હિમાલયે વિહરતા પેલા અશ્વત્થામાની જેમ
લોકવાયકા પ્રમાણે
હનુમાનજીનીયે જેમ –
રાજા દશરથના મહેલની મંથરા દાસી
હજી આજે ય જીવે છે … મંથરા …
હા, એ નથી વનમાં –
નથી હિમાલયમાં –
નથી કોઈ-કોઈ કોતર-કંદરાઓમાં
કે નથી રહસ્યમય ગુફાઓમાં –
એ તો છડેચોક
હાજરાહજૂર છે આ મહાનગરોમાં –
ઘરોને ખંડેર કરતી,
ભવ્ય મહાલયોને ઉજાડતી,
ગામડાંઓની ગલીઓમાં રઝળતી,
આખું જગત માથે લીધું છે તેણે!
શું ? નથી દેખાતી તમને મંથરા?
અરે … અરે … તમારામાંથી આરપાર દોડી ગઈ
ને તમને દેખાઈ પણ નહીં !
આર્ષદૃષ્ટા કવિ ઉમાશંકરે એની વાણીનો
ફુસફૂસાટ સાંભળેલો ને નોંધેલી એ વાત :
‘કાલે જો સૂર્ય કાળોમેશ ન ઊગે તો કહેજો મને !’
– અને જુઓ …
એ મંથરાએ શી દશા કરી.
સીધું સરળ … સપાટ ચાલતું’તું જીવન
એને કરી દીધું ખરબચડું … ગાંઠોવાળું … બરછટ
હા, એ જ ફરે છે રાજકારણના રણમાં
બહુરૂપી થઈ.
સમયની પળેપળને કરે છે તરબતર થઈ …
એની આધુનિક હિંમત તો જુઓ …
મૂંગાં પ્રાણીઓને મારવા સુધી
વિના વાંકે પેલો સુલતાન ગયો …
વિના વાંકે ગાય વઢાઈ!
બસ, આ જ છે –
આ રાજકારણના રણમાં
હણાય નિર્દોષો
વધારાય પશુ-પંખી-ગરીબડાં
માણસ નામથી ગંધાય છે દેવસ્થાનો
હે ઈશ્વર!
જો તું હોય, તો
હવે મંથરા નામનું હથિયાર
જે ફરે છે
તેને લઈ દબાવી દે
– જો તારામાં હિંમત હોય તો …
– તો બધું સમુંસૂતરું થાય
જીવવાનો
હવે તો એ જ માત્ર ઉપાય !
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2017; પૃ. 05