અમેરિકન ટી.વી. પર ભારતની વાત સાંભળી. તેમાં પણ ગાંધીબાપુ વિષેની વાત સાંભળી, જે મેં અગાઉ કદી સાંભળી નહોતી. બની શકે કે ઘણાને આ લેખથી તે જાણવા મળે.
૧૯૦૩માં સાઉથ આફ્રિકા(આફ્રિકાના એક દેશનું નામ)માં ગાંધીજી ફૂટબોલ (અમેરિકામાં જેને સૉકર કહેવામાં આવે છે.) રમતા હતા. અને ફૂટબોલના કોચ–ટ્રેનર હતા. તેમણે જુદા જુદા ત્રણ શહેરમાં તો ફૂટબોલ ક્લબની સ્થાપના કરી હતી, ડરબનમાં, પ્રિટોરિયામાં અને જોહાનિસબર્ગમાં. આ ત્રણેનાં નામ અહિંસક સત્યાગ્રહ ફૂટબોલ ક્લબ (પેસીવ રેસિસ્ટર ફૂટબોલ ક્લબ) રાખ્યા હતા. અને ગાંધી જેનું નામ – ફૂટબોલની મેચના હાફ ટાઈમમાં ટીમને અહિંસા વિષે સમજાવતા. એટલું ઓછું હોય તેમ દર્શકોને સત્ય અહિંસાના પાઠ ભણાવતા કાગળિયાં – પેમ્ફલેટ વહેંચતા. આ વાતનો પુરાવો પ્રિટોરિયાના ઓલ્ડ કોર્ટ હાઉસના મ્યુિઝયમના ફોટાઓ પૂરો પાડે છે. જેમાં યંગ ગાંધીજી દર્શકોને સંબોધતા દેખાય છે.
વાત એમ છે કે ઇંગ્લેંડમાં લૉ કોલેજમાં ભણતા ભણતા તેમને ક્રિકેટમાં અને ફૂટબોલમાં ખૂબ રસ જાગ્યો હતો. ખાસ કરીને ઓછા સાધનોવાળી ફૂટબોલની રમત ગમતી. તેમને તેમાં એક સ્ટાર પ્લેયર કરતાં આખી ટીમના સહકારથી જીતતી ટીમનો સિદ્ધાંત ગમતો. આ ફૂટબોલ બીજા યુવાનોને પોતાના તરફ આકર્ષવા પુરતો હતો. અને તેમનો આ ગુણ તેમણે ભારત આવ્યા ત્યારે ઉપયોગમાં લીધો અને બીજા બધા નેતાઓને ભેગા કરી અને તેમની ટીમ બનાવી. જે તેમને બ્રિટન સામે લડવામાં કામ લાગી. મૂળે તો તેમને આ “રંગદ્વેષી‘ સાઉથ આફ્રિકાની સરકારનો વિરોધ કરવો હતો. ગાંધીજીનાં ઘણાં ગુણ મને ગમે છે, પણ તે જીવનની ગાડી સત્ય અને અહિંસાના પાટે દોડાવતા હતા. તે ખરેખર અદ્દભુત ગુણ હતો. સામાન્ય રીતે દરેકના જીવનમાં જીવન બદલી નાખતા ટર્નીંગ પોઈન્ટ આવતા હોય છે. પરંતુ ગાંધીબાપુના જીવનમાં અસંખ્ય ટર્નીંગ પોઈન્ટ આવ્યા. તેઓ દરેક વખતે સત્ય અને અહિંસાના પાલનને કારણે સફળ રહ્યા. અને પોતાની ઈચ્છા પ્રમાણે ટર્ન લેતા હતા. અથવા કહી શકાય કે તેમની ઈચ્છા પ્રમાણે રસ્તા ટર્ન લેતા હતા.
મો.ક. ગાંધીની સત્યાગ્રહ ફૂટબૉલ ટીમ. ગાંધી ચિત્રમાં છેલ્લી હરોળે, ડાબેથી, છઠ્ઠા જણાય છે.
તેમનો બહુ ચર્ચીત પ્રસંગ ૧૮૯૩માં બન્યો. ફર્સ્ટક્લાસની ટિકિટ લઈને ડરબનથી પ્રિટોરિયા જવા રાતની ટ્રેનમાં બેઠા હતા, જે ગોરા લોકો માટે રિઝર્વ હતો. અને ટિકિટ ચેકરે તેમને થર્ડ કલાસમાં જવાનું કહ્યું અને ગાંધીજીએ તેમ કરવાની ના પાડી. હવે આ વાતને હું તેમનું ઉત્તમ ચારિત્ર્ય ગણું છું. મારા જેવો સામાન્ય માણસ તો કહે કે અડધી રાતે અજાણ્યા સ્ટેશને ઠંડીમાં ઊતરવા કરતાં થર્ડ ક્લાસમાં જઈ શાંતિથી ઊંઘી જાઓ. બીજે દિવસે તો સવારે કોર્ટમાં શેઠ અબ્દુલ્લાનો કેસ લડવાનો છે. જેને માટે ખાસ મુંબઈથી, આફ્રિકા આવ્યા હતા. અને માટે આ ટિકિટ ચેકર સાથે માથાકૂટ કરવાની છોડી દો. પણ એમણે તેમ ન કરતાં પિટરમારીત્ઝબર્ગના સ્ટેશને ફેંકાઈ જવાનું પસંદ કર્યું, અને પછીની રાત ઠંડીમાં પડી રહ્યા. એટલું ઓછું હોય તેમ બીજે દિવસે સિગરામમાં કોચવાનના પગ પાસે ન બેસતા, માર ખાધો. પણ પોતાના સિદ્ધાંતને વળગી રહ્યા. અને પોતાની જાત બીજા ગોરાઓની જાત કરતાં જરા ય ઉતરતી નથી. એ સિદ્ધાંત તેમણે હિન્દીઓને આપ્યો. જે આજે સો વરસ પછી દરેક જાતીઓમાં વ્યાપ્યો છે. અમેરિકામાં વસતા ભારતીયો અને પાકિસ્તાનીઓએ સાબિત કરી દીધું છે કે તેઓ ગોરા લોકો કરતાં ઉતરતા નથી. પરંતુ મુઠ્ઠી ઊંચેરા છે.
આમ છતાં મારી દ્રષ્ટિએ, બીજો એક ઓછો જાણીતો પ્રસંગ ખૂબ અગત્યનો છે. કારણ કે ગાંધીજીની જ્ગ્યાએ બીજી કોઈ પણ વ્યક્તિ જુદી રીતે વર્તી હોત. ગાંધીજી શેઠ અબ્દુલ્લાના કેસમાં સમાધાન કરાવી વરસને અંતે ભારત પાછા ફરવાના હતા. બીજે દિવસે આફ્રિકા છોડવાના હતા. તેને આગલે દિવસે તેમના માનમાં વિદાય સમારંભ હતો. જ્યાં ગાંધીભાઈને હારતોરા પહેરાવાના હતા. અને તેમનું ભાષણ સાંભળવાનું હતું. તેમાં ગાંધીજીની નજર ત્યાં પડેલા ન્યૂઝ પેપરના ખૂણે છપાયેલા ન્યૂઝ પર પડી, કે નાતાલ (સાઉથ આફ્રિકા દેશનો એક પ્રદેશ) ધારાસભા હિન્દીઓને મતાધિકાર ન મળે, એ વિષય પર બિલ પાસ કરવાના હતા. તો ગાંધીજીએ પોતાનું પ્રવચન બાજુએ મૂકી દીધું. અને આ ધારાસભાના બિલ પર વાત કરી. તેમણે જણાવ્યું કે જો આ બિલ પાસ થશે તો હિન્દીઓને કોઈ હક નહીં મળે. એટલું જ નહીં પણ તેમનાં અસ્તિત્વની પણ સરકાર નોંધ નહીં લે. જો તમારે ધંધો કરવો હોય તો દેશના નાગરિક થવું જરૂરી હતું. એ આ નવા કાયદો અમલમાં આવશે, તો દેશ છોડવો પડશે. તેમણે તે સમારંભમાં જ હારતોરા બાજુએ મૂકી અને ઘેરેઘેર આ વાતનો પ્રચાર કરનારા સ્વયંસેવકો તૈયાર કરવા માંડ્યા. શેઠ અબદુલ્લાની વિનંતીથી એક વરસ રહી જવાનું પણ નક્કી કર્યું. હવે તમે જ વિચાર કરો. આપણામાંથી કેટલા આવા ત્વરિત નિર્ણય લઈ શકે?
જગતમાં કોઈ પણ જાતની પરિસ્થિતિ હોય પણ તે પોતાના સત્ય અહિંસાના ક્ષેત્રમાં પડતી હોય તો એ પોતાની થઈ ગઈ. બીજી રીતે કહેવાય કે મુસીબતો વ્હોરી લેવાની તેમની આદત હતી.
કેટલાને ખબર હશે કે આફ્રિકાના “એન્ગલો–બોર વોર”માં સત્ય અહિંસાવાળા ગાંધીજી જોડાયા હતા. તે પણ બ્રિટિશરોના પક્ષમાં રહીને, ૧૮૯૯થી ૧૯૦૨ સુધીની વોરમાં ગાંધીજી એમ્બ્યુલન્સ સ્કવોડના લિડર હતા. અને તેમના સ્વયંસેવકોના ગ્રુપે અંગ્રેજો અને બોર લોકોના, બન્ને પક્ષના, ઘવાયેલા સૈનિકોને સેવા આપી હતી. તેમાં તેમને રાણી વિક્ટોરિયા તરફથી મેડલ પણ મળ્યો હતો. ગાંધીજીને સમજવા બહુ અઘરા પણ હતા. અંગ્રેજો આપણા દુશ્મન પણ માનવતાના કાર્યમાં તે ન જોવાય.
ગાંધીજીનું આ ચારિત્ર્ય સુભાષચંદ્ર બોઝ જોઈ શક્યા નહોતા. સુભાષબાબુ અગ્રેજોને દુશ્મન જ ગણતા. સેકન્ડ વર્લ્ડ વોર વખતે, ગાંધીજી જર્મની સાથે લડતા બ્રિટનનો ગેરલાભ નહોતા લેવા માંગતા. જ્યારે સુભાષબાબુ હિટલર સાથે હાથ મિલાવવા માંગતા હતા. સુભાષબાબુનો પ્લાન હતો કે જર્મનીએ બ્રિટનના કેદી તરીકે પકડેલા ભારતીય સૈનિકોને છોડાવી, પોતાની આઝાદ હિંદ ફોજમાં ભરતી કરાવવા. હવે તે ફોજ હિન્દમાં ભારતીય સૈનિકોની બનેલી ફોજ સામે લડે. તો સામાન્ય રીતે ભરતીય ફોજ પોતાના ભાંડુઓની બનેલી ફોજ સામે બંદૂક ન ઊઠાવે. હવે તેમના આ પ્લાનમાં થોડી ખામીઓ હતી. હિટલરે બ્રિટનના (પ્રિઝનર ઓફ વોર) પકડાયેલા કેદીઓ સુભાષબાબુને ન આપ્યા. સુભાષબાબુ જાપાન જોડે હાથ મિલાવવા ગયા. અને જ્યારે બર્મા –ઈમ્ફાલને રસ્તે આઝાદ હિંદ ફોજ આસામમાં પ્રવેશતી હતી, ત્યારે ભારતીય જવાનોથી બનેલી બ્રિટિશ ફોજે તેમનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો.
ગાંધીજીની સત્ય અહિંસાની વાતોમાં કાંઈક વજૂદ હતું. નહેરુ, સરદાર પટેલ, મૌલાના આઝાદ, કૃપાલાણી જેવા કેટલા ય મહારથીઓએ તેમની ફૂટબોલના સિદ્ધાંત પર રચાયેલી ટીમમાં જોડાઈને દેશને આઝાદ કર્યો.
e.mail : harnishjani5@gmail.com