કદર અને નિસબત
સત્તાવાળાના સ્વાર્થે ખાઈ બદેલા રામ રહીમના નીચ ભક્તો હિંસ્ર બન્યા. જો કે આવું પહેલી વાર બન્યું નથી, આવું જ્યારે જ્યારે બને છે, ત્યારે ઝવેરચંદ મેઘાણીની ’અમે’ કવિતા યાદ આવે છે. આ કાવ્ય ‘યુગવંદના’ (૧૯૩૫) સંચયમાં ‘પીડિતદર્શન’ વિભાગમાં મૂકવામાં આવેલું છે. તેના વિશે મેઘાણીભાઈની પાદટીપ છે : ‘૧૯૨૯, પાખંડી ધર્મગુરુઓને ઉદ્દેશીને લખાયેલું’.
અમે પ્રેમિકો હાડપિંજર તણા-
પૂજારી સડેલાં કલેવર તણાં.
અમે માનવીને પશુ સમ નચવીએ,
‘પ્રભુ’ શબ્દ બોલીને પંખી પઢવીએ,
પૂરા અંધને સ્વર્ગ ચાવી અપાવીએ,
અમે ગારુડી ધર્મતર્કટ તણા-
મદારી ખરા લોકમર્કટ તણા.
અમે દેવમૂર્તિની માંડી દુકાનો,
કિફાયત દરે વેચીએ બ્રહ્મજ્ઞાનો,
પ્રભુધામ કેરા ઊડવીએ વિમાનોઃ
અમે પાવકો પાપગામી તણા –
પ્રવાહો રૂડા પુણ્યગંગા તણા.
અમે ભોગનાં પૂતળાં તોય ત્યાગી,
છયે રાગમાં રક્ત તોયે વિરાગી,
સદા જળકમળવત અદોષી અદાગીઃ
અમે દીવડા દિવ્યજ્યોતિ તણા –
શરણધામ માનવફૂદાંઓ તણા.
અમારી બધી લાલસાઓની તૃપ્તિ
થકી, પામરો મેળવો સદ્ય મુક્તિ !
સમર્પણ મહીં માનજો સાચી ભક્તિઃ
અમે તો ખપ્પર વાસનાઓ તણા-
ભ્રમર અંધશ્રદ્ધાની બાંગો તણા.
શ્રીમંતો, સ્ત્રીઓ, વહેમીઓના બનેલા
ઊભા – જો ! અમારા અડગ કોટકિલ્લા;
વૃથા છે સુવિદ્યા તણા સર્વ હલ્લા :
અમે શત્રુઓ બુદ્ધિના સત્યના-
અચલ થાંભલા દેશદાસત્વના.
* * *
યુરોપ અને ભારતીય નવજાગરણને જાણનારા મેઘાણીના દર્શનનાં રૅડિકલ, રૅશનલ અને સેક્યુલર પાસાં બતાવતી આ જોરદાર કવિતા છે. સાહિત્ય માટેના માપદંડોથી મૂલવતાં ય તે એક ઉત્તમ કૃતિ બને છે. શબ્દપસંદગી, રૂપકો, કલ્પનો, લય, વ્યંજના, ધ્વનિ અને જોશ જેવા અનેક કાવ્યગુણોમાં આ રચના મેઘાણીની સર્જનક્ષમતા બતાવે છે. આમ છતાં તે બહુ જ ઓછી જાણીતી છે, આપણા મોટા ભાગના વિવેચકોને તેના વિશે વિગતે લખવાની સૂઝ પડી નથી. તેનું કારણ કદાચ એ છે કે સામાજિક નિસબત ધરાવતી કલા અભિવ્યક્તિ આપણા સાંસ્કૃિતક વિમર્શને ભાગ્યે જ માફક આવે છે. એટલા માટે લોકસાહિત્યના સંશોધક કે કસુંબીના રંગના કવિ, દુહા અને ડાયરાના મેઘાણી જ આપણી સામે વારંવાર રજૂ કરવામાં આવે છે. મેઘાણીના ગદ્યમાંથી પરંપરાગત કોમી સંવાદિતાનાં ચાળીસ લખાણોનાં વિનોદ મેઘાણીએ કરેલાં વિશિષ્ટ સંપાદન ‘લોહીનાં આલિંગન’ની ખબર જ હોતી નથી. ‘ધરતીને પટે પગલે પગલે મૂઠી ધાન વિના બાળ મરે’ એવી દુર્દશા હોય ત્યારે ‘હાય રે હાય કવિ, તને કૃષ્ણ કનૈયાની બંસરી કેમ ગમે ?’ એમ પૂછીને સાક્ષરોના શહામૃગી માનસને ખુલ્લા પાડતા મેઘાણીને વિવેચકો વાચકો સુધી પહોંચવા દેતા નથી. અંગ્રેજ શાસકો વિરુદ્ધ ૧૯૪૧માં ‘ફુલછાબ’માં ‘મુખડા ક્યા દેખો દર્પનમેં’ નામનું ઠઠ્ઠાચિત્ર દોરીને મુકદ્દમાનો સામનો કરનાર કે વસંત-રજબ સ્મારક ગ્રંથનું સંપાદન કરનાર મેઘાણી આપણી સામે મૂકવામાં આવતા નથી. કોરિયા, હંગેરી અને મિસરનાં મુક્તિસંગ્રામો વિશે તવારીખ-કિતાબો લખનાર મેઘાણી આપણા સમીક્ષકોને દેખાતા નથી.
અલબત્ત, મેઘાણી દુરાચારી સાધુજમાત વિરુદ્ધ ‘અમે’ જેવું કાવ્ય રચીને અટકી નથી જતા. તે વિનાશક ધર્મસંસ્થાના વિકલ્પ સમા વ્યાપક માનવધર્મ માટે કાર્યરત રહેલા મૂઠી ઊંચેરા માણસો વિશે પણ લખે છે. અનેક દેશભક્તો ઉપરાંત રવિશંકર મહારાજ ઠક્કરબાપા, રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, ઍની બેસન્ટ જેવાં જાગૃતજનોનાં ચરિત્રો તેમણે લખ્યાં છે. એમાં શિરમોર છે માનવતાવાદી સંતત્વનો આદર્શ પૂરો પાડતા મૂકસેવક પરનું પુસ્તક ‘માણસાઈના દીવા’. પોતાના નામ પહેલા એક પણ શ્રી મૂક્યા વિના આખી જિંદગી અડવાણે પગે ચાલીને લોકો માટે ઘસાઈને ઊજળા થનારા રવિશંકર અનન્ય છે. એમના જેવા પારકી છઠ્ઠીના જાગતલ માણસો ‘અમે’માં વર્ણવેલા વાસનાઓના ખપ્પરમાં હોમાઈ જતા અટકવાનો રસ્તો બતાવશે.
૨૬ ઑગસ્ટ ૨૦૧૭
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2017, પૃ. 20