નીરવ સૃષ્ટિને કોણે ભરી કલશોરે ?
વસંત જગાડી કોણે પાનખરે !
કોણે કીધી મનવીણાને
ઝંકૃત નૂતન રાગે,
ક્યાંથી આ ઝણકાર સુણાયે
જીવનના ધબકારે !
વસંત જગાડી કોણે પાનખરે !
કોના આ મૃદુ સ્પર્શે જાગે
રોમ રોમ ઉલ્લાસ,
કોના ઈશારે નાચે થૈ થૈ
ઉર સૂતા અભિલાષ !
વસંત જગાડી કોણે પાનખરે !
ક્યાંથી આ ચેતન સરવાણી
આજ અચાનક પ્રગટે,
અંતરનાં મૂંગા શબદોને
છંદ અનેરા લાધે !
વસંત જગાડી કોણે પાનખરે !