હૈયાને દરબાર
કાળઝાળ ઉનાળો માથે ચડેલો છે. વૈશાખી વાયરાએ હજુ થોડા સમય પહેલાં જ આંધી સ્વરુપે ભારતના કેટલા ય ભાગોને ઘમરોળ્યાં હતાં, એવા આડા થયેલા ઉનાળાના સમયે પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે આ મજેદાર ગીત તારો છેડલો … સાંભળવા માટે આનાથી વધુ ઉત્તમ સમય કયો હોઈ શકે?
૮૪ વર્ષની ઉંમરે પણ જેમનો અવાજ અક્ષુણ્ણ છે એવા સદાસર્વદા સુગમસંગીત સમ્રાટ પુરુષોત્તમભાઈના કંઠે અમુક ગુજરાતી ગીતો અમર થઈ ગયાં છે. સળંગ ચાર કલાક (‘આ ઉંમરે’ એવું કહી જ ન શકાય પુરુષોત્તમભાઈ માટે એટલો સ્પિરિટ છે એમનામાં, ‘સ્પિરિટ’ થી જોજનો દૂર હોવા છતાં) ગાઈ શકવાની ક્ષમતા ધરાવતા પુરુષોત્તમ ઉપાધ્યાયે ગયા મહિને કવિ સંજય પંડ્યા સંચાલિત ‘ઝરુખો’ કાર્યક્રમના ઉપક્રમે બોરીવલીના એમ્ફી થિયેટરમાં એમની જીવન-સંગીત યાત્રાને ઉજાગર કરી, ત્યારે વિચાર આવે કે આ મહાગાયક પાસે સ્મરણો અને સંગીતની કેવી ભવ્ય સમૃદ્ધિ છે! ઉત્તરસંડા નામના ગુજરાતના નાનકડા ગામમાંથી આવેલા પુરુષોત્તમ ઉપાધ્યાયની પ્રતિભા ગાયક તરીકે તો સર્વશ્રેષ્ઠ છે જ પણ, તેઓ સંગીતકાર, મિમિક્રીકાર, અદાકાર જેવી અન્ય મોંઘી ‘કાર’ના માલિક છે. ‘એવરેસ્ટ’થી ઊતરતું એમને કંઈ ખપતું જ નથી એટલે મકાન પણ ’એવરેસ્ટ’માં જ રાખ્યું છે અને ચેલનાબહેનની ‘ચેતના’ (કોન્શિયેન્સ-જીવ-આત્મા) વિના જીવન અસંભવ છે તેથી જ ચેલનાબહેનને જીવનસંગિની બનાવ્યાં છે.
સૂરોત્તમ પુરુષોત્તમને એમના સ્વાસ્થ્યનો રાઝ પૂછીએ તો હસીને એક જ વાકયમાં કહી દે કે "હું ‘બાટલી’બોય નથી. મિત્રો, સ્નેહીઓ અને સ્વજનોની કંપનીમાં ખૂબ જ ખિલે અને ખૂલે એવા પુરુષોત્તમભાઈનાં પોતાનાં સ્વરાંકનો તો અદ્દભુત છે જ, પરંતુ અવિનાશ વ્યાસ તથા દિલીપ ધોળકિયા જેવા સંગીતશિલ્પીઓનાં સંગીત-સ્વરાંકનમાં ય પુરુષોત્તમભાઈનો કંઠ નિખરી ઊઠે છે. આજનું ગીત એવું જ છે જેમાં સ્વરનિયોજન દિલીપ ધોળકિયાનું અને કંઠ પુરુષોત્તમ ઉપાધ્યાયનો છે.
આપણે અત્યાર સુધી આ કોલમમાં મોટાભાગનાં ગીતોમાં નારી સંવેદનાની વાત કરી પરંતુ, એવાં કેટલાં ય સુંદર ગીતો છે જે આમ તો પુરુષ ગાયક દ્વારા ગવાયાં હોય, પુરુષ કવિ દ્વારા લખાયાં હોય પરંતુ, ગીતના કેન્દ્રમાં સ્ત્રી હોય. આમે ય સ્ત્રી કેન્દ્રમાં હોય તો જ જગત ચાલે, રાઈટ? સ્ત્રી વિના દુનિયા કેટલી નીરસ હોય એ કહેવાની જરૂર ખરી? એટલે જ સંગીતની દુનિયામાં પણ નારીપ્રધાન, નારીની સંવેદનાનાં તથા નારીને કેન્દ્રમાં રાખીને જ વધારે ગીતો રચાયાં છે.
નારીપ્રધાન અને નારી દ્વારા જ ગવાતાં ગીતોમાં પ્રેમ, લાગણી, વિરહ, મિલન, શૃંગાર, ત્યાગ, વૈરાગ્ય જેવા અગણિત ભાવો સમાયેલાં હોય છે પણ એક પુરુષ જ્યારે સ્ત્રી પ્રત્યેની લાગણી વ્યક્ત કરે, ત્યારે એમાં પ્રેમ, વિરહ, પ્રશંસા સાથે ઘણીવાર દરકાર અને કાળજીની ભાવના પણ વ્યક્ત થતી હોય છે. સ્ત્રીને કદાચ એની જ સૌથી વધારે જરૂર હોય છે. ઠાલા પ્રેમ કરતાં નક્કર કાળજી દ્વારા સ્ત્રીને જીતી શકાય છે. આજનું ગીત કંઇક એવો જ ભાવ વ્યકત કરે છે. વૈશાખી તડકામાં પ્રિયતમને મળવા આતુર સખીને એનો પ્રિયતમ ચિંતિત સ્વરમાં વિનવે છે કે, "હે વહાલી પ્રિયે, ગરમ હવાની લહેરખીમાં તારી કોમળ કાયા કરમાઈ જશે અને અગન પિછોડી ઓઢી બેઠેલી ધરતી પર તારાં ચરણ ચંપાઈ જશે. એટલે જરા થંભી જા રસ્તે. છતાં, નીકળી જ હોય તો તારી ઓઢણીનો છેડો માથે રાખવાનું ભૂલતી નહીં." વળી, ઋતુ વૈશાખની એટલે સુગંધીદાર જૂઈ-મોગરાના ખિલવાની મોસમ. ગરમાળો, ગુલમહોરે પણ ચોતરફ સોળે કળાએ જાજમ બિછાવી હોય. ઉનાળામાં આ ફૂલોની સુગંધ ચિત્તને તરબતર કરી મૂકે. તેથી એનો પ્રિયતમ એ પણ ખ્યાલ રાખે છે એની પ્રિયતમાનો છેડો માથે નહીં હોય તો ખુશ્બોદાર વેણીની મહેક પણ ધગધગતા વાયરામાં ઊડી જશે. ગીતમાં નાની નાની કાળજી દ્વારા વહાલી પ્રિયા પ્રત્યેની ઊંડી લાગણી વ્યક્ત થઈ છે. સાચો પ્રેમી એ છે જે સ્ત્રીની દરકાર કરી શકે છે. એનું માન જાળવી શકે છે અને એને સમય આપી શકે છે.
એ એક જમાનો હતો જ્યારે એરકન્ડિશન તો શું, ઘરમાં પંખા ય ઓછા જોવા મળતા. એવામાં જ્યારે પોતાની પ્રિયતમા ભરતડકે નીકળે તો વહાલમને ચિંતા થાય એ સ્વાભાવિક હતું. આજના વર્ચ્યુઅલ વર્લ્ડમાં જ્યાં સંબંધો સ્ક્રીન પર જ સળવળતા જોવા મળે છે, ત્યાં આવી લાગણી અને આવા શબ્દો પરલોકના લાગે. છતાં ઋતુના મિજાજ સામે એ દિલને કેવી ટાઢક આપે છે! એમાં ય પુરુષોત્તમભાઈએ તારો છેડલો … તો સૂર દ્વારા એવો બહેલાવ્યો છે કે કોઈ પણ ઋતુમાં સાંભળવાનો જલસો પડી જાય.
આ ગીત સામે પેલી ગુલામ અલી સાહેબની ગઝલ પણ યાદ આવે છે, દોપહર કી ધૂપ મેં, મેરે બુલાને કે લિયે, વો તેરા કોઠે પે નંગે પાંવ આના યાદ હૈ …! સ્ત્રી પ્રેમ માટે બધું સમર્પી દે છે, એને ઝંખના કેવળ એના પ્રેમની કદર થાય, એની પણ થોડી કાળજી લેવાય એટલી જ માત્ર હોય છે. દરેક સંબંધનું એક સત્ય હોય છે ને દરેક વર્તનનું પણ એક સત્ય હોય છે. રોમેન્ટિક વાતો કે કેન્ડલ લાઈટ ડિનરનો રોમેન્સ ક્ષણભર ગમે પણ જીવનભર તો શુદ્ધ લાગણી અને કાળજી જ કામ આવે. પ્રેમ એ એકબીજાંમાં ઓગળી જવાનું કર્મ છે. એટલે જ અહીં પ્રિયતમ કહે છે કે અંગારા વેરતા તડકાના તોર સામે તારી આંખો અધૂકડી રાખજે નહીં તો આકાશમાંથી વેરાતા અંગારા તું ઝીલી શકશે નહીં. આવા ધોમધખતા તાપથી બચીને ચાલવાનું અને આંખો અધખૂલી રાખવાનું વ્હાલમ કહે છે ત્યારે ઉનાળાના રૌદ્ર સ્વરૂપ વિશે કવિ અનિલ ચાવડાની આ કાવ્ય પંક્તિઓ યાદ આવે છે :
ઉનાળો કાળઝાળ થાય છે,
પાંપણથી ગાલ સુધી પ્હોંચે એ પ્હેલાં
તો આંસુ વરાળ થઈ જાય છે;
તગતગતા તડકાનાં ઊગ્યાં છે ફૂલ
એને અડીએ તો અંગઅંગ દાઝીએ,
આવા આ ધખધખતાં ફૂલો પર
ઝાકળની જેમ અમે કેમ કરી બાઝીએ?
કોણે આ સૂરજની મટકી છે ફોડી
કે ધોમધોમ લાવા ઢોળાય છે?
સૂરજિયા! તારે ત્યાં અવસર કોઈ આવ્યો છે?
કે
આભ આખું ગીત તારાં ગાય છે…!
સૂરજની મટકીમાંથી ધોમધોમ લાવા ઢોળાતો હોય છતાં છેલ્લે કવિ અવસાદને આનંદમાં ફેરવી દઇને કેવું સરસ કહે છે કે અલ્યા સૂરજિયા, તારે ત્યાં કોઈ અવસર આવ્યો છે કે શું? આભ આખું જ્યારે ઉનાળાનાં ગીતો લલકારતું હોય ત્યારે સુગમ સંગીતના સૂર્ય સમાન પુરુષોત્તમભાઈના અવાજમાં આ ગીત સાંભળીને કાળજે ટાઢક તો વળે જ, સાચું ને?
આકાશવાણી પર ટોચનાં ગીતોમાં સ્થાન પામેલાં આ ગીત વિશે પુરુષોત્તમ ઉપાધ્યાય કહે છે, "સૌથી પહેલાં આ ગીત ૧૯૭૪ની સાલમાં ઈપી માટે રેકોર્ડ થયું હતું. મારે અને દિલીપ ધોળકિયાએ એમાં ગાવાનું હતું. દિલીપભાઈએ આ ગીતનું સ્વરાંકન મને સંભળાવ્યું. એ વખતે જ મેં કહ્યું કે આ ‘લોંગ લાસ્ટિંગ’ કમ્પોઝિશન છે. ખરેખર, આજે પણ આ ગીત એટલું જ લોકપ્રિય છે અને કાર્યક્રમોમાં એની ફરમાયેશ હજુ ય થાય છે. મોટાભાગના લોકો તો એમ જ માને છે કે આ પુરુષોત્તમ ઉપાધ્યાયનું સ્વરાંકન છે. આ ગીતના કવિ નંદકુમાર પાઠક એ વખતે અમદાવાદ રેડિયો સ્ટેશનમાં હતા. પુરુષ હૃદયની લાગણી આ ગીતમાં એમણે સુપેરે વ્યક્ત કરી છે.
પુરુષોત્તમભાઈની બહુમુખી પ્રતિભા પિછાણીને એટલે જ સંગીતકાર દિલીપ ધોળકિયાએ એક સ્થાને કહ્યું હતું કે પુરૂષોત્તમ ગાયક નહીં, ગવૈયો છે. અકળાવનારી ગરમીમાં સુપર કૂલ એવું આ ગીત યુટ્યુબ પર સાંભળવા હવે થઈ જાઓ તૈયાર.
https://www.youtube.com/watch?v=BGXvnYiILV8
https://www.youtube.com/watch?v=lJeGuKhziOE
—————————
તારો છેડલો તું માથે રાખને જરા
આ તો ચૈતર વૈશાખના વાયરા
તારી વેણીની મ્હેક જાશે ઊડી
આ તો ચૈતર વૈશાખના વાયરા
અંગારા વેરતો તડકાનો તોર કાંઈ
અંગારા ઝીલતો આંખ્યુંનો તોર કાંઈ
તારી આંખને અધૂકડી તું રાખને જરા
આ તો ચૈતર વૈશાખના વાયરા … તારો છેડલો
ઊનાયે વાયરા ને પાલવડે પુરનાં
ઉછળતાં ઓરતાં છે ઊના તે ઉરના
તારા હૈયા પર હાથ અલી રાખને જરા
આ તો ચૈતર વૈશાખના વાયરા …. તારો છેડલો
તારો છેડલો તું માથે રાખ ને જરા
આ તો ચૈતર વૈશાખના વાયરા
• કવિ : નંદકુમાર પાઠક • સંગીતકાર : દિલીપ ધોળકિયા • ગાયક : પુરુષોત્તમ ઉપાધ્યાય
સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 24 મે 2018
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=410543