તા. ૧૭મી જૂન ને ૨૦૧૭, સત્યાગ્રહ આશ્રમ-સાબરમતીની શતાબ્દીની ઉજવણીનો પ્રસંગ હતો. ગાંધીજી સાથે માત્ર પારિવારિક નહીં, વિચાર અને આચારનું પણ સંધાણ ધરાવતા ગોપાલકૃષ્ણ ગાંધીના મુખ્ય મહેમાનપદે ને અમદાવાદની સર્વ ગાંધી સંસ્થાઓ તથા નગરજનોની ઉપસ્થિતિમાં આ પ્રસંગ ઊજવાયો. કેટલાંક સંસ્મરણો વાગોળાયાં, તો કેટલાક વિચાર મુકાયા, કેટલાક કાર્યોલ્લેખો થયા તો કેટલાંક કરવાનાં કાર્યોની વાત પણ થઈ. આ પ્રસંગે Letters to Gandhi (ગાંધીજીને લખાયેલ પત્રોના સંગ્રહનો ભાગ-૧), Pioneers of Satyagrah (દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ અને ગાંધીજી સાથે સંકળાયેલા અન્ય સત્યાગ્રહીઓ વિશેનું સંશોધનાત્મક પુસ્તક, Author E. S. Ready, Kalpana Hiralal) રાષ્ટ્રવાદ (રવીન્દ્રનાથ ટાગોરે જાપાન અને અમેરિકાના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રવાદ પર આપેલાં ત્રણ વ્યાખ્યાનો, અનુ. ત્રિદીપ સુહૃદ)નું લોકાર્પણ થયું. આ ઉપરાંત, ગાંધીજીનાં જીવન અને કાર્યને આવરી લેતી ચુનંદી તસવીરો સાથેની અત્યાધુનિક ગૅલરી અને ‘આશ્રમનો પ્રાણ’ કહેવાયેલા મગનલાલ ગાંધીના નિવાસસ્થાન મગનનિવાસમાં ચરખા ગૅલરી ખુલ્લી મુકાઈ. એક કરતાં અનેક પ્રસંગો માટે નિમિત્ત લઈને આવેલા આ શતાબ્દી-વર્ષ દિને, આમ છતાં જેની સૌથી વધુ ખોટ વર્તાતી હતી તે આશ્રમશાળાની બાલિકાઓ સાથે સુમધુર સંવાદ સાધીને ગોપાલકૃષ્ણ ગાંધીએ સૌને ગાંધીજીને જોયાની લાગણી જન્માવી. તો સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારકટ્રસ્ટનાં અધ્યક્ષા અને ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ ઇલાબહેને આપેલું પ્રાસંગિક વક્તવ્ય, આત્મનિરીક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂકી ગયું. આ સાથે એ વક્તવ્ય …
નોંધ : કેતન રૂપેરા
માનનીય સભાગણ, મુખ્ય મહેમાન માનનીય ગોપાલકૃષ્ણ ગાંધી, આપણે આઠ સંસ્થાઓના અધ્યક્ષ ભાઈઓ, અહીં આશ્રમમાં રહેતા સર્વ રહેવાસીઓ – જે સર્વનેહું એક આશ્રમ તરીકે ઓળખું છું, અને અમદાવાદનાં નગરજનો. સાબરમતી આશ્રમ શતાબ્દી-સમારોહમાં સૌનું સ્વાગત છે.
ગાંધીજીના આશ્રમનાં ૧૦૦ વર્ષ ઊજવીએ છીએ, તે જ પુરવાર કરે છે કે ગાંધીજી આપણી સાથે જ છે, હતા અને રહેશે. અમદાવાદમાં તો છે જ. જુઓને પાંચ આંગળીની મુઠ્ઠી સમાન પાંચે ય સંસ્થાઓ સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ, સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ, સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્રસ્ટ, ગુજરાત હરિજન સેવકસંઘ, ગુજરાત ખાદી ગ્રામોદ્યોગમંડળ, તે જ જૂના આશ્રમમાં ભેગાં મળી આશ્રમની શતાબ્દી ઊજવી રહી છે. ઉપરાંત મજૂર મહાજન સંઘ (૧૯૧૭), નવજીવન પ્રેસ (૧૯૧૯) અને ગૂજરાત વિદ્યાપીઠ (૧૯૨૦), આપણી આઠે ય સંસ્થાઓ આજે જીવંત અને કાર્યશીલ બેઠી છે. આપ સૌ પણ પધાર્યાં છો.
ગૂજરાત વિદ્યાપીઠમાં ૩૦-૩૧ જાન્યુઆરી, ૨૦૧૭માં મળેલા રાષ્ટ્રીય સંમેલન, જેનો વિષય હતો ‘Gandhi Returns’ Back to Basics, તેના પ્રારંભમાં મેં કહેલું કે ગાંધી આપણી સાથે છે, એમના Returnનો સવાલ જ નથી. પણ સવાલ એ છે કે આપણે ગાંધી સાથે છીએ ખરાં ?
ગાંધીજીએ દેશભરમાંથી અમદાવાદ પસંદ કર્યું. એટલું જ નહીં ૧૦૦ વરસ પહેલાં તેમણે, લડત ઉપરાંત વૈકલ્પિક સમાજ, રચનાત્મક, શાંતિમય સમાજરચના અને ભવિષ્યનું ભારત કેવું હશે, તેનો પણ વિચાર કર્યો અને તેમ જીવી જાણવાનો જાતે પ્રયોગ કર્યો આ પ્રયોગો આપણા અમદાવાદમાં કર્યા. સૌ પ્રથમ, મિલોનાં મજૂર-સ્ત્રીબાળકોની અવદશા તથા તેમના પર થતો અન્યાય જોઈને તેમની સુખાકારી તથા ન્યાય માટે તેમનું સંગઠન બાંધ્યું – જો કે મૂળ શરૂઆત તો અનસૂયાબહેન કરી ચૂક્યાં હતાં – એ યુનિયન પ્રયોગમાંથી ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત જન્મ્યો, જે દુનિયાભરમાં આજે સ્વીકારાયો છે.
બ્રિટિશ શિક્ષણપ્રથા સ્વતંત્ર ભારતમાં તો ન જ ખપે, તે માટે બુનિયાદી તાલીમનો શિક્ષણપ્રયોગ ગૂજરાત વિદ્યાપીઠમાં કર્યો.
સ્વતંત્ર ભારતની પ્રજાની રોજિંદી જીવનશૈલી બ્રિટિશ સરીખી તો ન જ ખપે! તો આપણી જીવનશૈલી કેવી હોય તેના પ્રયોગ માટે આશ્રમ સ્થાપ્યો. નવજીવન મુદ્રણાલય શરૂ કર્યું કે જેથી પૂર્ણ સ્વરાજના વિચાર-પ્રયોગો અને અનુભવોનો ઘર-ઘર પ્રસાર કરી શકાય.
આજે આશ્રમની શતાબ્દીની ઉજવણી માટે આપણે મળી રહ્યાં છીએ અને માનનીય મહેમાન ગોપાલકૃષ્ણ ગાંધી પણ આપણી સાથે સામેલ થવા પધાર્યા છે. ખૂબ આભાર.
પણ, સાચું કહું તો મારા મનમાં ઉજવણીનો કોઈ ઉત્સાહ થતો નથી. ગ્લાનિ અને પસ્તાવાની લાગણી જ મનમાં ઊભરી આવે છે. ગાંધીજીએ સ્વરાજપ્રાપ્તિ માટે જીવનભર કેટકેટલા સંઘર્ષો કર્યા, કેટલાં બલિદાનો દેશ વાસ્તે હોમાયાં પછી જેમજેમ સ્વરાજ નજીક આવતું ગયું, આપણને કોણ જાણે શું થઈ ગયું સ્વરાજના પાઠ જે ભણ્યા’તા તે આપણે જાણે ફેંકી જ દીધા?! દેશભરમાં હિંસાત્મક વાતાવરણ સઘળે ફરી વળ્યું. ત્રીસ વરસના કર્યા કરાવ્યા પર પાણી (કે લોહી!) ફરી વળ્યું. ગાંધીજીના દિલને પાર વગરની પીડા આપણે આપી. તેમનાં જિંદગીનાં છેલ્લાં બે વર્ષ તો તે કેટલા બધા વ્યથિત રહ્યા, તે તેમની ત્યારની પ્રાર્થના સભાઓનાં પ્રવચનો પરથી હવે વધુ સમજાય છે. સાચું જ નથી શું કે એમની વ્યથાની ગાથા આખા દેશની ગાથા છે! કેવા નગુણા, બેજવાબદાર આપણે છીએ, તેવી ટીસ મનમાં ઘર કરી બેઠી છે.
ગાંધી પોતે તો સાધુપુરુષ હતા, મહાત્મા હતા પણ તો ય મનુષ્ય હતાને? એ મહાત્માને જીવવું અકારું કરી મૂક્યું તેવા આપણે છીએ. તેની શી ઉજવણી કરીએ? શતાબ્દીનો ઉમંગ નથી થતો અને ગર્વ પણ નથી થતો!
હા, આપણે સંસ્થાઓ સાચવી ખરી. આ આશ્રમ સાચવ્યો, મકાન સાચવ્યાં, તેમની ચીજવસ્તુઓ સાચવી. પણ આશ્રમ ક્યાં? આશ્રમવાસી ક્યાં?! એ જીવનશૈલી ક્યાં? તો, શું કરીએ? જો ઉજવણી નહીં તો શું તે આપણી જાતને પૂછીએ.
મારી સમજ પ્રમાણે ગાંધીવિચારના ચાર મુખ્ય આધારસ્તંભ – સાદગી, અહિંસા, શ્રમનું ગૌરવ અને માનવતા. આ જીવનમૂલ્યો તરફ ગંભીરતાપૂર્વક ધ્યાન આપીએ. ગાંધીજીએ આ જીવનશૈલી બતાવી, હરિજનની તથા ગરીબની સેવા બતાવી, મુસલમાન અને હિંદુ સર્વધર્મનો સમભાવ કેળવી નિર્ભયપણે સાથે જીવન જીવે, જે તેમણે જાતે જીવીને બતાવ્યું. બુનિયાદી શિક્ષણ બતાવ્યું, મજૂર-માલિકના સંબંધો સાચવવાનો માર્ગ બતાવ્યો. વિચારપ્રસારની રીત બતાવી. આ વિચારમૂલ્યો તથા જીવનમૂલ્યોને સમજીને પોતે જાતે આચરણ કરી બતાવ્યું અને લાખોને કરાવ્યું.
તરછોડાયેલાં એ મૂલ્યોનું આચરણ કરવાનો નિર્ધાર કરવાનો આ પ્રસંગ છે. Gandhi returns નહીં, We return to Gandhi – એ માટે, અંગત તથા જાહેરજીવનમાં મૂલ્યોપૂર્વક આચરણ કરીએ તે જ મહત્ત્વનું છે, તે જ ગાંધી છે.
ગાંધી વિશે બહુ ભરપૂર લખાયું, લખાયે જ જાય છે, ભણાવે જાય છે, વિચારાતું જાય છે. સારું છે. પણ, આચરણ તો રડ્યુંખડ્યું ક્યાંક જ દેખાય છે! Archives, Multimedia, Research આ બધું વધતું જાય છે, બરાબર છે. પણ મને લાગે છે ગાંધીનાં એકાદશ મૂલ્યોને યથાશક્તિ આચરણમાં મૂકતાં થઈએ – તેનો આ પ્રસંગ છે – જાહેર-અંગત રીતે, સામૂહિક-વ્યક્તિગત રીતે અને વિચારોકાર્યોમાં. જીવન-મૂલ્યોના પુનઃસ્થાપનનો આ અવસર છે. વાંચીએ છીએ કે ભવિષ્યમાં બદલાતી પરિસ્થિતિઓમાં એમનાં કાર્ય અને કથનના નવા-નવા અર્થ ખૂલતા રહેશે. હા, પરિસ્થિતિઓ બદલાતી રહે છે, પણ જીવનમૂલ્યો બદલાતાં નથી; કેમ કે ગાંધીમૂલ્યો એ જીવન મૂલ્યો જ છે, માનવતાનાં મૂલ્યો છે; તે કદી નષ્ટ થાય? સત્ય, અહિંસા કદી વાસી થાય? વાસી તો આપણે છીએ, જે આ બધું જાણતા નથી.
ક્યારેક તો લાગે છે કે શિક્ષણ વધતું ગયું અને આર્થિક સમૃદ્ધિ વધતી ગઈ તેમ તેમ આપણે જીવનમૂલ્યોથી દૂર ગયાં છીએ. જો આશા બચી હોય, તો જે લોકોને આપણે હજુ ય ગરીબ રાખ્યા છે, તેમની પાસે મને આશા છે, જેને આપણે અભણ કહીએ છીએ, તેઓ પાસે જીવનમૂલ્યો જાણ્યે-અજાણ્યે હજુ બચ્યાં છે, ખાસ કરીને તેમની બહેનો પાસે. મારો અનુભવ કહે છે કે ગરીબ, શ્રમિક બહેનો એ મારી ભાવિની આશા છે.
કંઈ નહીં ને હવે કરવા જેવું હોય, તો તે આ ગાંધીમૂલ્યોનું પુનઃસ્થાપન, ભલે તેમ કરતાં બીજાં ૧૦૦ વર્ષ લાગે પણ ગરીબી-નિવારણની મજલ કાપ્યે જ છૂટકો! ગરીબી સતત ચાલતી હિંસા છે અને એ સમાજની સંમતિથી થતી હિંસા છે. દયા, દાન, સબસિડીથી નહીં, પણ ઉત્પાદક કામ વડે, દરેક જણની રોટી, કપડાં, મકાનની પ્રાથમિક જરૂરિયાત સંતોષાય અને કુટુંબ સ્વનિર્ભર થઈ શકે, તેવો કોઈ માર્ગ અપનાવીએ અને કામે લાગી જઈએ. ભારતીય પરંપરા, સંસ્કાર, કૌશલ્યનો સાવ વિલોપ થઈ જાય તે પહેલાં આપણે ડગ ઉપાડીએ. મારું દૃઢ માનવું છે કે કોઈ પણ સરકાર ચાહે તો પણ મનુષ્યને જીવનમાં સ્વનિર્ભર કરવામાં કશું નહીં કરી શકે. એ આપણે નાગરિકોએ જ કરવું રહ્યું.
બીજી એક વાત. હાલમાં તો જાણે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ગાંધીવિચાર તે રાષ્ટ્રવિચારથી અલગ છે અને જાણે રાષ્ટ્રઘડતરનો એ માર્ગ નથી. એવું પણ જોઈએ છીએ કે ગાંધીજન ભારતીય નાગરિક જ નથી, કંઈક અલગ છે, સ્પેિશયલ છે, અને ગાંધીવિચારને જાળવવાનું, સંવર્ધન કરવાનું કામ જાણે માત્ર ‘ગાંધીજનો’નું છે, બાકી દેશને જેમ ફાવે તેમ કરતો જાય! ગાંધીજનને અલગ જોવાની વિચારસરણી છોડવી જોઈશે. પહેલાં તો ગાંધીજને પોતે છોડવી જોઈશે, એવું મારું કહેવું છે.
અંતમાં, ફરીથી, જીવનમૂલ્યોને આચરીએ, એકાદશવ્રત સમજીએ, વૈષ્ણવજનનું ભજન ધ્યાનથી સમજીને આચરીએ – વ્યક્તિગત અને જાહેર – એમ બંને જીવનમાં. એમ થાય તો બાકીનું અધૂરું સ્વરાજ હાંસલ કરવાનો માર્ગ સહેલો છે. વાંચ્યું છે કે આઝાદીની લડત સમયે બહેનો ગરબો ગાતી, કૂંડાળામાં વચ્ચે રેંટિયો અને ફરતે ગરબો ગાતી કે ….
એકડેએક,
ગાંધીની રાખો ટેક,
મારી બહેનો, સ્વરાજ લેવું સહેલ છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2017; પૃ. 07-08