આજથી ૧૦૦ વર્ષ પહેલાં તે આ જ અઠવાડિયું (લેખ છપાયા તારીખ ૧૫ એપ્રિલ ૨૦૧૭) હતું કે જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ચંપારણ પહોંચ્યા હતા. તેઓ અહીં ચંપારણમાં ઘણા મહિનાઓ સુધી રોકાયા હતા. તેમણે ચંપારણના ખેડૂતોની સમસ્યાઓ વિશેની જાણકારી પ્રાપ્ત કરી હતી. તે સમયગાળા દરમિયાન ચંપારણના ખેડૂતોને જબરદસ્તીથી ગળીની ખેતી કરવી પડતી હતી. જે ખેડૂતો ગળીની ખેતી કરવા માટે ના પાડતા હતા તે ખેડૂતોની જમીન જપ્ત કરી લેવામાં આવતી હતી. ગાંધીજીએ આ બાબતમાં હસ્તક્ષેપ કર્યો અને કોલોનિયલ (વસાહતી) હકૂમત સાથે વાતચીત કરીને ખેડૂતોને જરૂરી રાહત અપાવવામાં તેઓ સફળ રહ્યા. જબરદસ્તીથી ગળીની ખેતી કરાવવાનું તંત્ર પણ બદલાઈ ગયું. હવે ત્યાંના ખેડૂતો તેઓની ઈચ્છા પ્રમાણે ગળીની ખેતી કરી શકતા હતા. ખેડૂતો માટે આ બહુ મોટી જીત હતી જ્યારે ગાંધીજી માટે પણ આ ખૂબ મોટી સફળતા હતી. આ જીત થકી ગાંધીજીને દક્ષિણ આફ્રિકાથી અલગ, ભારતમાં એક વિશ્વસનીય નેતાનાં રૂપમાં ઓળખ પ્રાપ્ત થઇ.
આ આલેખ તે કુલ છ વિશિષ્ટ સ્થિતિઓને જણાવવાનો અને સમજાવવાનો પ્રયાસ છે કે જે મહાત્મા ગાંધીને લાંબા ચંપારણ પ્રવાસ અને ભારતમાં તેમનું ભવિષ્ય સ્થાપિત કરવામાં મહત્વનું પાસું સાબિત થઇ. આ સમયગાળા દરમિયાન ગાંધીજીને સૌ પ્રથમ વખત પોતાની માતૃભૂમિ પર કૃષિ જીવનની વિવિધ શૈલીઓનો સીધો અનુભવ થયો. ચંપારણમાં મોતીહારી અને બેતિયા ગાંધીજીના નિવાસસ્થાન બન્યા. ગાંધીજી ગામડાંઓથી લઈને શહેર સુધી વિવિધ પ્રકારના લોકોને મળ્યા. પરંતુ, ચંપારણમાં ગાંધીજી જ્યાં પણ જતા હતા ત્યાં પોલીસવાળા સાદા કપડાંમાં પડછાયાની માફક તેમની પાછળ લાગ્યાં રહેતા હતા અને ગાંધીજીની બેઠકો અને મુલાકાતોની તમામ વિગતોની નોંધ રાખતા હતા. ચંપારણમાં જ ગાંધીજીને કૃષિની કઠિન પરિસ્થિતિઓનો પ્રથમ વખત પરિચય થયો. બીજું કે અહીં સહયોગીઓના એ પ્રકારના નેટવર્ક બનવાની શરૂઆત થઇ કે જે ભવિષ્યમાં તેમના માટે ખૂબ જ કામણગારું સાબિત થવાનું હતું. ચંપારણમાં જ ગાંધીજીની જે.બી. કૃપાલાણી સાથે બીજી મુલાકાત થઇ. તે વખતે કૃપાલાણી એક સરકારી કોલેજમાં ઇતિહાસ શીખવાડતા હતા. કૃપાલાણી ગાંધીજીને મળવા માટે મુઝફ્ફરપુર સ્ટેશન પહોંચ્યા અને યુવાઓની અપાર ભીડની વચ્ચે એક ગાડીમાં તેઓ ગાંધીજીને પોતાની સાથે ઘરે લઇ ગયા. ચંપારણમાં જ ગાંધીજીને કૃપાલાણી સિવાય પટણાથી આવેલું વકીલોનું એક સમૂહ પણ મળ્યું જેમાં ચંપારણના ખાસ જાણકાર બ્રિજકિશોર પ્રસાદ અને વકીલ રાજેન્દ્રપ્રસાદ પણ સામેલ હતા. ત્રીજું, ચંપારણમાં કરેલા કાર્ય થકી ગાંધીજીને પ્રથમ વખત તેમના ગૃહક્ષેત્ર ગુજરાતની બહાર અને તે પણ આટલા દૂર આવેલા સ્થળે માન્યતા મળી. પોતાના મિત્રને લખેલા એક પત્રમાં ગાંધીજીએ કહ્યું કે ‘અહીં મને દરરોજ એક નવું અને અદભુત સુખ મળી રહ્યું છે. જે રીતે ગરીબ ખેડૂતો મારી પાસે બેસવાથી એટલા ખુશ જોવા મળી રહ્યા છે તે જોતાં મને લાગી રહ્યું છે કે આ ગરીબ ખેડૂતો હવે મારા પર ભરોસો કરી શકે છે.’ હું આશા રાખું છું કે તેઓની આકાંક્ષાઓ પર ખરો સાબિત થઇ શકીશ. ચોથું, ચંપારણની ઉપલબ્ધિઓ થકી ગુજરાતમાં પણ ગાંધીજીની શાખમાં વધારો થયો. આ એ સમયગાળો હતો કે જ્યારે ગુજરાત સભા પર મધ્યમમાર્ગી વકીલો, અંધભક્તો અને યથાસ્થિતિવાદીઓનું વર્ચસ્વ હતું જે પૈકી કેટલાક લોકો ગાંધીજીને એક ‘ગુમરાહ ધાર્મિક’ માનતા હતા. અને આ લોકોનો ભ્રમ અચાનક ત્યારે તૂટ્યો કે જ્યારે ગાંધીજીએ અંગ્રેજોનો તેમને (ગાંધીજીને) ચંપારણ છોડવા માટેનો આદેશ નકારી કાઢ્યો. આ વાત જ્યારે અમદાવાદ પહોંચી ત્યારે ત્યાંના વકીલોએ ગુજરાત ક્લબ પહોંચીને આ ‘બહાદુર વ્યક્તિ’ને પોતાનો આગામી અધ્યક્ષ જાહેર કરી દીધો. લંડનથી પરત આવેલા વકીલ વલ્લભભાઇ પટેલ પણ તે દિવસો દરમિયાન ગુજરાત કલબના પ્રમુખ સદસ્ય હતા અને જ્યારે એવા સમાચાર આવ્યા કે અંગ્રેજોના આદેશને ગાંધીજીએ પડકાર આપ્યો છે ત્યારે વલ્લભભાઇ પટેલ ગુજરાત ક્લબમાં બ્રિજ રમી રહ્યા હતા. વલ્લભભાઇ પટેલે જલદી જ ગાંધીજી સાથે જોડાઈ જવા માટે પોતાની ધીકતી પ્રેક્ટિસ છોડી દીધી. બે અન્ય ગુજરાતી વકીલ મહાદેવ દેસાઈ અને નરહરિ પરીખ અને પણ આ વર્ષે ગાંધીજી સાથે જોડાયા. વલ્લભભાઇ પટેલની માફક આ બંને પણ ધીરે-ધીરે ગાંધીજીના રાષ્ટ્રીય અને સામાજિક પુનરુદ્ધારના કાર્યક્રમ માટે અપરિહાર્ય બની ગયા. પાંચમી વાત, ચંપારણ પ્રવાસમાં જ પ્રથમ વખત ગાંધીજીનો બ્રિટિશરાજની નોકરશાહી પ્રથા સાથે સતત પરિચય થતો રહ્યો. પરંતુ, દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં ગોરા ઓફિસરો અને નેતાઓની સાથે ગાંધીજીનો સામનો થયો હતો અને તે દરમિયાન ગાંધીજીને ઘણી મુશ્કેલીઓ પણ વેઠવી પડી હતી. હવે ગાંધીજી ભારતમાં આ ગોરા અધિકારીઓનો નિયમિતપણે સામનો કરી રહ્યા હતા.
જૂન ૧૯૧૭માં ગાંધીજી દ્વારા ખેડૂતોની સમસ્યાઓની રજૂઆત કરતાં કેટલાંક કાગળિયાં બિહાર સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યાં અને તે સાથે જ ચંપારણ કૃષિ તપાસ સમિતિનું નિર્માણ થયું. સાત સભ્યોની આ તપાસ સમિતિમાં ગાંધીજી સિવાય અન્ય ચાર આઈ.સી.એસ. પણ સામેલ હતા જ્યારે તેના ચેયરમેન મધ્યપ્રાંતના એક સરકારી ઓફિસર હતા. કમિટીની બેઠકોનો સૌથી મોટો લાભ એ થયો કે ગાંધીજી આ કોલોનિયલ (વસાહતી) રાજ્યની ઝીણામાં ઝીણી વિગતોને નજીકથી સમજી શક્યા. અંતમાં, ચંપારણના પ્રવાસની સૌથી મોટી અસર એ થઇ કે ચંપારણના પ્રવાસ બાદ ગાંધીજીને એ વાતનો વિશ્વાસ થયો કે તેઓ ભારતીય સમાજના વિવિધ વર્ગોના દિલ અને દિમાગને જીતી શકવાની ક્ષમતા ધરાવે છે. ખેડૂતોનું દિલ તો તેઓ પ્રથમ વખતમાં જ જીતી ચૂક્યા હતા. અમદાવાદ પરત આવતા પહેલાં ગાંધીજી એક અઠવાડિયા માટે મોતીહારી અને પછી બે દિવસ માટે બેતિયામાં પણ રહ્યા. બેતિયામાં તેમના ભવ્ય સ્વાગત અંગે એક ગુપ્ત પોલીસ રીપોર્ટ જણાવે છે કે ‘જેવી ટ્રેન બેતિયા સ્ટેશન પહોંચી કે તરત જ ‘ગાંધીજીની જય’, ‘ગાંધી મહારાજની જય’ એવા નારા ગૂંજવા લાગ્યા. હાથમાં ઝંડા અને બિલ્લા લગાવેલા આસપાસના અને દૂરનાં ગામડાંઓના હજારો ખેડૂતો, સ્કૂલના બાળકો ત્યાં એ વખતે હાજર હતાં. ગાંધીજી પર પુષ્પોની વર્ષા કરવામાં આવી રહી હતી. તેમને માળાઓ પણ પહેરાવવામાં આવી રહી હતી. ગાંધીજીના સ્વાગત માટે સ્ટેશનના પ્લેટફોર્મ પર લાલ રંગનું કપડું બિછાવવામાં આવ્યું હતું. બેતિયાના મારવાડી સૂરજમલ પોતાની ઘોડાગાડી લઈને આવ્યા હતા અને સાથે ઈજનેર પૂરણબાબુ રાજનો ઘોડો પણ લાવી રાખવામાં આવ્યો હતો. એ વાતની જાણકારી નથી કે પૂરણ બાબુએ તેમનો ઘોડો કેવી રીતે આપ્યો અને રેલ અધિકારીઓએ સ્ટેશન પર આટલા મોટા ને ભવ્ય જમાવડા અથવા શો માટેની પરવાનગી કેમ આપી? બેતિયા સ્ટેશન પર થયેલું આ સ્વાગત ભારતમાં ગાંધીજીના સંઘર્ષની શાનદાર શરૂઆત હતી. જો કે ખરેખરમાં ચંપારણના ખેડૂતોને ગાંધીજી પાસેથી જેટલું પ્રાપ્ત થયું તેનાં કરતાં અનેકગણું વધારે ગાંધીજીને ખેડૂતો થકી મળ્યું હતું. ખેડૂતોની સાથે કાર્ય કરવાના કારણે જ ગાંધીજી ભારતના કૃષિ સંકટને નજીકથી અનુભવી શક્યા. અહીં જ તેઓને સૌ પ્રથમ વખત વિશ્વસનીય રાજનૈતિક સહયોગીઓ મળ્યા. ગાંધીજીને એ વાતનો ભરોસો બેઠો કે તેઓ એ લોકોનું પણ નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવે છે કે જેઓ તેમની પોતાની જાતિ, સમુદાય, બિરાદરી, વર્ગ અથવા ક્ષેત્રના નથી. વર્ષ ૧૯૧૭ના આ દિવસો ગાંધીજીના ભવિષ્ય માટેની લાંબી અને કઠિન લડાઈ માટે તાકાત આપનાર એક બળરૂપ સાબિત થયા. ચંપારણ એ ભારતમાં ગાંધીજીનો પ્રથમ રાજનૈતિક અનુભવ માત્ર નહોતો પરંતુ ગાંધીજીના રાજનૈતિક જીવનની સાથે-સાથે ભારતીય સ્વાધીનતા સંગ્રામનું પ્રસ્થાનબિંદુ પણ હતું. ચંપારણ આંદોલન જ અસહયોગ આંદોલન, મીઠાનો સત્યાગ્રહ અને ભારત છોડો જેવા આંદોલનો તેમ જ ભારત પર વિદેશી શાસનના અંતનું પ્રસ્થાનબિંદુ પણ સાબિત થયું.
[અનુવાદ – નિલય ભાવસાર]
e.mail : nbhavsarsafri@gmail.com