વધતી અસહિષ્ણુતાના વિરોધમાં સાહિત્યકારો અને સર્જકો સરકારી માન-સન્માન પાછાં કરી રહ્યા છે એ જોઈને સરકાર હેબતાઈ ગઈ છે. એણે ધાર્યું નહોતું કે પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ એમ ચારેકોરથી એવા લોકો બહાર નીકળશે જે રૂઢ અર્થમાં સેક્યુલરિઝમના ઝંડાધારી નથી કે ઝોળાવાળા કર્મશીલો નથી. એમાંના કેટલાક એવા લોકો છે જેમનાં અત્યાર સુધી નામ પણ અજાણ્યાં હતાં. એક સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિની છે જેણે રાજ્ય સરકારનો પુરસ્કાર પાછો કર્યો છે અને બીજા એક વિદ્યાર્થીએ શિક્ષણપ્રધાન સ્મૃિત ઈરાનીના હાથે પુરસ્કાર લેવાની ના પાડી દીધી છે.
ક્યાંથી આ અવાજ ઊઠ્યો? જવાહરલાલ નેહરુનાં ભાણી નયનતારા સેહગલ અવાજ ઉઠાવનારાં પહેલાં સાહિત્યકાર હતાં એ તો એક નિમિત્ત માત્ર છે. અવાજ ક્યાંક ઊંડે-ઊંડે ઘૂંટાતો હતો અને અભિવ્યક્તિનો મોકો શોધતો હતો. ગૂંગળામણની પણ એક ભાષા હોય છે જે યોગ્ય સમયે અને સામૂહિકપણે અવાજ ધારણ કરતી હોય છે. માનવીય મૂલ્યોના પક્ષધરો સતત ઊહાપોહ કરતા રહે છે જેને રોજના કકળાટ તરીકે નજરઅંદાજ કરી શકાય છે, પરંતુ એને જ્યારે હોંકારો મળવા લાગે ત્યારે ભલભલા શાસકો થથરી જાય છે. અચાનક માનવતાના સાદને હોંકારા મળી રહ્યા છે જેની સરકારે અપેક્ષા નહોતી રાખી.
અકળાવનારો અવાજ કાને પડવા લાગે ત્યારે શરૂઆતમાં તો એની ઠઠ્ઠા કરવામાં આવે છે. એ પછી પણ જ્યારે એ અવાજ બળકટ બનવા લાગે ત્યારે એની ઉપેક્ષા કરવામાં આવે છે અને એ એની રીતે શાંત પડી જાય ત્યાં સુધી રાહ જોવામાં આવે છે. જો અવાજ એ છતાં પણ શાંત ન પડે ત્યારે એમાં કાવતરું જોવામાં આવે છે અને એ પછી પણ જ્યારે અવાજ શાંત નથી પડતો ત્યારે શાસકોએ અવાજના પક્ષે રસ્તો કરી આપવો પડતો હોય છે. દાદરી ઘટના પછી નયનતારા સેહગલ અને હિન્દી સાહિત્યકાર અશોક વાજપેયીએ સાહિત્ય અકાદમીના પુરસ્કાર પાછા કર્યા ત્યારે તેમની ઠઠ્ઠા કરવામાં આવી હતી. કેરી ખાઈ લીધી, હવે ગોટલા પાછા આપવામાં આવી રહ્યા છે અથવા પુરસ્કારની રકમ તો આપી, વ્યાજ કોણ આપશે વગેરે. એ પછી પણ જ્યારે પુરકાર પાછા કરવાની ઘટના વણથંભી ચાલુ રહી ત્યારે એની ઉપેક્ષા કરવામાં આવી હતી અને હવે સરકારને એમાં કાવતરું અને એ પણ આંતરરાષ્ટ્રીય કાવતરું નજરે પડી રહ્યું છે.
નાણાપ્રધાન અરુણ જેટલીએ પુરસ્કાર પાછા કરવાની ઘટનાઓને મૅન્યુફૅક્ચર્ડ પ્રોટેસ્ટ તરીકે ઓળખાવ્યો છે. કોઈ એક જગ્યાએ બેસીને કાવતરાના ભાગરૂપે ઉત્પાદિત કરવામાં આવેલો પ્રતિકાર. જેટલીસાહેબનો આ ફ્રેઝ વિશ્વપ્રસિદ્ધ ભાષાવિદ અને પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ નોમ ચોમ્સ્કી દ્વારા પ્રેરિત છે. મૅન્યુફૅક્ચરિંગ કન્સેન્ટ એ ચોમ્સ્કીનો ફ્રેઝ છે. મૂડીવાદી સમાજ માર્કેટિંગ દ્વારા પોતાને માફક આવે એવું વિકાસનું પ્રિસ્ક્રિપ્શન જગત આખામાં વેચે છે. વિકાસનો પશ્ચિમનો ઢાંચો અપનાવવામાં જ તમારું કલ્યાણ છે એવો એકસરખો સૂર કાઢવામાં આવે છે. વર્લ્ડ બૅન્ક, ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ, હેરિટેજ ફાઉન્ડેશન જેવી અમેરિકન સંસ્થાઓ દ્વારા વિકસાવવામાં આવેલી સવર્સંમતિને વૉશિંગ્ટન કન્સેસસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
માર્કેટિંગ દ્વારા કન્સેન્ટ (સંમતિ) તો પેદા થઈ શકે, પરંતુ પ્રોટેસ્ટ પણ પેદા થઈ શકે એ પહેલી વાર સાંભળવા મળ્યું. જો કાવતરાં કરીને વિદ્રોહ થતાં હોત તો અંગ્રેજો ભારતમાં બે સદી રાજ ન કરી શક્યા હોત, ગોરાઓ આફ્રિકામાં શોષણ ન કરી શક્યા હોત અને આઝાદી પછી ભારતમાં કૉન્ગ્રેસ પાંચ દાયકા રાજ ન કરી શકી હોત. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તો નવ દાયકાથી ગાંધી અને નેહરુની કલ્પનાના ભારતને નકારવા મથી રહ્યો છે. નાગપુરમાં બેસીને તેઓ વિદ્રોહનું ઉત્પાદન કરી શક્યા હોત. જો પ્રોટેસ્ટનું મૅન્યુફૅક્ચરિંગ થતું હોત તો આ જગતમાં અરાજકતા હોત. આજકાલ સોશ્યલ મીડિયાના યુગમાં આવો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જેમાં લોકો વિચારે છે ઓછું અને બોલે છે વધુ. અરુણ જેટલીને એટલી જાણ હોવી જોઈએ કે વિદ્રોહનાં પોતાનાં પરિમાણો (ડાયનૅમિક્સ) હોય છે અને એને પેદા નથી કરી શકાતાં. હા, એને નિવારી શકાય છે, પરંતુ એ માટે રસ્તો બદલવો પડે. ૧૮૫૭ના વિદ્રોહ પછી અંગ્રેજોએ બીજી વાર વિદ્રોહ ન થાય એ માટે ભારતનો વહીવટ કંપની સરકાર પાસેથી પોતાના હાથમાં લઈ લીધો હતો અને રાજ્યને પરવડે એટલું જવાબદાર બનાવ્યું હતું.
કેન્દ્ર સરકાર પાસે બે વિકલ્પ છે. કાં તો એણે અંગ્રેજોએ જેમ શાસનની ગુણવત્તા સુધારી હતી અને ભારતની પ્રજાને પ્રમાણમાં જવાબદાર રાજ્ય આપ્યું હતું એમ ભારતનું અને ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોનું શાસન બંધારણીય મૂલ્યો આધારિત અને એની મર્યાદામાં રહીને કરવું જોઈએ. લોકતંત્ર, સહિષ્ણુતા, સેક્યુલરિઝમ ભારતનાં બંધારણીય મૂલ્યો છે અને શાસકનો ધર્મ છે જેને ૨૦૦૨માં અટલ બિહારી વાજપેયીએ રાજધર્મ ગણાવ્યો હતો. વાજપેયીને એ અમૂલ્ય સલાહ પાછી નરેન્દ્ર મોદીને જ આપી હતી જે અત્યારે વધારે જવાબદારીનો હોદ્દો ધરાવે છે. જો એ સ્વીકાર્ય ન હોય તો તેમણે એટલે કે સકળ સંઘપરિવારે મુક્તપણે પોતાના અસલી એજન્ડા સાથે બહાદુરીપૂર્વક બહાર આવવું જોઈએ. મુસોલિની, તાલિબાન, ઇસ્લામિક બ્રધરહુડના નેતાઓ વગેરેએ કોઈ પણ પ્રકારનો ઢોંગ કર્યા વિના સહઅસ્તિત્વના સેક્યુલર રાજ્યને નકાર્યું હતું અને નકારી રહ્યા છે. તેમની હિંમતને અને પ્રામાણિકતાને તો દાદ આપવી જ જોઈએ. એક માણસ ઊંબાડિયાં કરે, બીજો દાદ આપે, ત્રીજો બચાવ કરે, ચોથો વારે, પાંચમો હિન્દુ સભ્યતાની દુહાઈ આપે, છઠ્ઠો કાવતરાંની વાતો કરે અને સાતમો સેક્યુલરિઝમ તેમ જ વિકાસની વાતો કરે એવું નાટક શા માટે કરો છો? આવી જાઓ મેદાનમાં તમારા અસલી ચહેરા સાથે. હિંમત અને પ્રામાણિકતા ન હોય એને સાચો હિન્દુ કઈ રીતે કહી શકાય.
પાંચ દિવસ પછી દશેરા આવે છે જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી. સંઘના સરસંઘચાલક દશેરાના દિવસે સ્વયંસેવકોનું માર્ગદર્શન કરે છે. નવ દાયકા જૂની આ પરંપરા છે. આ વખતે સરસંઘચાલક મોહન ભાગવતે હિંમતપૂર્વક સંઘનો અસલી એજન્ડા અને સાચો ચહેરો પ્રગટ કરી દેવા જોઈએ.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 19 અૉક્ટોબર 2015
http://www.gujaratimidday.com/features/columns/is-rashtriya-swayamsevak-sangh-manufacturing-product-2