પ્રિય સાહિત્યકાર સાથીઓ,
ભગત સાહેબને અલવિદા, પણ …..
બુઝનેવાલા બુઝેગા, જાનને કા હક ફિર ભી હૈ,
વહ હવા કા ઝોંકા થા યા કિસીને ફૂંક મારી થી
પરિષદની ૨૮-૦૧-૨૦૧૮ની મધ્યસ્થ સમિતિની બેઠક હવે પૂરી થઈ ગઈ હશે એવી ખાતરી સાથે મેં સાંજે ૭ વાગે પ્રવીણ પંડ્યાને ફોન કર્યો. અને સામેથી જે અવાજ અને લયમાં એમણે કહ્યું, ‘બારીન, મૂલ્યનિષ્ઠા માટે ભગતસાહેબ શહીદીને આરે પહોંચી ગયા. એમને ચાલુ બેઠકે બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. હું હોસ્પિટલમાં છું, પછી વાત કરું છું …’ તે પછી મેં યાંત્રિક રીતે ફોન મૂકી દીધો અને ‘મૂલ્યનિષ્ઠા માટે ભગતસાહેબ શહીદીને આરે પહોંચી ગયા …’ એ શબ્દો સાંભળતો તાકી રહ્યો અવકાશને અને પછી …
એક કવિ અને સાહિત્યકાર તરીકે મારી જેમ અનેક ભગતસાહેબના પ્રશંસક હશે અને એ સહુને બેઠકમાં જે બન્યું એની વિગતો જાણવાની જરૂર હોય, એ સ્વાભાવિક પણ છે. એક તો, એમણે સરકારે છીનવેલી સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા પુનઃ સ્થપાય એ માટે આ ઉંમરે પણ સક્રિયતા દાખવી. બીજું, ગુજરાત સાહિત્ય અકાદમી સ્વાયત્ત બને અને ટકી રહે એ માટે ઉમાશંકર જોશી અને દર્શકના પ્રયાસોથી ઊભી થયેલી પ્રણાલિ પરંપરા રૂપે આગળ વધે એ માટે, નારાયણ દેસાઈએ પરિષદ પ્રમુખ તરીકે કરેલા ઠરાવનું અને એના અનુસંધાને ઠરાવેલા અસહકારનું પાલન નવી પેઢી અને પરિષદ પોતે પણ કરે – એટલે કે એના સંલગ્ન સભ્યો કરે અને કરતા રહે એ માટે સતત જાગરુકતા દાખવનારા ભગતસાહેબને આવેલા બ્રેઈનસ્ટ્રોક માટે પરિષદની બેઠકમાં જે કંઈ બન્યું તે જવાબદાર છે એમ કહેવાને બદલે પરિષદની બેઠક જવાબદાર નથી, એ તો આકસ્મિક હોઈ શકે .. એમ કહેવાનું વલણ વાજબી લાગતું નથી.
ભગતસાહેબને આવેલો બ્રેઈનસ્ટ્રોક એક જાહેર સાહિત્યિક સંસ્થાની નિર્ણાયક બેઠકમાં આવ્યો અને એ મુદ્દા પરત્વે જે વિવાદ ઉપસ્થિત થયો એના કારણે ૯૨ વર્ષના આ મૂલ્યનિષ્ઠ કવિના મનોવ્યાપારને લાગેલા આઘાતની અસર આવી થઈ શકે છે. એમાં હાજર રહેલા સહુ કોઈ જાણે છે કે શું થયું, કેમ થયું, ભગતસાહેબે સમજાવ્યા કર્યું અને જે ત્રણ જણ સંકળાયેલા હતા, એમાંના રાજેન્દ્ર પટેલે તો કારોબારીની બેઠકમાં (ઉપપ્રમુખ તરીકે તેઓ નવી કારોબારીમાં ચુંટાયા છે) જ માફીપત્ર લખી આપેલું. પણ માફીપત્રની વાત જ્યારે મધ્યસ્થ સમિતિમાં મુકાઈ ત્યારે બીજા એમ કરવા તૈયાર ના થયા અને મામલો એ રીતે આગળ વધતો રહ્યો. વળી એમને મુદત આપવાની વાતને વરિષ્ઠો પૈકી કોઈક ટેકો આપતા રહ્યા, અને બીજા મૂક સંમતિ.
મધ્યસ્થની એ બેઠકમાં હાજર સહુ જાણતા જ હશે કે સ્વાયત્તતાના મુદ્દે ગુજરાત સાહિત્ય અકાદમી સાથે અસહકાર શા માટે છે! ભગતસાહેબની એ અસહકારના મુદ્દે શી ભૂમિકા છે અને એમનો અભિગમ શો અને શા માટે છે એ પણ સહુ જાણતા જ હોય. તેઓ એક રીતે ટ્રસ્ટીઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા તેમ પરિષદે સોંપેલી જવાબદારી નિભાવવા એક મૂલ્યનિષ્ઠ સાહિત્યકાર તરીકે પણ બોલી રહ્યા હતા. આમ છતાં જે સાંભળવા મળ્યું છે તે પ્રમાણે હાજર રહેલામાંનાં જૂજ સભ્યો જ ભગતસાહેબના ટેકામાં બોલ્યા. બાકી મોટા ભાગના ચૂપ રહ્યા, સ્મશાનભૂમિમાં જે વાતો થતી હતી એમાંથી એક એવું ચિત્ર ઊપસતું હતું, જે આખી ઘટના અંગે સ્પષ્ટ સૂચિતાર્થ ભણી લઈ જતું હતું.
ગુજરાતી સાહિત્ય પરિષદની એ મધ્યસ્થ સમિતિની બેઠકમાં નિરંજન ભગત અને બીજાં સૌ. માધવ રામાનુજે લીધી આ એમની હવે આખરી છબિ ઠરે છે.
હકીકતે તો કારોબારીમાં અસહકારના ઠરાવના ભંગ બદલ ઉપરોક્ત ત્રણેય જણાની બરતરફી/ હોદ્દા પરથી રૂખસદ આપવાની દરખાસ્ત જ મૂકી શકાઈ હોત, છતાં પ્રમુખ સિતાંશુભાઈએ તેમ જ ભગતસાહેબે ત્રણેય જણાને માફીપત્ર લખી આપવા અને હવેથી એનું પાલન કરવાની બાંહેધરી આપવાની વાત જ મધ્યસ્થમાં મૂકી હતી, કારણ કે આ એક સાહિત્યિક સંસ્થા છે, માનવીય પાસાંને અવગણતી નથી એવી એક પ્રતીતિ પણ એની સાથે સંકળાયેલી છે. આમ છતાં એ સ્વીકારવાને બદલે એનો વિરોધ કરનારઓએ ના વિચાર્યું કે રૂખસદ આપવાને બદલે માત્ર માફી માગવાની વાત એમની સામે મૂકવામાં આવી છે. એથી ઊલટું, એમણે માફી ના માગવાની બાબત પકડી રાખી અને એવી દલીલ કરી કે પૂર્વપ્રમુખ ધીરુભાઈએ એમ કહ્યું છે કે એ મરજીયાત છે. એના જવાબમાં ધીરુભાઈએ સ્પષ્ટતા કરી કે એ તો સામાન્ય સભ્ય માટે ત્યાંના કાર્યક્રમમાં હાજર રહેવા અંગે છે, એ હોદ્દેદાર અને મધ્યસ્થના સભ્યને લાગુ પડતું નથી. પ્રવીણ પંડ્યાએ બંધારણના નવા સુધારાનો હવાલો આપીને એ પણ સ્પષ્ટ કર્યું કે કોઈ પણ વ્યક્તિ મધ્યસ્થની ચૂંટણીમાં ઊભી રહે ત્યારે ભરવાના ફૉર્મમાં જ લખેલું છે કે અમે પરિષદના નિયમો અને વખતોવખત થતા ઠરાવોને પાળવા બંધાયેલા છીએ.
કોણ જાણે કેમ એમનો દલીલોનો દોર ચાલુ રહ્યો. એ સાથે આ બાબત અંગે મગનું નામ મરી ના પાડનારા કેટલાક સભ્યો અસહકાર હટાવી લેવો જોઈએ, એવી રજૂઆત કરતા રહ્યા .. જાણે કે વાતને આડે પાટે ચડાવવાની પ્રક્રિયા ના હોય! છતાં ભગતસાહેબ, શાંતિથી વાત મૂકતા રહ્યા, પ્રમુખ તરીકે સિતાંશુભાઈ પણ સમજાવતા રહ્યા. પ્રકાશ ન. શાહ, પ્રવીણ પંડ્યા અને ભરત મહેતાએ પણ પોતપોતાની રીતે ભગતસાહેબની વાતને ટેકો પૂરો પાડ્યો. પણ આશ્ચર્યની વાત તો એ છે કે આટલાં વર્ષોથી એમની સાથે બેસનારા, સલાહ લેનારા અન્ય ઘણા ત્યાં હાજર હતા તેઓ ઘણુંખરું ચૂપ રહ્યા. એમાંનું એક પણ જણ એકવાર પણ એમ બોલ્યું નહીં કે ભગતસાહેબની વાત સાચી છે અને પ્રમુખ સિતાંશુભાઈ પણ એમ જ સૂચવે છે, એનો સ્વીકાર કરવો જોઈએ! સ્મશાનભૂમિમાં કેટલાક એમ કહેતા સંભળાયા હતા કે સહુ મનમાં તો કંઈ ને કંઈ બોલ્યા જ હોય, પણ શું બોલ્યા તે એમના મન સિવાય કોણ જાણી શકે, પોતે પણ નહીં!!
એકની એક દલીલોના દોરમાં એકે થોડો સૂર બદલ્યો – હું માફીપત્રનું વિચારી જોઈશ, મને થોડા દિવસનો સમય આપો. ભગતસાહેબે કહ્યું, સમય તો પૂરો થઈ ગયો છે, તમે જે કર્યું એના કેટલા બધા દિવસો પછી આ બેઠક મળી છે. એ સમયે વરિષ્ઠો પૈકી કોઈકે કહ્યું કે એમને થોડો સમય આપો ને! અને એ વાત દોહરાવતા રહ્યા …
આ સાંભળીને એમ થવું સ્વાભાવિક છે કે એક સ્તરે ભગતસાહેબ, સ્વાયત્તતાના મૂલ્ય કાજે, એને લગતા ઠરાવનું જાણી જોઈને ઉલ્લંઘન કરનારને બરતરફીને બદલે માત્ર માફીપત્ર આપવાનું કહે છે, ત્યારે બીજા સ્તરેથી જેમણે ઉલ્લંઘન કર્યું છે એમની તરફેણમાં વિચારવા થોડો વધારે સમય આપવાનું કહેવામાં આવે છે!
સામૂહિક ચૂપકીદી જેવી પરિસ્થિતિ મોટે ભાગે કોઈ ભય કે પછી કોઈ લાભને કારણે હોય છે, એમાં ય જ્યારે સંબંધિત મુદ્દા અંગે જાહેરમાં સર્વસંમતિ દાખવી હોય અને પછી એને લગતા આનુષંગિક પગલાં, ભારપૂર્વક ફરી લખું છુ કે એને લગતાં આનુષંગિક પગલાંને ટેકો ના આપવા જેવી ચેષ્ટા કરવી, ધરાર ચૂપ રહેવું, એ છળમાં સત્ય તો હોતું જ નથી, અસત્ય પણ વસતું નથી, કેવળ આત્મઘાતી સડો વસે છે. આ આત્મઘાતી સડો એમની જાત સાથે તો જે કરશે તે કરશે પણ આ સંસ્થા અને એના અન્ય સાહિત્યકારો સાથે તે જે કરે એ કેટલું વિઘાતક હોઈ શકે એની એમને જાણ છે? એમને એ પણ વિચાર ના આવ્યો કે રણજીતરામથી માંડીને નારાયણ દેસાઈ સુધીના મહાનુભાવો આ સંસ્થાની ધરોહર છે અને તેઓ એની સાથે ચેડાં કરી રહ્યા છે, એના મૂળમાં એ એવું કાંક રેડી રહ્યા છે જે એને ખોખલી બનાવવા તરફ લઈ જાય છે!
મધ્યસ્થમાં બેઠેલા તમામ મહાનુભાવોને સામાન્ય સભ્યોએ ચૂંટ્યા છે અને એટલે સામાન્ય સભ્યોને એ જાણવાનો અને માગવાનો હક છે કે જો એક સાહિત્યિક સંસ્થાને પૂરી સાહિત્યિક રાખવી હોય તો રાજકીય દોરીસંચાર અને સત્તાકીય દાવપેચની રમતો બંધ કરી અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને સ્વાયત્તતા પ્રજાસૂય કર્મની વેદી પર બરકરાર હોવાનું દાખવે અને એનો દ્રોહ ના કરે. ભગતસાહેબની આ મૂલ્યપરસ્ત શહીદીને વ્યર્થ અને નિરર્થક બનાવવાની કોઈ ચેષ્ટાને હવે ચલાવી લેવામાં ના આવે તેમ જ જેમનામાં એને જાળવવાની અને જતન કરવાની નિસબત ના હોય તેઓએ જાતે જ સમજીને સાહિત્ય, સાહિત્યકારો, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, અને સ્વાયત્તતાને હકારાત્મક સમર્થન આપવા સાથે વ્યાપકપણે એને સાહિત્યિક અને પ્રજાકીય વારસા જેમ જાળવીને જતન કરવા ભણી વળવું જોઈએ અન્યથા સત્તાસ્થાનો છોડવા જેટલો વિવેક દાખવવો જોઈએ. આવું સખેદ કહેવાની આ ઐતિહાસિક પળ આવી ગઈ છે.
આપણે દોષારોપણ ના કરીએ તો પણ જેઓ સીધી રીતે જવાબદાર છે એ અંગે સ્પષ્ટ વાત થવી જોઈએ. સાહિત્યિક સંસ્થાને એનું બંધારણ હોય ત્યારે એનું પાલન થવા અને કરવા અંગે ખોટી અને પક્ષપાતી બાંધછોડ કરવાની જરૂર હોવી જોઈએ નહીં. બંધારણની જોગવાઈઓનું પાલન સાહિત્યિક ધોરણે ઉદારતા દાખવીને જરૂર થાય પણ એ કોઈ નબળાઈ કે શેહશરમમાં આવીને કરવાનો કશો અર્થ નથી.
તદુપરાંત, એક આ મુદ્દો અત્યારે મૂકવો અને સ્પષ્ટ કરવો જરૂરી લાગ્યો છેઃ પરિષદ પ્રમુખો સિવાયના શીર્ષસ્તરેથી ચતુરાઈ સતત એવી રીતે પ્રવૃત્ત રહી છે કે જેના પરિણામે સ્વાયત્ત અકાદમી આંદોલન અને પરિષદની સ્વાયત્તતા અંગેની લડતે ભોગવવું પડ્યું છે. ‘ભાગ્યેશભાઈને બે વર્ષ આપો, તેઓ એક નવું અને સારું બંધારણ આપશે.’ આમ કહેવાનો અર્થ વાચનાર સમજી શકે છે. આ ચતુરાઈ વિશે, સ્વાયત્તતા અને અસહકારના અમલ વિશે ૨૮-૧-૨૦૧૮ ની બેઠકમાં સરજવામાં આવ્યા એ ખેલ અંગે એટલે લખવું જરૂરી હતું કે ઘટના પાછળનાં પરિબળોનો આછો પરિચય સહુને થઈ રહે. જ્યારે કોઈ પણ સાચી વાતને છાવરીને બિનજરૂરી સમાધાન સરજવા માટે એક એજન્ડા ઘડી કાઢવામાં અને એનો સિફતથી ઉપયોગ કરવામાં એક સમૂહને સક્રિય કરવામાં આવે છે ત્યારે વણધારેલું નિપજી આવે પછી કશું કહી શકાય તો તે આટલું છેઃ
હો રહા હૈ હુક્મ-એ-અમલ કા આલમ ઇસ તરહ યારોં,
ફસ્લ તો કયા, ના મિટ્ટી મિલેગી, ધૂઁએ કી પરછાઈયોં મેં.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2018; પૃ. 15-16