ચર્ચા અને ચિંતા શાની થવી જોઇએ? સરકારના ઇરાદાની? કે પુરસ્કાર પાછા આપનાર લેખકોના ઇરાદાની?
ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે અસહકાર આંદોલન શરૂ કરતાં પહેલાં, અંગ્રેજો તરફથી મળેલા ત્રણ ચંદ્રક પાછા મોકલી આપ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં લડાઇઓ દરમિયાન સારવારટુકડીમાં આપેલી સેવા બદલ તેમને આ ચંદ્રક મળ્યા હતા. ૨ ઓગસ્ટ, ૧૯૨૦ના રોજ, સરકાર સામે વિરોધની અભિવ્યક્તિ તરીકે ગાંધીજીએ ચંદ્રકો પાછા મોકલાવ્યા, ત્યારે તેમને કોઇએ એવું પૂછ્યું હશે કે ‘એપ્રિલ, ૧૯૧૯માં જલિયાંવાલા બાગનો હત્યાકાંડ થયો ત્યારે તમે ક્યાં ગયા હતા? એ વખતે રવીન્દ્રનાથ ટાગોરે પોતાનો ‘નાઇટહુડ’નો ખિતાબ પાછો આપ્યો ત્યારે તમે કેમ તમારા ચંદ્રક પાછા ન આપ્યા? ને હવે કેમ ચંદ્રક પાછા આપવા નીકળ્યા છો? ધીક્કાર છે તમારા દંભને-તમારાં બેવડાં ધોરણને … ભારત…માતાકી ..’ ગાંધીજી બચી ગયા. બાકી, અત્યારની રીત જોતાં, પોપટિયા સવાલો દ્વારા ગાંધીજીની દેશભક્તિની અગ્નિપરીક્ષા લેવાઇ હોત અને તેમાં એમને નાપાસ જાહેર કરી દેવાયા હોત.
દાદરીમાં ગૌહત્યાના આરોપસર એક માણસની હત્યા, તે વિશેનાં બેહૂદાં નિવેદનો, વડાપ્રધાનનું મૌન, કલબુર્ગી જેવા વિવેકબુદ્ધિવાદીઓની હત્યા અંગે સરકારનું ઉદાસીન વલણ, કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું સરકારી સંસ્થાને છાજે એવું મૌન, અસહિષ્ણુતાના બનાવોની હારમાળા અને એ વિશે સરકારનો સાતત્યપૂર્વકનો ઉપેક્ષાભાવ — આવાં કારણોથી કેટલાંક લેખકો દુઃખી થયાં. તેમણે આ મુદ્દે વિરોધ વ્યક્ત કરવા પોતાને મળેલાં સાહિત્ય અકાદમીનાં ઇનામ પાછાં આપવાનું પગલું લીઘું. શરૂઆત નયનતારા સહગલે કરી. બીજાં નામ પણ તેમાં ઉમેરાયાં. ગુજરાતના પ્રતિષ્ઠિત અભ્યાસી-લેખક-સેવક ગણેશ દેવીએ પોતાનો અકાદમી એવોર્ડ પાછો આપવાનો નિર્ણય જાહેર કર્યો.
આવી સ્થિતિમાં ચર્ચા અને ચિંતા શાની થવી જોઇએ? સરકારના ઇરાદાની? કે પુરસ્કાર પાછા આપનાર લેખકોના ઇરાદાની? પરંતુ કોમવાદી વિચારધારા, પક્ષીય વફાદારી કે વ્યક્તિપૂજામાં ભાન ભૂલેલા ઘણા લોકોએ પુરસ્કારવાપસીની ટીકા અને સસ્તી મજાકોનો રસ્તો લીધો. પુરસ્કાર પાછા આપનારાના આશયો વિશે શંકા ઉઠાવવામાં આવી. તેમની પર પ્રસિદ્ધિભૂખથી માંડીને બેવડાં ધોરણના આક્ષેપ થયા. આવા આક્ષેપોમાં મલિનતા-દુષ્ટતા ન હોત તો એ બાળબોધી લાગત. પરંતુ આક્ષેપો કરનારામાંથી ઘણા પોતાની વિચિત્ર, વિદ્વેષી કે વિકૃત દલીલોને ‘ધોરણસરની ચર્ચા’માં ખપાવવા માટે આગ્રહી હતા. તટસ્થતાના દાવા સાથે થતી આવી કીચડઉછાળમાં કોઇએ ગોધરાના હત્યાકાંડને યાદ કર્યો, તો કોઇએ ૧૯૮૪નાં શીખ હુલ્લડોને યાદ કર્યાં અને એ વખતે આ લોકોએ કેમ પુરસ્કારો પાછા ન આપ્યા, એવા (એમની સમજ પ્રમાણે) ‘ધારદાર’ સવાલ પૂછ્યા. તેમાંથી કોઇએ તટસ્થતાના દેખાડા ખાતર પણ એવું પૂછ્યું નહીં કે ‘૨૦૦૨માં મહિનાઓ સુધી ગુજરાતમાં હિંસાનો દૌર ચાલ્યો ત્યારે તમે કેમ એવોર્ડ પાછા ન આપ્યા?’ મૂળ ચર્ચામાં એ સવાલ બીજા સવાલો જેટલો જ અસ્થાને – અપ્રસ્તુત છે, પણ તેનાથી તટસ્થતાનો દેખાડો કમ સે કમ પાંત્રીસ ટકા સુધી પહોંચાડી શકાયો હોત.
છેલ્લા દિવસોથી બલ્કે મહિનાઓથી મંત્રીઓ, શાસક પક્ષના સાંસદો, સભ્યો અને વિવિધ અંતિમવાદી સંગઠનોના કેટલાક લોકો બેફામ બોલવા-વર્તવાની હરીફાઇમાં ઉતર્યા છે. કોઇ હાસ્યલેખક ફારસ તરીકે લખી ન શકે એવાં વિધાનો નિયમીત રીતે આ મહાનુભાવો પાસેથી ગંભીરતાપૂર્વક સાંભળવા મળે છે. અને વડાપ્રધાન? ફરી એક વાર, આ વખતે રાષ્ટૃીય સ્તરે, એ નીરોની ભૂમિકામાં છે. પોતાના પક્ષના કે સાથી સંગઠનોના લોકો દ્વારા થતા બેફામ, ઉશ્કેરણીજનક અને અંતિમવાદી પ્રલાપ સામે વડાપ્રધાન શું કરે છે? તે વિદેશોમાં પોતાના જયજયકારના કાર્યક્રમોમાં અને ત્યાંથી વાહવાહી ઉઘરાવવામાં વ્યસ્ત છે. એમ તો ટ્વીટર પર તેમના ટહુકા નિયમીત રીતે થતા રહે છે ને બિહારની ચૂંટણીસભા જેવા મોકા હોય ત્યારે તેમની નાટકિયા ગર્જનાઓ પણ સાંભળવા મળી જાય છે. પરંતુ અસહિષ્ણુતાની બાબતમાં ભારતને પાકિસ્તાન બનાવવાની દિશામાં આગળ વધી રહેલાં તત્ત્વો અને તેમનાં કરતૂતોની વાત આવે ત્યારે વડાપ્રધાનના પક્ષેથી કાન ફાડી નાખે એવો સન્નાટો સાંભળવા મળે છે. ક્યારેક તે બોલે તો પણ એ મીઠા વગરનું હોય છે.
સન્માન પાછાં વાળનારા આખરે શું ઇચ્છે છે? બે-ચાર દિવસની મીડિયાપ્રસિદ્ધિ? પોતે જેનાં નામ ન સાંભળ્યાં હોય એે પ્રસિદ્ધ ન કહેવાય, એવું માનનારા, છેવટે પોતાની મર્યાદા ઉઘાડી કરે છે. કારણ કે પુરસ્કાર પાછા આપનારાં ઘણાંખરાં નામ પોતપોતાની સમજ-ક્ષમતા પ્રમાણે જાહેર જીવનમાં નાગરિકપક્ષે અવાજ ઉઠાવતાં રહ્યાં છે. નયનતારા સહગલે એક મુલાકાતમાં જણાવ્યા પ્રમાણે, ૧૯૮૪માં શીખ હત્યાકાંડ દરમિયાન તે ‘પીપલ્સ યુનિયન ફોર સિવિલ લીબર્ટીઝ’ સાથે સંકળાયેલાં હતાં. છાશવારે ૨૦૦૨ની શરમ ઢાંકવા માટે ૧૯૮૪નો શીખ હત્યાકાંડ ઉગામતા લોકોમાંથી કેટલાંએ શીખ હત્યાકાંડ પછી પીયુસીએલની કામગીરી વિશે જાણવાની તસ્દી લીધી છે? રાજકારણીઓએ ઘૂંટી ઘૂંટીને પીવડાવેલી ગોળીઓને લીધે તેમણે રોપેલા ઝેરીલા વિચાર ઘણા લોકોને હવે પોતીકા અને મૌલિક લાગે છે. તેમને સમજાતું નથી કે એ જેને પોતાના ગણે છે એ વિચાર ખરેખર તો તેમના મનમાં, તેમની કુંઠાઓનો ઉપયોગ કરીને, કોઇકે વાવી દીધેલા છે.
ધારો કે કોઇ પુરસ્કારવિજેતાએ અત્યાર સુધી એક પણ વાર જાહેર બાબતોમાં ખોંખારીને પોતાનો મત વ્યક્ત ન કર્યો હોય અને આ વખતે તે બોલવા માગે તો શું? એ દંભ કહેવાય? બેવડાં ધોરણ કહેવાય? પોતાના વલણ વિશે નવેસરથી વિચાર કરવાનો કે ‘જાગ્યા ત્યાંથી સવાર’ પ્રમાણે પોતાને લાગે તે કહેવાનો તેમને અધિકાર નથી? અલબત્ત, પહેલી વાર પુરસ્કાર પાછો આપીને વિરોધ વ્યક્ત કરનારાએ એટલું સમજવું પડે કે આ સાથે તેમના જાહેર જીવનનો અંત નહીં, આરંભ થાય છે. હવે પછી સરકાર કોઇ પણ હોય, તેમણે નાગરિકોના પક્ષે રહેવું પડશે અને વખત આવ્યે તેનાં પરિણામ પણ ભોગવવાની તૈયારી રાખવી પડશે.
પુરસ્કારવાપસીનાં પગલાંથી રાજી થયેલા લોકોએ પણ એટલું સમજવું રહ્યું કે ઇનામ પાછાં આપવાં એ વિરોધ કરવાના ઘણા રસ્તામાંનો એક રસ્તો છે. માટે, ‘ઇનામ પાછાં આપીને તમારો નાગરિકધર્મ પુરવાર કરો અથવા સરકારતરફીમાં ખપી જાવ’ એવું આત્યંતિક વલણ ન રખાય. વિરોધ કરવાની દરેકની ક્ષમતા પ્રકૃતિગત-સંજોગોગત રીતે જુદી જુદી હોય છે. એટલે ‘તારસ્વરે વિરોધ ન કરે, એ બધા સરકારતરફી કે નમાલા’ એવા અન્યાયી સરળીકરણથી બચવા જેવું છે. આગળ કહ્યું તેમ, અસલી ચર્ચા ઇનામવાપસી વિશે નહીં, પણ અંતિમવાદ તરફ ધકેલાઇ રહેલા દેશના વર્તમાન અને ભવિષ્ય અંગે તથા તેમાં પોતાની ભૂમિકા વિશે થવી જોઇએ. નાગરિકો દેશની અવગતિની દિશા અને ઝડપ અંગે સભાન બને, સમજે અને રાજકીય પક્ષોના પ્રચારમાં આવ્યા વિના દેશહિતનો એટલે કે દેશના નાગરિકોના હિતનો વિચાર કરતા થાય એ જરૂરી છે. ઇનામની વાપસી તો ઘેનગાફેલ લોકોને ઢંઢોળવાની એક રીત છે. તેની સામે કોઇ કારણસર વિરોધ હોય તો પણ એનાથી ઘેનગાફેલ અવસ્થા આવકાર્ય કે ઇચ્છનીય બની જતી નથી.
સૌજન્ય : ‘લાખ રૂપિયાનો સવાલ’, “દિવ્ય ભાસ્કર”, 13 અૉક્ટોબર 2015