દીનદયાળ ઉપાધ્યાય-શ્યામાપ્રસાદ મુખરજીના મૃત્યુ માટે કોંગ્રેસ તરફ આંગળી ચીંધનારા હવે કેમ સત્ય બહાર લાવતા નથી?
ઈશુના વર્ષ ર૦૧૬માં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. એના પાઈલટ-પરાક્રમ તરીકે બબ્બે વાર કૉંગ્રેસ અધ્યક્ષ રહેલા નેતાજી સુભાષચંદ્ર બોઝ તથા તાશ્કંતમાં ભારત-પાક મંત્રણા વખતે મૃત્યુ પામેલા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનાં રહસ્યમય મોત પરથી પડદો ઊંચકવા માટેની ગાજવીજ ભારે છે. સ્વરાજ મેળવવામાં ક્યારે ય સક્રિય ભૂમિકા નહીં ભજવનારાઓનાં સંગઠનો અને એમનાં રાજકીય ફરજંદોએ ભૂતકાળમાં ગાંધીજી-નેહરુની નેતાગીરીથી દુભાયેલા કૉંગ્રેસી કે બીજા નેતાઓને પોતીકા ગણાવવાનાં – પ્રજાને પ્રભાવિત કરવાનાં નિતનવાં અભિયાન આદર્યાં છે. કૉંગ્રેસના સૌથી મજબૂત નેતા રહેલા સરદાર વલ્લભભાઈ પટેલને ઍન્કૅશ કર્યા પછી હવે નેતાજી બોઝ અને લાલબહાદુર શાસ્ત્રીનો વારો છે.
સુભાષના પરિવાર સાથે સંબંધ જોડીને વર્તમાન સમયમાં મતનું રાજકારણ ખેલી લેવાની વૃત્તિ-પ્રવૃત્તિ સોળે કળાએ ખીલેલી જણાય છે. ભા.જ.પ.ને ઉધારીનાં ‘આઇકન’ (પ્રતીકો) મેળવવામાં સવિશેષ રસ હોવાની પરંપરા એના પૂર્વઅવતાર જનસંઘની સ્થાપનાના વખતથી ચાલતી આવી છે. મૂળ કૉંગ્રેસી ધારાસભ્ય અને પછીથી પાકિસ્તાનવાદી ફઝલુલ હકની બંગાળ સરકારમાં નાણાંપ્રધાન રહેલા અખિલ ભારતીય હિંદુ મહાસભાના અધ્યક્ષ અને નેહરુ સરકારના ઉદ્યોગપ્રધાન એવા ડૉ.શ ્યામાપ્રસાદ મુખરજીને જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ બનાવાયા હતા. તેમાં તત્કાલીન સંઘ-સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવલકર(ગુરુજી)ની પ્રેરણા હતી.
ગુરુજી તરફથી જનસંઘની બાંધણી માટે અને દેશભરના સ્વયંસેવકોનો સહકાર મળી રહે એ માટે એમને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જેવા પ્રચારક આપવામાં આવ્યા હતા. શ્યામાપ્રસાદ અને દીનદયાળ બેઉનાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયાં હતાં. આજે ભા.જ.પ. કે સંઘ પરિવાર થકી સુભાષ અને શાસ્ત્રીના મૃત્યુનાં રહસ્યને ખોલવા ઊહાપોહ મચાવાય છે, પણ જનસંઘના બબ્બે અધ્યક્ષોનાં મૃત્યુનાં રહસ્ય ખુલે એ દિશામાં અનેક રાજ્યો અને કેન્દ્રમાં સત્તાસ્થાને બેઠેલા ભા.જ.પ. અને સંઘના અગ્રણીઓ મૌન સેવે છે અથવા તો જાણી જોઈને એની વિસ્મૃિત કરવાનું પસંદ કરે છે.
દીનદયાળ સ્મૃિત મંચનાં અધ્યક્ષા અને પંડિતજીની ભત્રીજી મધુ શર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનુરોધ કરેલો છે કે દીનદયાળની હત્યાનું વણઉકલ્યું રહસ્ય જાણવા દીનદયાળ પરિવાર આતુર છે. એટલે એની તપાસ આદરવામાં આવે. ભા.જ.પ. તરફથી દીનદયાળની હત્યાને કોંગ્રેસી કાવતરું લેખાવાય છે, પરંતુ પંડિતજીના નિકટના સાથી અને જનસંઘના અધ્યક્ષ રહેલા પ્રા. બલરાજ મધોકે દીનદયાળની હત્યામાં સંઘ પરિવારની જ સામેલગીરી હોવાનું આત્મકથામાં નોંધ્યું છે. રપ સપ્ટેમ્બર, ૧૯૧૬ના રોજ ચંદ્રભાણ-મથુરામાં જન્મેલા દીનદયાળની આવતા વર્ષે જન્મશતાબ્દીની ઉજવણી પહેલાં એમની હત્યાનું રહસ્ય ઉકેલાય એ અપેક્ષિત છે.
ભા.જ.પ.-જનસંઘના આરાધ્યપુરુષો ડો. શ્યામાપ્રસાદ મુખરજી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયનાં મૃત્યુનાં રહસ્ય હજુ વણઉકલ્યાં જ રહ્યાં છે. શ્યામાપ્રસાદનું મૃત્યુ ર૩ જૂન, ૧૯પ૩ના રોજ જમ્મુ-કશ્મીરના તત્કાલીન વડા શેખ અબદુલ્લાની જેલમાં થયાથી દોષનો ટોપલો શેખના મિત્ર પંડિત નેહરુ પર પણ નાખવામાં આવતો રહ્યો છે. ડો. મુખરજીના અંતરંગ સાથી, સંઘના વરિષ્ઠ પ્રચારક અને તે વખતે છ સપ્તાહ પહેલાં જ જનસંઘના અધ્યક્ષ બનેલા પંડિત દીનદયાળનું આકસ્મિક મૃત્યુ મુગલસરાય (ઉત્તરપ્રદેશ) પાસે ટ્રેનમાંથી ફેંકી દેવાયાથી ૧૦ ફેબ્રુઆરી, ૧૯૬૮ના રોજ થયું. સી.બી.આઇ. તપાસમાં પંડિત ઉપાધ્યાયનો સામાન ચોરનાર બે જણે ચાલુ ગાડીએ તેમને ધક્કો મારી દીધાનું તારવ્યું અને જસ્ટિસ યશવંત ચંદ્રચૂડ તપાસપંચે પણ એ હાસ્યાસ્પદ વાત માની લીધી હતી. ભા.જ.પ.નું વલણ હત્યાનો દોષ કોંગ્રેસને આપવાનું કાયમ રહ્યું. એટલે તેમના મૃત્યુનું રહસ્ય પણ હજુ વણઉકલ્યું છે.
ભા.જ.પ. અને સંઘ પરિવારનાં પ્રકાશનોમાં ડો. મુખરજી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયનાં મૃત્યુ અંગે પ્રશ્નો ઉઠાવાયા. હવે જ્યારે સંઘના સ્વયંસેવકોની કેન્દ્ર સરકાર હોય ત્યારે તેમના પક્ષ ભા.જ.પ. તરફથી સુભાષબાબુ અને લાલબહાદુર શાસ્ત્રીનાં મૃત્યુનાં રહસ્ય ખોલવાની આગ્રહભરી વાત થતી હોય, પણ પોતીકા એવા ડો. મુખરજી અને ‘એકાત્મ માનવવાદ’ના પ્રણેતા દીનદયાળનાં મોત વિશે મૌન સેવાય ત્યારે અજુગતું લાગવું સ્વાભાવિક છે. અત્યારે રાજ્યપાલ તરીકે કાર્યરત તથાગત રાય ડો. મુખરજીની જીવનકથા લખે કે હરીશચન્દ્ર અને પદ્મિની શ્યામાબાબુનાં સંસ્મરણોનો ગ્રંથ પ્રગટ કરે ત્યારે જનસંઘના સંસ્થાપક અને અધ્યક્ષ રહેલા બલરાજ મધોકને અવશ્ય અધિકૃતપણે ટાંકે છે.
જો કે જનસંઘમાંથી તગેડી મૂકાયેલા બલરાજ મધોકલિખિત આત્મકથાના તૃતીય ખંડ ‘જિંદગી કા સફર-૩, દીનદયાળ ઉપાધ્યાય કી હત્યા સે ઇન્દિરા ગાંધી કી હત્યા તક’(દિનમાન પ્રકાશન, દિલ્હી, ર૦૦૩)માં ઇતિહાસના આ પ્રાધ્યાપકે જે રહસ્યોદ્દઘાટન કર્યાં, એ પછી સંઘ-જનસંઘ-ભા.જ.પ.ના કોઈ પણ નેતાની હિંમત શ્યામાબાબુ અને દીનદયાળની હત્યાઓના રહસ્ય પરથી પડદો ઊંચકવાની થઈ શકે તેમ નથી. કારણ? નેહરુઘરાના પર દોષારોપણ કરવાની ચાલતી રહેલી પરંપરાથી વિપરીત બલરાજ મધોકે રજૂ કરેલાં તથ્યો પોતીકાઓની જ સંડોવણી ભણી અંગુલિનિર્દેશ કરે છે. વર્ષ ર૦૦૩થી આજ લગી ઉપલબ્ધ મધોકની આત્મકથા સામે ભા.જ.પ. કે સંઘ કે બીજી કોઈ વ્યક્તિઓએ બદનક્ષીનો દાવો કર્યાનું સાંભળ્યું નથી; ભલે એમાં સંઘના સરસંઘચાલક રહેલા બાળાસાહેબ દેવરસ,વરિષ્ઠ પ્રચારક રહેલા નાનાજી દેશમુખ અને દેશના વડાપ્રધાન રહેલા અટલબિહારી વાજપેયીના નામોલ્લેખ સાથે હત્યાના ષડ્યંત્રનાં વિશદ વર્ણન કરાયાં હોય.
બલરાજ મધોકે નવેમ્બર, ૧૯૭૦માં વિદેશપ્રવાસેથી પાછા ફરીને લોકસભામાં છેલ્લું ભાષણ કરતાં રાજકીય હત્યાઓના મુદ્દે કાંઈક આવું કહ્યું હતું ઃ ‘આ દેશમાં ગાંધીજીની હત્યા થઈ, એ વિશે એક ટ્રિબ્યુનલ બેસાડાયું અને ચુકાદો આવ્યો. નેતાજી સુભાષચંદ્ર બોઝ લાપતા થયાનાં વીસ વર્ષ પછી એ વિશે તથ્યોની તપાસ થઈ રહી છે. પરંતુ ડો. મુખરજીની હત્યા અંગે કોઈ તપાસ નથી થઈ. લાલબહાદુર શાસ્ત્રીના મૃત્યુ અંગે તપાસની માગણી થઈ રહી છે. દીનદયાળ ઉપાધ્યાયની પણ હત્યા થઈ, પરંતુ એ વિશે પણ ઢાંકપિછોડો કરાવાય છે. જ્યાં સુધી નિષ્પક્ષ તપાસને અંતે એ સાબિત નથી થતું કે લાલબહાદુરજીનું મૃત્યુ કુદરતી કારણોથી જ થયું હતું, ત્યાં સુધી અમને એને હત્યા કહેવાનો અધિકાર છે.’
અત્યારે ૯૫ વર્ષની વયે દિલ્હીમાં વસતા અને વડાપ્રધાન મોદીને આશીર્વાદ આપનાર પ્રા. મધોકે રાજકીય હત્યાઓનાં રહસ્યો બહાર લાવવામાં ઇંદિરાજીને અવરોધ ગણાવ્યાં હતા અને એમની હત્યા સાથે એ રહસ્ય પણ ધરબાઈ ગયાનું નોંધ્યું છે. હવે તો જનસંઘ-ભા.જ.પ.ના મોદી સત્તાસ્થાને છે અને લોકપ્રિયતાની ટોચ પર બિરાજે છે, ત્યારે સુભાષ અને લાલબહાદુરનાં મોતનાં રહસ્યની સાથે મુખરજી અને દીનદયાળના રહસ્યમય મૃત્યુ પરથી પડદો હટે અને સત્ય બહાર એવી તેમના ચાહકોની પણ અપેક્ષા ખરી.
હરિ દેસાઈ લેખક સરદાર પટેલ સંશોધન કેન્દ્રના નિયામક અને જાણીતા પત્રકાર છે
e.mail : haridesai@gmail.com
http://www.divyabhaskar.co.in/news/ABH-what-about-mysterious-death-of-these-leader-5134237-NOR.html