ક્યાંથી કરીશું વાતની શરૂઆત? શશી થરુરના ‘હિંદુ પાકિસ્તાન’ વિષયક વિવાદથી. ભાજપ મે ૨૦૧૯માં પુનઃ સત્તારૂઢ થાય એમાં એમને મતે ‘હિંદુ પાકિસ્તાન’ના નિર્માણનો ભય રહેલો છે. દેખીતી રીતે જ ભાજપ પ્રવક્તાઓ આ વિધાનની સામે શોર મચાવી રહ્યા છે. બલકે, સર્વસાધારણ નાગરિકને પણ સામાન્ય સંજોગોમાં આવાં વિધાનો સામે નારાજગી અને વિરોધલાગણી જાગે એ સમજી શકાય એમ છે.
સમજવાનો મુદ્દો એ છે કે ઇસ્લામને નામે વિભાજન તરફ લઈ જનારાં અને પાકિસ્તાનના નિર્માણમાં લોકશાહી મૂલ્યો અને વ્યાપક ધર્મભાવનાની ખેવના વિના એ જ ઝનૂની ને પ્રતિગામી વલણો દેઢાવનારાંબઢાવનારાં તત્ત્વોની વાજબી રીતે ટીકા કરીએ છીએ એ જ લક્ષણો જવાબી કારવાઈને નામે અગર વિચારધારાને નામે ભારત છેડેથી પ્રગટ કરવામાં રાચતાં તત્ત્વો અને માનસિકતા સત્તાનો પરવાનો તાજો કરવા લાલાયિત છે. (તંત્રીએ આ પૂર્વે ‘પાકિસ્તાનવેડા’ જેવો પ્રયોગ કર્યો ત્યારે અથવા એકથી વધુ વાર અડવાણી-મોદી ફ્રિક્વન્સી પરના રાજકારણને ઝીણાના હિંદુ અડધિયા જેવું કહ્યું તેમાં પણ આ જ અભિપ્રેત હતું.)
નમૂના દાખલ, હજુ થોડા દિવસ પર તો આ લખનારે મન બનાવી લીધું હતું કે સુષમા સ્વરાજ સાથેની કોમી અને નિતાન્ત કમરપટા તળેની ગોબરી હરકત શમ્યા જેવી છે એટલે એને વિશે લખવું કદાચ અનિવાર્ય નથી. પણ એની વાંસોવાંસ, બે કેન્દ્રીય મંત્રીઓની જે ચેષ્ટા બહાર આવી એણે આ પ્રકારની ચર્ચાને કદાચ દુર્નિવાર બનાવી દીધી છે. આ બે કેન્દ્રીય મંત્રીઓ તે જયંત સિંહા અને ગિરિરાજસિંહ. જ્યંત સિંહાએ ’લિન્ચ મૉબ’ના હિસ્સા રૂપે પકડાઈ જામીન પર છૂટેલાઓ સાથે લગભગ અનુમોદનાવત્ આવભગતનો ઉપચાર કીધો, તો ગિરિરાજસિંહે હિંદુત્વને નામે ગુનાઇત ને હિંસ્ર પ્રવૃત્તિ કરતા પકડાયેલાઓની જેલમાં આંસુભીની શુભેચ્છા મુલાકાત લીધી.
એક પા ‘બેલ’ગાડીમાં મુસાફરી કરતા કૉંગ્રેસ અગ્રણીઓની ભાજપમાં શીર્ષસ્થાનેથી ટીકા કરવામાં આવે અને બીજી પા ‘બેલ’ગાડીના હિંદુત્વ વીરોની એટલા જ ઉત્સાહથી ગુનાગદ્ગદ આવભગત કરવામાં આવે, આ બે વિગતોની સહોપસ્થિતિ સંભારીને મોદી ભાજપ પરત્વે કટાક્ષ જરૂર કરી શકાય, સામસામા સુભટોના વસલૂમ વસલૂમનો ‘આનંદ’ પણ લઈ શકાય, પણ તે છેક જ ઉપલક અને ઉભડક લેખાશે; કેમ કે એકંદર ઘટનાક્રમમાંથી જે બૂ ઉઠે છે એનાં મૂળ ખાસાં ઊંડાં છે.
તો, વિગતોની ગલીકૂંચીમાં નહીં ઊતરતાં સારસંક્ષેપરૂપે એટલું નોંધીને ચાલીએ કે મુસ્લિમ પતિ અને હિંદુ પત્નીને પાસપોર્ટ આપવા બાબતે કોમી માનસ સર આડોડાઈથી પેશ આવનાર અધિકારીની બદલીનો તેમ જ પાસપોર્ટ અરજી જરૂરી નિયમોની મર્યાદામાં હોઈ તે તત્કાળ જારી કરવાનો જે નિર્ણય સુષમા સ્વરાજે કર્યો એને પરિણામે એમના ઉપર સોશ્યલ મીડિયાના ખાસા હિસ્સામાંથી ભારે પસ્તાળ પડી. મુસ્લિમ તુષ્ટીકરણના આક્ષેપથી માંડીને કૌશલ સ્વરાજે આ બાઈ(સુષમા)ને એ ઑફિસેથી ઘેર પાછી ફરે ત્યારે ‘બરાબરની અધમુઈ કરી નાખવી જોઈએ’ પ્રકારની સલાહો પણ એમાં હતી. હોળીમાં જેમ ઘેરૈયા તેમ આપણા રાજકારણમાં આજકાલ ટ્રૉલૈયા જ ટ્રૉલૈયા માલૂમ પડે છે. અહીં મોટા ભાગનાં ટ્રૉલટપ્પાં કોમી તીક્ષ્ણતાથી થયેલાં હતાં.
વિશેષતા બલકે વરવી વાસ્તવિક્તા એ હતી કે આ ટ્રૉલૈયાની બહુમતી એ જ તબકાની હતી જે સાધારણપણે નમો ભાજપના ટીકાકારો પર કોરસબધ્ધ તૂટી પડે છે. આ સૌ ટ્રૉલૈયાઓમાં ભાડૂતી પરિબળોનો પહેલકારી હિસ્સો અલબત્ત હતો અને હશે; પણ સ્વયંસેવી ભક્તો પણ ઓછા નહોતા અને નથી, એ ચિંતાની વાત છે. એવી અને એટલી જ ચિંતાની વાત એ પણ છે કે સુષમા પર છૂટી રહેલાં તીક્ષ્ણ બાણ વચ્ચે ઢાલ બનીને તો શું સમ ખાવા પૂરતાં બે વેણ ઉચ્ચારવા સારુ રાષ્ટ્રીય સ્તરના કોઈ ભાજપ અગ્રણી દિવસો લગી નાખી નજરે જણાયા નહીં. પછીના કિસ્સામાં જયંત સિંહા અને ગિરિરાજસિંહે જે હિંસ્ર તત્ત્વો તરફે તત્કાળ ઉલટ દાખવી એને મુકાબલે કંઈકેટલા દિવસ પછી રાજનાથસિંહ ને રામ માધવ સુષમા પ્રકરણમાં બોલ્યા જરૂર; પણ વડાપ્રધાન પોતે સોશ્યલ મીડિયામાં ઉત્કટતા દાખવતા તરુણોને વધાવતી ટિ્વટરાટી ધડબડાટી બોલાવતા હતા એ જ કલાકોમાં સુધ્ધાં આ મામલે સંકલ્પપૂર્વક ચૂપ હતા, અને આ લખાય છે ત્યારે પણ છે.
પહેલાં રાજનાથસિંહે અને પછી રામ માધવે મૌનભંગ કર્યો, સુષમા સ્વરાજનો બચાવ કર્યો એટલે સારું તો લાગ્યું; પણ લગરીક પોરો ખાધા પછી સમજાયું કે આ બચાવ લગભગ નકો નકો બચાવ હતો. રામ માધવની રજૂઆત તો કદાચ કંઈક ગેરરસ્તે દોરી શકે એવી પણ હતી. રાજનાથસિંહ વિશે તો શું કહીશું, એ એક ‘બચાડા જણ’ છે. એમણે કહ્યું કે વહાલાં બહેન આવાં ટ્રૉલટપ્પાં ન ગણકાર્યાં જ સારાં. જુઓ ને, હુંયે ક્યાં ધ્યાન આપું છું. સુષમા જ્યારે પોતાની પાછળ ડાઘિયા કૂતરા છૂટા મેલાયાના અનુભવમાંથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે રાજનાથસિંહે પોતાનો કિસ્સો આગળ ધરીને કંઈક આશ્વાસન આપ્યું અને પોતે પણ લીધું ખસૂસ, પણ એથી આગળ કશી ભોં એમનાં વચનોથી ભાંગી નહીં તે નહીં.
આ ચર્ચા, ટૉપ બૉસ રામ માધવનાં વેણ સાથે પૂરી થયા બરોબર લાગતી હતી, પણ કદાચ રામ માધવની સમાપનાત્મક દરમ્યાનગીરીથી જ ખરી ચર્ચા શરૂ થાય છે. એમણે, એક તો, થપ્પો મારી આપ્યો કે સુષમા ‘રાષ્ટ્રવાદી’ છે. એમણે જે નિર્ણય લીધો તે સુડો સેક્યુલર કે કોમી તુષ્ટીકરણનો છે એવીતેવી ચર્ચા હમણાં કોરાણે રાખીએ, ઊભી રાખીએ, પણ નિકાહનામાને કારણે થતી ગરબડ વચ્ચે પોતાની હિંદુ નામ ઓળખ અકબંધ રાખતી શખ્સિયત(તન્વી શેઠ)ની કદર કરતાં શીખો. રામ માધવે ખરું જોતાં આ પ્રશ્ને ‘રાષ્ટ્રવાદ’નો મુદ્દો કસોટીના પથ્થર પેઠે ઉછાળવાની જરૂર જ નહોતી. પ્રશ્ન, સીધોસાદો, કાયદાના શાસનનો હતો.
બીજું, મુસ્લિમને પરણી હિંદુ નામઓળખ જારી રાખવાની કદર કરવાની રીતે રામ માધવે જે મરોડ માસ્તરી અગર તો સ્પિન ડૉક્ટરું અજમાવવાની ચેષ્ટા કરી એ તો આડે પાટે ચડાવતી બીના હતીઃ કેટલા બધા હિંદુ પરિવારોમાં (ખાસ તો મહારાષ્ટ્રમાં) સ્ત્રી પરણ્યા પછી અનિવાર્યપણે નવું નામ ધારણ કરે છે એની ખબર એમને નહીં હોવાનું કારણ નથી. ખરેખર તો આ સવાલ હિંદુ કે મુસ્લિમ ઓળખ કરતાં વધુ તો સ્ત્રીમાત્ર પરત્વે પુરુષસાપેક્ષ ઓળખનો જે પુરુષસત્તાક રવૈયો રહ્યો છે એને અંગે આમૂલ પુનર્વિચારનો હતો અને છે. હાલ જે વિમર્શભટકાવ છે એનું રહસ્ય એ વાતમાં છે કે સમાજસુધારાની સાર્વત્રિક જરૂરતને હિંદુત્વ ઝંડાબરદારો રાષ્ટ્રવાદના ખાનામાં નાખે છે તો ઇસ્લામને છેડે એ અંગે ઓળખનું રાજકારણ ચાલે છે. પ્રશ્ન વસ્તુતઃ રાષ્ટ્રવાદ કે સામસામી ધાર્મિક ઓળખ કરતાં વધુ તો લિંગભેદ વગરના ન્યાયનો (‘જેન્ડર જસ્ટિસ’નો) છે.
રામ માધવે જે તબક્કે અને જે રીતે ચર્ચા પૂરી કરવા ચાહી તે જ તબક્કાથી શરૂ થતી ખરી ચર્ચા આ છેઃ તમારે કાયદાના શાસનને ધોરણે રાજ ચલાવવું છે કે પછી વિચારધારાગત (લગભગ મજ્જાગત) ભેદભાવને ધોરણે ધોરાજી હંકારવી છે. આ ધોરાજી હંકારવામાં એકબીજાની હરીફાઈ કરતી ભાડૂતી અને ભક્તોની ભીડથી ચૂંટણી જીતતાં શું જીતી જવાય, પણ એથી દેશ બને ખરો? ‘હિંદુ પાકિસ્તાન’ એ સ્વરાજનિર્માણનો રાજપથ ને જનપથ તો નથી.
નમો-અમિત વ્યૂહ, બાકી તો, સ્પષ્ટ છે. વિકાસનો ચળકાટ ઊડી ગયા જેવો જણાય છે તેવે કોમી ધ્રુવીકરણની રાજનીતિ જ એમની નજરોમાં એકમાત્ર તરણોપાય છે. મતદારોએ આ રમત મુજબ ધ્રુવીકૃત નહીં થતા નાગરિક હોવાને ધોરણે વિચારવાની ને દરમ્યાન થવાની તાકીદ સાફ છે.
જુલાઈ ૧૨, ૨૦૧૮
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2018; પૃ. 01-02