નિરંજન ભગતે ૧૯૬૯માં રણજિતરામ સુવર્ણચંદ્રકની અર્પણવિધિ અવસરે ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ નામનું વ્યાખ્યાન કર્યું. તેનું પુસ્તક વોરા ઍન્ડ કંપનીએ ૧૯૭૫માં પ્રસિદ્ધ કર્યું. તેમાં વક્તાએ આ વ્યાખ્યાન પાછળનો આશય જણાવ્યો છે : ‘હું નથી યંત્રવિજ્ઞાની કે નથી મંત્રકવિ, છતાં આ વિષય પર વ્યાખ્યાન કરવાનું સાહસ કરું છું. કારણ આપ સહુની જેમ હું પણ એક એવા યુગમાં જીવી રહ્યો છું કે જેમાં યંત્રવિજ્ઞાન અકલ્પ્ય ગતિથી અસંખ્ય પરિવર્તનો દ્વારા સમગ્ર મનુષ્યજીવનને એવું તો વ્યાપી વળ્યું છે કે કોઈ પણ ક્ષણે સમસ્ત માનવજાતિ સમક્ષ જાણે કે જીવન-મૃત્યુ જેવા અંતિમ વિકલ્પો રજૂ કરશે, એવો ભય અનુભવી રહ્યો છું. તે સાથે- સાથે મંત્રકવિતા આ અંતિમ વિકલ્પોમાં મનુષ્ય માત્રએ જે પસંદગી કરવાની રહેશે. તેમાં સહાયરૂપ થવાનો એનો ધર્મ બજાવશે, એવી શ્રદ્ધા અનુભવી રહ્યો છું. એથી ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ પર વ્યાખ્યાન કરવાનું આ દુસાહસ કરું છું. – બલકે એને હું મારું કર્તવ્ય સમજું છું.’ (પૃ. ૧૦)
પુસ્તકમાં પ્રાસ્તાવિક પછીના ત્રણ ખંડોમાં ભગતસાહેબ યંત્રવિજ્ઞાનના તાત્ત્વિક પ્રશ્નો, યંત્રવિજ્ઞાનનો ઇતિહાસ તેમ જ ઔદ્યોગિક ક્રાન્તિ અને ઔદ્યોગિક ક્રાન્તિમાં ભારતની અવદશાનું વિવરણ કરે છે. પાંચમા ખંડનું શીર્ષક છે : ‘ઔદ્યોગિક ક્રાન્તિ : ગુજરાતી ભાષાની પાંચ ગદ્યપદ્ય કૃતિઓ’. આ કૃતિઓ છે : દલપતરામનું આખ્યાનકાવ્ય ‘હુંનરખાનની ચડાઈ’, ગાંધીજીનું ‘હિંદસ્વરાજ’, રણજિતરામની ટૂંકી વારતા ‘માસ્તર નંદનપ્રસાદ’ અને ઉમાશંકરની સૉનેટમાલા ‘આત્માનાં ખંડેર’.
વ્યાખ્યાનકાર રણજિતરામની કૃતિ વિશેની વાત કરતાં પહેલાં ભૂમિકા બાંધે છે. તે લખે છે : ‘માસ્તર નંદનપ્રસાદ’ના સંદર્ભમાં અને આ વ્યાખ્યાનના વિષયના સંદર્ભમાં રણજિતરામના સાહિત્ય અને શિક્ષણ વિષયના બે-ત્રણ લેખોનું પણ મૂલ્યાંકન કરવાનો અહીં પ્રયત્ન કરીશું. આમાં આગળ વ્યાખ્યાનકાર લખે છે : ‘ભારતમાં જ્યાં લગી …. (પૃ. ૧૫૬ છેલ્લો ફકરો) …… સવિશેષ તો માસ્તર નંદનપ્રસાદમાં રણજિતરામનું દર્શન છે.’ (પૃ ૧૫૭)
નોંધ : સંજય શ્રીપાદ ભાવે
‘માસ્તર નંદનપ્રસાદ’ના સંદર્ભમાં અને આ વ્યાખ્યાનનાં વિષયક સંદર્ભમાં રણજિતરામના સાહિત્ય અને શિક્ષણ વિશેના બે-ત્રણ લેખોનું પણ મૂલ્યાંકન કરવાનો અહીં પ્રયત્ન કરીશું. રણજિતરામે એમનો પ્રાથમિક-માધ્યમિક શાળાનો અભ્યાસ અમદાવાદમાં પ્રૅક્ટિસિંગ સ્કૂલમાં અને અંગ્રેજી મિશન હાઈસ્કૂલમાં કર્યો ત્યારે રણજિતરામ ૧૮૯૬-૯૭માં છઠ્ઠા ધોરણથી વિદ્યાર્થીઓનું એક મંડળ ‘ધ યંગ મેન્સ યુનિયન’ સ્થાપવામાં આવ્યું તેની સાપ્તાહિક સભાઓના સભ્ય હતા. પછી ૧૮૯૯માં મૅટ્રીક થયા અને ગુજરાત કૉલેજમાં વિદ્યાર્થી હતા ત્યારે એ ૧૯૦૧માં એ કૉલેજના વિદ્યાર્થીઓનું એક મંડળ ‘ધ સોશિયલ ઍન્ડ લિટરરી ઍસોશિયેશન’ સ્થાપવામાં આવ્યું એના સહાયક મંત્રી હતા. આ મંડળમાંથી ૧૯૦૨માં ‘ધ લિટરરી ઍસોશિયેશન’ થયું અને તેમાંથી ૧૯૦૩માં ‘ગુજરાત સાહિત્ય સભા’ અસ્તિત્વમાં આવી એના એ મુખ્યમંત્રી હતા, તેમાંથી ૧૯૦૫માં ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ સ્થાપવામાં આવી એના એ આત્માસમા હતા. ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ સ્થાપવામાં આવી એના એ આત્માસમા હતા. ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ની ઉદાત્ત અને ઊર્જસ્વી મૂર્તિ રણજિતરામના હૃદયમાં અંકિત હતી. એનો ભવ્યસુંદર આદર્શ હતો. ‘ગુજરાતનું નવજીવન અને ગુજરાતી સાહિત્ય પરિષદ’ લેખમાં એને વિશે એમણે લખ્યું હતું :
‘વ્યક્તિ મૃત્યુશીલ છે. તેમના માનાપમાન ક્ષણિક છે. ગુજરાત ચિરંજીવ છે. ગુજરાતી પ્રજાની પ્રગતિ ક્ષણિક નહીં પણ ક્ષણે ક્ષણે વધતી જવી જોઈએ. ગુજરાતની પ્રગતિ સાધવામાં સાહિત્ય પરિષદ જેમ જેમ ઉપયોગી થતી જશે, તેમ તેમ વ્યક્તિઓની વિરોધી સ્વાર્થવૃત્તિઓ સહાનુભૂતિ અને સહકાર્યની વૃત્તિમાં પલટાઈ જશે એવી અમને આશા છે.’
રણજિતરામ ૧૯૦૮માં ભાવનગરમાં પટ્ટણીના રહસ્યમંત્રી હતા ત્યારે એમણે કેળવણી પરિષદની યોજનાનો આરંભ કર્યો. ૧૯૦૯માં ગુજરાત સાહિત્ય સભા સમક્ષ એનો પ્રસ્તાવ થયો, પછી ૧૯૧૪માં સાહિત્ય પરિષદ સમક્ષ એનો પ્રસ્તાવ થયો. પણ આ બંને સાહિત્યની સંસ્થાઓમાં શિક્ષણનો સમાસ ન થયો પણ સ્વતંત્ર કેળવણી પરિષદ યોજવાનો પ્રસ્તાવ થયો. ૧૯૧૫માં મુંબઈમાં એનો પુનર્વિચાર થયો અને અંતે ૧૯૧૬માં અમદાવાદમાં ગુજરાત કેળવણી પરિષદ યોજવાનો નિર્ણય થયો. ગુજરાતના પ્રજાજીવનમાં સાહિત્ય પરિષદ જેટલી જ કેળવણી પરિષદની અત્યંત આવશ્યકતા હતી. ‘ગુજરાત કેળવણી પરિષદ’ લેખમાં એને વિશે એમણે કહ્યું હતું:
‘પરંતુ પ્રજાજીવનના પ્રશ્નો એટલા બધા છે – સંખ્યા મોટી છે, વિવિધ છે, વિષમ છે કે એક પ્રવૃત્તિ બસ નથી.’
એથી ૧૯૧૬માં ઑક્ટોબરમાં અમદાવાદમાં પ્રથમ ગુજરાત કેળવણી પરિષદ યોજવામાં આવી ગુજરાતી સાહિત્ય પરિષદની મૂર્તિ અને એના આદર્શ સમાન આ કેળવણી પરિષદની મૂર્તિ અને એના આદર્શ વિશે રણજિતરામે, જાણે દલપતરામના ‘હુંનરખાનની ચઢાઈ’નું ગદ્યરૂપાન્તર કર્યું હોય તેમ, ‘ગુજરાત કેળવણી પરિષદ’ લેખમાં લખ્યું હતું :
‘ગુજરાત વેપાર અને ઉદ્યોગની ભૂમિ છે. વર્તમાન યુગમાં પ્રજાજીવનમાં એ બેનુું સ્થાન ઘણું જ આવશ્યક અને ઉપયોગી છે. રાજદ્વારી પરતંત્રતા કરતાં આર્થિક (વેપાર ઉદ્યોગની) પરતંત્રતા અધિક હાનિપ્રદ નીવડે છે. ભારતવર્ષ જેવા વિશાળ પ્રદેશ ઉપર પ્રકૃતિ પ્રસન્ન છતાં – પ્રસન્નતાને લીધે વિવિધ પ્રકારનો ‘કાચો માલ’ (raw materials) હંમેશ મબલખ ઉત્પન્ન થતો હોવા છતાં એ માલમાંથી વપરાશ માટે તૈયાર થતી ચીજો કરવાની આવડત, સાધન વગેરે ભારતવર્ષમાં ન હોવાથી તે ચીજો મેળવવા બીજા દેશોને આધીન તેને રહેવું પડે છે, તેથી પરિણમતી હાનિ સુવિદિત છે. આ હાનિ કાંઈક ઓછી કરવાનો યોગ્ય ગુજરાતના ભાગ્યમાં જણાયો છે. વર્તમાન વૈજ્ઞાનિક યુગની સામગ્રીઓથી ઉદ્યોગો એણે સ્થાપ્યા છે. કલાભવન જેવી સંસ્થા પ્રથમ વડોદરામાં જ સ્થપાઈ અને વૈજ્ઞાનિક કેળવણીનો ઘોષ કરનાર અને સ્વાર્થત્યાગે તેનો પ્રચાર કરનાર પ્રો. ગજ્જર પણ ગુજરાતી છે અને તેમનું કાર્યક્ષેત્ર તે જ રહ્યું છે.’
પ્રજાજીવનના આ આર્થિક સ્વતંત્રતાના મહાન પ્રશ્નના ઉત્તરરૂપે વૈજ્ઞાનિક કેળવણી વિશે રણજિતરામે ‘ઈસુનું વર્ષ ૧૯૦૮’ લેખમાં લખ્યું હતુંઃ
‘રાજ્ય અને સંસાર સાથે સંબદ્ધ અર્થપ્રાપ્તિ અને શિક્ષણ વિશે થોડુંક વિચારીએ. કરાંચીથી મુંબઈ લગીનો દરિયો ગુજરાતીઓથી ઉભરાય છે; ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, આફ્રિકા, ચીન, જાપાન જાય છે તે તો જુદું. મુંબઈ અને અમદાવાદમાં વરાળયંત્રથી રૂની બનાવટ કરે છે. તેઓ અનેક નવા હુન્નરો ઉપજાવી દેશને આબાદ કરી શકે એવા છે. તેમની વૃત્તિ એ તરફ દોડી છે. જોઈતાં લાયકાત, કેવળણી અને સાધનો મેળવી તેઓ એ દિશામાં પ્રયાણ કરશે. સ્વદેશપ્રેમ અને પ્રામાણિકતાથી છલબલતાં હૈયાવાળાં મગજો જ્યારે એમાં પડશે ત્યારે જ સાફલ્ય મળશે.’
ગયે વર્ષે બૅંકો, મિલોમાં વધારો થયો હતો તો પણ વેપાર અને હુન્નર ઉદ્યોગી શી રીતે વધે તે વિશે હજુ જોઈએ તેવો ગુજરાતમાં વિચાર થયો નથી. અને થતો હોય તેમ લાગતું નથી. વેપારી મહાજન ( Chamber of Commerce), ઔદ્યોગિક ને વ્યાપારી શિક્ષણ, ઉદ્યોગ વેપારના ગ્રંથ, માસિકો, કાચા ને તૈયાર માલનાં સંગ્રહસ્થાનો, બૅંકો, વહાણો, રેલવે ઇત્યાદી અસ્તિત્વમાં લાવી અનેકવિધ આર્થિક ખીલવણી થઈ શકે … વેપારી વર્ગ કેળવાશે ત્યારે જ ગુજરાતનું ભાગ્ય ઉઘડશે.’
ભારતમાં જ્યાં લગી અંગ્રેજોનું આર્થિક વર્ચસ્વ હોય અને એને કારણે રાજકીય વર્ચસ્વ હોય એટલે કે ભારતની રાજકીય પરતંત્રતા હોય ત્યાં લગી એની આર્થિક અને ઔદ્યોગિક સ્વતંત્રતા સિદ્ધ ન થાય અને એને કારણે ત્યાં લગી ઇંગ્લૅન્ડમાં જેટલો આર્થિક અને ઔદ્યોગિક વિકાસ થયો હોય એટલો આર્થિક અને ઔદ્યોગિક વિકાસ ભારતમાં ન થાય. આ સંદર્ભમાં આજે કોઈ પણ પાછી નજરે જોઈ શકે કે ‘હુંનરખાનની ચઢાઈ’માં દલપતરામના ભારતના આર્થિક અને ઔદ્યોગિક વિકાસના દર્શનની જે મર્યાદા છે તે જ આ લેખોમાં રણજિતરામના ભારતના આર્થિક અને ઔદ્યોગિક વિકાસના દર્શનની મર્યાદા છે. ભારતમાંથી અંગ્રેજો ભલે ન જાય, એમનો સુધારો જાય એ ‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીનું સ્વરાજનું દર્શન છે. એથી અન્યથા ભારતમાંથી અંગ્રેજોનો સુધારો ન જાય એટલું જ નહીં. પણ ઇગ્લૅન્ડમાં એનો જેટલો વિકાસ થયો છે એટલો ભારતમાં એનો વિકાસ થાય એ ‘હુંનરખાનની ચઢાઈ’માં દલપતરામનું આર્થિક અને ઔદ્યોગિક સ્વતંત્રતાનું દર્શન છે તે જ આ લેખોમાં રણજિતરામનું આર્થિક અને ઔદ્યોગિક સ્વતંત્રતાનું દર્શન છે. જો કે ભારતમાંથી અંગ્રેજોનો સુધારો ન જાય તો ભારતની પ્રાચીન પરંપરાની સંસ્કૃિત વચ્ચે સંઘર્ષ થાય એ ‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીનું જે દર્શન છે એ જ આ લેખોમાં, અને સવિશેષ તો ‘માસ્તર નંદનપ્રસાદ’માં, રણજિતરામનું દર્શન છે. એથી જ આ બે સંસ્કૃિતઓના સમન્વય વિશે, પરંપરા અને આધુનિકતાના સમન્વય વિશે રણજિતરામે ‘ગુજરાત કેળવણી પરિષદ’ લેખમાં લખ્યું હતુંઃ
‘ગુજરાતને માટે અલાયદુ વિશ્વવિદ્યાલય (University) વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક શિક્ષણ માટે ગંજાવર વિદ્યાપીઠો (Technological Institutions), પ્રાચીન આર્ય સંસ્કૃિતનાં પુનર્જન્મ માટે તેમ જ ગુજરાતીઓના વર્તમાન જીવનને વાસ્તવિક આર્યજીવન કરવાનાં સાધનો, નવા પુરોહિતોની કેળવણી, ધર્મનું શિક્ષણ, ચારિત્ર્યનાં બંધારણની તજવીજ, જે જે નવા નવા ધર્મો ગુજરાતને પ્રાપ્ત થતા જાય તેમના નિર્વાહ માટે જરૂરી કેળવણીની તદ્દન નવી જ સંસ્થાઓ; વગેરે વગેરે પ્રશ્નો આ કોટિના છે.’
(યંત્રવિજ્ઞાન અને મંત્ર કવિતા : પૂવાર્ધ પ્રકાશન : વૉરા ઍન્ડ કંપની, ૧૯૭૫)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2018; પૃ. 03-04