ભારતનું કોમી વિભાજન થયું અને દેશમાં લોહીની નદીઓ વહી રહી હતી ત્યારે ભારતની લઘુમતી કોમોને તેમના અધિકારોની અને અસ્મિતાની માન્યતા આપવામાં આવી હતી. માત્ર માન્યતા નહીં, બંધારણીય બાંયધરી અને અદાલતી સુરક્ષા આપવામાં આવી હતી. લઘુમતી કોમને અધિકારો આપવાથી ભારતનું બીજું વિભાજન થશે એવો ભય કોઈએ વ્યક્ત કર્યો નહોતો
રાષ્ટ્રપતિભવનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ કેન્દ્ર સરકારનો અને શાસક સંઘપરિવારનો કાન આમળ્યો હતો. હા, સમૂળગો સંઘપરિવાર શાસક છે અને એ ભારતની વાસ્તવિકતા છે. ‘ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસ’ના એડિટોરિયલ ડાયરેક્ટર પ્રભુ ચાવલાએ રાષ્ટ્રપતિ વિશે એક કૉફી-ટેબલ બુક લખી છે જેનું લોકાર્પણ રાષ્ટ્રપતિભવનમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રના ગૃહપ્રધાન રાજનાથ સિંહની હાજરીમાં રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે સહિષ્ણુતા અને વિવિધતા ભારતીય સભ્યતાનાં મૂળભૂત મૂલ્યો છે, જગતની અનેક સભ્યતાઓ આથમી ગઈ છે ત્યારે ભારતીય સભ્યતા ટકી શકી છે એનું કારણ સહિષ્ણુતા અને વિવિધતાને કારણે ભારતીય પ્રજામાં વિકસેલું લચીલાપણું છે, ભારતે અનેક આક્રમણોનો સામનો કર્યો છે અને લાંબી ગુલામી પણ ભોગવી છે અને એ છતાં ભારતીય સભ્યતાને ઊની આંચ નથી આવી એનું કારણ ભારતીય પ્રજાએ અપનાવેલાં સભ્યતાનાં મૂળભૂત મૂલ્યો છે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે જ્યાં સુધી આપણે આ મૂલ્યોને વળગી રહીશું ત્યાં સુધી ભારતીય લોકતાંત્રિક રાષ્ટ્રને અને ભારતીય સભ્યતાને ઊંડી આંચ આવવાની નથી. આ પાયાનાં મૂલ્યો છે એટલે આપણને એ ગુમાવવાં કે નબળાં પાડવાં પોસાય એમ નથી.
ઇશારો અને બૅકગ્રાઉન્ડ સ્પષ્ટ હતાં. દિલ્હી નજીક દાદરીમાં મોહમ્મદ ઇખલાક નામના મુસલમાનની ટોળે મળીને હત્યા કરવામાં આવી એ ઘટના બૅકગ્રાઉન્ડમાં હતી અને એ પછી શાસક સંઘપરિવારે લઘુમતી કોમને ચેતવણીઓ આપવા માંડી હતી એના તરફ રાષ્ટ્રપતિનો ઇશારો હતો.
સમાજ છે. સમાજમાં ક્યારેક વૈમનસ્ય પેદા થતું હોય છે અને શરમજનક ઘટના બનતી પણ હોય છે; પરંતુ એની નિંદા કરવાની જગ્યાએ બચાવ કરવામાં આવે અને ચેતવણીઓ આપવામાં આવે ત્યારે એવી ઘટના એકલદોકલ અપવાદ નથી બની રહેતી, એની ગંભીરતા અનેકગણી વધી જાય છે. ફાસીવાદની એક વાક્યમાં વ્યાખ્યા કરવી હોય તો એમ કહી શકાય કે જ્યારે બહુમતી કોમ લઘુમતી કોમની જીવનશૈલી નિર્ધારિત કરે અને એ રીતે જીવવા ફરજ પાડે એને ફાસીવાદ કહેવાય. આ દેશમાં રહેવું હોય તો … એમ કહીને જે શરતોની યાદી બનાવવામાં આવે છે એ જ ફાસીવાદ છે. એટલે તો લઘુમતી કોમની કોમવાદી પ્રવૃત્તિને કોમવાદ કહેવામાં આવે છે, જ્યારે બહુમતી કોમની કોમવાદી પ્રવૃત્તિને ફાસીવાદ તરીકે ઓળખવામાં આવે છે. એ બન્ને એક જ સ્વરૂપના અને એકસરખા ગંભીર નથી. આમાં બૅલૅન્સિંગ કરવાનું ન હોય કે એક જ ત્રાજવે તોળવાનું ન હોય. બહુમતી કોમવાદ કોઈ પણ દેશ માટે ખતરનાક નીવડે છે. એટલો ખતરનાક કે આખેઆખી સભ્યતાને ભરખી જાય છે. એટલે તો રાષ્ટ્રપતિને ચેતવણી આપવી પડી છે.
ભૌગોલિક રીતે કે ઐતિહાસિક રીતે બહુ દૂર જવાની જરૂર નથી. આપણી પોતાની ભૂમિમાં, આપણાથી જ અલગ થયેલા અને આપણી નજર સામે પાકિસ્તાનની કબર કોણે ખોદી છે? પાકિસ્તાનની બરબાદીનું કારણ પાકિસ્તાનની લઘુમતી કોમો છે કે બહુમતી મુસલમાનો? લઘુમતી કોમ તો બિચારી ઓશિયાળી હતી. તેઓ તો પોતાનું અસ્તિત્વ અને અસ્મિતા ટકાવી રાખવા માગતા હતા. કોઈ મોટી માગણી નહોતી અને તેઓ પાકિસ્તાનના વિકાસમાં યથાશક્તિ યોગદાન પણ આપતા હતા. આમ છતાં પાકિસ્તાનની લઘુમતી કોમોને બહુમતી મુસલમાનોએ કહ્યું હતું કે અસ્તિત્વ ટકાવી રાખવું હશે તો અસ્મિતા છોડવી પડશે. બોલો, શું વધારે વહાલું છે – અસ્તિત્વ કે અસ્મિતા? જ્યારે ભીંસ વધવા માંડી ત્યારે પાકિસ્તાનની લઘુમતી કોમોને સમજાઈ ગયું હતું કે શરતોની યાદી એવડી લાંબી અને આકરી છે કે આમાં આપણે અસ્તિત્વ અને અસ્મિતા બન્ને ગુમાવવાના. આના કરતાં અન્યત્ર જતા રહેવું બહેતર છે. જો બીજ ટકી રહેશે તો ઊગવા માટે જમીન તો ગમે ત્યાં મળી રહેશે.
બહુમતીને લઘુમતીનો ભય લાગે એ વિચિત્ર નથી? પાંચ હિન્દુઓ એક મુસલમાનથી કે પાંચ મુસલમાન એક હિન્દુથી ડરતા હોય તો એને સામાન્ય પ્રકારનો ભય કહેવાય કે માનસિક બીમારી? લઘુમતી અસ્મિતા બહુમતી અસ્મિતાને કઈ રીતે નુકસાન પહોંચાડી શકે? બહુમતી સંસ્કૃિતમાં ખોવાઈ જવાનો કે ઓળખ ગુમાવી દેવાનો ભય લઘુમતી કોમને રહે એ તો સમજી શકાય એવી વાત છે, પણ બહુમતીને શાનો ડર?
અહીંથી રાષ્ટ્રના અસ્તિત્વની ખરી કસોટીની શરૂઆત થાય છે. વિધાતા જેમ છઠ્ઠીના લેખ લખે છે એમ કોઈ પણ દેશના છઠ્ઠીના લેખ આ ક્ષણે લખાય છે. આને રાષ્ટ્ર માટેનું સાફલ્યટાણું કહી શકાય. જવાહરલાલ નેહરુની ભાષામાં ટ્રાયસ્ટ વિથ ડેસ્ટિની (વિધાતા સાથે કૉલ) કહી શકાય.
ભારતની બંધારણસભામાં આ વિશે કલાકો અને દિવસો સુધી સાંગોપાંગ ચર્ચા કરવામાં આવી છે. ભારત નામના એક પચરંગી અને પ્રાચીન દેશને ટકાવી રાખવો છે, એક રાખવો છે, સમરસ કરવો છે અને ઉપરથી આધુનિક પણ બનાવવો છે. પચરંગીપણું અને પ્રાચીનતા ભારતની શક્તિ અને મર્યાદા બન્ને છે. પચરંગી છે એટલે દરેકની ભાવનાની તેમ જ અસ્મિતાઓની કદર કરવી પડે અને પ્રાચીન છે માટે આધુનિક અને પુરાતન તેમ જ પૌર્વાત્ય અને પાશ્ચત્ય વચ્ચે સંતુલન કરવું પડે. બંધારણસભા એક રાષ્ટ્રીય મંચ હતો જેમાં દરેક પ્રકારની વિચારધારાવાળા લોકો હતા. ભારતના વિભાજન પછી ભારતમાં રહેલા મુસલમાનોના પ્રતિનિધિઓ પણ હતા. આગળ કહ્યું એમ ચર્ચા સાંગોપાંગ હતી. બંધારણસભામાંની ચર્ચા મેકિંગ ઑફ ઇન્ડિયન નેશનનો દસ્તાવેજ છે. ૧૯૪૯ની ૨૫ નવેમ્બરના દિવસે બંધારણસભાની સમાપન બેઠકમાં છેલ્લું પ્રવચન આપતાં ડૉ. આંબેડકરે કહ્યું હતું કે આ મહાન સભામાં બધા જ છે, સવર્સંમત રાષ્ટ્રનો જાણે કે આ ચોરો છે, અહીં માત્ર એ લોકો જ નથી જેમને રાષ્ટ્રીય સવર્સંમતિ અને સંતુલિત સમન્વય સ્વીકાર્ય નથી.
કૉન્ગ્રેસ અને ગાંધીજી સાથે જીવનભર બાખડનાર ડૉ. આંબેડકર બંધારણસભાને રાષ્ટ્રીય સવર્સંમતિના ચોરા તરીકે ઓળખાવે છે. દેશ નસીબદાર હતો કે જેમને રાષ્ટ્રીય સવર્સંમતિ અને સંતુલિત સમન્વય સ્વીકાર્ય નહોતો તેઓ હાંસિયામાં હતા. કલ્પના કરો કે જ્યારે ભારતનું કોમી વિભાજન થયું હતું અને દેશમાં લોહીની નદીઓ વહી રહી હતી ત્યારે ભારતની લઘુમતી કોમોને તેમના અધિકારોની અને અસ્મિતાની માન્યતા આપવામાં આવી હતી. માત્ર માન્યતા નહીં, બંધારણીય બાંયધરી અને અદાલતી સુરક્ષા આપવામાં આવી હતી. લઘુમતી કોમને અધિકારો આપવાથી ભારતનું બીજું વિભાજન થશે એવો ભય કોઈએ વ્યક્ત કર્યો નહોતો. ઊલટું સૂર એવો હતો કે લઘુમતીને પ્રત્યક્ષ ન્યાય અને માનસિક સુરક્ષા મળવાં જરૂરી છે. બહુમતી સમાજમાં પોતાની ઓળખ ગુમાવી દેવાનો ભય સ્વાભાવિક છે એટલે એ ભયની ગ્રંથિ સમજવી જોઈએ. લઘુમતી કોમના ભયની ઉપેક્ષા કરવાની ન હોય ત્યાં દાદાગીરી તો બહુ દૂરની વાત છે.
શું બંધારણસભામાં જે લોકો બેઠા હતા એ બેવકૂફ હતા? તેમને નહોતી ખબર કે કોમી ધોરણે ભારતનું વિભાજન થયું છે અને લોહીની નદીઓ વહી રહી છે? શું તેમને નહોતી ખબર કે પાડોશમાં પાકિસ્તાનની બંધારણસભામાં શું થઈ રહ્યું છે? શું તેમને નહોતી ખબર કે પાકિસ્તાનમાં હિન્દુઓ સાથે અન્યાય થઈ રહ્યો છે? બંધારણસભામાં ૯૦ ટકા સભ્યો હિન્દુ હતા અને એમાંના મોટા ભાગના ધાર્મિક હિન્દુઓ હતા. કેટલાક તો વળી હળવા હિન્દુવાદી પણ હતા. હિન્દુ હિતનું શું તેમને ભાન નહોતું? અલગ-અલગ ધર્મના અને વિચારધારાના ત્રણસો લોકો રાષ્ટ્રીય સવર્સંમતિ સાધી શકે તેમ જ બધાને સાથે લઈને ચાલનારું બંધારણ ઘડી શકે અને એક જ વિચારધારાના અને ધર્મના લોકો ૯૦ વર્ષે પોતાની કલ્પનાના રાષ્ટ્રનો એક દસ્તાવેજ પેદા ન કરી શકે એ શું સૂચવે છે? બંધારણસભામાં ગુજરાતી હિન્દુઓના લાડીલા સરદાર પટેલ પણ હતા અને લઘુમતી કોમોને આપવામાં આવેલા અધિકારોને અંતિમ સ્વરૂપ આપનારી સબ-કમિટીના તેઓ અધ્યક્ષ હતા. એ કમિટીમાં સરદાર ઉપરાંત રાજેન્દ્ર પ્રસાદ અને કનૈયાલાલ મુનશી પણ સભ્ય હતા. હળવા હિન્દુવાદી હોવાની ખ્યાતિ ધરાવતા આ ત્રણ સભ્યો પણ બેવકૂફ હતા? તમે શું માનો છો? વિચારી જુઓ.
ભારતથી ઊલટું પાકિસ્તાનના ગણેશ એની સ્થાપના સાથે જ ઊલટી દિશામાં મંડાયા હતા. જેમને રાષ્ટ્રીય સવર્સંમતિ અને સંતુલિત સમન્વય સ્વીકાર્ય નહોતાં એવા લોકો પાકિસ્તાનની બંધારણસભામાં બહુમતીમાં હતા. તેમનો સવાલ એ હતો કે અલગ મુસ્લિમ રાષ્ટ્રીયતાના નામે પાકિસ્તાનની રચના કરવામાં આવી છે તો એ રાષ્ટ્રીયતા રાષ્ટ્રના નિર્માણમાં ઝળકવી જોઈએ. આને પરિણામે સેક્યુલર રિપબ્લિક બનવાની જગ્યાએ પાકિસ્તાન ઇસ્લામિક રિપબ્લિક બન્યું હતું. નાગરિકની પ્રભુસત્તા(સૉવરેન્ટી)ની જગ્યાએ અલ્લાહની પ્રભુસત્તા સ્વીકારવામાં આવી હતી. રાજ્યમાં અલ્લાહના પ્રવેશની સાથે કુરાન, હદીસ અને એનું અર્થઘટન કરનારા મુલ્લાઓએ પ્રવેશ કર્યો હતો. હજી તો બંધારણ ઘડાયું પણ નહોતું (અને આખું બંધારણ તો આજ સુધી નથી ઘડાયું) એ પહેલાં લઘુમતી કોમોને સમજાઈ ગયું હતું કે આ દેશ ભલે આપણો માદરે વતન છે, પરંતુ એ આપણા માટે નથી.
બહુમતી કોમ જો ઓળખનો ભય અનુભવતી હોય તો એ ભય નથી પરંતુ માનસિક બીમારી છે, એક પ્રકારની વિકૃતિ છે, લઘુતાગ્રંથિ છે. લઘુમતી અસ્મિતા આપણી અસ્મિતાને પાતળી પાડશે તો? અભડાવશે તો? એની સમૃદ્ધિને ભ્રષ્ટ કરશે તો? સત્ય તો એ છે કે કોઈ સભ્યતા મ્યુિઝયમના પીસ જેવી નિર્જીવ નથી હોતી. સભ્યતા માનવોની બનેલી છે એટલે સજીવ છે જે સતત વિકસતી રહે છે અને બદલતી રહે છે. એ સજીવ છે એટલે એ બીજાના સંપર્કમાં આવે છે અને સંપર્ક એને પ્રભાવિત કરે છે. આનો કોઈ ઉપાય નથી. રૂપરૂપનો અંબાર રાજકુમારીને કોઈની નજર ન લાગે એ માટે મહેલમાં ગોંધી રાખવામાં આવે તો એક દિવસ તે પાંડુરોગનો શિકાર બનશે, તેનો વિકાસ નહીં થાય અને રૂપ નાશ પામશે. સભ્યતા અને સંસ્કૃિત એટલે જ આપ-લે.
માણસને પ્રેમ કરવા માટે પણ બીજાની જરૂર પડે છે અને લડવા માટે પણ બીજાની જરૂર પડે છે. જો બીજાથી ભય અનુભવશો અને તેને કાઢી મૂકશો તો પ્રેમસંબંધ પણ નજીકના જ લોકો સાથે બાંધવો પડશે અને નજીકના જ લોકો સાથે લડવું પડશે. પાકિસ્તાનમાં અત્યારે આ જ બની રહ્યું છે. અન્ય લઘુમતી કોમની પ્રજાને તગેડી મૂકી એટલે બહુમતી મુસલમાનો પ્રેમ કરવા માટે હજી પોતાનાઓને શોધે છે અને જરાક સાંસ્કૃિતક કે ધાર્મિક રીતે દૂર લાગે એની સાથે લડે છે. આનું પરિણામ એ આવ્યું કે બહુમતી મુસલમાનો બહુમતીમાં હોવા છતાં પરિઘ ટૂંકાવી રહ્યા છે અને મુસલમાન જ બીજા મુસલમાનને મારી રહ્યા છે.
વડા પ્રધાને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનાં વચનોને અનુસરવાનું વચન આપ્યું છે. જોઈએ શું થાય છે. પ્રત્યેક આકરા રાષ્ટ્રવાદી હિન્દુને મારી નમ્ર સલાહ છે કે તેણે બંધારણસભામાં થયેલી ચર્ચાને, ખાસ કરીને લઘુમતી કોમને આપવામાં આવેલા અધિકારને લગતી ચર્ચાને ધ્યાનપૂવર્ક વાંચવી જોઈએ.
સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામલ લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 11અૉક્ટોબર 2015
http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-11102015-15