે આજે અઠાવન વરસની થઈ છે. ન્યાયતંત્ર માટે અલગ નિયમ છે, એ મુજબ ન્યાયાધીશોની નિવૃત્તિ – વયમર્યાદા સાઠ વરસની છે.
આયુષ્ય લાંબું થતું જાય છે અને નિવૃત્તિ-વયમર્યાદા સમયે પણ નિવૃત્ત થતી વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત હોય છે. નિવૃત્ત થતી વ્યક્તિ પાસે અનુભવોનું ભાથું પણ હોય છે. અલબત્ત-નિવૃત્તિ વયમર્યાદા સરેરાશ આયુષ્યની લંબાઈ વધતી જાય તેની સાથે વધારવામાં કંઈ હરકત હોવી ન જોઈએ.
સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓના નિવૃતિ-વયમર્યાદામાં વધારો થાય તેમાં કોઈ વાંધો હોઈ શકે નહીં. આ નિવૃત્તિ-વયમર્યાદાની વધારવાની દરખાસ્ત વરસોથી ચાલી આવી છે. મનમોહનસિંહના નેતૃત્વ હેઠળની કૉંગ્રેસ સરકાર પણ નિવૃત્તિ-વયમર્યાદામાં વધારો સૂચવવાની તરફેણમાં હતી. આ નિવૃત્તિ-વયમર્યાદામાં વધારો કરવાનું વિધેયક ચોમાસુ સત્ર સમક્ષ એકાએક લાવવામાં આવેલ છે, જેની સામે વિરોધપક્ષોએ શાસકપક્ષે કોઈ પણ જાતની વિરોધપક્ષો સાથે ચર્ચા કર્યા વગર આ પ્રકારનું બંધારણીય સુધારા અંગેનું વિધાયક લાવવા અંગે અવાજ ઉઠાવેલ છે, જેનો ઉકેલ ચોમાસુ સત્રને બદલે આવતા શિયાળુ સત્ર સમક્ષ આ વિધેયક મૂકીને લાવી શકાય છે. આ વિધેયક બંધારણીય સુધારો હોવાને કારણે સાદી બહુમતીથી પસાર કરી શકાય તેમ નથી, કારણ કે, બંધારણના આર્ટિકલ ૩૬૮ની જોગવાઈ મુજબ આ સુધારા અંગે બંને ગૃહોમાં ૨/૩ મતોની બહુમતીથી પસાર કરવાનો રહે છે. કેન્દ્રની મોદી સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત સમયે જે મતો મળેલ છે, તેમાં શિવસેના અને બીજુ જનતાદળનું સમર્થન મળે તો પણ બંને ગૃહોમાં ૨/૩ બહુમતી થઈ શકે તેમ નથી. આ સંજોગોમાં પણ કેન્દ્ર સરકાર આ વિધાયક શિયાળુ સત્રમાં લાવે, તો વધારે યોગ્ય ગણાશે.
સુપ્રિમ કોર્ટ, અને હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓની નિવૃત્તિ-વયમર્યાદા, વધારવાની દરખાસ્ત સાથે ન્યાયતંત્ર અંગે કેટલાક પારદર્શક ગણી શકાય, તેવા સુધારાઓ જરૂરી છે, જેના અંગે નીચે મુજબ સૂચનો વિચારી શકાય :
૧. સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ વચ્ચે નિવૃત્તિ-વયમર્યાદા અલગ રાખવા અંગે કોઈ ન્યાયી કારણ નથી. બંનેની નિવૃત્તિ-વયમર્યાદા એકસરખી હોવી જોઈએ. જે રીતે આયુષ્યની લંબાઈમાં વધારો થઈ રહ્યો છે, તે રીતે સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટ ન્યાયમૂર્તિઓની નિવૃત્તિ વયમર્યાદા ૬૭ને બદલે ૬૮ની કરવી જોઈએ. અમેરિકા અને ઇંગ્લૅન્ડમાં સર્વોચ્ચ અદાલતોના ન્યાયમૂર્તિની કોઈ નિવૃત્તિ-વયમર્યાદા નથી, તેઓ શારીરિક અને માનસિક સશક્ત હોય, તો તેઓ ઇચ્છે ત્યાં સુધી કાર્યરત રહી શકે છે. ઇંગ્લૅન્ડમાં લૉર્ડ ડેનિંગ સશક્ત હતા, ત્યાં સુધી કાર્યરત રહેલા અને જૈફ ઉંમરે કાનમાં સાંભળવાની તકલીફ લાગતા સ્વેચ્છાએ નિવૃત્ત થયેલા.
૨. નિવૃત્તિ પહેલાંનાં એક-બે વરસોમાં કેટલાક ન્યાયમૂર્તિઓ સરકારની અથવા મોટા ઉદ્યોગની તરફેણમાં ચુકાદાઓ આપે અને બદલામાં નિવૃત્તિ પછી સરકારી કે અર્ધસરકારી પંચોમાં કમિશનોમાં કે કોઈ પણ સરકારી હોદ્દા પર નિયુક્ત થઈ શકે નહીં કે લવાદ તરીકે કાર્યરત રહી શકે નહીં કે કોઈ પણ મોટા ઉદ્યોગ વતી કોઈ પણ પ્રકારનો નાણાકીય ફાયદાવાળો કે પ્રતિષ્ઠા ધરાવતો હોદ્દો ધારણ કરી શકે નહીં તે પ્રકારનો બંધારણમાં સુધારો કરીને પ્રતિબંધ મુકાવો જોઈએ.
૩. નિવૃત્તિની વયમર્યાદાની સાથોસાથ ન્યાયમૂર્તિઓની ભરતીની પ્રથા અનેક પ્રકારના ધરમૂળથી ફેરફારો માગે છે, હાઈકોર્ટ ન્યાયમૂર્તિઓની પસંદગી મુખ્યત્વે જે-તે હાઈકોર્ટમાં વકીલાત કરતા વકીલો અને હાઈકોર્ટ હેઠળના જિલ્લા ન્યાયાધીશોમાંથી થતી હોય છે અને હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓમાંથી અથવા સુપ્રિમ કોર્ટમાં વકીલાત કરતાં વકીલોમાંથી સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશની પસંદગી થતી હોય છે. આ ફલકને વિશાળ કરીને અખિલ ભારતીય ધોરણે મૂકવાની તાતી જરૂર છે.
E-mail :kgv169@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2018; પૃ. 07-08