[ગુજરાતી સાહિત્ય પરિષદના વર્ષ ૨૦૧૮-૨૦ના સમયગાળા માટેના પ્રમુખપદ માટેની તેમ જ મધ્યસ્થ સમિતિ અંગેની ચૂંટણી યોજાઈ રહી છે. પ્રમુખપદ માટે મારું નામ પરિષદના આજીવન સભ્યો દ્વારા સૂચવાયું હતું અને એ અંગેની મારી અનુમતિ મેં ચૂંટણી અધિકારીને પહોંચાડી છે. આ બન્ને ચૂંટણીઓના સંદર્ભે કરેલું મારું આ નિવેદન વાંચવા આપને વિનંતી.]
***
— એક —
ગોવર્ધનરામ ત્રિપાઠી, મહાત્મા ગાંધી અને ઉમાશંકર જોશી જેવા પ્રમુખોએ જેનું જતન કર્યું છે, એ આપણી ગુજરાતી સહિત્ય પરિષદ માટે આજે મુખ્ય બે ધ્યેય, અપેક્ષા, શુભેચ્છા (અંદેશો પણ) મનમાં રહે છે. અપેક્ષા એ છે કે —
(૧) પરિષદ પૂરેપૂરી પરિષદની જ બની રહે.
(૨) પરિષદ સહુની (‘વિવિધ પ્રકારના સહુ’ની) બનતી આવે,
અરસપરસ જોડાયેલાં એ બે ધ્યેયો, આજે આપણી આગળ છે. એ બન્ને સામેનાં ભારે ભયસ્થાનો પણ સામે છે. તે છતાં આપણાં એ બે કામ પાર પાડવામાં સહુ સાથે જોડાવાની લગની છે, એટલે આ ચૂંટણીમાં આપ સહુ, પરિષદના સભ્યો પાસે તમારો સહકાર માગવા આવ્યો છું.
***
(૧) પરિષદ પૂરેપૂરી પરિષદની જ બની રહે, એટલે મારે મન શું છે, એ તમારી સામે મૂકુંઃ
પરિષદનું સંચાલન મુક્ત-નિસ્વાર્થ ચર્ચાઓ વડે, પરિષદના સભ્યો અને એમણે ચૂંટેલાં મધ્યસ્થ અને કાર્યવાહક મંડળોમાં લેવાયેલા નિર્ણયો મુજબ થાય; ન કે આંતર્બાહ્ય કોઈના યે ઇશારે કે દોરીસંચારે, એ મુખ્ય વાત છે. એમાં જ પરિષદનું અને આપણા સહુનું ગૌરવ રહ્યું છે.
કોઈ એક વ્યક્તિ કે જૂથ કે સત્તાની સાગમટે વિરુદ્ધમાં રહી (આની કે તેની) સામે ઊભા રહેવાની કે કામ કરતા રહેવાને મારી નેમ નથી. તેમ કોઈ અન્ય વ્યક્તિ, જૂથ કે અન્ય સત્તાની સાગમટે તરફેણમાં રહી, એના વતી કામ કરવાની યે નેમ નથી. મારી લગની પૂરી પરિષદ તરફી છે, એટલે કે નિરીક્ષાશીલ અને અનન્યપરતંત્ર એવી સર્જકતા-ભાવકતાનું જતન કરતી, ઉપર (૧) અને (૨) મુદ્દે નોંધેલાં ધ્યેય મુજબ કામ કરતી સંસ્થા તરફી છે.
એવી સંસ્થા કઈ રીતે મજબૂત બને? એ તરુવરનાં મૂળિયાંને સામાજની અને વ્યક્તિની ચેતનાની માટી પોષણ આપે છે. એવી ચેતના જે ન તો જોહુકમી કરનારી હોય અને ન કોઈથી દબાયેલી રહે. એવી વ્યક્તિગત અને સામાજિક ચેતના કેળવાતી-ટકતી-વધતી રહે, એ માટે મથવું, એમાં આપણું કામ છે. એવી સાહિત્યિક સાંસ્કૃિતક આબોહવાનું, ‘માનવોની’ એવી ‘મનોમ્રુત્તિકા’નું, જતન જે લેખક-વાચક-વિવેચક-અધ્યાપકો કરવા હંમેશ ચાહે છે, એવા અનેક ગુજરાતીઓમાંનો હું એક છું.
ગુજરાતી સહિત્યની એવી ગરિમા માટે ગમે તે કરી છૂટવાના નિશ્ચયને કારણે આ ચૂંટણીમાં મેં ભાગ લીધો છે. પ્રમુખપદની ચૂંટણીમાં આપનો મત મને મળે, એ વિનન્તી સાથે મધ્યસ્થ સમિતિમાં સાહિત્ય અને સંસ્કૃિત અંગે વિવિધ અભિગમો અને સમજણો ધરાવતા, પણ પોતાના વ્યક્તિગત સ્વાર્થ અને કોઈ પણ જૂથના હિતની ગણતરીઓમાં ન સપડાયેલા, વિવિધ સાહિત્યકારોને આપનો મત મળે, એ પણ વિનન્તી.
(૨) પરિષદ સહુની (‘વિવિધ પ્રકારના સહુ’ની) બનતી આવે, એટલે શું?
સાહિત્ય અને સંસ્કૃિત અંગે જુદા જુદા અભિગમો, સમજણો ધરાવતા અને વિવિધ લોકેશનોથી આવતા અનેક સર્જકો, સહૃદયો, સામાજિકો સહુ સાથે પરિષદ વધારે ને વઘારે જોડાતી, અનુબંધો બાંધતી આવે.
અનેક કાર્યકરોની મહેનતથી પરિષદ સંસ્થા લેખે પ્રજા સાથેના સંબંધને વિકસાવતી રહી છે. પણ એ અનુબંધો સતત, નવા નવા, અંદરથી બંધાતા આવે, એ પરિષદની ગતિશીલતા માટે જરૂરી છે.
નિસ્વાર્થ-કર્મઠ સાથીઓ માટે પરિષદમાં કરવાનાં કામનો પાર નથીઃ આજની યુવાન પેઢીના સર્જકોને એમની સર્જકતા માટે પુરસ્કાર જ નહીં, એમની કૃતિઓનું ઉત્તેજક અને બિનંગત પરીક્ષણ પણ જ્યાં મળે એવી જગ્યા પરિષદ કઈ રીતે બને? ગામેગામ વસતા સામાન્ય વાચકોને નવા નવા ઉત્તમ સાહિત્ય (અને બીજી કલાઓ) તરફ અભિમુખ કરી, એ માટેનો રસ પરિષદે કઈ રીતે જગાડતા જવો? ગુજરાતના શક્તિભર્યા દલિત સાહિત્યકારોને પરિષદ પોતીકી કઈ રીતે લાગે? જ્યાં નારીચેતનાનાં નવા નવા આયામો પ્રગટે, એવી જગ્યા પરિષદ કઈ રીતે રચી શકે? ફીઝીકલી ચેલેન્જ્ડ સર્જકો-ભાવકો, ‘દિવ્યાંગ’ બલકે ‘અન્યથા સમર્થ’ સર્જકો-ભાવકોનું ઘર બહારનું ઘર પરિષદ કઈ રીતે બની શકે? ગ્લોબલ ગુજરાતીને પરિષદ માટે આત્મીયતા (ન કે ઉપયોગીતા)-નો ભાવ કઈ રીતે જાગે? ગુજરાતમાં અને જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં ગુજરાતી ભાષા માધ્યમ તરીકે અથવા મુખ્ય ભાષા તરીકે અથવા, ગુજરાત બહાર એક વિકલ્પ રૂપે શાળા-કોલેજોમાં ગુજરાતી ભાષા સામેલ હોય, એ માટેના પરિષદના પ્રયત્નોને કઈ રીતે વેગ આપવો? ગુજરાતી ભાષાન પ્રાદેશિક વિવર્તો, બોલીઓનું, તેમ જ સંસકૃત-પ્રાકૃત-અપભ્રંશના અભ્યાસનું, જતન કરતાં આયોજનોમાં કોના કોના સાથ મેળવવા? અનુવાદો, પ્રકાશનો, સંભાષાઓ, ઈ-માધ્યમનો સર્જનાત્મક ઉપયોગ, શાળા-કોલેજમાં થતા કામમાં સહાય — આ બધું કોઈ એક સી.ઈ.ઓ.-નું, સુપર મેનેજરનું પ્રોજેક્ટ વર્ક નથી. સહુનું સહિયારું, દિલ દઈને કરવાનું કામ છે.
— બે —
આમ, પરિષદના પ્રમુખ કોણ હોવા જોઈએ, એ મુદ્દો એના એનાથી વધારે મહત્ત્વના એક મુદ્દાનો ભાગ છેઃ ગુજરાતી સાહિત્ય પરિષદની ગરિમા, ગતિશીલતા અને અનુબંધરચનાશક્તિની જાળવણી કઈ રીતે કરી શકાય અને એમાં આજે જરૂરી વધારો કઈ કઈ રીતે થઈ શકે? એમાં સહુની સાથે રહી, સહુને સાથે રાખી નિસ્વાર્થ લગનીથી મથવું, એ પ્રમુખનું કામ. એ કામ મને સમજાય છે, ગમે છે, મારી લગનીનું છે.
***
ગરિમા, ગતિશીલતા અને અનુબંધો કઈ રીતે સચવાય અને વધે?
એ માટે પરિષદમાં ખુલ્લાપણું જરૂરી છે. જે નિસ્વાર્થ હોય તે સહુને માટે આવકારનો ભાવ, એ જ ખુલ્લાપણું. એ ખુલ્લાપણામાં, જે ડાયનામિઝમ સંસ્થાની અંદરથી, જુદા જુદા મંતવ્યો અને અભિગમો ધરાવતા એના સભ્યોની મુક્ત, પુખ્ત, નિર્ભય અને નિસ્વાર્થ ચર્ચાઓના પરિણામે પેદા થતું હોય, તે જ પરિષદનું સાચું અને ટકાઉ ડાયનામિઝમ. વિવેકાનંદ કહેતા કે ‘ડેવલપમેન્ટ’ (બહારથી આયાત કરેલો બઢાવો) નહીં પણ ‘ગ્રોથ’ (અંદરથી, પોતાની ગરજે, શરતે, રીતે અને તાકાતે થતો વિકાસ),એ ભારતની સંસ્કૃિતની રીત છે. પરિષદની આવી ગતિશીલતા આવી ચર્ચાઓ, આવા નિર્ણયો અને એમાંથી નીપજતા અનેકાનેક કાર્યક્રમો, કાર્યશાળાઓ, પ્રકલ્પો, પ્રકાશનોમાં પેદા થાય અને વ્યક્ત થાય.
ગરિમા, ગતિશીલતા અને ‘ગ્રોથ’ કહેતાં જાતે વિચારીને, આપમહેનતે કરેલો વિકાસ, એ ત્રણનું જતન કરવાનું કામ પરિષદનાં ચૂંટાયેલાં સત્તામંડળો, બલકે વ્યવસ્થામંડળો કરે. પરિષદના પ્રમુખ એ સર્વમાં સક્રિય રહે, પરિષદના બંધારણ પ્રમાણે ગુજરાતી સાહિત્ય-સંસ્કૃિતની ગરિમા, ગતિશીલતા અને આવી કાર્યશીલતાની જાળવણી કરતા રહે — સક્રિય, સચેત, દ્રઢ-કોમળ રીતે, એવી મારી પરિષદ-પ્રમુખ અંગેની સમજણ છે.
***
વ્યાપક ભારતીય સાહિત્ય સાથેનો ગુજરાતી સાહિત્યનો અનુબંધ આગળ વધારવાનું કામ પરિષદ સામે છે. ગુજરાતી સાહિત્યની સીમાચિહ્ન રૂપ કૃતિઓ અને આજે રચાતા ગુજરાતી સહિત્યમાંથી બિનંગત રીતે ચયન કરેલી કૃતિઓના સંચયો-સંપાદનોના હિંદી અને અંગ્રેજી કરાવવા-પ્રકાશિત કરવા-કરાવવાનું કામ આપણી સામે છે.
એ જ રીતે, વિશ્વસાહિત્ય અને ભારતીય સાહિત્યની ઉત્તમ કૃતિઓના અને એનાં નવ-પ્રસ્થાનોના ગુજરાતી અનુવાદો કરાવવાનું કામ પણ સામે છે.
બીજી કલાઓ, ચિત્ર, સંગીત, શિલ્પ, સ્થાપત્ય, ન્રુત્ય, સિનેમા અંગેનાં વ્યાખ્યાનો, સ્લાઇડ-શો વગેરે આપણી સાહિત્યિક ક્ષિતિજોનો વિસ્તાર કરવામાં ઉત્તેજક બને. મોટાં શહેરોમાં જ નહીં, મધ્ય ગુજરાતમાં જ નહીં, અનેક કેન્દ્રોમાં આ કામ ઉપાડી લે એવા સહૃદયો ઉપલબ્ધ છે.
વીજાણુ માધ્યમોનો ઉપયોગ આ કામો માટે ગુજરાતમાં સચેત સાહસિકોએ કરવા માંડ્યો છે. પરિષદનો એ સહુ પ્રયોગશીલો સાથેનો અનુબંધ બાંધવાનો સમય આવી ગયો છે.
લોકવિદ્યા સાથેનો સંબંધ જે શક્તિ આપે, એ મેળવવાનાં આયોજન અનેક-કેન્દ્રી રીતે, સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને બીજે કરવાં રહ્યાં. આદિવાસી સમાજો સાથેની આપલે એ અનેક-કેન્દ્રી રીતે કરવાથી ‘મ્યુિઝયમ મેન્ટાલિટી’ અને ‘મૉલ-મેન્ટાલિટી’-થી અલગ એવું સર્જનાત્મક કામ થાય.
— ત્રણ —
પરિષદનાં આવતા ગાળાનાં આ અને આવાં કે અલગ બીજાં કામ પાર પાડવાનાં છે. એ માટે એ જરૂરી છે કે એની પરિકલ્પના, આયોજન અને કાર્યાન્વય, પરિષદના પોતાનાં મંડળોમાં થતી ચર્ચાઓ વડે નક્કી થાય, ન કે એક વ્યક્તિ કે વૃંદ દ્વારા. જુદી જુદી દ્રષ્ટિ, અલગ અલગ અભિગમો ધરાવતા સભ્યો વચ્ચે વિચારપૂર્વકના (સ્વાર્થજન્ય વિતંડા વગરના) સંવાદો, ચર્ચાઓ થાય, બીજાના કે પોતાના મંતવ્યમાં બદલાવ લાવવાની ક્ષમતા અને ઉદારદિલી હોય, અને દરેક મુદ્દે એ મુદ્દાસર થતી સ્વ-શિસ્ત-ભરી ચર્ચા પછી સંમતિથી નિર્ણય લેવાય, આયોજન થાય, દિલ દઈને કામ કરાય, તો જ ખરી ગતિશીલતા આવે.
પ્રમુખ એટલે આ સર્વ જેમાં વિકસે એવું વાતાવરણ.
*********
આ પ્રકારે કામ કરવાનો અવસર તમારો મત મને આપશે, એ વિશ્વાસ.