શ્રદ્ધાંજલિ :
વિનોદભાઈ કહેતા કે હાસ્ય એટલે સૂકાયેલું આંસુ ! કદાચ એટલે જ એમના ગયા પછી આજે રડવું નથી આવતું પણ એમનું માર્મિક સ્માઈલ યાદ આવે છે
વિનોદ ભટ્ટે 'વિનોદની નજરે' કિતાબમાં લખેલું કે લેખકોને વાંચવા જ સારા, નજીકથી મળવું નહીં … પણ વિનોદભાઈ મળવા જેવા ને માણવા જેવા માણસ હતા. જેટલા મોટા લેખક હતા, એટલા જ નિખાલસ અને સાધારણ માણસ અને એટલે જ કોઈ લાઉડ પાત્રો કે પ્રસંગોના ટેકા વિના માત્ર વિચારો અને શબ્દો અને તર્ક વડે હસાવી શકે એવો હાસ્યકાર વિનોદ ભટ્ટ! જ્યોતીન્દ્ર દવે પછી ગુજરાતી શિષ્ટ હાસ્યલેખકમાં ભીષ્મ પિતામહ હતા, ભીષ્મ પિતામહની જેમ બાણશૈયા પર સૂતાં સૂતાં લાંબી બીમારી લાગેલી પણ હસતાં હસતાં વળી એ બાણશૈયામાંથી જ એક એક વ્યંગ્યનાં તીર કાઢીને સમાજ અને સરકાર સામે છેલ્લે સુધી તાકતા રહેતા.
1990 માં ગુજરાતી સિરિયલ ‘રંગબેરંગી' માટે એમની એક રમૂજી વાર્તા પર એપિસોડ બનાવવાનું વિચારેલું. ડરતાં ડરતાં પરવાનગી લેવા વિનોદ ભાઈની ઓફિસે અમદાવાદ પહોંચ્યો. મળતા વેંત જ ત્રણ પાકિસ્તાની જોક્સ સંભળાવ્યા અને કહ્યું, ‘દેશના ભાગલા પછી સાલાઓ આપણી અડધી રમૂજ લઈને ચાલ્યા ગયા! ‘ગુજરાતી લેખક અને એમાંયે અમદાવાદી હાસ્ય લેખક હોવા છતાંયે વાર્તાની પરવાનગી માટે પૈસાની કોઈ રકઝક ના કરી. મુલાકાત પછી જતી વખતે કહ્યું: ‘તમે લોકો બહુ સાહસિક છો! ગુજરાતી હાસ્ય કથાઓ પર સિરિયલ બનાવવા નીકળ્યા છો!' આપણી તો છાતી ગજ ગજ ફૂલી ગઈ પણ પછી હળવેકથી વિનોદભાઈએ આંખ મારીને કહ્યું, ‘સાહસિક એટલે કે મારી વાર્તા પર આખો એપિસોડ બનાવવા નીકળ્યા છો!'
વિનોદભાઈ જાત પર અને જમાના પર એક સરખું હસી શકતા. ચાર-પાંચ દાયકાઓ સુધી હાસ્ય-વ્યંગની કોલમ લખી, હાસ્ય પર અનેક કિતાબો લખી, પણ એમની એ એક માત્ર ઓળાખ નહોતી. વિનોદ ભટ્ટે ઉર્દૂ તેજાબી લેખક સાદત હસન મન્ટો પર કે ચાર્લી ચેપ્લીન પર પણ નાનકડી બાયોગ્રાફી લખેલી જે આજે ય હિન્દી સાહિત્યમાં ખૂબ પ્રખ્યાત છે. શ્લીલ-અશ્લીલ કિતાબમાં અશ્લીલ વાર્તાઓનું હિમ્મતભેર સંપાદન કર્યું, વિશ્વ અને દેશના હાસ્યલેખોનું સંકલન કર્યું.
વિનોદભાઇ હ્યુમર પર ગુજરાતીમાં એકમાત્ર ઓથોરિટી હતા. એમના ‘વિનોદની નજરે' પુસ્તકમાં ભલભલા સાહિત્યકારોનાં ધોતિયાં ખેંચી નાખવાં વ્યક્તિચિત્રો લખેલાં અને આજે ય એ પુસ્તક અજેય છે. (જેમાં સ્ટાર લેખક ચંદ્રકાંત બક્ષી અને એમના અહંકારના વિનોદભાઇએ છોતરાં કાઢી નાખેલાં) કોઈની પણ અને ખાસ કરીને સરકારની પણ શેહશરમ રાખ્યા વિના કટાક્ષ લખવામાં વિનોદ ભટ્ટની તુલનામાં આજ સુધી કોઈ નહોતું આવતું. ગજરાતી હાસ્ય વ્યંગ લેખનની બાદશાહતનું એ સિંહાસન આજે ખાલી પડયું છે.
‘મુંબઈ સમાચાર' અને 'નવગુજરાત સમય'ની મારી કોલમ 'અંદાઝે બયાં'માં આવતાં સેટાયરને વાંચીને ક્યારેક ઉમળકાથી ફોન કરતા, સામે ચાલીને ! આટલી મોટી વચે અને આટલી સફળતા પછી પણ નવા-સવાને બિરદાવવાની ખૂબી એકમાત્ર વિનોદભાઈમાં હતી. ગુજરાતી કોલમિસ્ટો અને લેખકોના અંડરવર્લ્ડ જેવા ખૂંખાર ખારીલા વાતાવરણમાં આવી ખેલદિલી એક સાચા હાસ્યકારમાં જ હોઈ શકે છે. વિનોદભાઈ કહેતા કે હાસ્ય એટલે સૂકાયેલું આંસુ ! કદાચ એટલે જ એમના ગયા પછી આજે રડવું નથી આવતું, પણ એમનું માર્મિક સ્માઈલ યાદ આવે છે.
છેલ્લે, નવેમ્બર 2014માં રૂબરૂ એમના ઘરે મળવાનું થયું, મારા પપ્પા(છેલ)ના મૃત્યુ પછી હું ગળામાં ડૂમો લઈને અમદાવાદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ગયેલો. ત્યારે બે જ વ્યક્તિઓને ત્યાં રૂબરૂ ગયેલો. એક તારક મહેતા, જેમને ગળે વળગીને રડેલો, કારણ કે તારકભાઇ મારા પપ્પાના મિત્ર હતા .. અને બીજા વિનોદભાઈ, જેમને મળીને મારા બધા જ ડૂમા, ડૂસકાં ઓગળી ગયેલા કારણ કે વાતવાતમાં એમણે મૃત્યુની વાત જ ભૂલાવી દીધેલી, (ખાસ કરીને એમને ત્યાં પડેલું ‘પરબ' નામનું સાહિત્યિક મેગેઝિન મેં ઉપાડ્યું, તો મને કહ્યું આ ‘પરબ'ને ગાંધીનગરનાં સરકારી ઓફિસરો 'બાવન-બે' એમ વાંચે છે! આપણા કરતાં વધારે એ લોકો ફની છે)
વિનોદભાઈ ગયા … અને હવે કોણ મારા કાલાઘેલા લેખ વાંચીને સવાર સવારમાં ફોન કરશે? કોણ મને મારું પુસ્તક પ્રગટ કરવા માટે વઢશે? ગુજરાતી ભાષાના નાના દિલના લેખકોની વસ્તીમાંથી હવે કોણ આપણને જાત પર હસતાં શીખવશે?
ગુડબાય, વિનોદભાઈ ભટ્ટ!
સૌજન્ય : “નવગુજરાત સમય”, 25 મે 2018