ભારે હૈયે
ડિયર અમદાવાદ મ્યુિનસિપલ કોર્પોરેશન,
સૌપ્રથમ તો ખૂબ-ખૂબ આભાર … અમારી છેલ્લા ઘણા સમયની બે અધૂરી ઇચ્છા તમે પૂરી કરી જ નાખી. એમાંથી એક ઇચ્છા હતી ૧૦૦ જેટલા ટાપુમાંથી બનેલા ઇટાલીના વેનિસ શહેરમાં ફરવા જવાની. હવે તમારા અથાગ પ્રયત્નોથી અમદાવાદમાં ઘરથી બહાર નીકળતાં જ ચારેકોર બસ પાણી જ પાણી જોવા મળે છે, અને વેનિસ જેવું જ લાગે છે … બીજી ધરબાયેલી ઇચ્છા હતી રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી’માં ભાગ લેવાની. હવે અમદાવાદમાં બહાર નીકળતાં જ એક તરફ ખાડો – બીજી તરફ પાણી અને તો ક્યાંક ગટરનાં ઢાંકણાં ખૂલ્લાં તો વળી ક્યાંક ઇલેક્ટ્રિસિટીના જીવતા વાયર. આ બધું પાર કરીને સુખરૂપ ઑફિસથી ઘરે અને ઘરેથી ઑફિસ પહોંચો તો ‘ખતરોં કે ખેલાડી’ના વિનર જેવી ફિલિંગ આવે છે. એમાં હવે અમારા માટે વરસાદ પછીનો રાઉન્ડ મુશ્કેલ બની રહેશે જ્યારે રસ્તે જતાં એક તરફ ગૌમાતા પણ બિરાજમાન હશે.
દરેક સંસ્થાના બોસે માનવતાના ગુણ તો તમારી પાસેથી જ શીખવા જોઇએ. સેલ્સમેન ટાર્ગેટ પૂરું કરી ન શકે, નોકરિયાત સીએ ગણતરીમાં છબરડા વાળે અને પત્રકાર ન્યૂઝ મિસ કરી જાય તો તેનો બોસ લાત મારીને કાઢી મૂકે છે. પરંતુ આ તમારી માનવતા જ છે કે કરોડો રૂપિયાના નવાનક્કોર બ્રિજમાં ગાબડા પડે, ૪ ઇંચ વરસાદમાં રસ્તા પર ઠેકઠેકાણે ખાડા પડે – કપચી નીકળે, અંદર એક નાનકડું ગામ બની જાય એવા મોટા ભૂવા પડે તેમ છતાં કોન્ટ્રાક્ટર ના તો ક્યારે ય બ્લેક લિસ્ટ થાય, ના તો તેમને સજા ફટકારવામાં આવે. તમારો અમાનવીય અભિગમ હોત તો રસ્તાના કામમાં બેદરકારી દાખવનારા કોન્ટ્રાક્ટરના ફોટા છાપામાં આપી અને નીચે એવી જાહેરાત કરત કે અમે આ કોન્ટ્રાક્ટરને પાંચ વર્ષ માટે બ્લેકલિસ્ટ કર્યા છે.
બાય ધ વે, સાચ્ચું કહેજો, તમારી પહોંચ ઇશ્વર સુધી ખરી ને … આ જ કારણ છે કે અમદાવાદમાં દિવસમાં વધુમાં વધુ ચાર ઈંચ વરસાદ પડે છે અને તે પણ ઇન્સ્ટોલમેન્ટમાં. એક સાથે ૨૦-૨૫ ઈંચ વરસાદ પડી જાય તો ઘેર-ઘેર રિવરફ્રન્ટ જ બની જાય. અરે હા, ચીન-જાપાનવાળા તો ફક્ત સામાન્ય પાટા પર મેટ્રો ટ્રેન ચલાવે છે. ત્રણ-ચાર વર્ષમાં કદાચ મેટ્રો ટ્રેન બની ગઇ તો તે વરસાદને કારણે ૪ ફૂટ પાણી ભરાયેલાં હોય તો તેમાં પણ દોડતી હશે. સુલતાન અહમદ શાહ અમદાવાદમાં લટાર મારવા આવે તો એ પણ તમને શાબાશી જ આપે કે હું જેવા મૂકીને ગયો હતો તેવા જ રસ્તા દેશના સ્માર્ટ સિટીના કોર્પોરેશને હજુ પણ યથાવત્ રાખીને વારસો જાળવ્યો છે. તમારી પહોંચ તો ઉપર સુધી છે તો એક નાનકડું સૂચન સરકારને કાને નાખજો કે હવે સાહેબના રોડ શો બનાસકાંઠા – સૌરાષ્ટ્રનાં ગામડાં અને અમદાવાદમાં યોજવામાં આવે એ બહાને થોડો સમય ત્યાંના રસ્તા તો સુધરી શકે.
લિખિતંગ,
એક અમદાવાદી
(તા.ક. : મત મળશે કે નહીં મળે તેની ચિંતા કરવાની નથી. અમે વરસાદી દેડકા જેવા જ છીએ. થોડો સમય ડ્રાંઉ ડ્રાંઉ કરી ને પછી ખોવાઇ જવાના છીએ…)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2017; પૃ. 16