નોટબંધી પાછળના કોઈ પણ પ્રકારનો ‘દેશહિત’નો હેતુ નજર ન આવતાં આપણને સ્વાભાવિક જ શંકા પડે કે આ રાજકારણીઓના અંગત તેમ જ પક્ષીય ફાયદા માટે લેવાયેલું ઘાતક પગલું હશે, જેમાં આશરે ૧૫૦ માણસોએ જાન ગુમાવ્યા! શંકાની સોય સીધી તકાઈ રહી છે અમિત શાહ સામે.
ગુજરાત પોલીસે એક કેસ સબબ ગુજરાતના જ ખોવાઈ ગયેલા ગૃહમંત્રીશ્રીને ખોળી રહી હતી! એ સ્વનામધન્ય અમીત શાહનો અરણ્યકાંડ હતો; પરંતુ પછી રાષ્ટ્રીય ફલક પર ગયા, પણ એમનાં પરાક્રમકાંડોની હારમાળા અટકી નથી. વાયરે જય શાહ કૌભાંડનો પર્દાફાશ કર્યો તેમાં ભા.જ.પ.ના હાથ ‘વાયર’ સામયિક સામે હેઠા પડ્યા છે. જસ્ટિસ લોયા કેસમાં પણ ભીનું સંકેલાયાની વાત મોટા ન્યાયવિદો પણ કરી રહ્યા છે. ધારાસભ્યોના ખરીદ-વેચાણમાં પણ એમનું નામ ચમકતું રહે છે, ત્યારે આ ‘રાષ્ટ્રવાદી’ અમિત શાહને ઉઘાડા પાડતો એક નવો દાખલો હમણાં માહિતી-અધિકાર નિમિત્તે પ્રાપ્ત થયો.
સહકારી બૅંકમાં જમા થયેલી પ્રતિબંધિત નોટોને લઈને એક આર.ટી.આઈ. કાર્યકર્તા મનોરંજન રૉયે નાબાર્ડમાં માહિતી માટે એક અરજી કરી હતી. નાબાર્ડ સહકારી બૅંકોની અપીલ માટેનું સર્વોચ્ચ સ્થાન છે. એમને જે માહિતી મળી, તે અત્યંત વિસ્ફોટક માહિતી હતી. જો કે માહિતી બહાર ન આવી હોત, તો રાજનેતાનાં કાળા નાણાંનાં કાળાં કારનામાં ફાઇલોના ઢગલા નીચે દટાઈ જાત!
જે માહિતી એ હતી કે ૮મી નવેમ્બર, ૨૦૧૬ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નોટબંધીની ઐતિહાસિક ઘોષણા પછી રદ્દ કરાયેલી ૫૦૦, ૧૦૦૦ની સૌથી વધુ નોટો ગુજરાતની એક સહકારી બૅંકમાં જમા થઈ હતી! વડાપ્રધાનની ઘોષણા પછીના માત્ર પાંચ જ દિવસોમાં, ૧૪મી નવેમ્બર સુધીમાં અમદાવાદ જિલ્લા સહકારી બૅંક(એ.ડી.સી.બી.)માં ૭૫૦ કરોડ રૂપિયા જમા થયા હતા! આ રકમ રાષ્ટ્રની કોઈ પણ સરકારી બૅંકમાં જમા થયેલી રકમમાં સર્વાધિક છે. એનાથી પણ વધુ ચોંકાવનારી હકીકત એ છે કે આ બૅંકના ડાયરેક્ટર ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ છે! બૅંકની વેબસાઇટસ્ પરથી ખ્યાલ આવે છે કે તેઓ ઘણાં જ વર્ષોથી આ બૅંકના ઉચ્ચતમ પદ પર બિરાજમાન છે. આવાં સ્થાનોનો ઉપયોગ રાજનેતાઓ કાળાં નાણાંને ધોળાં કરવામાં સહેલાઈથી કરી શકે. એ.ડી.સી. પછીના ક્રમે આવવામાં પણ ગુજરાતની જ બૅંક નીકળી! બીજા ક્રમે રાજકોટ જિલ્લા સરકારી બૅંક (આર.ડી.સી.) છે જેમાં ૭૦૦ કરોડ રૂપિયા જમા થયા છે! જેની સાથે ઉચ્ચતમ પદ પર જોડાયેલાં છે – ગુજરાત સરકારના કૅબિનેટ મંત્રી વિઠ્ઠલભાઈ રાદડિયા! આ બે અધ્યક્ષોની બૅંકમાં જમા થયેલા ૧૪૫૦ કરોડ દાળમાં કાળું નાણું છે, તે તપાસ થાય તો સાબિત થઈ શકે એમ છે. અમદાવાદ અને રાજકોટ ગુજરાતમાં ભા.જ.પ.ની રાજનીતિનાં મહત્ત્વનાં કેન્દ્રો છે.
ગુજરાતની સહુથી મોટી (ખાતાધારકોના સંદર્ભે) સહકારી બૅંક ગુજરાત સહકારી બૅંક ગુજરાત લિમિટેડમાં કેવળ ૧.૧૧ કરોડ રૂપિયા જમા થયેલા છે. ક્યાં એક, સવા કરોડ ને ક્યાં પંદરસો કરોડ? આ તુલનામાંથી એટલું તો સમજાય છે કે કંઈક ને કંઈક ગોટાળાઓ હોવાની પૂરી સંભાવના છે. કાળાં નાણાંને સફેદ કરવાનો ખેલ ‘આતંકવાદ’ને ખતમ કરવાના નામે, રાષ્ટ્રવાદના નામે પાડવામાં આવ્યો!
આખા દેશમાં જમા થયેલી કુલ ૧૫ લાખ કરોડમાંથી ૫૨ ટકા જૂની નોટો સહકારી બૅંકોમાં જમા થઈ છે! આપણે જાણીએ છીએ કે સહકારી બૅંકોનો સીધેસીધો સંબંધ રાજકારણીઓ સાથે છે. જો સઘન તપાસ કરવામાં આવે, તો આ બૅંકોમાં પ્રબંધનમાં વિશેષપણે સત્તાધારી પક્ષના લોકો સામેલ છે.
વડાપ્રધાને આ તુઘલખી નિર્ણય પછી માત્ર પચાસ દિવસો પ્રજાને આપ્યા હતા! દોઢસો આર્થિક શહીદોવાળી આ નોટબંધીને ભા.જ.પ. અને ભક્તો ‘ક્રાંતિકારી’ ગણાવી રહ્યા છે. નોટબંધીની સાથે જ દાવાઓ કરવામાં આવ્યા હતા તે પોકળ સાબિત થયા છે. કાળું નાણું તો જડ્યું જ નહીં! બાબા રામદેવ કે અણ્ણા હજારે એ મામલે મૌનયોગમાં છે, બાબા રામદેવ તો બજારયોગમાં પણ કહેવાય! કાળાં નાણાંના આ લડવૈયાઓ કેવા તકવાદી અને તકલાદી હતા, તેનો પ્રજાને હવે ખ્યાલ આવી ગયો છે. સરકારી આંકડા અનુસાર ૧૫.૪૪ લાખ કરોડ ૫૦૦, ૧૦૦૦ની નોટોમાંથી પ્રતિબંધ જાહેર કર્યા પછી ૧૫.૨૮ લાખ કરોડ જમા થયા! જેથી કાળું નાણું તો જડ્યું જ નથી. બીજી તરફ જ સ્વિસ બૅંકની યાદી લઈને અરુણ જેટલી ફરતા હતા તે યાદી ગૂમ થઈ ગઈ! સ્વિસ બૅંકે જાહેર કર્યું કે ૨૦૧૪ પછી બૅંકમાં ભારતીયોનું નાણું ૫૦ ટકા જેટલું વધ્યું! તો કોણ છે આ ભારતીયો? હવે તો પ્રજાના દરેકના ખાતામાં પંદર લાખ નહીં, ત્રીસ લાખ આવી શકે એવી જાહેરાત જાહેરાતબહાદુરો કરી શકશે. આ અંગત સ્વાર્થના ખેલમાં ભારતીય અર્થવ્યવસ્થાને ફટકો પડ્યો. પોતાના આર્થિક સર્વેમાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું કે નોટબંધીના પરિણામે ૨ ટકા જિ.ડિ.પી. ઘટ્યો!
જ્યારે આખો દેશ નોટો બદલવા લાંબી-લાંબી લાઇનોમાં ઊભો હતો ત્યારે આ કહેવાતાં રાષ્ટ્રવાદી સ્થાપિત તત્ત્વોએ પોતાનાં કાળાં નાણાં ધોળાં કરી લીધાં! આ કામ દિવસ-રાત ચાલ્યું હશે. નોટો ગણવાનું મશીન પણ પાંચ દિવસોમાં ૭૫૦ કરોડ એ.ડી.સી.માં ગણી શકે ખરું ? આ ગોરખધંધો સહકારી બૅંકોમાં વિશેષ ચાલ્યો છે, એમાં ય જ્યાં ભા.જ.પ.નું શાસન છે, એવાં રાજ્યોમાં સવિશેષ.
ચાલાકી પણ જુઓ. જેવા એ.ડી.સી./આર.ડી.સી. જ્યાં બે ભા.જ.પી. અધ્યક્ષો છે, ત્યાં પંદરસો કરોડ જમા થઈ ગયા કે તરત જ કેન્દ્ર સરકારે આ નોટો હવે સહકારી બૅંકોમાં જમા નહીં કરાવી શકાય તેવો ફતવો જાહેર કર્યો! લોકોને આશ્વાસન આપવા માટે એવું વારંવાર કહેવામાં આવ્યું કે કોના ખાતામાં કેટલા જમા થયા છે, તેની તપાસ કરવામાં આવશે, સમય આવે તેમના પર સખત કાર્યવાહી કરવામાં આવશે. તો હું હવે એ.ડી.સી./આર.ડી.સી.ના ખાતાધારક મુજબ જમા થયેલાં નાણાંની વિગતો રાષ્ટ્રવાદી સરકાર જાહેર કરશે ખરી? બે વર્ષનાં વ્હાણાં વહી ગયાં છતાં આવો કોઈ દાખલો સરકારે પૂરો પાડ્યો નથી. ચાવવાના અને બતાવવાના દાંત જુદા છે. આ તો મનોરંજક રૉયની આર.ટી.આઈ.માંથી છીંડું ખોળતાં પોળ નહીં, પોલમપોલ નીકળી છે! જો અમિત શાહ ‘સ્વચ્છ’ હોય, તો આ વિગતો જાહેર કરવી જોઈએ. કાળાં નાણાંવાળા ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે એવી વાતો કરનાર વડાપ્રધાનની બગલમાં જ તો ચમરબંધી ક્યાં ય ઊભા તો નથીને? બૅંકોમાં સી.સી.ટી.વી. કૅમેરાઓ છે. ૭૫૦ કે ૭૦૦ કરોડ કેવી રીતે, કઈ ઝડપે જમા થયા એનું નિદર્શન પણ આ બૅંકો રાખી શકે. આ માહિતી – વિસ્ફોટ પછી કોઈ પગલાં લેવાના બદલે ચોર કોટવાળને દંડે એવી ભાષામાં નાબાર્ડ બચાવમાં લાગી ગઈ છે.
“એ.ડી.સી.માં કોઈ જ ગરબડ થઈ નથી. આ બૅંકોમાં ૧,૬૦,૦૦૦ ખાતાંધારકોે છે, તેથી દરેક ખાતામાં સરેરાશ ૪૬,૦૦૦થી થોડા વધુ જમા થયા ગણાય. શું બધા જ ખાતાધારકો ૪૬,૦૦૦ જમા કરાવી શકે? શું બધાં જ ખાતાધારકો પાંચ જ દિવસમાં આવી ગયાં? કારણ કે છઠ્ઠા દિવસ પછી તો સહકારી બૅંકમાં નાણાં જમા કરાવવાના જ હતા! શું ૧,૬૦,૦૦૦ ખાતાંધારકોના પ્રત્યેક ૪૬,૦૦૦ પાંચ દિવસોમાં કારકુન/મશીન ગણી શકે? શું બધા જ ખાતાધારકો પૈસાદાર જ છે? આવા પ્રશ્નો પર પ્રશ્નો નાબાર્ડના બચાવ સામે જાગે છે. તેથી કહી શકાય કે કાળીશાહી શેહમાં નાબાર્ડ ડરે છે! એ ડરના કારણે આખા ગોટાળાને ઢાંકી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હકીકત તો એવી હોય છે કે દસ ખાતાંમાં વીસ કરોડ જમા થયા હોય છે. એ દસ ખાતાંની તપાસ થવી જોઈએ. એ.ડી.સી.ના કર્મચારીઓને માધ્યમોના માણસો મળવા જાય જાય છે, તો કાં તો એ ગભરાય છે અથવા મર્માળુ હસે છે! આ મામલાની નિષ્પક્ષ તપાસ થાય, તો આતંકવાદના નામે આર્થિક આતંકવાદીઓની યાદી પ્રજાને મળે. જો નોટબંધી ‘ક્રાંતિકારી’ પગલું હોય, તો આ મામલાની સરકારે નિષ્પક્ષ તપાસ લોકો સામે રજૂ કરવી જ જોઈએ.
મનોરંજન રૉયના દાખલા પછી પણ માહિતી-અધિકારનો લાભ લઈને બીજી અરજીઓ પણ થઈ, પરંતુ હવે એમ કહીને માહિતી આપવાનો ઇન્કાર કરવામાં આવે છે કે – “નોટબંધીથી જોડાયેલી કોઈ પણ માહિતી આપવાનો અધિકાર માહિતી-અધિકાર કાનૂન આર.ટી.આઈ. હેઠળ આવતો નથી. આ માહિતી સાર્વજનિક ન કહી શકાય. નોટબંધીના નિર્ણયો અંગે થયેલી મિટિંગોની કોઈ પણ વિગતો આપવાથી દેશનાં આર્થિક હિત પર મોટો ફટકો પડી શકે તેમ છે.” ચોરની દાઢીમાં જ તણખલું છે.
જો આ અંગે નિષ્પક્ષ તપાસ થાય, જાગૃત નાગરિકો આ અંગે અવાજ ઉઠાવે તો દેશના આર્થિક અપરાધીઓ ખુલ્લા પડશે. જો એમ નહીં થાય, તો અમિત શાહ અને વિઠ્ઠલભાઈના સફેદ ઝભ્ભા પર કાળા ડાઘાં અમીટ જ રહેશે.
આમ, સમાચારોમાં સતત ઝળકતા અમિત શાહ પુનઃ પણ એક મામલે ઝળક્યા છે. બિહારના બાલિકાગૃહની ૩૯ છોકરીઓ પર બળાત્કાર કરનાર બ્રિજેશ શર્માને જામીન મળી ગયા, પરંતુ સરકારમાં કોઈ પણ હોદ્દો નહીં ધરાવતા અમિત શાહને કાળો ઝંડો બતાવનાર વિદ્યાર્થિની નેહા યાદવને જામીન ન મળ્યા! આ…ટ…લો… દબદબો છે અમિત શાહનો.
E-mail :bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2018; પૃ. 05-06