મારે તમને એક પ્રશ્ન પૂછવો છે.
એક પુસ્તક, માત્ર એક પુસ્તક શું આપણા વિશ્વ અને આપણી આસપાસ બનતી ઘટનાઓ વિશેની સમજણ રાતોરાત બદલી શકે? જો તમારો જવાબ ‘ના’માં હોય, તો તમારે આ પુસ્તક વાંચવાની તાત્કાલિક જરૂર છે.
આ પુસ્તક Broken Republic (બ્રૉકન રિપબ્લિક − તૂટેલું ગણતંત્ર) છે કે જેની આજે મારે વાત માંડવી છે, તે એક ચુંબક જેવું છે.
There are worse crimes than burning books. One of them is not reading them. (પુસ્તકને ન વાંચવું એ, તે પુસ્તકને બાળી નાખવાથી પણ વધુ જઘન્ય અપરાધ છે.) —જૉસેફ બ્રોડસ્કી
મને યાદ છે એ દિવસ. શુક્રવારનો દિવસ. સખત ભાગદોડનો દિવસ, મારે કોઈને મળવાનું હતું અને એ મારી ટેવ છે કે જો મારા હાથમાં હોય, તો મુલાકાતનું સ્થળ કોઈને કોઈ book-store અથવા libraryમાં અથવા આસપાસ રાખું, જેથી કરીને સામેની વ્યક્તિ આવવામાં મોડી પડે, તો મને પુસ્તકોની વચ્ચે રહેવાની એક તક મળી જાય. અને થયું પણ exactly એમ જ. મળવા આવનાર વ્યક્તિ કોઈ કારણસર ૧૫ કે તેથી વધારે મિનિટ સુધી આવ્યા નહીં. અને હું પાસેના એક book-storeમાં ઘૂસી ગયો. થોડીવાર પછી અચાનક એક સાજાસમા shelf ઉપર Broken Republic મળી ગયું.
એ પળથી બીજા બે દિવસ સુધી, આ પુસ્તક સતત મને બોલાવતું રહ્યું, સાદ પાડતું રહ્યું અને એને વાંચવાનો સમય સ્વાભાવિક રીતે જ દિવસ દરમિયાન ન મળે. એટલે રાત્રે જમ્યા પછી તરત જ તેની સાથેની મારી યાત્રા શરૂ! અને બધાં જ અદ્દભુત પુસ્તકોની માફક, એ યાત્રા તેની સાથે પૂરી થવાને બદલે વધુ તેજ બની.
અને હું, જેવો એ યાત્રામાં જોડાયો હતો, જેવી માનસિકતા સાથે, જેવા જ્ઞાન સાથે, જેવી સમજણ સાથે એવો ને એવા બહાર ન નીકળી શક્યો. બહાર નીકળ્યો, ત્યારે એક અલગ માણસ, એક અલગ ચેતના, એક અલગ જ દૃષ્ટિકોણ ધરાવતો કોમરેડ બની ગયેલો.
હા, કોમરેડ બિરાદર.
ઑફ કોર્સ, મને જાણતા બધા જ લોકો, એ પણ જાણે છે કે હું એક સામ્યવાદી, માર્ક્સવાદી વ્યક્તિ છું. એક કોમરેડ, એક બિરાદર છું જ. જો કોમરેડ છું જ, તો પછી કોમરેડ બની ગયો, એવા વાક્યનો અર્થ શું? અર્થ એટલો જ કે મને પહેલી વખત ‘હું કોમરેડ છું?’ એવો અહેસાસ થયો. કોમરેડના નામથી મને પણ લોકો બોલાવે જ છે પણ કોમરેડ હોવાનો અર્થ અને આજના સમયની પરિસ્થિતિમાં એક કોમરેડનાં શું કર્તવ્ય હોવાં જોઈએ, એ વાત મને પ્રથમ વખત સ્પષ્ટ સમજાણી.
કદાચ, બધી જ સામ્યવાદી પાર્ટીઓએ, આ પુસ્તકને તેમના કાર્યકર્તાઓને ફરજિયાતપણે ભણાવવું જોઈએ.
પણ, ‘કદાચ’ એ વધારે પડતી વાત નહીં થઈ જાય?
કેમ કે, આ પુસ્તકની લેખિકા, અરુંધતી રૉય, તો કૉમ્યુિનસ્ટ પણ નથી! અને કૉમ્યુિનસ્ટ પાર્ટીઓમાં તો મોટા-મોટા વિદ્વાનો (સંપૂર્ણ-ગંભીરતાથી કહું છું) છે. તેમને એક નૉન-કૉમ્યુિનસ્ટ સામાજિક ચળવળકાર શું શિખવાડી શકે?
ના, આ પુસ્તક કોઈને કશું શિખવાડવા માટે નથી. તે માત્ર તમને વિચારતા કરી દે છે અને એ જ, આ પુસ્તકનો હેતુ છે – વાચકને વિચારતા કરવાનો.
આ પુસ્તકની રૂપરેખા, સામાન્ય રીતે લખાતાં પુસ્તકો કરતાં અલગ છે. આ પુસ્તક, આપણા ઘણા લેખકો લખે છે, તેમ ઍર-કંડિશનર ઓરડાઓમાં બેસીને લખાયેલું નથી. તે યુદ્ધસ્થળની વચ્ચે જઈને, લેખિકા કહે છે તેમ, ગ્રાઉન્ડ ઝીરો પર સંઘર્ષરત જીવનું જોખમ લઈને લોકોની વચ્ચે જઈને લખાયું છે.
જીવનું જોખમ?
કોઈને થશે, એક પુસ્તક લખવામાં જીવનું જોખમ?
પણ જો તમે કલબૂર્ગીથી માંડીને પાનસરે સુધી કશું પણ જાણતા હોવ તો, આ પ્રશ્ન કેટલો બાલિશ છે, તે સમજી શકશો. આજે દેશમાં શાસકો અને તેમના મળતિયાઓને – કાયર હત્યારાઓને સત્ય કેટલું અણગમતું હોય છે તે જાણી શકશો. તે મુક્ત અવાજોને સહન કરી શકતા નથી, એટલે મુક્ત અવાજો બંધ કરી દેવા તથા મિટાવી દેવા, બધા જ હથકંડા અપનાવતાં તે લોકો અચકાતા નથી.
તમે તમારી વૃદ્ધ પત્ની સાથે વહેલી સવારે morning walk ઉપર જતાં હોવ અને ગોળી મારી દેવામાં આવે, એ સૌથી સરળ અને ફાવે એવી રીત છે. એનાથી વધારે complecated પદ્ધતિઓ પણ છે. સરકાર તમને માઓવાદીઓ સાથે તમે મળેલા છો, એવા શકના આધારે પણ પકડી શકે. પકડીને, કોઈ પણ કોર્ટમાં રજૂ કર્યા વગર, મન થાય ત્યાં સુધી ગોંધી રાખી શકે.
નથી મનાતુંને ?
તો પૂછો, પ્રો. જી.એન. સાંઈબાબાને.
તો પૂછો, પ્રો. અપ્પાને.
હું તમને એવાં અસંખ્ય નામ આપી શકું, જેમને સરકારે, માઓવાદીઓ સાથેનો સંપર્ક હોવાના વહેમ માત્રથી ગોંધી રાખ્યા છે, ગેરકાયદેસર રીતે (હાઈકોર્ટનો ચૂકાદો – માઓવાદી વિચાર ધારા ધરાવવી એ ગૂનો નથી.) પણ આગળ વધતાં પહેલાં, હું તમને ફરીથી એક પ્રશ્ન પૂછવા માગું છું. તમારી દૃષ્ટિએ, આપણા દેશ માટે સૌથી મોટો ખતરો કોણ છે?
મેં આ પ્રશ્ન અસંખ્ય લોકોને પૂછ્યો છે અને રસપ્રદ રીતે, મહદ્અંશે જવાબ એક જ મળ્યો છે.
આતંકવાદીઓ, લશ્કરે-તોયબા/તાલીબાન વિગેરે.
પણ આપણા દેશના શાસકો, માઓવાદીઓને માને છે.
વર્ષ ૨૦૧૦માં તત્કાલીન વડાપ્રધાને માઓવાદીઓને દેશની સુરક્ષા માટે સૌથી મોટો આંતરિક ખતરો ગણાવ્યો હતી અને ત્યારથી અત્યાર સુધી એક પછી એક છેડાયેલાં યુદ્ધો (Operation Green Huntને બીજું શું કહીશું?) એ વાતની ગવાહી પૂરે છે કે નવી સરકાર પણ એ જ માને છે.
એટલે જે લોકોને આપણા દેશની એક પછી એક બધી સરકારો સૌથી મોટી ખતરા માને છે, જેમની સાથે સંબંધ હોવાના આભાસ માત્રથી તમને જેલમાં પૂરી દેવામાં આવે, તેવા લોકોની વચ્ચે જઈને રહેવું, તેમને જાણવા અને સમજવાનો પ્રયત્ન, અભાવો વચ્ચે, ઘનઘોર જંગલો વચ્ચે જઈને કરવો, એને માટે જબરજસ્ત હિંમત જોઈએ.
અરુંધતીમાં એ હિંમત છે.
એ જંગલોમાં જઈને, માઓવાદીઓની વચ્ચે રહીને, એક investtigative journalistની જેમ એક સંપૂર્ણ અહેવાલ આપણી સમક્ષ રજૂ કરે છે. એ અહેવાલ એટલે : Broken Republic.
તમને થશે, ઓકે. ખૂબ હિંમત કરીને લખાયેલું છે એ માન્યું, એ પણ માન્યું કે ખૂબ મહેનત કરીને લખાયું છે. પણ આખરે છે તો એક પુસ્તક જ ને?
અને એક પુસ્તક વળી (હા, કોઈ ધાર્મિક ગ્રંથ હોય, તો અલગ વાત છે) શું એટલું મહત્ત્વનું હોઈ શકે?
ના, હું માનું છું કે આ પુસ્તક અત્યંત મહત્ત્વનું છે.
આ પુસ્તક એવા દરેક માણસ માટે છે, જે અંદરથી મરી નથી ગયો. આ પુસ્તક મારા-તમારા જેવા લાખો ને કરોડો એવા લોકો માટે પણ છે જેઓ બહુ જ ભોળપણથી આપણા શાસકો વડે રમાતી લોકશાહી – લોકશાહીની રમતને બહુ ગંભીરતાથી લે છે. એવા લોકોને હું ચેતવું છું કે તમે આ પુસ્તક ના વાંચતાં. અત્યાર સુધી આપણી લોકશાહી વિશેની તમારી સઘળી માન્યતાઓ અરણ્યમાં ઊડતાં સૂકાં પાંદડાંઓની માફક હવામાં ઊડી જવાની પૂરેપૂરી શક્યતા છે.
આ પુસ્તક સામ્યવાદીઓ માટે પણ છે. કદાચ સૌથી વધુ એમના માટે જ છે.
આપણા દેશમાં કુલ કેટલા સામ્યવાદી પક્ષો છે? ૭૫થી વધુ! હા. આટલા બધા. એમનાં નામ પણ એટલાં જ રસપ્રદ છે. જેમ કે, એક છે સત્ય શોધક કોમ્યુિનસ્ટ પાર્ટી બીજી છે. CPI (ML) (M) (N).
આ બધા કઈ વાત પર સહમત છે અને કઈ વાત ઉપર અસહમત? બધા જ માને છે કે આ મૂડીવાદી યુગ છે. બધા જ માને છે કે ક્રાંતિ જ આ શોષણના યુગને ખતમ કરી શકે છે. પણ વિવિધ પક્ષો અને અરુંધતી વચ્ચેની અસમાનતા અહીં જ પૂરી થાય છે. ગૂંચવાડો ક્રાંતિના સ્વરૂપ વિશે છે. ક્રાંતિ કેવી રીતે થશે અને કોણ કરશે?
કામદારવર્ગ જ ક્રાંતિ કરી શકે એવો, એક લગભગ અધિકારિક કહી શકાય તેવો મત પણ છે તો આપણી સામે ચીનની ક્રાંતિ પણ છે. જેઓ ચૂંટણીઓ લડીને સત્તા કબજે કરવા માંગે છે. આવા બધા જ સામ્યવાદી પક્ષોને સંસદીય ગ્રૂપમાં મૂકી શકાય અને હથિયારો વડે રાજ્યને ઉથલાવીને સત્તા હસ્તગત કરી શકાય તેમ માનનારા માઓવાદી જેવા પક્ષો પણ છે.
પણ વચ્ચે એક બીજી વાત.
અરુંધતીનો એક ઉપકાર આપણી ઉપર છે. આપણી બેવકૂફીની હદે કહી શકાય તેવી ભોળપણ ભરી લોકશાહી વિશેની માન્યતાઓને તે સીધી કરી દે છે.
આપણા વડાપ્રધાનો કે બીજા પ્રધાનો કે અધિકારીઓ કે જજો, આપણા સાચા શાસકો નથી. સત્તા ખરેખર જેમના હાથમાં છે, તે અંબાણી, અદાણી, તાતા અને બિરલા જેવા દેશી અથવા વિદેશી મૂડીવાદીઓ છે.
સામાન્ય રીતે માનવામાં આવે છે કે કૉંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બે અલગ વિચારધારાઓવાળી પાર્ટીઓ છે. પણ આ પુસ્તક સમજાવે છે એમ તેમની વચ્ચે આર્થિક નીતિઓ (મૂડીવાદીઓને લૂંટનો સંપૂર્ણ દોર આપવો) વિશે કોઈ ફરક નથી. ફરક માત્રનો ઘર્મનો રાજકારણમાં કેટલો અને કેવો ઉપયોગ કરવો તે વિશે છે.
આ પુસ્તક આપણું ધ્યાન એ બાબત તરફ ખેંચે છે કે માણસનું માણસના હાથે શોષણ થાય છે એ વાત સાચી, પણ માણસ એના વાતાવરણમાં રહે છે. તેની આજુબાજુ એક પર્યાવરણ છે. માણસ શૂન્યતામાં, ક્યાંક હવામાં મૂકેલો નથી રહેતો. એનું પર્યાવરણ – તેમાં જંગલો છે, નદીઓ છે, પર્વતો છે, કિલ્લોલ કરતાં પંખીઓ છે. પાલતુથી માંડીને ખતરનાક સુધીનાં જીવજંતુઓ છે.
મૂડીવાદીઓ પોતાના પૈસા અને મસલની તાકાત ઉપર માણસનું તો શોષણ કરે જ છે, સાથોસાથ પર્યાવરણનો પણ ખો કાઢે છે. તે જંગલોને કાપે છે, બાળે છે. પર્વતોને ખોદે છે, નદીઓ પર ખૂબ મોટા ડેમ બનાવે છે અને માનવજાત સહિત સમગ્ર પર્યાવરણને ખતમ કરે છે.
આપણો પ્લેનેટ. આપણું ઘર – આ અદ્દભુત પૃથ્વી ખતમ થઈ જશે. એવી એક ભીતિ લેખિકાને સતાવે છે.
તે પૂછે છે, તમારી પાસે કોઈ વૈકલ્પિક મૉડેલ છે વિકાસનું? પણ એ પહેલાં બીજો એક પ્રશ્ન : આપણા દેશમાં ક્રાંતિ કેવી રીતે થશે?
તમને શું લાગે છે? શું ચૂંટણીઓ લડવાથી અને જીતવાથી ક્રાંતિ થશે કે ભારતીય લશ્કર (અને હયાત મૂડીવાદી સરકારો અને તેમનાં આકા સમાન મૂડીવાદી કૉર્પોરેશનો) સામે શસસ્ત્ર બળવાથી? તમને શું લાગે છે? શું સંસદીય રસ્તો સાચો છે કે લશ્કરી બળવાનો રસ્તો સાચો છે?
આ પુસ્તક તમને એ મુસાફરી કરાવે છે, જેમાં કેટલાય લોકોનાં સંઘર્ષમય જીવનના (થોડીવાર પૂરતા પણ) તમે સહભાગી બની જાવ છો. અરુંધતીની સાથેસાથે આપણે એ કેડી ઉપર ચાલવા લાગીએ છીએ.
આ પુસ્તકની શૈલી વિશે હું થોડું કહીશ. એક અદ્દભુત, સરળ અને સટીક લેખનથી સભર આ પુસ્તક એક તાજગીનો અહેસાસ આપી જાય છે. એક પ્રસંગ માણવા જેવો છે :
અરુંધતી માઓવાદીઓને મળવા જાય છે. નક્કી થાય છે કે તે નક્કી થયેલા સમયે (first day, first show) અરુંધતી મા દાન્તેશ્વરી મંદિરે પહોંચે છે. તેને લેવા માટે કોઈ આવવાનું હોય છે. કોડવર્ડ છે નમસ્તે ગુરુજી અને હાથમાં Outlook મૅગેઝિન અને કેળું. એક છોકરો આવે છે. તેના હાથમાં કશું નથી હોતું. એ જોઈને અરુંધતી કન્ફ્યુઝ થઈ જાય છે. પેલો છોકરો સમજી જાય છે, એટલે એક ચબરખી આપે છે.
‘આઉટલૂક’ના મળ્યું.
લેખિકા પૂછે છે – અને કેળું?
જવાબ બહુ મર્મભેદી છે – હું ખાઈ ગયો. ભૂખ લાગેલી એટલે. અને આપણને મળે છે આપણા દેશ માટે ખરેખરો સુરક્ષાખતરો!
તેને પ્રશ્નો ખૂબ થાય છે. પ્રશ્નો, ખૂબ બધા અને પાછા અણિયાળા. તેને માઓવાદીઓની કાર્યપદ્ધતિઓ સાથે પ્રશ્નો થાય છે. પણ સાથોસાથ એ કહે છે –
વિશ્વભરમાં, અહિંસક વિરોધ-આંદોલનોને કચડી – રહેંસી નાખવામાં આવી રહ્યાં છે. જો આપણે તેને (અહિંસક આંદોલનોને) માન ન આપી શકીએ તો, આપણે હથિયાર ઉપાડનારાઓને આમંત્રિત કરીએ છીએ.
જો શાંતિમય બદલાવને તક નહીં આપવામાં આવે તો હિંસક બદલાવ અનિવાર્ય બની જશે. અને તે હિંસા ખરાબ, સ્ફોટક અને અણધારી હશે.
Of course, લેખિકા માઓવાદી નથી અને હું પણ માઓવાદી નથી. પણ એ વાતનો મને જીવનભર અફસોસ રહેશે!
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2016; પૃ. 05-07