પોતાના પુસ્તક ‘ધ અનટચેબલ’માં, માનવશાસ્ત્રી આર.એસ. ખરેએ દલિતોના તે દ્રષ્ટિકોણની ચર્ચા કરી છે કે જેના થકી દલિતો મહાત્મા ગાંધી દ્વારા લોકપ્રિય કરવામાં આવેલ શબ્દ ‘હરિજન’ને જોતાં હતાં, અને તેની વ્યાખ્યા કરતા હતા. લેખક ખરે લખનઊના એક સુધારકની એ વાત ટાંકતા જણાવે છે કે જેમાં એ સુધારક કહે છે કે ‘હરિજનનો જે અર્થ છે તે હિંદુ આપણને ક્યારે ય નહિ બનવા દે અને આપણને તેવા બનવાની ઈચ્છા પણ હોવી જોઈએ નહિ. આ તો પોતાનો અપરાધ બોધ દૂર કરવા માટેનો ગાંધીજીનો એક પ્રયાસ માત્ર હતો. ગાંધીજીએ પોતે ક્યારે ય પણ દલિત શબ્દનો ઉપયોગ નહોતો કર્યો. ડૉ. આંબેડકરે પણ આ શબ્દનો ઉપયોગ ક્યારે ય નહોતો કર્યો, અને પોતાના અંગ્રેજી ભાષણો અને લેખોમાં આ શબ્દનો ક્યારે ય ઉપયોગ નહોતો કર્યો. તેઓ પોતાનાં લોકોને ‘અસ્પૃશ્ય’ અથવા ‘વંચિત વર્ગ’ (ડીપ્રેસ્ડ) જેવા શબ્દો થકી સંબોધિત કરતા હતા. પરંતુ, ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ઉત્તર ભારતનાં તમામ વિસ્તારોમાં ‘દમિત’નું જ્ઞાન કરાવતા, શબ્દ દલિતનો ઉપયોગ શરૂ થઇ ચૂક્યો હતો. પણ, વર્ષ ૧૯૭૦ની આજુબાજુ આ શબ્દનું ચલણ વધારે ઝડપી બન્યું કે જ્યારે મહારાષ્ટ્રના એક ઉગ્ર સુધારાવાદી જૂથે પોતાનું નામ જ ‘દલિત પેન્થર્સ’ રાખ્યું. હવે તો ભારતીય દલિત અને બિન દલિત લોકો પણ સમાન રીતે આ શબ્દનો ઉપયોગ કરે છે.
ગાંધીજીએ વર્ષ ૧૯૨૦માં અસ્પૃશ્યતા વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું, ત્યારે હિંદુ સમાજના આ સૌથી નીચલા વર્ગ માટે ‘હરિજન’ શબ્દનો ઉપયોગ નહોતો કર્યો. તેઓ આ વર્ગ માટે જ્યારે ગુજરાતીમાં કંઇક બોલતા અથવા લખતા હતા, ત્યારે ‘અંત્યજ’ અથવા અંગ્રેજીમાં ‘સપ્રેસ્ડ’ શબ્દનો ઉપયોગ કરતા હતા. સપ્ટેમ્બર ૧૯૩૨માં જ્યારે ગાંધીજીએ દલિતો માટે અલગ મતદાર મંડળ સ્થાપવાના વિરોધમાં પૂણેની યરવડા જેલમાં ઉપવાસ શરૂ કર્યા, ત્યારે ડૉ. આંબેડકર પણ તેમનાં સમર્થનમાં હતા. ત્યારે ગાંધીજીની નબળી તબિયતને જોતાં ડૉ. આંબેડકરને એક કરાર પર સહી કરવી પડી કે જે કરાર દમિત વર્ગ માટે આરક્ષિત બેઠકોમાં વૃદ્ધિની તરફેણમાં હતો, છતાં આ કરાર તમામ હિંદુઓ માટે એક સંયુક્ત મતદાર મંડળના સ્વરૂપમાં હતો. પૂના પેક્ટ બાદ તરત જ ગાંધીજી અસ્પૃશ્યો માટે ‘હરિજન’ શબ્દનો ઉપયોગ કરવા લાગ્યા, જેનો અર્થ થાય છે ‘ઈશ્વરનાં સંતાન’. ગાંધીજી આ શબ્દને ‘અસ્પૃશ્ય’ની સરખામણીમાં ઓછો નિરાશાજનક માનતા હતા.
‘હરિજન’ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ સંત કવિ નરસિંહ મહેતાએ કર્યો હતો. ગાંધીજી તેમના પ્રશંસક હતા. ગાંધીજીનું પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો તેને …’ પણ નરસિંહ મહેતાની રચના છે. હરિજન શબ્દનો સ્વીકાર કરતી વેળાએ ગાંધીજી માનતા હતા કે ‘એવું નથી કે નામ બદલવાથી સંજોગો બદલાઈ જાય છે, પણ જે-તે શબ્દના ઉપયોગથી તો બચી જ શકાય છે કે જે શબ્દથી તમે નિમ્ન છો એવો અનુભવ થાય છે. ગાંધીજી ‘યંગ ઇન્ડિયા’ નામક સાપ્તાહિક સમાચારપત્ર કાઢતા હતા. ૧૯૩૩માં તેમણે આ પત્રનું નામ બદલીને ‘હરિજન’ કરી દીધું. તેમની દ્રષ્ટિએ અસ્પૃશ્યતા ખતમ કરવાનું એટલું જ મહત્ત્વપૂર્ણ હતું કે જેટલું મહત્ત્વપૂર્ણ રાજનૈતિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનું હતું. દેશમાં દરેક સ્તરે આ વિચારને માન્યતા મળી, અને હિંદુ મધ્યમવર્ગ તથા રાષ્ટ્રવાદી પ્રેસમાં આ નામ ખૂબ ઝડપથી ચલણમાં આવી ગયું. અસ્પૃશ્ય હવે હરિજનના નામથી ઓળખાવા લાગ્યા હતા. પરંતુ, ડૉ. આંબેડકર આ સાથે સહમત નહોતા. તેમણે આ વાત નકારી કારણ કે તેઓ પોતાના સમાજને કોઈ પદવી થકી ઓળખવામાં આવે તે વાતના વિરોધી હતા.
સપ્ટેમ્બર ૧૯૩૨માં ઉપવાસ પર જતાં પહેલાં, ગાંધીજીએ અસ્પૃશ્યતા વિરોધી લીગની સ્થાપના કરી હતી, કે જેને ચલાવવાની જવાબદારી ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલા અને સામાજિક કાર્યકર્તા એ.વી. ઠક્કરની હતી. ઉપવાસ પૂર્ણ થયા અને પૂના સહમતિ પર હસ્તાક્ષર થયા બાદ, આનું નામ ‘હરિજન સેવક સંઘ’ કરવામાં આવ્યું. ગાંધીજીના સહયોગી ચક્રવર્તી રાજગોપાલાચારી(રાજાજી)એ આ નામનો વિરોધ કર્યો. તેઓનું કહેવું હતું કે ‘હરિજન સેવક સંઘ’ નામ અસ્પૃશ્યતા ચાલુ છે, એવી પ્રતીતિ કરાવે છે. તેમના મતે ‘જો નામ રાખવું જ હોય તો આનું નામ ‘અસ્પૃશ્યતા દૂર કરો લીગ’ હોવું જોઈએ, કે જેના થકી સંદેશો વધારે સ્પષ્ટ રીતે પહોંચશે. ચક્રવર્તી રાજગોપાલાચારીનું કહેવું હતું કે ‘જે વર્ગ માટે આપણે વિચારી રહ્યા છીએ, તેમની સેવા એ આપણો હેતુ નથી. આપણો હેતુ તો અસ્પૃશ્યતા નામની આ બીમારીને જડમૂળમાંથી ખતમ કરવાનો છે. રાજાજીએ હરિજન સેવક સંઘના અધ્યક્ષ જી.ડી. બિરલા અને સચિવ એ.વી. ઠક્કરને પત્ર લખીને પોતાનાં મનની વાત જણાવી દીધી. તેઓ વધારે ભાર ‘દૂર કરો’ શબ્દ પર આપતા હતા. ગાંધીજી સહમત નહોતા. ગાંધીજીએ લખ્યું, ‘સંઘ પોતાના નામના કારણે સફળ અથવા નિષ્ફળ નહિ થાય. તેની પરીક્ષા અને સફળતા તેના કામ દ્વારા આંકવામાં આવશે. બિરલાજી અને ઠક્કરજીએ આ આધાર પર રાજાજીનો મત નકારી દીધો અને કહ્યું કે ‘કારણ કે હાલમાં જ સંસ્થાનું નામ બદલવામાં આવ્યું છે, માટે આટલું જલદી ફરી વખત નામ બદલવું સંભવ નથી.
ગત કેટલાક દાયકામાં દલિત વિચારકો અને કાર્યકર્તાઓએ ‘હરિજન’ શબ્દને નકારવાનું શરૂ કર્યું છે. લેખક આર.એસ. ખરે વર્ષ ૧૯૮૦ના જે સુધારકની વાત કરે છે તે તો માત્ર આનું પ્રતિનિધિત્વ કરે છે. સત્ય તો એ છે કે ગાંધીજીના જીવનકાળ દરમિયાન જ ‘હરિજન’ શબ્દ પર ચર્ચા થવા માંડી હતી. કેટલાક લોકો આને ‘દયા’ જેવી માનતા હતા. એપ્રિલ, ૧૯૪૪માં એક પત્રકારે ગાંધીજીને એવું કારણ આપીને નામ બદલવાનું કહ્યું હતું કે, જેમાં એવો મત હતો કે આ જે લોકો માટે છે એ લોકો જ જ્યારે આ માટે સહજ નથી, તો આ નામ બદલીને કોઈ સહજ નામનો સ્વીકાર કેમ ન કરવામાં આવે. ત્યારે ગાંધીજીનો જવાબ હતો કે આ નામ ‘હરિજન’ સમુદાય તરફથી જ સૂચવવામાં આવ્યું હતું. તેઓએ માન્યું કે ‘અસ્પૃશ્યતાની ભાવના ખતમ થઇ જવી જોઈએ’, પણ, આગળ જોડ્યું કે ‘આ પ્રક્રિયાને ત્યારે જ ગતિ મળશે કે જ્યારે હિંદુ સચેતન રૂપમાં શ્રેષ્ઠતા બોધ ત્યાગીને વ્યવહારમાં હરિજન બને. ત્યારે આપણે ઈશ્વરનાં સંતાન એટલે કે ‘હરિજન’ બનીશું. પણ, આ તર્ક નબળો તેમ જ સહજ રીતે સ્વીકાર્ય નહોતો. શક્ય છે કે ગાંધીજીએ રાજાજીની નામ બદલવાની સૂચનાને નકારીને કદાચ ભૂલ કરી હોય. એક વાત નક્કી છે કે ‘હરિજન’ શબ્દ સાથે સમસ્યા શરૂઆતથી જ રહી છે. આ શબ્દ પાછળનો વિચાર ભલે ગમે તેટલો સારો રહ્યો હોય પણ આજના સંદર્ભમાં તો આ અપ્રાસંગિક જ છે.
નોંધ:
૧. તારીખ ૨ ઓગસ્ટ, ૧૯૩૧ના રોજ ‘નવજીવન’ના અંકમાં ‘અંત્યજ’ને બદલે હરિજન શબ્દ અપનાવવામાં આવ્યો. (ગાંધીજીની દિનવારી)
૨. તારીખ ૨૪ સપ્ટેમ્બર, ૧૯૩૨ના દિવસે યરોડા જેલમાં ગાંધીજીના ઉપવાસ ચાલુ હતા. તે દરમિયાન પૂનામાં નેતાઓ વચ્ચે સમજૂતી થઇ ગઈ; વિલાયત વડાપ્રધાનને કરવાનો તાર સરકારી મહેલે પહોંચાડ્યો:- ગાંધીજીને ખોવા કોઈને પાલવે એમ નથી; અમે સૌ સંમત થઇ વિનંતી કરીએ છીએ કે આપનો ચુકાદો પાછો ખેંચો અને અમારી યોજના સ્વીકારો; હરિજનો માટે અલગ બેઠકો રહે પણ અલગ મતદાર મંડળ નહિ. (ગાંધીજીની દિનવારી)
૩. તારીખ ૨૬ સપ્ટેમ્બર, ૧૯૩૨ના રોજ વડાપ્રધાને આ સમજૂતી સ્વીકારી. ઉપવાસ છોડતા પહેલાં ગાંધીજીએ યરોડા જેલના વડાને સ્પષ્ટતાથી કહ્યું:- મેં જેને માટે – હરિજનોના કલ્યાણ માટે – ઉપવાસ કર્યો હતો તેના અંગેનું કામ કરવા માટે એટલે કે તેના અંગેના પત્રવ્યવહાર અને મુલાકાતો માટે મને સંપૂર્ણ છૂટ હોવી જોઈએ. (ગાંધીજીની દિનવારી)
અનુવાદ – નિલય ભાવસાર
Email – nbhavsarsafri@gmail.com
અહીં રામચંદ્ર ગુહાના મૂળ લેખની લિન્ક અહીં આપીએ છીએ.