૧૯૧૯ની ૧૨મી જુલાઈએ ગાંધીજી પૂનામાં હતા અને લોકમાન્ય તિલક જે વાડામાં રહેતા હતા એ ગાયકવાડવાડાની બહાર તેમણે તિલકની હાજરીમાં જાહેરસભાને સંબોધી હતી. ગાંધીજીએ પૂના શહેરના બૌદ્ધિક વારસા વિષે કહ્યું હતું કે પૂના જે આજે વિચારે છે એ દેશ બીજા દિવસે વિચારે છે. એ પછી ગાંધીજીએ પુણેકરોના કાન આમળતા કહ્યું હતું કે પૂના અને મહારાષ્ટ્ર વિતંડાની બીમારી ધરાવે છે. કોઈ કાંઈ બોલ્યું અને સામે મોરચો ન ખૂલે તો એ મહારાષ્ટ્ર અને પૂના નહીં. ઘણીવાર તો નિરર્થક વાદ-વિવાદ થતો હોય છે જેને ટાળી શકાય છે. એનાથી શક્તિ ક્ષીણ થાય છે, વગેરે વગેરે અને એ પછી અંતમાં ગાંધીજીએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર અને પૂના વિતંડાગ્રસ્ત ન હોત તો દેશને મારા જેવાની જરૂર જ ન પડી હોત. મહારાષ્ટ્ર બધું જ આપી શકે એમ છે.
આ ગાંધીજીએ સો વરસ પહેલાં પૂનામાં કહ્યું હતું. કોઈ બોલ્યું અને સામે મોરચો ન ખૂલે તો મહારાષ્ટ્ર નહીં. ગયા અઠવાડિયે રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા શરદ પવારને આનો પરિચય થઈ ગયો. આમ તો શરદ પવાર જોખી જોખીને બોલવા માટે જાણીતા છે. તેમણે માફી તો ઠીક ખુલાસો કરવો પડ્યો હોય એવું જાણમાં નથી. આમ છતાં પવાર ફસાઈ ગયા હતા, કારણ કે કારણ ભલે નજીવું હોય પણ પુણે મહારાષ્ટ્રમાં વિવાદ થઈ શકે છે.
બન્યું એવું કે ગયા અઠવાડિયે રાષ્ટ્રવાદી પક્ષનું પુણેમાં હલ્લા બોલ સંમેલન બોલાવવામાં આવ્યું હતું. એ સંમેલનમાં જેલમાંથી છુટ્યા પછી છગન ભુજબળ પણ હાજર હતા. શરદ પવારે છગન ભુજબળનું ફુલે પાઘડી (મહાત્મા જ્યોતિબા ફુલે પહેરતા એવી શૈલીની પાઘડી, પાઘડી પણ નહીં ફેંટો) પહેરાવીને સન્માન કર્યું હતું અને એ પછી પવારે પોતાના ભાષણમાં પક્ષના નેતાઓને સલાહ આપી હતી કે હવે પછી પુણે પાઘડી (લોકમાન્ય તિલક કે ગોપાલ કૃષ્ણ ગોખલે પહેરતા એવી ચાંચવાળી પાઘડી)ની જગ્યાએ ફુલે પાઘડી પહેરાવીને મહેમાનોનું સન્માન કરવામાં આવે.
બસ. પવાર મહા અપરાધ કરી બેઠા. શરદ પવારે પૂનાનું અપમાન કર્યું છે, ચિત્પાવન બ્રાહ્મણોનું અપમાન કર્યું છે, લોકમાન્ય તિલક અને ગોખલેનું અપમાન કર્યું છે, પુણે પાઘડી મહારાષ્ટ્રની અસ્મિતાનું પ્રતીક છે વગેરે. છગન ભુજબળ મહાત્મા ફુલેની માળી કોમમાંથી આવે છે એટલા સારુ ફુલે પાઘડીથી સન્માનવામાં આવ્યા હતા. હવે પછીથી ફુલે પાઘડીથી જ મહેમાનોને સન્માનવામાં આવે એવી સલાહ આપવા પાછળનો ઉદ્દેશ એટલો જ હતો કે ફુલે બહુજન સમાજના નેતા હતા, એટલે ફુલે પાઘડી દ્વારા પક્ષ બહુજન સમાજ સાથે સેતુ બાંધી શકે. બીજું, પુણે પાઘડી એ પુણેના અઢી ટકા ચિત્પાવન બ્રાહ્મણોની પાઘડી છે, પુણેના તમામ સમાજના લોકો કહેવાતી પુણે પાઘડી નહોતા પહેરતા કારણ કે તેમને એ પહેરવાની છૂટ નહોતી.
જી હા, છૂટ નહોતી. ઉજળી જ્ઞાતિના લોકો જેવી પાઘડી પહેરે એવી પાઘડી લોક વરણને પહેરવાની છૂટ નહોતી. ધોતીમાં પણ ભેદભાવ હતો. તમને કદાચ જાણ નહીં હોય, પરંતુ માત્ર અને માત્ર બ્રાહ્મણો જ બેવડી પાટલીવાળી ધોતી પહેરી શકતા. વૈશ્યોને એક પાટલીવાળું ધોતિયું પહેરવાની છૂટ હતી અને બાકીની પછાત કોમોએ કાછડી વાળવાની. આમ વેશભૂષા પરથી એ યુગમાં માણસની જ્ઞાતિનો પરિચય થઈ જતો. મહારાષ્ટ્રમાં અઠરા પગડ જાતિ એવી કહેવત છે. ૧૮ પગડ એટલે ૧૮ પ્રકારની પાઘડી જેમાં મહારાષ્ટ્રની તમામ પ્રજા સમાઈ જતી. અજાણ્યો માણસ ગામમાં પ્રવેશે કે તરત ગામના લોકોને ખબર પડી જાય કે એ કઈ જાતિનો હશે. ધોતિયું અને પાઘડીની શૈલી પરિચય આપી દેતાં.
શરદ પવારની માફક મહાત્મા ગાંધીને પણ પાઘડીના વળનો કડવો અનુભવ થયો હતો. મહારાષ્ટ્ર વિતંડાવાદી છે એમ ગાંધીજીએ કહ્યું એ જ અરસામાં ગાંધીજીએ કાઠિયાવાડી ફેંટો પહેરવાનું બંધ કરીને ટોપી પહેરવાનું શરુ કર્યું હતું, જે ગાંધી ટોપી તરીકે ઓળખાવા લાગી હતી. ગાંધીજીએ કહ્યું હતું કે ફેંટા જ્ઞાતિવાચક છે. ફેંટો જોઇને માણસની જ્ઞાતિ પહેલાં નજરે ચડે છે, માણસમાં રહેલો માણસ નજરે ચડતો નથી. આપણે જ્ઞાતિઓની ટૂંકી ઓળખો ખતમ કરીને દેશને જોડવાનો છે. પાઘડી તેમ જ ફેંટાઓને તિલાંજલિ આપવા પાછળનો બીજો તર્ક એ હતો કે પાઘડી અને ફેંટામાં ખૂબ કપડું ખર્ચાય છે. એક ફેંટામાંથી ૨૦થી ૨૫ ટોપી બની શકે. ઉદ્દેશ જો માથું ઢાંકવાનો જ હોય તો પાંચ ગજ કપડાંની જરૂર શું છે, પા ગજની ટોપીથી પણ કામ ચાલી શકે છે.
આખા દેશમાં ગાંધી ટોપીને અને ગાંધી ફિલસૂફીને વધાવી લેવામાં આવી, પરંતુ પૂનામાં યુદ્ધ જામ્યું. ગાંધી ટોપીની ઠેકડી ઉડાડનારા પ્રહસનો લખાવા લાગ્યાં. પાઘડી કેટલી મહાન અને ટોપી કેટલી ક્ષુલ્લક એનાં ગીતો લખાયાં અને નાટકોમાં પાઘડી વિરુદ્ધ ટોપીના સંવાદ બોલાવા લાગ્યા. પુણેના બ્રાહ્મણોને ગાંધીજી સામે બે વાતે વાંધો હતો. એક તો તેમને એમ લાગતું હતું કે ગાંધીજીએ પુણે અને મહારાષ્ટ્ર પાસેથી દેશનું નેતૃત્વ છીનવી લીધું હતું. રાષ્ટ્રીય રાજકારણનું નેતૃત્વ કરવાનો જન્મસિદ્ધ અધિકાર પુણેના અને મહારાષ્ટ્રના બ્રાહ્મણોનો છે એવું તેમને લાગતું હતું. તેમને ગાંધીજી સામે બીજો વાંધો એ વાતનો હતો કે ગાંધીજીએ રાજકારણમાં તેલી-તંબોળી, મુસલમાન, દલિત અને સ્ત્રીઓ સહિત બધાંને સ્થાન આપ્યું હતું જેને કારણે બ્રાહ્મણોએ વર્ચસ ગુમાવી દીધું હતું.
ગાંધીજીની હત્યા પુણે/મહારાષ્ટ્રના બ્રાહ્મણોએ કરી હતી. એ પહેલાં ગાંધીજીની હત્યા કરવાના દરેક પ્રયાસ મહારાષ્ટ્રમાં કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના મહારાષ્ટ્રમાં થઈ હતી, અને તેનું નેતૃત્વ આજે પણ મહારાષ્ટ્રના બ્રાહ્મણો કરી રહ્યા છે. આમ મહારાષ્ટ્રના બ્રાહ્મણો પહેલેથી જ ગાંધી વિરોધી રહ્યા છે. અહીં પણ પાછી ટોપી આડી આવી. મહારાષ્ટ્રના બ્રાહ્મણો પાઘડીપરસ્ત ગાંધીવિરોધી હતા, એટલે બહુજન સમાજે કચકચાવીને ગાંધી ટોપી અપનાવી હતી અને કોંગ્રેસમાં જોડાયા હતા. આજે નવી પેઢી ગાંધી ટોપી પહેરતી બંધ થઈ ગઈ છે, પરંતુ મહારાષ્ટ્રમાં તમને ગાંધી ટોપી પહેરનારા સૌથી વધુ મળશે.
સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 18 જૂન 2018