(સાઠ વર્ષ પૂરાં કર્યાં ત્યારે)
આયુષ્યની અર્ધી સદી હજુ વટાવી ન હતી,
ત્યારે આઘીપાછી નજર તો, કવિ, તમે નાખી હતી;
ત્યારે તમે કહ્યું હતું, ‘ગયાં વર્ષો –
ખબર નહીં કેમ ગયાં!’
રહ્યાં વર્ષો તેમાં અવનિનું અમૃત જે
પ્રણય આકંઠ પીવો હતો.
સમુદ્રમંથન સમે ચૌદ રત્નો વિશે
પ્રેય જે કૈં હતું, અન્ય સૌએ વ્હેંચી લીધું;
વિષ રહ્યું, કોઈકે તો પીવું –
નામ તમે સાર્થક શું કરી રહ્યા!
વિષ હો કે અમૃત હો, યથાર્થ જ સુપથ્ય હો!
સમજવું, સદા બસ સમજવુંઃ
જે કૈં, જેટલું કૈં શક્ય હોય સમજ્યાં જ જવું,
અમૃત એ.
આજ અહીં તમારા સૌ મિત્રો તમારા જ ઘર મહીં
તમારું સ્વાગત કરે,
એવા તમે ચિરઅતિથિ શા નિજગૃહે, પૃથ્વી પરે,
નિજપર સૌનાય અહમ્ની સામે,
નિજ-પર કેટલાક સંસારના જીવો વચ્ચે
સતત જે યુદ્ધે મચ્યો,
યુદ્ધનીયે વચ્ચે સદા ‘શાંતિ, શાંતિ’ રટી રહ્યો
તમારો આ આત્મા,
તેને આજ અભિનંદે, અભિવંદે,
‘વિશ્વશાંતિ’થી ‘અભિજ્ઞા’
તમારી એ કાવ્યયાત્રા, આયુર્યાત્રા –
વિશ્વશાંતિ? ક્યાં છે શાંતિ? નથી. સૌને અભિજ્ઞા છે.
છતાં આજ આટલું તો કહીશું જઃ
તમારાં આ સાઠ વર્ષો વ્યર્થ નથી ગયાં.
(‘છંદોલય’માંથી)
૧૯૭૧
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2018; પૃ. 04