પોંક ઓટલા પર બેસીને, અને લાડુ હીંચકા પર બેસીને પડિયામાં લઈને ખવાય …
અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી વિદ્યાનગર સ્કૂલના અનોખા પ્રસન્નચિત્ત પૂર્વ આચાર્ય અને બહુવિધ કલાઓના અત્યંત રસિક જાણતલ હિમ્મતલાલ કપાસીનું 89 વર્ષની ઉંમરે, વૃદ્ધાવસ્થાને કારણે, 20 જુલાઈએ તેમના નિવાસસ્થાને અવસાન થયું. ગઈ અરધી સદીના અમદાવાદના ક્રિકેટ, ફિલ્મ, નાટક, સંગીત જેવાં અનેક ક્ષેત્રોનાં સિતારાઓના' કે શોખીનોના ઘડતરમાં કપાસી સાહેબનો અણદીઠ ફાળો હતો. તે ડોકાઈ જતો ક્યારેક તેમના ચાહકોના મોંએ વારંવાર સહેજ જુદી ‘ગુનગુની’ ઢબે બોલાયેલા કેટલાક શબ્દપ્રયોગોમાં – જલસોં, આનંદ, મજોં, ગમ્મત, અદ્દભુત, અલમસ્ત કૂવો, વાત એંકદમ જામી ગઈ, ક્યા બાત હૈ …..
અત્યારે અમદાવાદમાં અતિ પ્રતિષ્ઠિત બની ગયેલી સંગીતસંસ્થા ‘સપ્તક’ના તેઓ પાયાના પથ્થર હતા. આપણા શહેરના લોકોને દેશ-વિદેશની ઉત્તમ ફિલ્મો જોવા મળે તે માટે વર્ષો સુધી કાર્યરત રહેલી ફિલ્મ સોસાયટીના પણ તે સ્થાપક હતા. અમદાવાદીઓ ફિલ્મ ફેસ્ટીવલ્સની મહત્તાથી વાકેફ થતા રહ્યા તે પણ કપાસીસાહેબને કારણે. અલગ પ્રકારના નાટકો કરનાર ‘આકંઠ સાબરમતી’ નામની મંડળી શરૂ કરવામાં તેમની પહેલ હતી. તેમના વિદ્યાર્થીઓને સાહેબનાં જગજુદાં સંભારણાં માંડવાં ગમે છે. ડાબેરી કર્મશીલ હિરેન ગાંધી કહે છે : ‘ કપાસી સાહેબ કલાજગતના મહાનુભાવ માટે બોલતા ‘બાંકી જોવા લાયક જગ્યા’. મારી દૃષ્ટિએ કપાસી સાહેબ પોતે જ વાસ્તવમાં અમદાવાદની જોવાલાયક જગ્યા હતા.’
કપાસી સાહેબના આચાર્યપદ હેઠળનાં વર્ષોમાં તેમની નિશાળમાં ઘંટની જગ્યાએ સંગીત વાગતું. ક્યારેક શરણાઈ તો ક્યારેક સારંગી, સિતાર ને સંતુર, બાખ ને બિથોવેન. અમદાવાદમાં ક્રિકેટની ટેસ્ટ કે કોઈ મહત્ત્વની મૅચ હોય ત્યારે સ્કૂલનું ટાઇમ-ટેબલ બદલાતું. સવારની સ્કૂલ પણ વહેલી છૂટી જતી – ‘બાળકોંએ નેટ પ્રૅક્ટિસ જોંવા તો જવું જ પડે નેં !’ શાળાની મૅચો જોવા વિદ્યાર્થીઓ તો જાય, પણ કપાસી સાહેબ ગ્રાઉન્ડ પર ખેલાડીઓથીય વહેલા પહોંચી જાય. શાળામાં ત્રણ દિવસ રમતોત્સવ અને ત્રણ દિવસ કલાઉત્સવ ઉજવાય. વાતો કરવાની સજા તરીકે શિક્ષકે જે વિદ્યાર્થીને વર્ગની બહાર ઊભો રાખ્યો હોય તેને કપાસી સાહેબ એમની ઑફિસમાં લઈ જાય અને તેની સાથે સિનેમા, ક્રિકેટ કે એવી કંઈ પણ વાત કરે. તેમની ઑફિસમાં રેડિયો હોય તેની પર બી.બી.સી. સંભળાવે. વિશ્વ સિનેમા પરનાં પુસ્તકોની લાઇબ્રેરી પણ ત્યાં જ.
શાળાનો પરિસર એટલે રાતદિવસ ધબકતું કલાનું ધામ. સપ્તકનું સંગીત અહીં સંભળાય. લાભશંકર ઠાકર, ચિનુ મોદી, સુવર્ણા, મધુ રાય વગેરે ‘રે મઠ’ની સાહિત્યિક પ્રવૃત્તિ અને ‘આકંઠ’ની પ્રયોગશીલ નાટ્યપ્રવૃત્તિ માટે અહીં ભેગા થતા. લીલાનાટ્યો અને આધુનિક ગરબીઓ, માતબર સંગીતકલાકારોની બેઠકો અને કલાવિદોનાં વ્યાખ્યાનો, નાટ્યવાચન ને કાવ્યપઠન. વિદ્યાનગર શાળાની પ્રવૃત્તિઓનો ચિતાર આપીને રઘુવીર ચૌધરી ‘તિલક કરે’ પુસ્તકમાં કપાસી સાહેબના વ્યક્તિચિત્રમાં બાલમુકુંદ દવેના શબ્દો ટાંકે છે : ‘કોને કરું યાદ, કોને વિસારું, કિતાબ થાય.’ કપાસી સાહેબની ઔપચારિક નિવૃત્તિ નિમિત્તે ઑગસ્ટ 1988માં લખાયેલા ‘એક અનોખા ગુજરાતી’ લેખમાં ઉમાશંકર જોશી કહે છે : ‘એમનો ખ્યાલ કરું છું ત્યારે રાતે મોડે સૌ જંપી ગયું હોય ત્યારે બી.બી.સી. પરથી ભજવાતાં નાટકને ટગર ટગર સાંભળી રહેલા રંગભૂમિના રસિયા જીવની મૂર્તિ નજર આગળ ખડી થાય છે. બધાં ઇંગિતો અવાજ દ્વારા એમના કાન ગ્રહણ કરી રહ્યા છે.’
કાનસેન તરીકે કપાસી સાહેબ અસામાન્ય કોટિએ પહોંચેલા હતા. તેઓ પાશ્ચાત્ય સંગીત સહિત સંગીતના અનેક પ્રકારના રસજ્ઞ હતા. ‘સ્વરલોક’ પુસ્તકમાં તેમણે પોતાના સાંગિતીક ભાવજગતનાં સંભારણાં અને કેટલાક સંગીત કલાકારોનાં શબ્દચિત્રો આલેખ્યાં છે. પ્રતિષ્ઠિત સંદર્ભગ્રંથ શ્રેણી જ્ઞાનગંગોત્રીમાં યુરોપિય સંગીત વિશેનાં પચાસ પાનાં તેમણે લખ્યા છે. ‘સંગીત એ મારા માટે પ્રથમ પ્રેમ છે. આ એક એવી કલા છે જેની પાસે જવાથી સદાય આનંદ જ પ્રાપ્ત થાય છે’, આવું તેમણે મનહર મોદીને એક મુલાકાતમાં કહ્યું છે. આ મુલાકાત ‘સિનેરાગ’ પુસ્તકની શરૂઆતમાં વાંચવા મળે છે. આ સંગ્રહના 132 લેખોમાં કપાસી સાહેબે હળવાથી સિનેમા સંબંધી અનેક બાબતોની છણાવટ કરી છે. જેમ કે, દેશ અને દુનિયાની ઉત્તમ ફિલ્મો, ફિલ્મ સર્જનની પ્રક્રિયા, ફિલ્મો જોવા-સમજવાની રીત, ફિલ્મ અપ્રિસિએશન, પ્રાદેશિક ફિલ્મો, રેડિયો-દૂરદર્શન-ચૅનલોના સંદર્ભમાં સિનેમા, ફિલ્મોમાં સંગીત, ફિલ્મ સોસાયટી મૂવમેન્ટ અને બીજા ઘણા વિષયો. કપાસી સાહેબનો પાયાનો વિચાર આ છે : ‘બધી કળાનો સામટો સરવાળો છે ફિલ્મ. ઉત્તમ ફિલ્મો જુઓ એટલે બધું જ આવી જાય. સાહિત્ય, સંગીત, ચિત્ર, શિલ્પ, તે ઉપરાંત જે કંઈ ઉત્તમ હોય તે બધું જ સાચી ફિલ્મમાં આવી જતું હોય છે …. ઇન્દ્રિયે ઇન્દ્રિયે આનંદ થઈ જાય.’
આ આનંદ કપાસી સાહેબનો સ્થાયી ભાવ હતો. એ આનંદ એમને ગમે ત્યાં મળી શકતો – પાન, પોંક, પુસ્તકો, પેઇન્ટિન્ગ્સ, દિલ્હીના પકોડા, ગાજરનો હલવો, સંગીત, મહેફિલો, ક્રિકેટ, મિત્રોનો સંગ. એમણે લખ્યું છે : ‘ઉપરાઉપરી બે સુંદર કલાત્મક ફિલ્મો જોયા પછી હાઇ જમ્પ કરવાનું મન થઈ જાય’, અથવા ‘હૈદરાબાદમાં ‘ડેસ્પરેટલી સિકીંગ સુઝાન’ જોયા પછી એટલો આનંદ આવેલો કે ઉત્તમ પદાર્થ સાથે છએક માઇલ બસ ચાલ્યા જ કર્યું.’
કપાસી સાહેબ આચાર્ય હતા તે વર્ષોમાં, અભિજાત જોશી વિદ્યાનગર સ્કૂલમાં પાંચમાથી બારમા ધોરણ સુધી ભણ્યા હતા. ‘ગાંધીગીરી’ જેવો શબ્દ અને ‘પીકે’ જેવી ફિલ્મ આપનાર આ વિખ્યાત કથા-પટકથા લેખકે લાગણી અને કૃતજ્ઞતાના ભાવ સાથે કપાસી સાહેબનાં સંભારણાં કહ્યાં. તેમણે કહ્યું : ‘કપાસી સાહેબે મારી જિંદગીને ઘણી રીતે ઘાટ આપ્યો છે. સિનેમામાં મને જે રસ છે તેનું શ્રેય હું કપાસી સાહેબને આપું છું.’ કપાસી સાહેબના ખાવા પીવાના શોખની કેટલીક ખાસ વાતો તે યાદ કરે છે. જેમ કે, કપાસી સાહેબ એમ માનતા ‘પોંક ઓટલા પર બેસીને ખવાય, લાડુ હીંચકા પર બેસીને પડિયામાં લઈને ખવાય અને લસ્સી ઉત્તર ભારતના કોઈ ગામડામાં ઘોડાગાડીમાં બેસીને પીવાય.’ અભિજાત કહે છે : ‘નાની નાની વસ્તુઓમાંથી મોટો આનંદ મેળવવાની એમની ક્ષમતા બહુ અદ્દભુત હતી. વળી એમના આનંદ એક્સપેન્સિવ કે એક્સ્ટ્ર્ર્વૅગન્ટ, મોંઘા કે ઉડાઉ ન હતા.’
અંગ્રેજી–મરાઠી-ગુજરાતી સાહિત્યના મોટા વાચક અભિજાત કપાસી સાહેબના સંદર્ભમાં, મહાન મરાઠી લેખક-પરફૉર્મર પુ.લ. દેશપાંડેને યાદ કરે છે: ‘કપાસી સાહેબની આનંદ લેવાની તાકાત પુ.લ. જેવી હતી. પુ.લ.ને ‘આનંદયાત્રી’ કહ્યા છે. કપાસી સાહેબ પણ આનંદયાત્રી હતા … તેમની આનંદ માણવાની ક્ષમતા બહુ મોટી હતી. સાધારણ માણસ પણ કેવી આનંદમય જિંદગી જીવી શકે એ એમના ટેમ્પરામેન્ટમાં હતું. એમણે ક્યારે ય કોઈ એક્સપર્ટીઝનો, નિપુણતાનો ક્લેઇમ કહેતાં દાવો કર્યો ન હતો. એ જાણકારીનો દેખાડો ન કરતા, એની બડાશ ન હાંકતા, જજમેન્ટલ ન બનતા. એમનો ક્લેઇમ એ ક્લેઇમ ઑફ લવ હતો. લવ ફૉર ફિલ્મ્સ, લવ ફૉર મ્યુિઝક, ફૉર ક્રિકેટ, ફૉર ફૂડ …’ અભિજાતની ‘થ્રી ઇડિયટસ’ ફિલ્મે શિક્ષણ તરફ જોવાનો અલગ નજરિયો ભારતના લોકોને આપ્યો. તેમાં કપાસી સાહેબ હતા. અભિજાત કહે છે: ‘મારી ‘થ્રી ઇડિયટસ’ ફિલ્મમાં ફ્રી-થિન્કર રૅન્ચોના પાત્ર પાછળ કપાસી સાહેબનું શિક્ષણ દર્શન છે. તેમના માટે શિક્ષણ બંને હતું – એન્જૉયમેન્ટ ઍન્ડ ઇનવૉલ્વમેન્ટ !’
++++
27 જુલાઈ 2017
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 28 જુલાઈ 2017