બી.જે.પી.ના અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી પંચને લખ્યું છે કે લોકસભાની અને રાજ્યોની વિધાનસભાઓની એક સાથે ચૂંટણી યોજવામાં આવે. તેમણે એક સાથે ચૂંટણી યોજવા પાછળનાં બે કારણો આપ્યાં છે. એક તો એ એક પછી એક જે તે રાજ્યોમાં ચૂંટણીઓ યોજાતી રહેતી હોવાથી દેશ આખું વરસ ચૂંટણીના મૂડ કે મૉડ રહે છે જેને કારણે દેશનો વિકાસ ખોરંભાય છે. આ સિવાય આચારસંહિતાને કારણે પણ સરકાર કેટલાંક કામો ચૂંટણીકીય ગાળામાં કરી શકતી નથી. બીજું કારણ તેમણે એવું આપ્યું છે કે જો એક સાથે ચૂંટણી યોજવામાં આવશે તો ખર્ચ બચશે અને એ પણ એટલું જ મહત્ત્વનું છે.
બી.જે.પી.ના અધ્યક્ષે કરેલી આ માગણી કોઈ નવી નથી. ભૂતકાળમાં અનેક વખત અનેક લોકોએ આવી માગણી કરી છે. એક સમયે બી.જે.પી. સંસદીય લોકશાહીની જગ્યાએ પ્રમુખશાહીની માગણી કરતી હતી. તેને એમ લાગતું હતું કે અનેક વિવિધતાઓમાં વહેંચાયેલા અને એકબીજાની વગનો છેદ ઉડાડનારા સમાજમાં સંસદીય લોકશાહી હોય તો બી.જે.પી. ક્યારે ય બહુમતી સાથે સત્તા સુધી નહીં પહોંચી શકે. અનુભવ એવો છે કે દલિતોના હિતરક્ષક ગણાતા બહુજન સમાજ પક્ષને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ત્યાંની પ્રજાએ સ્પષ્ટ બહુમતી આપી હતી અને હિંદુઓના પક્ષ ગણાતા બી.જે.પી.ને પણ ૨૦૧૪માં મતદાતાઓએ બહુમતી આપી હતી. અનુક્રમે માયાવતી અને નરેન્દ્ર મોદીએ બહુમતી મેળવી ત્યારે તેમનો પ્રચાર પૃથકતાવાદી (એક્સક્લુઝિવ) હતો કે સર્વસમાવેશક (ઇન્ક્લુઝિવ) એના પર તેમણે પોતે, તેમના પક્ષે અને તેમના સમર્થકોએ એક નજર કરી લેવી જોઈએ. તેમને સ્પષ્ટ બહુમતી એટલા માટે મળી હતી કે તેમણે તેમનો કોર એરિયા (બહુજન સમાજ પક્ષે સવર્ણ વિરોધ અને બી.જે.પી.એ લઘુમતી વિરોધ) છોડી દીધો હતો.
હવે છેલ્લા કેટલાક સમયથી બી.જે.પી.ના નેતાઓ લોકસભાની અને વિધાનસભાઓની ચૂંટણી એકસાથે યોજવાની માગણી કરી રહ્યા છે અને તેના સમર્થનમાં આગળ કહી એવી દલીલ કરી રહ્યા છે. જે દલીલ કરવામાં નથી આવતી અને જે ઈરાદો છુપાવવામાં આવે છે એ એવો છે કે બી.જે.પી. રાષ્ટ્રવાદનો જુવાળ પેદા કરીને રાષ્ટ્રીય સ્તરે તરી જવા માંગે છે. જો વિધાનસભાઓની ચૂંટણી વચ્ચે વચ્ચે યોજાતી રહે અને તેમાં અપેક્ષિત પરિણામ ન આવે તો તે મૂડ બગાડી નાખે છે. બીજું પ્રાદેશિક મુદ્દાઓ પણ ચૂંટણીને પ્રભાવિત કરે છે જે રાષ્ટ્રવાદના નામે કરવામાં આવતા ધ્રુવીકરણનો છેદ ઉડાડે છે. બી.જે.પી.ની મૂળ ગણતરી શું છે એની આખા જગતને જાણ છે.
આમ છતાં અમિત શાહે જે બે કારણો આપ્યાં છે એ બન્ને કારણોમાં દમ છે અને તેના વિષે વિચાર કરવો ઘટે.
અત્યારે તો ચૂંટણી પંચે જણાવી દીધું છે કે આ વખતે લોકસભાની અને વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે યોજવી એ શક્ય નથી. એને માટે ૨૪ લાખ ઈ.વી.એમ. અને એટલી જ સંખ્યામાં વી.વી.પી.એ.ટી. મશીન જોઈએ જે ટૂંકા ગાળામાં મેળવવાં શક્ય નથી. બીજું, એને માટે બંધારણમાં એક ડઝન સુધારાઓ કરવા પડે એમ છે અને એ માટે વ્યાપક રાજકીય સર્વસંમતીની જરૂર પડે. પંચે એ વાતનો પણ ખુલાસો કરી દીધો છે કે લોકસભાની ચૂંટણી પણ આ વરસના ડિસેમ્બરમાં યોજવી શક્ય નથી. સરકાર લોકસભાની ચૂંટણી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમની વિધાનસભાઓની ચૂંટણી સાથે યોજાય એમ ઈચ્છતી હતી. આ ચાર રાજ્યોમાંથી પહેલાં ત્રણ રાજ્યોમાં બી.જે.પી.ની સ્થિતિ નાજુક છે. આ ત્રણ રાજ્યોનાં પરિણામ લોકસભાની ચૂંટણીને પ્રભાવિત કરી શકે એમ છે અને તેને ટાળવા લોકસભાની ચૂંટણી બી.જે.પી. અને કેન્દ્ર સરકાર વહેલી યોજવા માગતી હતી.
તો આ વખતે તો જાણે વાત ગઈ, પરંતુ અમિત શાહે જે મુદ્દાઓ ઉપસ્થિત કર્યા છે એ મહત્ત્વના છે. તેમની વાત ખરી છે કે એક પછી એક ચૂંટણી યોજાતી રહેતી હોવાથી દેશ ઇલેકશન મૉડમાંથી બહાર જ નથી આવતો અને ઉપરથી આચારસંહિતાઓના કારણે વિકાસને અસર પહોંચે છે. સવાલ એ છે કે કોણ ઇલેકશન મૉડમાં રહે છે; પ્રજા કે રાજકીય પક્ષો? શા માટે તેઓ રાજ્યોમાં થતી હાર-જીતને આટલું બધું મહત્ત્વ આપે છે? જગતના બધા જ મોટા દેશો રાજ્યોમાં વહેંચાયેલા છે અને ત્યાં પણ પોતપોતાની મુદ્દતે ચૂંટણીઓ થતી રહે છે, ત્યાં પણ રાજકીય પક્ષોની હાર-જીત થતી હોય છે, ત્યાં પણ કેન્દ્રમાં શાસન કરનારા પક્ષનો રાજ્યોમાં પરાજય થતો હોય ફરક એ છે કે ત્યાં કેન્દ્રમાં શાસન કરનારો શાસક પક્ષ રાજ્યોની ચૂંટણીને બહુ મહત્ત્વ આપતો નથી. અમેરિકન પ્રમુખ રાજ્યોમાં યોજાતી ચૂંટણીમાં પ્રચાર કરવા જતા નથી. આપણા વડા પ્રધાન ત્રણ ત્રણ અઠવાડિયા કામધંધો છોડીને પ્રચાર કરવા જાય છે એ તેમની કે દેશની બંધારણીય જરૂરિયાત નથી હોતી; તેમની પોતાની રાજકીય જરૂરિયાત હોય છે. ભારત લોકતાંત્રિક સમવાય સંઘ છે એટલે ચૂંટણી થતી રહે અને હાર-જીત થતી રહે.
આમ પહેલી વાત એ છે કે ઇલેકશન મૉડમાં પ્રજા નથી રહેતી, રાજકીય પક્ષો રહે છે અને ખાસ કરીને કેન્દ્રમાં શાસન કરનારો પક્ષ રહે છે. તેમણે લોકતાંત્રિક સમવાય સંઘના ઢાંચાને સ્વીકારી લેવો જોઈએ. બીજી વાત ખર્ચની. સાથે ચૂંટણી યોજવાથી ખર્ચમાં જે ઘટાડો થશે એ રાજકીય પક્ષો પ્રચાર પાછળ જે રીતે ખર્ચો કરી રહ્યા છે એના દસમાં ભાગનો પણ નહીં હોય. મુંબઈમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો બે-ત્રણ કરોડ રૂપિયા ખર્ચે છે અને પછી કોન્ટ્રકટરો સાથે મળીને કમાઈ લે છે. આજે સરેરાશ દરેક ઉમેદવાર ચૂંટણીપંચે ખર્ચની બાંધેલી ટોચ મર્યાદા કરતાં દસ ગણો ખર્ચો કરે છે. ચૂંટણીને જાણીબૂજીને મોંઘી કરી નાખવામાં આવી છે કે જેથી પ્રામાણિક માણસ પ્રતિનિધિ ગૃહમાં પ્રવેશી જ ન શકે.
ચૂંટણી પંચે બાંધેલી ખર્ચની ટોચ મર્યાદા કરતાં દસ ગણો ખર્ચો કરવાના રાજકીય પક્ષોને કોઈએ સોગંદ દીધા છે? ઘટાડેને જો એટલો બધા દેશપ્રેમી હોય તો કોણે રોક્યા છે? ઊલટું ચૂંટણી પંચના અને બીજા અનેક સરકારી અને બિન સરકારી નાગરિક પંચોના અનેક અહેવાલો સરકાર પાસે બતાવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણીને સોંઘી કેવી રીતે કરી શકાય. એક બે નહીં, એક ડઝન અહેવાલો છે અને એમાં શકધર કમિટીના અહેવાલને તો ચાર દાયકા થવા આવ્યા છે. કેન્દ્રમાં કોંગ્રેસ હોય કે બી.જે.પી. કેટલીક વાતે તેમની વચ્ચે સંમતિ છે એમાં બે મુખ્ય છે: ન્યાયતંત્રમાં સુધારાઓ નહીં કરવાના અને ચૂંટણીકીય સુધારાઓ નહીં કરવાના. ન્યાયતંત્રમાં સુધારાઓ કરો તો જેલમાં જવું પડે અને ચૂંટણીકીય સુધારાઓ કરો તો સવાલ પૂછનારાઓ ગૃહમાં પ્રવેશે.
પણ આ બધું જવા દો. ભારત માતા કી જયનું હાલરડું સુવડાવી દેવા માટે આલાપ લઈ રહ્યું છે.
સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની દૈનિક કટાર, “ગુજરાતી મિડ-ડે”, 21 અૉગસ્ટ 2018