ગાંધીજી એ ભારતની એક એવી વ્યક્તિ છે, જેને કેટલાક ભલે ગાળો દેતા હોય, પરંતુ તેમને અવગણી શકાય નહીં. તેમની આઝાદીની લડતમાં જે ભૂમિકા રહી છે, તેને ભૂલી શકાય નહીં. ખેર, આજે તો ગાંધીને ભુલાવી દેવાનો ઠીક ઠીક પ્રયાસ થાય છે, પરંતુ ગાંધી પ્રતિમાને સૂતરની આંટી પહેરાવવા કે રાજઘાટ પર અંજલિ આપવાનું બંધ કરી શકાતું નથી. વિદેશની ધરતી પર પહોંચો તો પણ ગાંધીજીના સાંનિધ્યમાં જવું જ પડે, એવો તેમનો પ્રભાવ દુનિયાભરમાં રહ્યો છે. એક બે નહીં, દુનિયાના ૭૦ દેશોમાં ગાંધીજીની પ્રતિમા કે કોઈ ને કોઈ સ્મારક અસ્તિત્વ ધરાવે છે, ત્યારે તેમનું નવી પેઢીને ઘેલું લગાડનાર ફિલ્મ ‘ગાંધી’નાં ૪૦ વર્ષ થયાં છે, તો ગાંધી વિના દેશે સાડા સાત દાયકા ખેંચી કાઢ્યા છે, એ પણ કડવું સત્ય છે.
ગાંધીજીને ધીરે ધીરે દેશ ભૂલવા માંડ્યો છે, એમ તો કહી શકાય નહીં. તેમને ગાળો દેવા કે તેમના ઋણને યાદ કરવા માટે પણ ગાંધીજીનું નામ તો લેવું જ પડે એમ છે. હા, તેમણે દર્શાવેલાં મૂલ્યોનું હવે કમ સે કમ આપણા દેશમાં ધોવાણ થઈ ગયું છે. ગાંધીનાં મૂલ્યોની જાળવણી કરવામાં દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશની વસ્તીમાં આંગળીના વેઢે ગણાય એટલા લોકો જ રહ્યા છે. એવા લોકોને પણ સલામ કરવી પડે કે તેઓ આજે એક દૃષ્ટિએ જોઈએ તો સામા પ્રવાહે તરી રહ્યા છે. ખેર, નૈતિક મૂલ્યોની વાત કરીએ તો ભારોભાર દંભ ભારતીયોમાં ભર્યો છે. તત્કાલિન વડા પ્રધાનશ્રીએ ભ્રષ્ટાચાર નાબૂદીની વાત કરી હતી, એ પહેલાં ઇન્દિરા ગાંધીએ પણ એ નારો લગાવ્યો હતો, પરંતુ આજે પણ ભ્રષ્ટાચાર નાબૂદ થવાની વાત તો દૂર, ભ્રષ્ટાચાર ઘટ્યો એમ પણ કહી શકાય નહીં.
ગાંધી વિનાના સાડા સાત દાયકામાં આપણે ગાંધીજીને આપણા દંભનું રેપર બનાવીને રાખ્યા છે, એમ કહીએ તો ચાલે. આજે એવા ગાંધીવાદીઓ પણ રહ્યા નથી કે જે ખોંખારીને ગાંધીજીનાં મૂલ્યો માટે ઊભા થઈ જાય. વોટ્સ એપ યુનિવર્સિટીએ એવું ચિત્ર દોરી નાખ્યું છે કે ગાંધીજીને ગાળો દઈને જ નવી પેઢી ગૌરવ અનુભવે છે. તેનું કારણ એ જ કે, ગાંધીજી અંગે કોઈ વાંચતા નથી અને વિચારતા પણ નથી. આ ફાસ્ટ લાઈફમાં એટલું વાંચવાનો પણ સમય રહ્યો નથી. રાજકારણીઓ તો ગાંધીજીને અવગણી ન શકાય એટલે તહેવારોએ યાદ કરી લેતા હોય છે, ત્યારે ગાંધીજીને સમજવા માટે ફિલ્મનું માધ્યમ સબળ છે, એમ કહી શકાય. છતાં આજે તો ગાંધી પરની ફિલ્મ પણ ચાલે કે કેમ એ સવાલ છે. પરંતુ ચાલીસ વર્ષ પહેલાં ગાંધીજીને દુનિયા સમક્ષ મૂકવાનું એક સારું કામ બ્રિટિશ ફિલ્મ-કારે કર્યું હતું.
૩૦ નવેમ્બર, ૧૯૮૨ના રોજ ભારતમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગાંધી’ને ૪૦ વર્ષ પૂરાં થયાં છે. જો કે ચાર દાયકામાં દુનિયા ઘણી બદલાઈ ગઈ છે. ‘ગાંધી’ ફિલ્મ ભારતમાં ૩૦ નવેમ્બર ૧૯૮૨ના રોજ રાજધાનીનાં રીગલ, કમલ અને વિવેક સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી. હવે આ ત્રણેય થિયેટરો બંધ થઈ ગયાં છે અને માત્ર યાદોમાં જ જીવંત છે. અલબત્ત, ‘ગાંધી’ જોયા પછી વિશ્વે મહાત્મા ગાંધીને નજીકથી જાણવાનું વિચાર્યું. રિચર્ડ એટનબરોએ મહાન લેખક લુઈ ફિશર દ્વારા લખાયેલ ગાંધીજીના જીવનચરિત્ર ‘ધ લાઈફ ઑફ મહાત્મા’ પર આધારિત ‘ગાંધી’નું નિર્દેશન કર્યું હતું. જો એટનબરોએ લુઈ ફિશરે લખેલું ગાંધીજીનું જીવનચરિત્ર વાંચ્યું ન હોત તો શું ‘ગાંધી’ ફિલ્મ બની હોત ? ગાંધીજીની હત્યાનું દૃશ્ય બિરલા હાઉસમાં શૂટ કરવામાં આવ્યું હતું. સમગ્ર દૃશ્યને જીવંત કરવા માટે દિલ્હીની વિવિધ કૉલેજોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા હતા.
‘ગાંધી’ના શૂટિંગ પહેલાં, તેમાં ગાંધીની ભૂમિકા ભજવતા શક્તિશાળી અભિનેતા બેન કિંગ્સલીએ રાજધાનીમાં ગાંધીજી સાથે સંકળાયેલાં તમામ મહત્ત્વપૂર્ણ સ્થાનો જોયાં અને અનુભવ્યાં હતાં. તેમણે દિલ્હીના પંચકુઈઆ રોડની વાલ્મીકિ બસ્તીથી બિરલા હાઉસ સુધી મુલાકાત લીધી હતી. બેન કિંગ્સલીએ એક સમયે કહ્યું પણ હતું કે, મેં ‘ગાંધી’ ફિલ્મ કરતા પહેલાં બાપુની લૂઈ ફિશરની જીવનકથા ઘણી વખત વાંચી હતી. તે વાંચીને મને બાપુ અને તેમના સત્ય અને અહિંસાના સિદ્ધાંતોની જાણ થઈ. વારંવાર એ વાંચવાને કારણે જ હું મારા પાત્ર સાથે ન્યાય કરી શક્યો છું. ગાંધીજીના જીવન પર બનેલી ‘ગાંધી’ને આઠ ઓસ્કાર એવોર્ડ મળ્યા હતા. આ ફિલ્મ ગાંધીજીના જીવન પર બનેલી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે.
ગાંધી ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં ઇન્ડિયા ગેટ, રાષ્ટ્રપતિ ભવન, દરિયાગંજ પોલીસ સ્ટેશન વગેરેમાં પણ થયું હતું. ગાંધીજીની હત્યાનું દૃશ્ય રીલને બદલે વાસ્તવિક લાગે તે માટે હજારો લોકોને અંતિમયાત્રાનો ભાગ બનાવવામાં આવ્યા હતા. આ એક વિચિત્ર સંયોગ છે કે ગાંધી ફિલ્મની રાજધાનીમાં આઉટડોર શૂટિંગની તમામ વ્યવસ્થા કરનારા પ્રખ્યાત ફિલ્મ સર્જક સુરેશ જિંદાલનું તાજેતરમાં નિધન થયું છે. અલબત્ત, રાજધાનીમાં ગાંધી ફિલ્મના શૂટિંગને લગતા તમામ લોકેશન સુરેશ જિંદાલના પ્રયાસોથી મળી આવ્યા હતા.
ગાંધીની ભૂમિકા ફિલ્મ રિલીઝ થઈ તેના ઘણા સમય પહેલાં લખાઈ હતી. ગાંધીજીની જીવનકથા લખનાર અમેરિકન લેખક લૂઈ ફિશરે ૨૫ જૂન ૧૯૪૬ના રોજ દિલ્હીની મુલાકાત લીધી હતી. સફદરગંજ એરપોર્ટ પર પ્લેનમાંથી ઊતર્યા પછી, તે ટેક્સી દ્વારા સીધા જ જનપથ (તે સમયે ક્વીન્સ એવન્યુ) પરની ઇમ્પિરિયલ હોટેલ પહોંચ્યા હતા. ઇમ્પિરિયલ લોબીમાં જ પોતાનો સામાન મૂકીને ફિશર પંચકુઈઆ રોડ પરની હોટલમાં જવા નીકળી ગયા હતા. ફિશર સાંજે ૫ વાગે વાલ્મીકિ મંદિર પહોંચ્યા હતા, ત્યારે દિલ્હીના રસ્તાઓ પર આજના જેવો ટ્રાફિક ક્યાં હતો. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે પંડિત નહેરુ અને ઘણા લોકો ત્યાં હાજર હતા. થોડી વાર પછી બાપુ તેમના મંદિરના ઓરડામાંથી બહાર આવ્યા હતા. બાપુ તેને તરત ઓળખી જાય છે. તેઓ અમદાવાદમાં ફિશરને મળ્યા હતા. બંનેની મિત્રતા હતી. તેઓ ફિશરના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરે છે. લૂઈ ફિશરે ‘ધ લાઈફ ઓફ મહાત્મા’માં આ બધી બાબતોનો વિગતવાર ઉલ્લેખ કર્યો છે. આ વાંચીને જ રિચર્ડ એટનબરોએ ગાંધી ફિલ્મ બનાવી હતી.
(‘ગુજરાતગાર્ડિયન’માંથીસાભાર)
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ફેબ્રુઆરી 2023; પૃ. 09